ભારતમાં 16 વર્ષ પછી વસ્તીગણતરી થશે, આખી પ્રક્રિયા કેવી હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં 16 વર્ષ પછી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે 1 માર્ચ, 2027 વસ્તીગણતરી માટે સંદર્ભ તારીખ હશે.
દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી હાથ ધરાશે અને સ્વતંત્ર ભારતમાં પહેલી વાર જાતિઓની વસ્તીગણતરીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વસ્તીગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં વસ્તીગણતરી માટે સંદર્ભ તારીખ 1 ઑક્ટોબર, 2026 હશે. બીજો તબક્કો 1 માર્ચ, 2027થી હશે, જેમાં મેદાની વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે.
સંદર્ભ તારીખ એ સમય છે જેના માટે વસ્તી માહિતી એકત્રિત કરવામાં આવે છે. જોકે, સરકારે હજુ સુધી વસ્તીગણતરી ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તેની તારીખ જાહેર કરી નથી.


ઇમેજ સ્રોત, Getty Images
દેશ અને અહીં રહેતા લોકોના વિકાસ માટે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં રહેતા લોકો કોણ છે. તેમનો દરજ્જો શું છે, તેઓ કેટલા શિક્ષિત છે, કોણ શું કરે છે, કેટલા લોકો પાસે રહેવા માટે ઘર છે, કેટલા પાસે નથી. તેમનો સામાજિક દરજ્જો શું છે?
વસ્તીગણતરી એ આ બધા ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા છે.
કોઈ ચોક્કસ દેશ અથવા પ્રદેશની વસ્તી વિશે વસ્તી વિષયક, આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા અને જાહેર કરવાની પ્રક્રિયાને વસ્તીગણતરી કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંતર્ગત, વસ્તીની ઉંમર, લિંગ, ભાષા, ધર્મ, શિક્ષણ, વ્યવસાય અને રહેઠાણ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવે છે. આનો ઉપયોગ નીતિ નિર્માણ અને કલ્યાણકારી યોજનાઓ વગેરે માટે થાય છે.
ભારતમાં 1872થી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતની વસ્તીગણતરી 1948ના વસ્તીગણતરી અધિનિયમની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી વસ્તીગણતરીનું સંચાલન કરે છે.
ભારતમાં દર 10 વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં બે તબક્કામાં કરવામાં આવી હતી.
આગામી વસ્તીગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે લગભગ છ વર્ષના વિલંબ સાથે હાથ ધરવામાં આવશે.
આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં વસ્તીગણતરી માટે 574.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા . જ્યારે 2021-22ના બજેટમાં આ માટે 3768 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે બજેટકાપ અંગે માહિતી આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે કે , "વસ્તીગણતરી 2021માં થવાની હતી અને વસ્તીગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી.
જોકે, દેશભરમાં કોરોનાની મહામારીને કારણે વસ્તીગણતરીનું કાર્ય મુલતવી રાખવું પડ્યું. કોવિડ-19ની અસર લાંબા સમય સુધી ચાલુ રહી હતી."
"કોવિડ-19 પછી તરત જ વસ્તીગણતરી હાથ ધરનારા દેશોને વસ્તી ગણતરીના ડેટાની ગુણવત્તા અને કવરેજ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સરકારે વસ્તીગણતરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે વસ્તીગણતરીની સંદર્ભ તારીખ એટલે કે 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે."
ઍક્સ પર અપાયેલી માહિતીમાં કહેવાયું કે "વસ્તીગણતરી માટે બજેટ ક્યારેય અવરોધ રહ્યું નથી, કારણ કે સરકાર દ્વારા હંમેશાં ભંડોળની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે."


ઇમેજ સ્રોત, Getty Images
વસ્તીગણતરી પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ કરવા પ્રથમ વખત 2027ની વસ્તીગણતરી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવશે.
