ભારતમાં રહેતા આ યહૂદીઓ 300 વર્ષથી ઇઝરાયલ જવાની કેમ રાહ જોઈ રહ્યા છે?

ઇઝરાયલ
    • લેેખક, શંકર વદિશેટ્ટી
    • પદ, બીબીસી માટે

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ આંધ્ર પ્રદેશમાં પણ જોવા મળી રહ્યું છે.

ગુંટૂર જિલ્લાના કોઠારેટ્ટીપલમમાં અંદાજે 40 પરિવાર યહૂદી હોવાનો દાવો કરે છે. તેઓ પોતાને એપ્રેમના વંશજ કહે છે. કહેવાય છે કે તેઓ ઇઝરાયલથી આવીને અહીં વસી ગયા હતા.

તેઓ બેને જૈકબ સિનેગૉગમાં યહૂદી રીતરિવાજોનું પાલન કરે છે. તેઓ યહૂદી તહેવાર પણ ઊજવે છે અને માત્ર હિબ્રૂ બોલે છે.

બીબીસી સાથે વાત કરતા યહૂદી પ્રતિનિધિ જૈકોબી ઝાદોકે કહ્યું કે તેમના પૂર્વજોએ તેમને કહ્યું હતું કે તેમનો પરિવાર સેંકડો વર્ષોથી અહીં રહેતો હતો.

તેઓ કહે છે, "અમારા પૂર્વજો લગભગ 300 વર્ષ પહેલાં ઇઝરાયલથી અલગઅલગ સ્થળો પર જતા રહ્યા. ત્યાર બાદ તેઓ તેલંગણા અને બાદમાં અમરાવતી આવ્યા."

"અમરાવતી સંગ્રહાલયમાં હજી પણ અમારા પૂર્વજો દ્વારા ઉપયોગમાં લેવાયેલી ઘણી વસ્તુઓ સચવાયેલી છે. પણ અમને ઇઝરાયલી તરીકે માન્યતા નથી અપાતી. તેલુગુ ભાષી રાજ્યમાં રહેતા મધિકા લોકોની જીવન જીવવાની પદ્ધતિ અમારા જેવી જ છે. તેથી તેમણે અમને આ સર્ટી આપ્યું છે."

જૈકોબી જાકોદ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ સરળ તેલુગુમાં વાત કરે છે. તેમણે બીબીસીને કહ્યું કે તેઓ હિબ્રૂ વાંચી અને બોલી પણ શકે છે.

તેમણે એ પણ કહ્યું કે કોઠારેટ્ટીપલમમાં રહેતા 40 પરિવારના બધા જ 250 લોકો હિબ્રૂ બોલે છે. જૈકોબી જાદોક દેવા પ્રસાદના નામે પણ ઓળખાય છે. આ નામનો તેઓ પોતાના સત્તાવાર નામ તરીકે ઉપયોગ કરે છે.

'હું ઇઝરાયલ જવા ઇચ્છું છું'

ઇઝરાયલ

કોઠારેટ્ટીપલમના મોટા ભાગના નિવાસી યહૂદી પરંપરાઓનું પાલન કરનારા પરિવારો છે. તેઓ ખેતમજૂર, બાંધકામ સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે.

આ પરિવારના બે-ત્રણ સભ્યો અભ્યાસ અને નોકરી કરે છે. યહૂદી જાતિનાં નામ સિવાય તેમના અન્ય બીજાં નામ પણ છે.

જૈકોબી ઝાદોક કહે છે કે ''અમે બધાને વહેલી તકે ઇઝરાયલ બોલાવી લેશે.''

"અમે ઇઝરાયલના અપ્રવાસી જૂથના બહુ ખાસ છીએ. દેશના અલગઅલગ ભાગોથી યહૂદીઓને ઇઝરાયલ પાછા બોલાવાઈ રહ્યા છે. અમે ઇઝરાયલની અન્ય જનજાતિઓમાંથી એક 'બેને એપ્રૈમ'ને જલદી જ ત્યાં બોલાવી લેવાશે."

"તોરાહમાં લખ્યું છે કે બધા જ ઇઝરાયેલી સભ્યોને ઇઝરાયલ પાછા જવું જોઈએ. તેમના અનુસાર વિશ્વભરમાં વસેલા યહૂદી પોતાના વતન પાછા જવાની તૈયારી કરી રહ્યા છે. મણિપુરથી ત્રણ હજાર યહૂદી ઇઝરાયલ જતા રહ્યા છે."

યાકોબી બેને યાકોબ સિનેગૉગના પ્રમુખ પણ છે, જેની સ્થાપના 30 વર્ષ પહેલાં કોઠારેટ્ટીપલમમાં થઈ હતી. તેમની સાથે યહૂદી સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા સાત લોકોનું એક જૂથ પણ છે.

આ યહૂદીઓ 200 વર્ષ પહેલાં ગુંટૂર આવવાનો દાવો કરે છે

ઇઝરાયલ
ઇમેજ કૅપ્શન, આ યહૂદી 200 વર્ષ પહેલાં ગુંટૂર આવ્યા હોવાનો દાવો કરે છે

યહૂદીઓ ભારતના વિવિધ ભાગોમાં રહે છે. સત્તાવાર માહિતી અનુસાર મુંબઈ, કોચ્ચિ, મણિપુર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પણ યહૂદીઓ છે. પણ આંધ્ર પ્રદેશમાં યહૂદીઓ હોવાનો ખુલાસો 2004માં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની ધરપકડ બાદ થયો.

આ યહૂદીઓનું કહેવું છે કે અન્ય લોકો તેમને 'મગદાન' કહે છે, જેનો અર્થ થાય છે શિક્ષક.

