જયેશ રાદડિયા : ભાજપની અંદર જ થયેલા વિવાદના કારણે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી ના બનાવાયા?

ઇમેજ સ્રોત, Jayesh Radadiya/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગત લોકસભાની ચૂંટણી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના મેન્ડેટ સામે 'શિંગડા ભેરવનારા' જયેશ રાદડિયાના ખભે હાથ મૂક્યો ત્યારે જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેમને હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ મળશે. પરંતુ આજે એટલે કે શુક્રવારે જ્યારે ગુજરાત સરકારના નવા મંત્રીઓએ શપથ લીધા ત્યારે તેમનો સમાવેશ નહોતો થયો.
જાણકારો માને છે કે ગુજરાત ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોની ચૂંટણી વખતે અપાયેલા મેન્ડેટની અવગણના કરવાની કિંમત જયેશ રાદડિયાએ ચૂકવવી પડી છે.
ઘણા રાજકીય વિશ્લેષકો એમ પણ કહે છે કે ભાજપે જયેશ રાદડિયાને હવે સહકારી ક્ષેત્ર સુધી સીમિત કરી દીધા છે.
જોકે, જયેશ રાદડિયાનું કહેવું છે કે તેમને મંત્રીપદ ન મળ્યું તેનો કોઈ વસવસો નથી.
ત્યારે સમજીએ કે કોણ છે જયેશ રાદડિયા અને એ વિવાદ શું છે જેને કારણે જાણકારો માને છે કે જયેશ રાદડિયાને ગુજરાત સરકારમાં મંત્રી ન બનાવાયા.
ઇફ્કોનો વિવાદ શો હતો?

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
લગભગ એક વર્ષ પહેલાં જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાના ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોના ડિરેક્ટર ચૂંટાવાને મામલે ભાજપનું રાજકારણ ગરમ થઈ ગયું હતું. પક્ષના આંતરિક રાજકારણમાં ગરમી એટલા માટે હતી, કારણ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આ ચૂંટણી માટે મૅન્ડેટ બિપિન પટેલ ઉર્ફ બિપિન ગોતાને આપ્યું હતું અને છતાં મૅન્ડેટના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફૉર્મ ભર્યું અને તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા.
બિપિન ગોતા ભાજપમાં સહકારી સેલના અધ્યક્ષ હોવા ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફૅડરેશન લિમિટેડ એટલે કે ગુજકોમાસોલના ઉપ પ્રમુખ હતા. ભાજપનો મૅન્ડેટ હોવાં છતાં બિપિન ગોતાનું હારી જવું એ જાણકારો દ્વારા પાટીલ માટે મોટો ઝાટકો મનાતું હતું.
જયેશ રાદડિયાની આ જીતમાં બીજી વખત ઇફ્કોના બિનહરીફ ચૅરમૅન બનેલા દિલીપ સંઘાણીનો પણ સિંહફાળો હતો. સી. આર. પાટીલે આ ચૂંટણી બાદ જે પ્રકારે નિવેદન આપ્યું હતું, તેને કારણે દિલીપ સંઘાણીને પણ વળતો પ્રહાર કરવાની તક મળી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીલે કહ્યું હતું, "ભાજપે મૅન્ડેટ એટલા માટે આપવાના શરૂ કર્યા, કારણ કે વિરોધી પાર્ટી સાથે સહકારી લોકોનું ઇલુ-ઇલુ ચાલતું હતું. ભાજપમાં નિયમ એ છે કે બે કે તેથી વધુ પદો કોઈ નેતા પાસે ન હોવાં જોઈએ જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારી ક્ષેત્રમાં પણ પાર્ટીએ મૅન્ડેટ આપવાની શરૂઆત કરી."
જવાબમાં સંઘાણીએ કહ્યું હતું, "સવારે નેતા કૉંગ્રેસમાં હોય, બપોરે કેસરી ખેસ પહેરી લે અને સાંજે ભાજપમાં જોડાઈ જાય, તો શું એ ઇલુ-ઇલુ નથી?"
આમ, આ આખા મામલે વિવાદ વધ્યો હતો.
જયેશ રાદડિયાને મંત્રીપદ નહીં મળતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ફર્ક પડશે?

