ટી20 વર્લ્ડકપ : સૂર્યકુમારનો એ ખોટો શૉટ જેણે ભારતને પ્રેશરમાં લાવી દીધું

ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામે એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતની 10 વિકેટે હાર થઈ છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ભારતની સફરનો અંત આવ્યો છે.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ભારત ટૉસ હારીને બેટિંગ કરવા ઊતર્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઑપનર ફેઇલ રહ્યા હતા.

શરૂઆતથી ઇંગ્લૅન્ડના બૉલરો ભારતના બૅટરો પર હાવી જોવા મળ્યા હતા. ભારતના બૅટરો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

ભારતની શરૂઆત જ ખરાબ રહી હતી. કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા અને માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ભારતે બીજી ઓવરના ચોથો બૉલે જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતની ખરાબ બેટિંગની શરૂઆત અહીંથી થઈ ગઈ હતી.

વૉક્સે નાખેલા એક્સ્ટ્રા બાઉન્સ પર રમવા જતા કે. એલ. રાહુલ વિકેટકીપરના હાથે કેચ આઉટ થઈ ગયા હતા.

રોહિત બાદ મેદાન પર જ્યારે સૂર્યકુમાર ઊતર્યા

ભારતના કૅપ્ટન રોહિત શર્માનું ફોર્મ પણ આ વર્લ્ડકપમાં ચર્ચાનો વિષય રહ્યું છે. આ વર્લ્ડકપમાં એકાદ પારી સિવાય તેઓ ખાસ કોઈ મહત્ત્વનો ફાળો આપી શક્યા નથી.

9મી ઓવરમાં રોહિત શર્મા એક લાંબો શૉટ મારવા જતા આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા જોર્ડનના બૉલ પર સિક્સ મારવા જતા સેમ કરનના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.

રોહિત શર્માએ 28 બૉલમાં 27 રન બનાવ્યા હતા જેમાં ચાર ફોરનો સમાવેશ થતો હતો. જોકે, આ પારીમાં પણ તેઓ કોઈ સિક્સ મારી શક્યા ન હતા.

ભારતના કૅપ્ટનના આઉટ થયા બાદ આ વર્લ્ડકપમાં સતત પોતાના અવનવા શૉટ અને રનના ખડકલા કરવા માટે જાણીતા સૂર્યકુમાર યાદવ મેદાનમાં આવ્યા હતા.

તેમણે મેદાનમાં આવતાની સાથે જ પોતાના ઇરાદા જાહેર કરવાના શરૂ કર્યા હતા.

એક ખોટો શૉટ અને ભારતની ટીમ પ્રેશરમાં આવી ગઈ

સૂર્યકુમાર યાદવ 9મી ઓવરમાં મેદાન પર આવ્યા હતા ત્યારે ભારતનો સ્કૉર 56 રન હતો અને બે વિકેટ પડી ચૂકી હતી.

જે બાદ સૂર્યકુમારે 6 બૉલ સુધી કોઈ ખાસ કરામત ના દેખાડી અને વચ્ચે વચ્ચે 1 રન લીધા. જે બાદ તેની ઓળખ પ્રમાણે તેમણે મોટા શૉર્ટ રમવાની શરૂઆત કરી.

11મી ઓવરના 5માં બૉલે તેમણે વિકેટકીપરની ઉપરથી પાછળની બાજુ સિક્સ મારી. જે બાદ સ્ટૉક્સના 11મી ઓવરના છેલ્લા બૉલે તેમણે ફરી ફોર ફટકાર્યો.

સૂર્યાના આ બે શૉટ જોઈને લાગતું હતું કે ભારતના બૅટર હવે બૉલરો પર પ્રેશર બનાવવાનું શરૂ કરશે કેમ કે સૂર્યાની સામેની બાજુ પણ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી હતા.

જોકે, 12મી ઓવર ફેંકવા આવેલા ઇંગ્લૅન્ડના રાશીદના બૉલમાં મોટો શૉટ ફટકારવા જતા તેઓ કૅચઆઉટ થઈ ગયા હતા.

સ્પિન બૉલમાં સૂર્યકુમાર સ્ટેપ આઉટ કરી રમવા માટે થોડી જગ્યા બનાવી, જોકે થોડી જગ્યા બનાવવા જતા શૉટને તેઓ સારી રીતે રમી શક્યા નહીં.

તેઓ કદાચ એક્સ્ટ્રા કવરની ઉપરથી શૉટ મારવા માગતા હતા પરંતુ તેમની ધારણા પ્રમાણે શૉટ વાગ્યો નહીં અને કૅચઆઉટ થઈ ગયા.

આ ખોટા શોટને કારણે સૂર્યાકુમાર યાદવ આ વખતે કરોડો દર્શકોને નિરાશ કર્યા હતા અને જે બાદ ભારતના બૅટરો પણ પ્રેશરોમાં આવી ગયા હતા.

ભારતની ટીમ ટૉસ હારી અનેે બેટિંગ માટે ઊતરી

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ઍડિલેડમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.

પાકિસ્તાનની ટીમે બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

ભારતીય ટીમે ગ્રૂપ 2માં પ્રથમ નંબરે રહેતા સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઇંગ્લૅન્ડની ટીમ ગ્રૂપ 1માં બીજા નંબરે રહી હતી.

ઇંગ્લૅન્ડે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા હતા, માર્ક વુડ અને ડેવિડ મલાનની જગ્યાએ ફિલ સૉલ્ટ અને ક્રિસ જોર્ડનને જગ્યા આપવામાં આવી હતી. જ્યારે ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા.

બીજી ઓવરનો એ ચોથો બૉલ જ્યારે ભારતની પ્રથમ વિકેટ પડી હતી, કે. એલ. રાહુલ 5 રન બનાવીને આઉટ થયા હતા.