You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જળપરી ખરેખર હોય? તેનાં મધુર ગીતો સાંભળનાર ગુમ થઈ જાય એ વાત કેટલી સાચી?
- લેેખક, રુલે ફર્નાન્ડીઝ ગરિડો
- પદ, ધ કોન્વર્સેશન
હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની 1937માં પ્રકાશિત કથા પર આધારિત અને ડિઝની ફેક્ટરી દ્વારા નિર્મિત ‘ધ લિટર મરમેઈડ’ ફિલ્મના નવા સંસ્કરણનું વર્લ્ડ પ્રીમિયર તાજેતરમાં યોજાયું હતું.
ડિઝની દ્વારા આ ક્લાસિક કથાને 1989માં એનિમેટિડ ફિલ્મ તરીકે સૌપ્રથમ વાર મોટા પડદે રજૂ કરવામાં આવી હતી. જીવંત કળાકારો સાથેનું નવું સંસ્કરણ લગભગ મૂળ એનિમેટિડ ફિલ્મ જેવું જ છે.
એન્ડરસનની વાર્તા અને તેના બે ફિલ્મ રૂપાંતરમાં નાયિકા માછલીની પૂંછડીવાળી અને મનમોહક અવાજ ધરાવતી સુંદર યુવતી છે, પરંતુ એવી મરમેઇડ્સને કાયમ આવી રીતે જ રજૂ કરવામાં આવી છે?
પ્રથમ મરમેઇડ પાંખવાળી સ્ત્રી હતી
પશ્ચિમી સાહિત્યમાં જળપરીનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ઓડિસીમાં જોવા મળે છે. ટ્રોજનના યુદ્ધ પછી પોતાના વતન ઇથાકા પાછા ફરતી વખતે નાયક ઓડીસિયસે ભૂમધ્ય સમુદ્રમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને તેને કર્ણમંજૂલ અવાજ વડે નાવિકોને આકર્ષતી પાંખવાળી સ્ત્રીઓ (સાયરન) સહિતના ઘણા ખતરનાક પ્રાણીઓ સાથે સંબંધ હતો.
જાદુગર સિર્સે તેમને આ તમામ જોખમો વિશે ચેતવણી આપી હતી અને તેમાં પ્રથમ “માણસોને મોહિત કરતી” સાયરન્સ મુખ્ય હતી. જે માણસ તેમની પાસે જતો અને તેમનો અવાજ સાંભળીને તેમના પ્રત્યે આકર્ષાતો તે તેના વતન ક્યારેય પાછો ફરતો ન હતો.
એ મરમેઇડ્સ વર્તમાન નોપોલિટન કોસ્ટ પર ક્યાંક રહેતી હોવાનું માનવામાં આવે છે. તેમને મધુર ગાયન તેમના માતાઓ પાસેથી વારસામાં મળ્યું હતું. એ ગાયન વડે મરમેઇડ પુરુષોને મોહિત કરતી હતી અને તેની પાસે રાખી લેતી હતી. તેથી કિનારો કમનસીબ ખલાસીઓના હાડકાંથી ભરેલો રહેતો હતો.
સાયરન્સનો મધુર અવાજ કોઈ જોખમ વિના સાંભળી શકાય એટલા માટે ઓડીસિયસ સિર્સેની સલાહને અનુસર્યો હતો. તેને વહાણના કૂવાથંભ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેના માણસોએ પોતપોતાના કાન મીણ વડે ઢાંકી દીધા હતા.
હોમરે તેનું વર્ણન કર્યું નથી, પરંતુ આપણી પાસે સિરામિક્સ છે, જે ઓડિસીમાંના તે દૃશ્યને પ્રસ્તુત કરે છે અને મરમેઇડ્સને અર્ધી સ્ત્રી તથા અર્ધા પક્ષી તરીકે રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોલ્ડન ફ્લીસ કબજે કર્યા પછી પાછા ફરતી વખતે આર્ગોનોટ્સે પણ તેમનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે ઓર્ફિયોએ મરમેઇડ્સના મધુર અવાજ સામે ગાયન કર્યું હતું અને જોખમને ટાળ્યું હતું.
