ગુજરાતઃ માતાપિતા કેમ ઓછાં બાળકો પેદાં કરી રહ્યાં છે, શું કારણો હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં કોઈ પણ પરિવારમાં પાંચ - છ કે તેથી વધુ પણ બાળકો હોવાં તે ખૂબ જ સામાન્ય વાત લાગતી હતી.
જોકે આજે કોઈ પણ પરિવારમાં સામાન્ય રીતે બે બાળકોથી વધારે બાળકો જોવાં મળતાં નથી. આ વાતને સરકારી આંકડાઓ પણ સમર્થન આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં મહિલાદીઠ બાળજન્મના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક તો એવા પરિવાર છે કે જેમાં એક જ બાળક જોવા મળે છે.
ભારતમાં વર્ષ 1950માં મહિલાદીઠ બાળજન્મનો દર 5.7 હતો.
નૅશનલ ફેમિલી હેલ્થના 2019-21ના સર્વે અનુસાર ભારતમાં હાલ મહિલાદીઠ બાળજન્મનો દર બે છે. અને ગુજરાતનો મહિલાદીઠ બાળજન્મનો દર તો 1.9 છે.
નિષ્ણાતોનું માનવું છે કે મહિલાદીઠ બાળજન્મના દરમાં ઘટાડો થવા માટેનાં અલગ-અલગ કારણો છે. જેમાં સામાજિક, આર્થિક, જૈવિક, વાતાવરણ, પોષણયુકત ખોરાકનો અભાવ, શિક્ષણ, ઇન્ટરનેટ ઓવરડોઝ વગેરે હોઈ શકે છે.
એસઆરએસ 2020ના રિપોર્ટ અનુસાર ભણેલી ન હોય કે ઓછી ભણેલી તેવી મહિલાઓની સરખામણીમાં ભણેલી મહિલાઓ ઓછાં બાળકો પેદા કરે છે.
મહિલાદીઠ બાળજન્મમાં ઘટાડાનાં કારણો સમજવા માટે બીબીસી ગુજરાતીએ અલગ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
સતત ઘટતો મહિલાદીઠ બાળજન્મનો દર શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. દિલીપ માવળંકર જેઓ ગુજરાત પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ નિવૃત્ત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "વિશ્વભરમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે મહિલાદીઠ બાળજન્મના દરમાં પહેલાં વધારો જોવા મળે અને ત્યાર બાદ તેમાં ઘટાડો થાય. પશ્ચિમના દેશોમાં પણ પહેલાં મહિલાદીઠ બાળજન્મ દર વધારે હતો. જોકે મૉર્ડન ફેમિલી પ્લાનિંગ આવ્યા પહેલાં જ ત્યાં લોકોએ સ્વેચ્છાએ ઓછાં બાળકો પેદા કરવાનું શરૂ કર્યું હતું."
"યુરોપના દેશોમાં તો વર્ષ 1900 બાદ મહિલાદીઠ બાળજન્મ દર (ફર્ટિલિટી રેટ)માં ઘટાડો જોવા મળ્યો હતો. મૉર્ડન ફેમિલિ પ્લાનિંગ આવ્યા પહેલાં લોકો કેટલાક નુસખા અપનાવતા હતા. જેમાં સફળ રહે પણ ખરા અને ના પણ સફળ રહે. પરંતુ મૉર્ડન ફેમિલી પ્લાનિંગ આવ્યા બાદ તેમાં વધારે સરળતા જોવા મળી છે."
ભારતમાં 1965 બાદ મહિલાદીઠ બાળજન્મ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં તો ભારતનો મહિલાદીઠ બાળ જન્મદર વિશ્વ કરતાં પણ ઓછો છે.
ડૉ. માવળંકર જણાવે છે, "ભારતમાં આ ટ્રેન્ડ મોડો શરૂ થયો છે. જોકે પશ્ચિમના દેશોમાં જે કારણોથી મહિલાદીઠ બાળજન્મ દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં પણ આ જ કારણોથી મહિલાદીઠ બાળજન્મના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે."
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડૅમોગ્રાફર ટિમ ડાયસને અગાઉ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "એક કે બે દાયકા પછી પ્રજનન દર સતત નીચો રહે તો વસ્તીના પ્રમાણમાં ઝડપી ઘટાડો જોવા મળે છે. મહિલાદીઠ બાળજન્મ દરનું પ્રમાણ 1.8 સુધી રહે તો ધીમે અને નિયંત્રિત રીતે વસ્તી ઘટાડી શકાય છે. પરંતુ જો મહિલાદીઠ બાળજન્મ દર 1.6 થી નીચે જાય તો ઝડપથી અનિયંત્રિત રીતે વસ્તી ઘટી શકે છે."
શું બાળમૃત્યુ દરના વધારે હોવાને કારણે માતાપિતા વધુ બાળક પેદા કરતાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. દિલીપ માવળંકર જણાવે છે, "મહિલાદીઠ બાળજન્મ દર ઘટવા માટે સામાજિક, આર્થિક, જૈવિક વગેરે કારણો જવાબદાર હોવાનું જોવા મળે છે."