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ભલે ભાજપે નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયાનો સમાવેશ નથી કર્યો પરંતુ તેની સામે લેઉવા પટેલના મંત્રીનો સમાવેશ કરી દેવાતા જ્ઞાતિનું સમીકરણ બેસાડી દીધું છે."
"પહેલા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો હતો હવે સૌરાષ્ટ્ર અને કચ્છનો દબદબો દેખાય છે. કડવા અને લેઉવાનું પણ સમીકરણ સાધી દેવાતા જયેશ રાદડિયાને મંત્રીપદ નહીં મળતા ભાજપને કોઈ નુકસાન નહીં જાય."
વિદ્યુત જોશીનું એમ પણ કહેવું છે કે ભાજપે દિલીપ સંઘાણીની માફક જયેશ રાદડિયાને પણ હવે સહકારી ક્ષેત્ર સુધી સીમિત કરી દીધા છે.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે કે જયેશ રાદડિયાને પૂર્વ પ્રમુખ સીઆર પાટીલની નારાજગી નડી છે.
તેઓ કહે છે, "લોકસભાની ચૂંટણી વખતે અમિત શાહે જયેશ રાદડિયાના ખભે હાથ મૂક્યો હતો ત્યારે એવું લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી ઠરી ગયું છે. પરંતુ સીઆર પાટીલે પ્રમુખપદ છોડતા કહ્યું હતું કે મારા નિર્ણયથી ઘણા નારાજ થયા હતા. આ બાબત સૂચક હતી. સીઆર પાટીલે અમિત શાહના ખાસ વિશ્વાસુ બિપિન ગોતાની સામેનો મૅન્ડેટ આપ્યો હતો. પરંતુ જયેશ રાદડિયાને મૅન્ડેટ નહીં મળતા તેમને લાગ્યું કે સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓમાં આ ખોટો મૅસેજ જશે. તેથી તેમણે ચૂંટણી લડી અને જીત્યા."
કૌશિક મહેતાએ એમ પણ કહ્યું કે ભાજપે જયેશ રાદડિયાની સામેના જૂથને પણ સાધવાનો પ્રયત્ન કરીને અલગ જ સંકેત આપ્યો છે.
કૌશિક મહેતા આ વિશે ફોડ પાડતા કહે છે, "જયેશ રાદડિયાની સામેના ગ્રૂપના અને અમરેલીના નેતા કૌશિક વેકરિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સહકારી રાજકારણમાં ગંભીર અસર થાય તેવી સંભાવના છે. રાદડિયા જૂથની નારાજગી આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ન દેખાય તો જ ભાજપનો રાદડિયાનો સમાવેશ ન કરીને ખેલેલો જુગાર સાર્થક થશે."
જોકે, જયેશ રાદડિયા આ બધી અટકળો ફગાવે છે.
જયેશ રાદડિયાએ પોતાને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળવા પર કહ્યું, "હું નારાજ નથી. હું 30 વર્ષનો હતો ત્યારથી મંત્રી બન્યો છું. દસ વર્ષ મંત્રીપદ ભોગવ્યું છે. હું પક્ષના કાર્યકર્તા તરીકે કામ કરીશ. દસ વર્ષ કામ કર્યા બાદ અન્યને આ તક મળે તો તેમાં નારાજગી ન હોવી જોઈએ."
કોણ છે જયેશ રાદડિયા?

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
જયેશ રાદડિયાને સમજવા માટે સૌથી પહેલાં તેમના પિતાને સમજવા પડે. જયેશ રાદડિયાની સૌથી મોટી ઓળખ તેમના પિતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે.
જ્યારે વિઠ્ઠલભાઈનું નિધન થયું. તેઓ દબંગ નેતા હતા સાથે તેઓ જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન, પૂર્વ મંત્રી અને પૂર્વ સંસદસભ્ય હતા. સૌરાષ્ટ્રમાં તેઓ 'છોટે સરદાર'ના નામે પ્રખ્યાત હતા.
અનેક વખત પક્ષપલટો કરીને રાજકારણ કરનારા વિઠ્ઠલભાઈ પહેલાં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેઓ શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી પણ ધારાસભ્યપદે ચૂંટાયા, કૉંગ્રેસમાં ગયા બાદ પણ તેઓ ધારાસભ્ય અને સંસદસભ્ય બન્યા.