તેના લાંબા સમય પછી ઓર્ફિક આર્ગોનોટિક્સ શીર્ષક ધરાવતી કવિતામાં ઓર્ફિયસના ગાયનને કારણે સાયરન્સનું મોત થવાનો અને તેમનું ખડકોમાં રૂપાંતર થવાની વાત કહેવામાં આવી હતી.
શાસ્ત્રીય પૌરાણિક કથાઓ અને સાહિત્યમાં મરમેઇડ્સ જેવા વર્ણશંકર જીવોનો ઉલ્લેખ છે. એ જીવોનું અરધું શરીર માણસ જેવું હતું, જ્યારે અન્ય હિસ્સા પ્રાણીઓ જેવા હતા. હાર્પિઝ, ગોર્ગોન્સ, સ્ફિન્ક્સ નકારાત્મકતા સાથે, પુરુષોના પતન સાથે સંકળાયેલા હતા. એ બધા સ્ત્રી હતા.
માછલીની પૂંછડી સાથેની મોહિની
માછલી જેવી પૂંછડી ધરાવતી મરમેઇડ્સનું વર્ણન લેટિન ભાષાના પ્રાચીન પુસ્તક ‘ધ બુક ઑફ મોન્સ્ટર્સ ઑફ વેરિયસ કાઈન્ડ્ઝ’માં જોવા મળે છે.
“મરમેઇડ્સ દરિયાઈ કુમારિકાઓ છે, જે તેમના સુંદર દેખાવ અને મધુર ગીતો વડે ખલાસીઓને છેતરે છે. તેમનું મસ્તકથી નાભિ સુધીનું શરીર એક કુમારિકા જેવું હોય છે અને માણસ સમાન હોય છે. તેઓ માછલીઓ જેવી ભીંગડાંવાળી પૂંછડીઓ પણ ધરાવતી હોય છે.”
દરિયાકાંઠાની નજીક હોવા છતાં સમુદ્રને તળિયે રહેવા માટે તેમણે પૃથ્વી પરનું નિવાસસ્થાન ત્યજી દીધું હતું અને તેમણે તેમનું સૌંદર્ય ગુમાવી દીધું હતું.
14મી સદીના લેખક અને માનવ કલ્યાણવાદી બોકાસિયોએ તેમના ‘જેનોલોજી ઑફ પેગન ગોડ્ઝ’માં શાસ્ત્રીય તથા મધ્યયુગીન પરંપરાની નોંધ લીધી હતી અને આ વર્ણસંકર લોકોનું રૂપકાત્મક અર્થઘટન પ્રસ્તુત કર્યું હતું. તેમણે મરમેઇડ્સના સૌંદર્ય તથા પુરુષોને પટાવીને તેમને વેશ્યા બનાવવાની ક્ષમતાનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
હવે તેમને સૌથી ખરાબ સ્ત્રી સાથે સાંકળવામાં આવે છે. તેમને ઘણી વાર ખુલ્લાં સ્તન તથા લાંબા વાળ સાથે રજૂ કરવામાં આવે છે. તેમના શારીરિક આકર્ષણની શૃંગારિકતા નિષ્કપટ પુરુષોને લલચાવે છે, પુરુષોના પૈસા પડાવી લે છે અને તેમનો આત્મા લાલચુ બની જાય છે, જેની સામે સાવધ રહેવાનો ઉપદેશ ખ્રિસ્તી નીતિમત્તામાં આપવામાં આવે છે.
દુષ્ટતા અને પ્રેમ
રોમૅન્ટિસિઝમમાં મરમેઇડ પ્રત્યેના નકારાત્મક અભિગમનો પ્રતિકાર એન્ડરસનની વાર્તામાં રજૂ કરવામાં આવેલી નવી, હકારાત્મક ઇમેજ દ્વારા કરવામાં આવ્યો છે.