આ લોકોનું કહેવું છે કે પોલીસે તેમાંથી કેટલાક લોકોની રાજમુંદરીમાં એક ગૅંગના સભ્યોને મારવાના ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આઠ લોકોની પૂછપરછમાં આ ખુલાસો થયો છે.

ત્યારથી ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ વિવિધ કારણોથી અહીં આવે છે અને માહિતી મેળવે છે.

યહૂદી શનિવારને વિશ્રામ દિવસ તરીકે ઊજવે છે, જેને 'શબાત' કહેવાય છે. તેમાંથી સૌથી વૃદ્ધ કાકનું કહેવું છે કે તેઓ હિબ્રૂ પરંપરાનું પાલન કરીને લગ્ન કરે છે.

તેમણે કહ્યું કે તેમના કેલેન્ડર અનુસાર હાલમાં 5,781નું વર્ષ છે. નવું વર્ષ તિશિરી (સપ્ટેમ્બર)માં શરૂ થાય છે.

યહૂદી તરીકે ઓળખાય તેવો આગ્રહ

ઇઝરાયલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમનું કહેવું છે કે તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે તેમને યહૂદી તરીકે માન્યતા મળે. તેમને અનુસૂચિત જાતિના સભ્ય તો માનવામાં આવે છે, પણ તે કંઈ કામનું નથી હોતું.

"જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા તો અમને આશા હતી કે અમારી સમસ્યાનો ઉકેલ આવશે. મણિપુર અને મૈસૂરથી લોકો ત્યાં ગયા. પણ અમે હજી સુધી ત્યાં નથી પહોંચ્યા."

મન્ય મેહસુઆ નામના એક યુવક કહે છે કે "અમે પાછા આવવાના કાયદા હેઠળ ઇઝરાયલમાં વસી જઈશું. પણ તે પહેલાં અમારે યહૂદી તરીકે અમારી ઓળખ હાંસલ કરવી પડશે. અમને લઘુમતીનો દરજ્જો મળવો જોઈએ. અમને આશા છે કે એવું થશે."

મહસુઆ પ્રવીણકુમારના નામથી પણ ઓળખાય છે.

થોડાં વર્ષો પહેલાં ઇઝરાયલના રબ્બી નામના એક યહૂદી પૂજારી કોઠારેટ્ટીપલમ આવ્યા હતા. તેમણે સ્થાનિક નિવાસીઓનું વિવરણ એકત્ર કર્યું.

તેમને કહેવાયું કે જો તેમને યહૂદી તરીકે માન્યતા અપાય તો તેમને ઇઝરાયલનો સહકાર પ્રાપ્ત થશે.

એક સપ્તાહ પહેલાં ઇઝરાયલથી એક યહૂદી પ્રતિનિધિમંડળ એક કાર્યક્રમમાં સામેલ થયું હતું. જોકે, યાકોબે કહ્યું કે ઇઝરાયલમાં ચાલી રહેતા તણાવના કારણે મહોત્સવના બધા જ કાર્યક્રમ રદ્દ કરી દેવાયા છે.

ઇઝરાયલનું પ્રતિનિધિમંડળ પણ મુંબઈ આવી ગયું છે. જો સ્થિતિ અનુકૂળ રહી તો પ્રતિનિધિમંડળ ઇઝરાયલ જવાનો પ્રયાસ કરશે.

તેમનું કહેવું છે કે તાજેતરની ઘટનાઓથી અમારો સમાજ વ્યથિત છે. અમે ઇઝરાયલી પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ.

ઇઝરાયલમાં સર્જાયેલી હાલની સ્થિતિનું તાત્કાલિક સમાધાન થાય તેવી તેઓ પ્રાર્થના કરે છે.

આનુવંશિક પરીક્ષણ

ઇઝરાયલ યહૂદી
ઇમેજ કૅપ્શન, યહૂદી વસ્તી

રબાદમાં સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલિક્યૂલર બાયૉલૉજી (સીસીએમબી)એ કોઠારેટ્ટીપલમમાં યહૂદી હોવાનો દાવો કરનારા પરિવારના લોહીનું પરીક્ષણ કર્યું છે.

જિલ્લા મહેસૂલ અધિકારી બી રામચંદ્ર રાવે કહ્યું કે 2014નાં તેમના ડીએનએનું પરીક્ષણ કરાયું હતું.

તેમણે ઉમેર્યું, "તેમના ચહેરાથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ ભારતીયોથી અલગ છે. પણ તેનાથી એ સ્પષ્ટ નથી થતું કે તેમનો સંબંધ ઇઝરાયલ સાથે છે."

સારા નામની મહિલાએ કહ્યું કે તેમના ખાનપાનથી લઈને વૈવાહિક જીવન સુધી બધું જ યહૂદી રીતરિવાજો અનુસાર થતું હતું. તે માટે તેમને યહૂદી તરીકે માન્યતા અપાવી જોઈએ.

મહિલાનું કહેવું છે કે "અમે હલાલ માંસ ખાઈએ છીએ. ભલે અમે કોઈ બહારના કાર્યક્રમમાં સામેલ થતા હોઈએ. અમે પ્રાર્થના બાદ જ માંસ ખાઈએ છીએ. કાં તો અમે તેને નથી ખાતા. સપ્તાહના સાતમા દિવસને 'હાલી' તરીકે ઊજવીએ છીએ."

આ દિવસે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. 13 વર્ષની ઉંમરથી પહેલાં અમે છોકરાઓનો ખતનો પણ કરાવી દઈએ છીએ.

સારાએ બીબીસીને કહ્યું કે તેમને આશા છે કે ભારત સરકાર તેમને યહૂદી તરીકે માન્યતા આપશે.