"પહેલાંના સમયમાં ભારતમાં બાળ મૃત્યુદર વધારે હતો જેને કારણે માતાપિતા વધારે બાળકોને પેદા કરતાં હતાં. આ ઉપરાતં પહેલાં જેને વધુ બાળકો તેને સમાજમાં વધુ શક્તિશાળી માનવામાં આવતા હતા. જેથી વર્ચસ્વ માટે પણ બાળકો પેદા કરવામાં આવતાં હતાં. હવે વધુ બાળકો પેદા કરવા માટે આ કારણો નથી."
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "પહેલાં બાળમૃત્યુ દર વધારે હતો એટલે માતાપિતાને ચિંતા રહેતી હતી કે બાળક જીવશે કે નહીં તેથી વધારે બાળકો પેદા કરવામાં આવતાં હતાં. જોકે આરોગ્યની સુવિધાઓ વધવાને કારણે સ્વસ્થ બાળકો જન્મવાં લાગ્યાં છે."
"પહેલાં વધારે બાળકોએ સમાજમાં ગૌરવની વાત ગણવામાં આવતી હતી. પરંતુ અત્યારના સમયમાં વધારે બાળકોએ શરમની વાત માને છે."
બદલાયેલી પરિવાર વ્યવસ્થા પણ એક કારણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. દિલીપ માવળંકર જણાવે છે, "પહેલાં લોકો સંયુક્ત કુટુંમ્બમાં રહેતાં હતાં એટલે બાળકોના ઉછેરમાં દાદા-દાદીનો પણ સહયોગ રહેતો હતો. હવે વિભક્ત કુટુંબોમાં પતિ-પત્ની એકલાં રહેતાં હોય, બન્ને નોકરી કરતાં હોય, તેવા સંજોગોમાં વધુ બાળકો ઇચ્છતાં નથી."
ગૌરાંગ જાની વધુમાં જણાવે છે કે, "આપણા સમાજમાં બાળકોની સંખ્યા ઘટી પરંતુ આજે પણ દીકરાનો મોહ લોકોને ઓછો થયો નથી. જો પહેલું સંતાન દીકરો આવે તો કેટલાક લોકો બીજું બાળક લાવવા ઇચ્છતા નથી.
"પરતું જો પહેલું બાળક દીકરી આવે તો બીજા બાળકને જન્મ આપે છે. જોકે કેટલાંક માતાપિતા એવાં છે કે તેમને એક જ દીકરી હોય તો પણ બીજું સંતાન ન લાવ્યાં હોય. પરંતુ આવાં માતાપિતાની સંખ્યા ઓછી છે. જે લોકોને ત્રણ બાળકો હોય તેમાં મોટાભાગના લોકોને બે દીકરી હોય છે. જેથી ત્રીજું બાળક લાવે છે."
"હાલના સમયમાં મોંઘવારીને કારણે બાળકના ઉછેરમાં થતો ખર્ચ અને શાળાની વધતી ફી ને ધ્યાનમાં રાખીને પણ માતાપિતા બે બાળકોથી વધારે બાળકો ઇચ્છતાં નથી."
મહિલાઓમાં વધી રહેલા શિક્ષણથી મહિલાદીઠ બાળજન્મ દરમાં શું ફેર પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
એસઆરએસ સર્વે 2020ના રિપોર્ટ અનુસાર ભારતની વાત કરીએ તો ભણેલી ન હોય તેવી પણ મહિલાદીઠ બાળજન્મદર 3.1 છે. 10 ધોરણ સુધી ભણેલી મહિલામાં બાળજન્મ દર 1.9 જ્યારે 12 ધોરણ સુધી ભણેલી મહિલાનો 1.7 અને ગ્રૅજ્યુએટ કે તેથી વધારે ભણેલી મહિલાનો 1.6 ફર્ટિલિટી રેશિયો છે.
આંકડાઓ દર્શાવે છે કે ભણેલી મહિલાઓનો મહિલાદીઠ બાળજન્મ દર ઓછું ભણેલી કે ન ભણેલી મહિલાઓની સરખામણીમાં ઓછો છે.
ગુજરાતની વાત કરીએ તો ભણેલી ન હોય તેવી મહિલાનો બાળજન્મ દર 2.9, તેમજ 10 ધોરણ સુધી ભણેલી મહિલાનો મહિલાદીઠ બાળજન્મદર 1.9 તેમજ ધોરણ 12 સુધી ભણેલી મહિલાનો મહિલાદીઠ બાળજન્મ દર 1.7 અને ગ્રેજયુએટ કે તેથી વધારે ભણેલી મહિલાઓનો મહિલાદીઠ બાળજન્મ દર 1.4 છે.
ડૉ. દિલીપ માવળંકર જણાવે છે કે "મહિલાઓમાં શિક્ષણ વધ્યું જેથી મહિલાઓ પણ નોકરી કરવા લાગી કામમાં તેમની પણ ભાગીદારી વધી. પહેલાં મહિલા એક બાળકને ગર્ભધારણ અને જન્મમાં એક વર્ષનો સમયગાળો ગણીએ તો મહિલાને એક બાળક પાછળ બે વર્ષ નીકળી જાય. જો મહિલા પાંચ બાળકોને જન્મ આપે તો તેનાં 10 વર્ષ આ પ્રક્રિયામાં નીકળી જાય. મહિલાઓ કામ પર જાય છે જેથી તેમને બાળ ઉછેરને પણ જોવાનો હોય છે જેથી જો વધુ બાળકો હોય તો તે તેમને સમય ન આપી શકે જેથી તે બે બાળકો જ પસંદ કરે છે."
