ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં નવો ખુલાસો, આરોપીએ પત્નીની હત્યા કરીને પ્રેમિકા સાથે વિદેશ ભાગવા માટે પાસપૉર્ટ તૈયાર રાખ્યા હતા

ઇમેજ સ્રોત, ALPESH DABHI
ભાવનગરના વનકર્મી શૈલેષ ખાંભલા દ્વારા પત્ની અને બે સંતાનો દ્વારા કરાયેલી હત્યા મામલે નવો ખુલાસો થયો છે.
ભાવનગર પોલીસનું કહેવું છે કે આરોપી શૈલેષ ખાંભલા તેની પ્રેમિકા સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો.
પોલીસનું એમ પણ કહેવું છે કે શૈલેષે પત્નીની અને બે સંતાનોની હત્યા કરી તે રાત્રે પ્રેમિકા સાથે ફોન પર વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે શૈલેષ અને તેની પ્રેમિકા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હતાં.
શૈલેશ ખાંભલાને તેની પત્ની અને બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓની હત્યાના મામલામાં પોલીસે સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી બાદ શૈલેષને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
ભાવનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભી સાથેની વાતચીતમાં ભાવનગર ડીવાયએસપી આર. આર. સિંઘાલે જણાવ્યું હતું કે, "તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષને પોતાના વિભાગમાં કામ કરતાં મહિલા સહકર્મી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા પત્ની અને બાળકોની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યા માટે શૈલેષ છેલ્લા થોડા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. પરિવારની હત્યા કર્યા બાદ શૈલેષ અને મહિલા સહકર્મચારીએ વિદેશ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે બંને જણાએ પાસપૉર્ટ પણ બનાવડાવ્યા હતા."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ કેસમાં વિસ્તૃત પુરાવા મેળવવા માટે અમે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપી શૈલેષને કોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ નાર્કો ટેસ્ટ અને બ્રેન મૅપિંગ માટે ના પાડતા કોર્ટ તેને જેલ હવાલો કર્યો છે. આ બંને ટેસ્ટ માટે આરોપીની પરવાનગી જરૂરી છે પરંતુ શૈલેષે પરવાનગી આપી ન હતી."
ભાવનગર ટ્રિપલ મર્ડર કેસનો શું છે મામલો?

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
મામલાની વિગતો એવી છે કે ભાવનગરમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (એસીએફ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનાં પત્ની અને બે બાળકો પાંચમી નવેમ્બરથી ગુમ હતાં અને 17 નવેમ્બરે તેમના મૃતદેહો એક ખાડામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં શૈલેષે જ પોતાના પરિવારજનોની હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ આ વિશે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, "શૈલેષની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે. પાંચમી નવેમ્બરની સવારે તેણે ઓશિકાં દ્વારા પહેલાં પત્નીનું અને પછી દીકરા-દીકરીની ગળું દબાવીને હત્યા કરી હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ હત્યા પૂર્વનિયોજિત લાગે છે કારણ કે પહેલી કે બીજી નવેમ્બરે જ શૈલેષે પોતાના ક્વાર્ટર નજીક ખાડો ખોદાવી રાખ્યો હતો અને એક જ ખાડામાં ત્રણેય લોકોને દાટી દીધા હતા. ખાડામાં પાણી હતું તેથી પરિવારના ત્રણ સભ્યોની હત્યા કર્યા પછી મૃતદેહ સપાટી પર ન આવી જાય તે માટે તેની સાથે પથ્થરો સાથે બાંધ્યા હતા. તેના પર ગાદલાં નાખી દીધાં અને છઠ્ઠી તારીખે પોતાની નીચેના માણસો દ્વારા તેના પર માટી નાખીને ખાડો પૂરી નાખ્યો હતો."
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું કે, "આ ઘટના પાછળ પતિ-પત્નીનો ઘરકંકાસ જવાબદાર હોય તેવું લાગે છે. 27 ઑક્ટોબરે તેમનો પરિવાર રજાઓ ગાળવા ભાવનગર આવ્યો હતો. પત્નીની ઇચ્છા હતી કે બાળકો સહિત આખો પરિવાર ભાવનગરમાં રહે, જ્યારે શૈલેષ ખાંભલાનું કહેવું હતું કે તેમણે સુરતમાં સાસરિયાં સાથે રહેવું જોઈએ."