તેની નાયિકા 15 વર્ષની થાય છે પછી સમુદ્રતળેથી સપાટી પર આવે છે અને એક સોહામણા રાજકુમારના પ્રેમમાં પડે છે, જેને તેણે જહાજના કાટમાળમાંથી બચાવ્યો હોય છે.
રાજકુમાર પ્રત્યેના પોતાના પ્રેમને ખાતર તે નાયિકા પોતાની પર્યાવરણીય સલામતીનો ત્યાગ કરે છે અને દરિયાઈ ચૂડેલ સાથે જોખમી કરાર કરે છે. તે ડાકણના બે પગના બદલામાં પોતાનું સુંદર અવાજ તેને આપી દે છે. તે ચાલે છે અથવા નૃત્ય કરે છે ત્યારે તેના પગમાં જોરદાર પીડા થાય છે, પરંતુ એ તેને ગણકારતી નથી.
ચૂડેલ સાથેના કરારને કારણે તેણે પોતાની જાત બચાવવા રાજકુમાર સાથે લગ્ન કરવાં પડે છે.
લિટલ મરમેઇડ જાણે છે કે લગ્ન નહીં કરે તો તેનું મોત થશે અને દરિયાના ફીણમાં ઓગળી જશે. જોકે, રાજકુમાર તેની માફક તેની બહેનને પણ પ્રેમ કરે છે. તે રાજકુમારી સાથે લગ્ન કરે છે, જે માને છે કે તેણે તેને ડૂબતો બચાવ્યો હતો.
મરમેઇડનું મોત ન થાય એટલા માટે ચૂડેલ તેને એક માર્ગ સૂચવે છે. તે રાજકુમારની હત્યા કરીને તેને ફરી મરમેઇડ બની જવા જણાવે છે.
લિટલ મરમેઇડ એવું કરી શકતી નથી અને પોતાની જાતને દરિયામાં ફેંકી દે છે, પરંતુ તેનો પ્રેમ સાચો હોવાને કારણે તે ફીણમાં પરિવર્તિત થવાને બદલે હવાની એક પુત્રી બની જાય છે, જેઓ સત્કાર્યો કરીને અમરત્વ પ્રાપ્ત કરી શકે છે.
એકવીસમી સદી અને મરમેઇડ્સ
મરમેઇડ્સની આટલી સુંદર ઇમેજ બનાવવામાં આવી હોવા છતાં આપણી દુનિયામાં તેના વિશેની નકારાત્મક છાપ હજુ પણ છે.
આમ “મરમેઇડ્સ સોંગ” અભિવ્યક્તિનો ઉપયોગ કપટની છાયા ધરાવતા સુખદ અને પ્રેરક ભાષણો માટે કરવામાં આવે છે.
સદભાગ્યે આ ખ્યાલ બીજા તથા વધુ સકારાત્મક ખ્યાલ સાથે અસ્તિત્વ ધરાવે છે, જેમાં મરમેઇડ્સને માછલીની પૂંછડીવાળી, સુંદર, નિર્દોષ અને લાભદાયી કન્યાઓ તરીકે દર્શાવવામાં આવે છે. એન્ડરસનની વાર્તા અને ડિઝનીના અર્થઘટનની જેમ.
આ પ્રાણી શહેરોનાં પ્રતીક બન્યાં છે. જેમ કે કોપનહેગનમાં લિટલ મરમેઇડ અથવા તો સ્ટારબક્સના લોગોમાંની બે પૂંછડીવાળી મરમેઇડ.
(રુલે ફર્નાન્ડીઝ ગરીડો સ્પેનની હ્યુલ્વા યુનિવર્સિટીમાં ગ્રીક ફિલોસોફીના પ્રોફેસર છે)