You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : ઇસ્કોન બ્રિજ પર જેગુઆરની ટક્કરથી 9નાં મોત, કેવી રીતે થયો અકસ્માત?
ન્યૂઝ એજન્સી એએનઆઇના પ્રમાણે ગુજરાતના અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર ગુરુવારે રાત્રે એક વાગ્યે ‘જેગુઆર’ કારે સર્જેલા અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત પોલીસે આને “હિટ ઍન્ડ રન”નો મામલો ગણાવ્યો હતો.
કંટ્રોલ રૂમનાં સૂત્રો દ્વારા અખબારને મળેલ માહિતી અનુસાર, “ઈજાગ્રસ્તોમાં કારના ડ્રાઇવર પણ સામેલ છે.”
સ્થાનિક મીડિયામાં ઘટના અંગે અપાઈ રહેલી માહિતી અનુસાર મૃતકોમાં ‘બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ’ છે.
સોલા સિવિલ હૉસ્પિટલનાં મેડિકલ ઑફિસર કૃપા પટેલે આપેલી માહિતી અનુસાર, “રાત્રે દોઢ વાગ્યે ઈજાગ્રસ્તો અને મૃતકોના મૃતદેહો લાવવાનું શરૂ” થઈ ગયું હતું.
માહિતી મુજબ અકસ્માતમાં “નવમાંથી ચાર-પાંચ મૃતકો 18-23 વર્ષની વયના હતા, જ્યારે બાકીના મૃતકોની ઉંમર 35-40 વર્ષની હતી.”
ડૉક્ટરે આપેલી માહિતી અનુસાર અકસ્માતના મૃતકોમાં ‘બે પોલીસજવાનો’ પણ સામેલ હતા.
અકસ્માતના સ્થળની તાજેતરની તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે અધિકારીઓએ અકસ્માતના સ્થળને માર્ક કરી ઇસ્કોન ફ્લાયઓવરની એક સાઇડ ‘બંધ રાખી’ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘પૂરપાટ ઝડપે’ લીધા જીવ?
ઘટના અંગે સ્થાનિક મીડિયામાં આવી રહેલી માહિતી અનુસાર ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતી વખતે એક ડમ્પરની પાછળ એક કાર ઘૂસી જતાં, મોડી રાત્રે લોકોનું ટોળું અકસ્માતના સ્થળે પહોંચી ગયું હતું.
માહિતી પ્રમાણે, ‘અકસ્માત જોવા પહોંચેલી ભીડ’ પર ‘160 કિમી પ્રતિ કલાક’ની ઝડપે આવી રહેલી જેગુઆર કાર ‘ફરી વળી’ હતી.
‘ગોઝારા અકસ્માત’માં સોલા સિવિલ હૉસ્પિટલનાં મેડિકલ ઑફિસર કૃપા પટેલે નવ લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટી કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને લાવવાનું શરૂ થયું હતું. પહેલાં તો ચાર ઈજાગ્રસ્તો અને ત્રણ મૃતદેહો લવાયા. જે પૈકી ગંભીર હાલતમાં રહેલા એક દર્દીનું અડધા કલાકમાં મૃત્યુ થયું હતું.”
“બીજા એક દર્દીને અહીંથી અસારવા સિવિલ ટ્રાન્સફર કરાયા હતા. હાલ આ હૉસ્પિટલમાં કોઈની સારવાર ચાલી નથી રહી.”
તેમણે મૃતકોની સંખ્યા અને તે બાદની કાર્યવાહી વિશે વાત કરતાં કહ્યું કે, “અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના મૃતદેહ પહોંચ્યા છે. જે પૈકી એકનું પોસ્ટમૉર્ટમ કરાયું છે, તેમજ અન્યોના પોસ્ટમૉર્ટમની પ્રકિયા ચાલી રહી છે.”
તેમણે ઘટનાની ભયાનકતા અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, “મારી કારકિર્દીમાં પહેલી વાર કોઈ ઘટના બાદ આટલા બધા લોકોની ડેડ બૉડી જોઈ છે. એક સાથે નવ ડેડ બૉડી હતી. બધાને ગંભીર ઈજા થઈ હતી.”
મૃતકો અંગે માહિતી આપતાં ડૉ. પટેલે કહ્યું હતું કે મૃતકોની ઉંમર ‘18થી 40 વર્ષની વચ્ચે’ની હતી.
આરોપી તથ્ય પટેલની ધરપકડ કેમ નથી કરાઈ?
સમાચાર એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસનાં ડીસીપી નીતા દેસાઈએ આ ઘટના બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી છે.
નીતા દેસાઈએ કહ્યું, “આ ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. પંચનામું પણ થઈ ગયું છે અને ફોરેન્સિક લૅબોરેટરીના અધિકારીઓ પણ અહીં આવીને તપાસ કરી ગયા છે. તેઓ આરટીઓના અધિકારીઓ સાથે પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે જેગુઆર ગાડીનો ચાલક તથ્ય પટેલ (જેણે આ અકસ્માત કર્યો છે) હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોપી તથ્ય પટેલની ધરપકડ કેમ નથી કરી તેવા સવાલના જવાબમાં નીતા દેસાઈએ કહ્યું, “ડૉક્ટરે સલાહ આપી છે કે તથ્યના બે-ત્રણ ટેસ્ટ કરાવવાના થાય છે, તે ટેસ્ટનાં પરિણામ આવ્યાં બાદ જો તેઓ કુશળ હશે તો પોલીસ તેમની ધરપકડ કરી શકશે.”
પોલીસના જણાવ્યા પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે આરોપીની ધરપકડની કાર્યવાહી થશે. તેને પોલીસની નજર હેઠળ જ રાખવામાં આવ્યો છે.
નીતા દેસાઈએ કહ્યું કે પોલીસનો ઉદ્દેશ એક જ છે કે જેઓ અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય મળે.
જોકે, પોલીસે આ કેસ ડ્રંક ઍન્ડ ડ્રાઈવ હોવાનો ઇન્કાર કરી દીધો છે. પોલીસ કહે છે કે તથ્ય ખૂબ સ્પીડમાં આ ગાડી ચલાવતો હતો તેને કારણે આ અકસ્માત સર્જાયો છે.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તથ્ય પટેલની સાથે ગાડીમાં બીજું કોણ-કોણ હતું. જો માલૂમ પડશે કે આ ગાડીમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હતી તો પોલીસ તેમને પણ બોલાવીને તેમની પૂછપરછ કરી શકે છે.