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
અગાઉ પોલીસે મીડિયાને જણાવ્યું તે પ્રમાણે શૈલેષ ખાંભલાએ સાતમી નવેમ્બરે ભાવનગર પોલીસમાં જાણવાજોગ કરી હતી કે તેમનાં પત્ની નયના (ઉંમર વર્ષ 42), 13 વર્ષીય દીકરી અને નવ વર્ષનો દીકરો ગુમ છે.
પોલીસના કહેવા પ્રમાણે શૈલેષ ખાંભલાના પરિવારજનો સુરત રહેતાં હતાં. શાળામાં રજાઓ હોવાથી તેઓ ભાવનગર આવ્યાં હતાં અને ફૉરેસ્ટ વિભાગના સરકારી ક્વાર્ટરમાં રહેતાં હતાં.
નિતેશ પાંડેએ કહ્યું હતું કે, "ગુમ લોકોની શોધખોળ દરમિયાન અને આસપાસમાં રહેતા લોકોની પૂછપરછના આધારે તેમને જાણવા મળ્યું કે પરિવાર જ્યાં રહેતો હતો તે સરકારી ક્વાર્ટર નજીક થોડા દિવસો અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાં શંકાસ્પદ કામગીરી થઈ હતી. બીજા દિવસે માટીથી ખાડો પૂરી દેવાયો હતો."
આરોપીએ ભાવનગર પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો

ઇમેજ સ્રોત, Social Media
પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું કે, "પોલીસને અને પરિવારને ગેરમાર્ગે દોરવા માટે શૈલેષે પત્નીના મોબાઇલમાંથી એક મૅસેજ પણ કર્યો હતો જેથી એવું લાગે કે તેઓ કોઈ બીજા સાથે રહેવા જઈ રહ્યાં છે. પરંતુ આ મૅસેજ કોઈને સેન્ડ નહોતો કર્યો. ઍર પ્લેન મોડમાં જ મૅસેજ લખવામાં આવ્યો હતો."
ત્રણ-ત્રણ વ્યક્તિની હત્યા કર્યા પછી શૈલેષની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી.
એસપી પાંડેએ જણાવ્યું કે, "કોઈની પત્ની કે દીકરા દીકરી ગુમ થઈ જાય તો વ્યક્તિ ભાવુક બની જાય, તેમને શોધી કાઢવા પોલીસ પાસે આક્રમકતાથી રજૂઆત કરે. પરંતુ આ વ્યક્તિમાં આ બધું ગુમ હતું તેથી શંકા લાગતી હતી."
તેમણે એમ પણ કહ્યું કે, "આ હત્યાઓ ઠંડા કલેજે કરવામાં આવી છે. આરોપી શૈલેષમાં કોઈ પણ જાતનો અપરાધભાવ જોવા મળ્યો નથી. હત્યા થઈ તે રાતથી જ તે ઘરે નથી ગયો અને બીજી જગ્યાએ રહેતો હતો."
પહેલા ઘરકંકાસમાં હત્યાઓ કરી હોવાની આશંકા હતી

