લેખિકા અરુંધતી રૉય સામે યુએપીએ હેઠળ કેસ ચાલશે, દિલ્હીના એલજીએ મંજૂરી આપી

દિલ્હીના ઉપરાજ્યપાલે વી.કે. સક્સેનાએ જાણીતાં લેખિકા અરુંધતી રૉય અને સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ કાશ્મીરના ઇન્ટરનેશનલ લૉના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસૈન સામે યુએપીએ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

તેમની સામે નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે, આ કેસમાં અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ)ના 45 (1) હેઠળ ઉપરાજ્યપાલે કાર્યવાહીને મંજૂરી આપી છે.

એફઆઈઆરમાં આઈપીસીની કલમો 124-એ, 153-એ, 153-બી/504 અને 505 લગાવવામાં આવી છે.

28 ઑક્ટોબર, 2010ના રોજ સુશીલ પંડિત દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

અરુંધતિ રૉય અને ડૉ. હુસૈને 21 ઑક્ટોબર, 2010ના રોજ એલટીજી ઑડિટોરિયમ, કૉપરનિકસ માર્ગ, નવી દિલ્હી ખાતે "આઝાદી - ધ ઓન્લી વે"ના બેનર હેઠળ આયોજિત એક કૉન્ફરન્સમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં. આ કૉન્ફરન્સમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં 'ભારતથી કાશ્મીરને અલગ કરવાની વાત'નો પ્રચાર થઈ રહ્યો હતો.

કૉન્ફરન્સમાં ભાષણ આપનારામાં સૈયદ અલી શાહ ગિલાની, એસએઆર ગિલાની (કૉન્ફરન્સના આયોજક અને સંસદ હુમલા કેસના મુખ્ય આરોપી), અરુંધતી રૉય, ડૉ. શેખ શોકત હુસૈન અને માઓવાદી તરફ સહાનુભૂતિ ધરાવતા વરવરા રાવનો સમાવેશ થાય છે.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગિલાની અને અરુંધતી રૉયે ભારપૂર્વક એ પ્રચાર કર્યો હતો કે કાશ્મીર ક્યારેય ભારતનો ભાગ નહોતું અને તેના પર ભારતનાં સશસ્ત્ર દળોએ બળજબરીથી કબજો મેળવ્યો હતો.

ફરિયાદ કરનારા વ્યક્તિએ તેના રેકૉર્ડિંગ્સ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. ફરિયાદીએ સીઆરપીસીની કલમ 156(3) હેઠળ એમએમ કોર્ટ, નવી દિલ્હી સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. તેના આધારે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે શું કહ્યું?

અરુંધતી રૉય મામલે દિલ્હીના ઉપરાજ્યપાલના નિર્ણય પર જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું, "તો એલજીએ કાશ્મીરની આઝાદીની વકાલત કરવાના આરોપમાં અરુંધતી રૉય સામે 14 વર્ષ જૂની એફઆઈઆર પર યુએપીએ કાયદા હેઠળ કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. એવું લાગે છે કે મોદી સરકારે 2024ની હારમાંથી કશું શીખ્યું નથી. ભારતને તાનાશાહી બનાવવા માટે વધારે દૃઢ સંકલ્પિત!"

કોણ છે અરુંધતી રૉય?

અરુંધતી રૉય જાણીતાં લેખિકા છે અને તેમને બુકર પુરસ્કાર પણ મળેલો છે.

તેમણે 2010માં માઓવાદી પ્રભાવિત મધ્ય ભારતના વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે વૉકિંગ વિધ ધ કૉમરેડ્સ નામનું પુસ્તક લખ્યું હતું.

આ પુસ્તકમાં તેમણે માઓવાદીઓના અનુભવો જણાવ્યા હતા અને એવી પળોની શોધ કરી હતી, તેમાં જણાવ્યું હતું કે માઓવાદીને કેમ હથિયાર ઉપાડવાં પડ્યાં.

2015માં જ્યારે સરકારના વિરોધમાં પુરસ્કારો પાછા અપાઈ રહ્યા હતા, ત્યારે પુરસ્કાર પાછો આપવામાં અરુંધતિ રૉય પણ સામેલ હતાં.

આ નેશનલ ઍવૉર્ડ તેમને 1989માં સર્વશ્રેષ્ઠ પટકથા માટે અપાયો હતો.

અરુંધતી રોયે 'ધી ગોડ ઑફ ધી સ્મોલ થિંગ્ઝ' અને 'મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપ્પિનેસ' નામે બે વિશ્વપ્રસિદ્ધ નવલકથાઓ લખી છે.

યુએપીએ કાયદો શું છે?

યુએપીએ અધિનિયમની કલમ 15 મુજબ ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા, આર્થિક સુરક્ષા અથવા સાર્વભૌમત્વને જોખમમાં મૂકવાના અથવા જોખમમાં મૂકવાની સંભાવનાના ઈરાદાથી ભારતમાં કે વિદેશમાં પ્રજા અથવા પ્રજાના કોઈ પણ વર્ગમાં આતંક ફેલાવવો અથવા આતંક ફેલાવવાની સંભાવનાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્ય એ 'આતંકવાદી કૃત્ય' છે.

આ વ્યાખ્યામાં બૉમ્બવિસ્ફોટથી લઈને નકલી નોટોના કારોબાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.

આતંકવાદ અને આતંકવાદીની સ્પષ્ટ વ્યાખ્યા આપવાને બદલે યુએપીએ ઍક્ટ માત્ર એટલું જ કહે છે કે તેનો અર્થ કલમ 15માં આપવામાં આવેલી 'આતંકવાદી કાર્ય'ની વ્યાખ્યા મુજબ હશે.

કલમ 35માં સરકારને કેસનો નિર્ણય આવે તે પહેલાં જ કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠનને 'આતંકવાદી' જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.