2013માં તેઓ ફરી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ફરી પોરબંદરના સંસદસભ્ય બન્યા.
જાણકારો કહે છે તે પ્રમાણે તેમની એવી શાખ હતી કે તેઓ કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૂંટાઈ આવે.
જ્યારે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં માત્ર ચાર જ બેઠકો પર જીત મેળવી શકી હતી તે ચાર પૈકી એક જીત વિઠ્ઠલભાઈ રાદડિયાની હતી.
તેઓ કામ માટે કે વિરોધ માટે કોઈ અધિકારી પર હાથ ઉપાડતા પણ અચકાતા નહોતા. સમય આવે ત્યારે સરકારી અધિકારી કે મંત્રીઓનો ઉધડો લઈ લેતા હતા.
આવા દબંગ નેતા વિઠ્ઠલભાઈનું સંતાન એટલે જયેશ રાદડિયા.
20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
નેતાના પુત્રના રાજનીતિમાં આવવાનાં લક્ષણો યુવાવયે જ દેખાતાં હતાં. કૉલેજકાળમાં તેઓ એબીવીપી સાથે જોડાયા.
પાંચમા ધોરણથી તેમની સાથે ભણનારા તેમના મિત્ર પુરુષોત્તમ સાવલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, "જ્યારે તેઓ 2000-01માં એમ.એસ. યુનિવર્સિટીમાં ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા."
તેમનાં લગ્ન મિતલબહેન સાથે થયાં. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દી

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
જ્યારે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે તેમના પિતા વિઠ્ઠલભાઈ કૉંગ્રેસમાં હતા. તેમણે જયેશ રાદડિયાને રાજકોટ પૂર્વમાંથી કૉંગ્રેસની ટિકિટ અપાવડાવી. જોકે જયેશ રાદડિયાની ગોવિંદભાઈ પટેલ સામે હાર થઈ હતી. 24 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર આ જ ચૂંટણી હતી જે તેઓ હાર્યા હતા.
2009માં તેમણે બેઠક બદલી અને ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા. 2012માં તેઓ જેતપુરથી ફરી ધારાસભ્ય બન્યા. તેમણે ભાજપનાં દિગ્ગજ નેતા જશુબહેન કોરાટને હરાવ્યાં હતાં.
ત્યાર બાદ તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવી ગયા અને 2013માં જેતપુરમાં થયેલી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા. એટલું જ નહીં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી પણ બન્યા.
2014માં આનંદીબહેન પટેલની સરકારમાં પણ તેમનું મંત્રીપદ ચાલુ રહ્યું.
2016માં વિજય રૂપાણી સરકારમાં તેમને પ્રમોશન મળ્યું અને તેઓ કૅબિનેટ મંત્રી બન્યા. તેમને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો.
2017માં પાટીદાર આંદોલન વચ્ચે પણ તેઓ ધારાસભ્યપદે ચૂંટાઈ આવ્યા.
તેમણે મંત્રાલયમાં ખાદ્ય આપૂર્તિ, ગ્રાહક સુરક્ષા, કુટિરઉદ્યોગ જેવા વિભાગો પણ સંભાળ્યા.
આ સિવાય સહકાર ક્ષેત્રમાં તેમનો દબદબો છે.
ઇફ્કોમાં હાલ તેઓ બૉર્ડ ઑફ ડિરેક્ટર ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત સ્ટેટ કૉ. ઑ. બૅન્કમાં પણ તેઓ ડિરેક્ટર છે. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં તેઓ ચૅરમૅન છે.
જામકંડોરણામાં તાલુકા સહકારી સંઘમાં તેઓ ડિરેક્ટર છે. સરદાર પટેલ સેવા સહકારી મંડળીમાં પણ તેઓ ડિરેક્ટર છે. ઉપરાંત રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરીમાં પણ તેઓ ડિરેક્ટર છે.
વિજય રૂપાણીની સરકાર ગઈ. મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને આખેઆખું મંત્રીમંડળ પણ નવું આવ્યું. જેમાં જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું.
જયેશ રાદડિયા અને વિવાદ

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
જોકે, જયેશ રાદડિયા સાથે વિવાદો પણ જોડાયેલા જ છે.
ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી તેમણે જે પ્રકારે લડી તેના કારણે તો વિવાદ થયો હતો.
તેમના પર રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પ્યૂનની ભરતીમાં કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો.
ભાજપ સાથે જ જોડાયેલા નીતિન ઢાકેચા જૂથે આરોપ લગાવીને છેક ગાંધીનગરના નેતાઓ અને અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો.
આ પહેલાં રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક દ્વારા આ આરોપોને રદિયો આપી દેવામાં આવ્યો છે. આ મામલો 2023માં વિધાનસભામાં પણ ઊઠ્યો હતો.
આ પ્રકારના આરોપ ધરાવતા સવાલો જ્યારે કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પૂછ્યા ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેનો જવાબ આપ્યો હતો.
કનુભાઈ દેસાઈએ તેમના જવાબમાં કહ્યું, "જિલ્લા સહકારી બૅન્કો ભરતી મુદ્દે જાતે નિર્ણય લઈ શકે છે. જિલ્લા સહકારી બૅન્કો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છે. દર વર્ષે તેમનું સરકાર દ્વારા ઑડિટ અને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમજ રિઝર્વ બૅન્ક સહકારી બૅન્કના ઉચ્ચ હોદ્દેદારોને દૂર કરીને વહીવટદારની નિમણૂક કરી શકે છે."
જયેશ રાદડિયા પાસે પોતાના વિરોધીઓ માટે જવાબ હતો.
તેમણે કહ્યું હતું, "અમે 2017ની સરખામણીએ બૅન્કનો નફો બમણો કરી દીધો છે. તેઓ સહકાર ન આપે તો કંઈ વાંધો નહીં પરંતુ કામમાં બાધા નાખવાનું બંધ કરે તો પણ ઘણું છે."
"28 વર્ષોથી મારા પિતા અને પછી હું બૅન્કનો વહીવટ કરીએ છીએ. આટલાં વર્ષો સુધી અમે ખેડૂતો માટે કામ કર્યું તે જ અમારા માટે આનંદની વાત છે."
જ્યારે તેઓ ઇફ્કોના ડિરેક્ટરપદે ચૂંટાયા ત્યારે તેમના બે વીડિયો વાઇરલ થયા હતા.
2જી ફેબ્રુઆરી, 2024માં તેમણે જામકંડોરણા ખાતે લેઉવા પટેલ સમાજની 351 યુવતીઓનાં સમૂહલગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ આયોજનને સંબોધતા તેમણે કહ્યું હતું, "જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે, ત્યાં સુધી પીછેહઠ નથી કરી. કારણકે આ કાંડુ વિઠ્ઠલભાઈના વારસદારનું કાંડું છે. રાજનીતિ અને સમાજનું નેતૃત્વ ઘણા ઓછા લોકો કરે છે. હું વાતો જ નથી કરતો. રાજનીતિ રમવાના સમયે રાજનીતિ પણ રમું છું. પણ જે ક્ષેત્ર રાજનીતિનું ન હોય ત્યાં રાજનીતિ ન થવી જોઈએ. જો આવું કરશું તો લોકો આપણને નહીં સ્વીકારે."
બીજો એક વીડિયો હતો ફેબ્રુઆરી, 2020નો. જેમાં તેઓ જામકંડોરણાનાં સમૂહલગ્નના જ એક કાર્યક્રમને સંબોધતા કહે છે, "જામકંડોરણામાં મારા પિતાએ 30 વર્ષનું વાવેતર કર્યું છે. તેને લણવાનો અધિકાર મને જ હોય. શું સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં બીજા કોઈને આવવા દઈએ છીએ? આપણને મુશ્કેલી પડી હોય કે પછી પાડી દેવાની કોશિશ થઈ હોય તો તે બીજા કોઈ નહીં આપણા જ સમાજના લોકો નીકળ્યા હોય છે. મારી કે મારા પરિવાર સામે આંગળી ચીંધી શકે તેવી રાજ્યમાં કોઈની તાકાત નથી."
જાણકારો જયેશ રાદડિયાના આ બંને વાઇરલ થયેલા વીડિયોને તેમના તીખા તેવર સાથે સાંકળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