ઇમેજ સ્રોત, Social Media
એસપી નિતેશ પાંડાએ અગાઉ કહ્યું કે, "ખાડા દાટવામાં આવ્યા છે તેવી માહિતીના આધારે પોલીસે ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના નિષ્ણાતોની હાજરીમાં પોલીસ શ્વાનને સાથે રાખીને તે જગ્યાએ ખોદકામ કરતા ત્યાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહો એસીએફ શૈલેષ ખાંભલાનાં પત્ની નયના અને તેમનાં બે બાળકોના હોવાની ઓળખ થઈ હતી. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા છે."
તેમણે કહ્યું કે "મિસિંગ પર્સનની જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ ત્યારથી અમારી ટીમ પરિવારને શોધવા પ્રયાસ કરતી હતી. તે દરમિયાન સરકારી ક્વાર્ટર નજીક શંકાસ્પદ ખોદકામની માહિતી મળતા ત્યાં તપાસ કરવામાં આવી હતી."
પોલીસ FIRમાં ચોંકાવનારી વિગતો

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
પોલીસની FIR પ્રમાણે શૈલેષ ખાંભલા 39 વર્ષના છે, જ્યારે તેમની દીકરી પૃથાની ઉંમર 13 વર્ષ અને દીકરા ભવ્યની ઉંમર નવ વર્ષ હતી. તેમણે પત્ની અને બાળકો સહિત ત્રણેયની હત્યા કરાવીને ક્વાર્ટરની નજીકના ખાડામાં તેમના મૃતદેહો રાખી તેના પર ગાદલા ઢાંકી દઈને માટી નાખી હતી અને આ રીતે ખાડા પૂરી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. ત્યાર પછી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાના પરિવારજનો ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી.
ફૉરેસ્ટ ઑફિસર શૈલેષ ખાંભલાએ પોતાના પરિવારજનો ગુમ થયા તેવી ફરિયાદ કરી ત્યારે પોલીસને એમ કહ્યું હતું કે, "પાંચમી નવેમ્બરે હું તળાજા વિઝિટમાં ગયો હતો ત્યારે મારાં પત્ની નયના અને બે બાળકો ઘરે હતાં. હું બે વાગ્યે પાછો આવ્યો ત્યારે ઘરમાં કોઈ જોવા મળ્યું નહીં. મારાં પત્ની પોતાનો ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યાં ગયાં હતાં."
આ ફરિયાદના આધારે પોલીસે ફોટા, આધાર કાર્ડ વગેરેની વિગતો મેળવી અને વાયરલેસ કન્ટ્રોલ મારફત જિલ્લા પોલીસ સ્ટેશનોમાં વિગત મોકલી હતી.
બે ડમ્પર ભરીને માટી નખાવી

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
પોલીસે 8 નવેમ્બરે નયનાબહેનના ફોનનો કૉલ રેકૉર્ડ મગાવ્યો હતો. શૈલેષ ખાંભલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમનાં પત્ની નયનાબહેન તેમનાં બે બાળકો સાથે બહાર નીકળ્યા એવું એક સિક્યૉરિટીવાળાએ જોયું હતું. પરંતુ ઘરની આસપાસના સીસીટીવી તથા બસ સ્ટેન્ડના સીસીટીવી જોવા છતાં આવું કંઈ દેખાયું ન હતું.
ત્યાર બાદ પોલીસે શૈલેષે પોતાના નિવેદનમાં પત્નીના જે મૅસેજની વાત કરી હતી તેના સ્ક્રીન શૉટ મગાવ્યા જેમાં ભાષાને લગતા તફાવત હતા.
પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે કે આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાએ પોતાના ઘર પાસે પાણી અને કચરો ભરવા બે ખાડા ખોદવા સૂચના આપી હતી. તેમણે જેસીબીનો ઉપયોગ કરી ખાડા ખોદાવ્યા હતા તથા બે ડમ્પર ભરીને મોરમ નખાવી હતી. આ બધી માહિતીના આધારે શૈલેષ પર શંકા દૃઢ થઈ છે. અલગ અલગ લોકોએ સ્વીકાર્યું છે કે એસીએફે પોતાના ક્વાર્ટર પર માટીની જરૂર છે એમ કહી બે ડમ્પર મોરમ (માટી) મગાવી હતી અને ડમ્પરના ચાલકોએ પણ આ વાત પોલીસ સમક્ષ જણાવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