ગૌરાંગ જાની જણાવે છે કે, "મહિલાઓમાં આવેલા શિક્ષણને કારણે મહિલાઓ પણ સમજતી થઈ છે અને તેઓ ફેમિલી પ્લાનિંગનાં સાધનોનો ઉપયોગ કરે છે. આશા વર્કરો દ્વારા ગામડાઓમાં ફેમિલી પ્લાનિંગ અંગે ફેલાવવામાં આલેવી જાગૃતિને કારણે પણ મહિલાદીઠ બાળજન્મ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે."
ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. નીતા ઠાકરેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે" હવે કપલ કૅરિયર તરફ આગળ વધી રહ્યા હોવાથી મોડાં લગ્ન કરી રહ્યાં છે. 15 થી 25 વર્ષની ઉંમરમાં પ્રજનનક્ષમતા વધારે હોય છે. ત્યાર બાદ ઘટતી જાય છે. હવે સામાન્ય રીતે કપલ 30 વર્ષે લગ્ન કરતાં જોવાં મળે છે. ઘણાં બધાં કપલ એવા આવે છે કે જેઓ બાળક પેદા કરવા માંગતાં નથી."
વધતો જતો સ્ટ્રેસ અને જીવનશૈલી જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. નીતા ઠાકરે જણાવે છે, "સ્પર્ધાત્મક દુનિયામાં વધતો જતો સ્ટ્રેસ, જંક ફૂડ ખાવું, ખાવાની અનિયમિતતા, પોષણયુક્ત ખોરાક ન ખાવો વગેરે બાબતોને કારણે પ્રજનનની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે."
"દસ વર્ષની સરખામણીમાં મહિલાઓમાં પૉલિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પીસીઓડી)ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તણાવ કે પોષણયુક્ત ખોરાક ન ખાવો જેવાં કારણોસર હૉર્મોન્સમાં અસંતુલન થાય છે. જે અંડાશયમાં વધારે પડતા સ્ત્રીબીજનો જથ્થો હોય છે. આના કારણે અંડ મુક્ત ન થાય, પિરિયડ્સના સમયમાં ફેરફાર થાય છે. વજન વધી જાય. પીસીઓડીની સારવાર ન થાય તો ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી શકે છે."
"મહિલાઓને જીવનશૈલીને કારણે થતી બીમારી જેવી કે થાઇરૉઇડ, ડાયબીટીસને કારણે પણ પ્રજનનની ક્ષમતા ઘટે છે."
"હાલ યુવતીઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેને કારણે ચરબી પેટ પર જમા થાય છે. આ ચરબીને કારણે ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. જો બૉડી માસ ઇન્ડેક્સ 25થી વધારે હોય તો વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દરરોજ કસરત કરવી જોઈએ અને આરોગ્યવર્ધક ખોરાક લેવો જોઈએ."
"યુવાન કપલોની બદલાતી પ્રાથમિકતા, વાતાવરણ, ન્યુટ્રિશનનો અભાવ, ઇન્ટરનેટનો ઓવરડોઝ જેવી સમસ્યાઓના કારણે ઇનફર્ટિલિટી જોવા મળે છે."
સાસંદ અનિલ પ્રસાદ હેગડેએ ડિસેમ્બર 2023માં રાજ્યસભામાં મહિલાદીઠ બાળજન્મના દરના અંગે સવાલ કર્યો હતો.
આ સવાલના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી એસ. પી. સિંહ બગેલે નૅશનલ ફેમિલી હેલ્થ સરવે 5ના આંકડા રજૂ કર્યા હતા. તેમજ એસઆરએસ 2022ના રિપોર્ટના આંકડા રજૂ કર્યા હતા.
મહિલાદીઠ બાળજન્મ દર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર મહિલાદીઠ બાળજન્મ દરમાં સમયાંતરે ઘટાડો જોવા મળે છે.
વર્ષ 2005માં 2.7, વર્ષ 2015-16માં 2.2 અને વર્ષ 2019-21માં મહિલાદીઠ બાળજન્મ દર 2 રહ્યો છે.
ગુજરાત 2005-6માં મહિલાદીઠ બાળજન્મ 2.4 હતો. 2015-16માં મહિલાદીઠ બાળજન્મ ઘટીને 2.0 થયો અને વર્ષ 2019-21માં મહિલાદીઠ બાળજન્મ દર 1.9 થયો છે.
બિહારનો મહિલાદીઠ બાળજન્મ દર સૌથી વધારે છે. સૌથી ઓછો સિક્કિમમાં છે અને ત્યાં મહિલાદીઠ બાળજન્મ દર માત્ર 1.1 છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