જોકે, 1931થી અત્યાર સુધીની વસ્તીગણતરીમાં પુછાયેલા પ્રશ્નો લગભગ સમાન છે, પરંતુ એક પ્રશ્ન જે 1951થી પૂછવામાં આવ્યો ન હતો તે સંબંધિત વ્યક્તિની જાતિ સાથે સંબંધિત હતો.
જોકે તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત માહિતી હતી, પરંતુ અન્ય જાતિઓ વિશે માહિતી આપવામાં આવી ન હતી.
પરંતુ આ વસ્તીગણતરીમાં દરેક વ્યક્તિને તેની જાતિ જાહેર કરવાનો વિકલ્પ આપવામાં આવશે, જેને એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.
આઝાદી પછી અથવા 1931 પછી આ પહેલી વાર છે જ્યારે જાતિ વસ્તીગણતરીનો ભાગ હશે.
વિપક્ષી પક્ષો દ્વારા લાંબા સમયથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માગ કરવામાં આવી રહી હતી. આ વર્ષે એપ્રિલમાં સરકારે જાહેરાત કરી હતી કે આગામી વસ્તીગણતરીમાં જાતિગત વસ્તીગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ વસ્તીગણતરી લોકસભા અને રાજ્ય વિધાનસભા બેઠકોના આગામી સીમાંકન અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે પ્રસ્તાવિત 33 ટકા અનામતને અસર કરશે.
મહિલા અનામત કાયદા મુજબ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોનું અનામત તેના અમલ પછીના પ્રથમ વસ્તીગણતરીના ડેટાના આધારે સીમાંકન પ્રક્રિયા શરૂ થયા પછી અમલમાં આવશે.
વસ્તીગણતરી પછી, એક સીમાંકન પંચની સ્થાપના કરવી પડશે અને ઘણાં દક્ષિણ રાજ્યો ફક્ત વસ્તીના આધારે સીમાંકનનો વિરોધ કરે છે, તેથી સઘન વિચાર-વિમર્શની જરૂર પડશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ સંદર્ભમાં કહ્યું છે કે, "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે સીમાંકન પ્રક્રિયામાં દક્ષિણ રાજ્યોની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે અને યોગ્ય સમયે બધા સાથે ચર્ચા કરવામાં આવશે."
બંધારણ મુજબ, વસ્તીગણતરી પછી દર વખતે સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. આ પ્રક્રિયા 1951, 1961 અને 1971ની વસ્તીગણતરીના આધારે હાથ ધરવામાં આવી હતી.
ઇન્ડિયન ઍક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવ કહે છે કે જ્યારે 1971ની વસ્તીગણતરીના આધારે 1976માં સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો.
તેમણે કહ્યું, "દક્ષિણ ભારતમાં વસ્તી ધીમી ગતિએ વધી રહી હતી જ્યારે ઉત્તર ભારતમાં તે ઝડપથી વધી રહી હતી. દક્ષિણનાં રાજ્યો ચિંતિત હતાં કે આપણે વસ્તીને નિયંત્રિત કરી રહ્યા છીએ અને તેના કારણે આપણને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા નક્કી કરવામાં વસ્તી એક મોટો માપદંડ છે."
શ્યામલાલ યાદવ કહે છે કે, ''આ વિવાદને કારણે, 1976 પછી સીમાંકન બંધ કરવામાં આવ્યું હતું. આ કારણે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે સીમાંકન 2001ની વસ્તીગણતરીના આધારે કરવામાં આવશે.''
તેમણે કહ્યું, "આ વખતે વસ્તીગણતરીનો ડેટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે. આ નવા સીમાંકનનો આધાર બનશે, પરંતુ 2027માં પહેલા વસ્તીગણતરી કરવામાં આવશે અને પછી અંતિમ ડેટા આવવામાં સમય લાગશે. તેથી, 2029ની લોકસભા ચૂંટણી સુધી આ વસ્તીગણતરીને કારણે કંઈ બદલાતું નથી, પરંતુ તે પછીની ચૂંટણીઓમાં આ વસ્તીગણતરી સીમાંકનનો આધાર બનશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












