You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદો વિશે મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?
ચૂંટણી પંચે 18મી લોકસભા માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મતદાન સાત ચરણોમા થશે અને પરિણામ ચાર જૂને આવશે.
કયા રાજ્યમાં કયા દિવસે મતદાન થશે તેનો કાર્યક્રમ જાહેર કરતાં પહેલાં ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે પંચે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેવી તૈયારીઓ કરી છે.
ત્યારબાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.
આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરને સાત તબક્કામાં મતદાન કરાવવાનું કારણ, ઈવીએમ બાબતે વિપક્ષી દળોની ચિંતા, ચૂંટણી અધિકારી અરુણ ગોયલના રાજીનામા અને આચારસંહિતાના ઉલ્લંધનને લઈને પક્ષપાતના આરોપો સાથે જોડાયેલા સવાલો કરવામા આવ્યા.
તેમને એ પણ પૂછવામાં આવ્યું કે કાશ્મીરમાં લોકસભા માટે મતદાન કરાવી શકાય છે તો ત્યાં વિધાનસભાની ચૂંટણી અન્ય ચાર રાજ્યોની જેમ ચૂંટણી કેમ ન કરાવી શકાય?
મતદાન સાત તબક્કામાં કેમ કરાવવામા આવી રહ્યું છે?
એક પત્રકારે પૂછ્યું કે વિરોધપક્ષોનો આરોપ છે કે કેટલાક તબક્કામાં ચૂંટણી કરાવવી બિનજરૂરી છે અને તેનો ફાયદો સત્તાધારી પક્ષને થાય છે.
આ વિશે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “એક વખત આખા દેશની ભૌગોલિક સ્થિતિ તો જૂઓ. નદી-નાળાં, બરફ, પહાડ, જંગલ, ગરમી વિશે વિચારો. સુરક્ષાદળોની હેરફેર કરવા વિશે વિચારો. તેમને ત્રણ કે ચાર દિવસોમાં લાંબી યાત્રાઓ કરવી પડે. તેમના પર ખૂબ જ દબાણ હોય છે.”
“દેશમાં તહેવારો હોય છે. હોળી, રમઝાન, રામનવમી. જ્યારે અમે કેલેન્ડર જોઈએ છીએ ત્યારે એક તારીખથી બીજી તારીખ પર જવું પડે છે. અમે અલગ-અલગ તારીખો કોઈના ફાયદા કે નુકશાન માટે નથી કરતા. આ આરોપો ખોટા છે. અમે માત્ર તથ્યો પર જ વાત કરી શકીએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજીવ કુમારે કહ્યું, “કેટલાંક રાજ્યોમાં પરિસ્થિતિઓ પણ અલગ છે. કોઈ રાજ્યમાં ચૂંટણી એક જ ચરણમાં છે તો કેટલાંક રાજ્યોમાં સાત તબક્કામાં છે. જ્યાં સાત ચરણોમાં ચૂંટણી થાય છે તેનો વિસ્તાર મોટો છે અને સીટો પણ વધારે છે.”
ઈવીએમને બાબતે થયા સવાલ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી વધારે સમય ઈવીએમ વિશે કરવામા આવેલા સવાલોના જવાબ આપવામાં લીધો. તેમને એક પત્રકારે સવાલ કર્યો કે વિપક્ષી દળો ઈવીએમની નિષ્પક્ષતાને લઈને ચિંતિત છે.
સવાલનો જવાબ આપતા રાજીવ કુમારે કહ્યું, “ઈવીએમને લઈને કેટલી વખત સવાલો થઈ ચૂક્યા છે. દેશની અદાલતો જેવી કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અલગ-અલગ અરજીઓ પર સુનાવણી થઈ છે. કેટલીક અરજીઓમાં કહેવામા આવ્યું કે તે હૅક થઈ શકે છે, કૉમ્પ્યુટરથી તેમાં છેડછાડ થઈ શકે છે, પરિણામો બદલી શકાય છે. જોકે, દરેક વખતે અદાલતોએ આવી અરજીઓને ફગાવી.”
તેમણે ઈવીએમ પર પુસ્તક દેખાડતા કહ્યું, “આ પુસ્તકમાં અમે સવાલના જવાબ આપ્યા છે અને 40 મામલાઓમાં અદાલતોના નિર્ણય વિશે પણ જણાવ્યુ છે. આ નિષ્ણાતોએ પણ વાંચવી જોઈએ. એ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે ઈવીએમ દ્વારા ચૂંટણી થવા છતાં સત્તાધારી પક્ષોને સત્તા પરથી હઠવું પડ્યું હોય.”
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “હવે તો અદાલતોએ ઈવીએમ વિશે કરવામાં આવતી અરજીઓને સમયની બરબાદી કહી અને દંડ ફટકારવાનું પણ શરૂ કર્યું. ઈવીએમ કોઈપણ રીતે હેક નથી થઈ શકતા. કેટલાક રાજકીય પક્ષો તો ઈવીએમના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યા. બેલેટપેપરના સમયમાં એટલી નિષ્પક્ષતાના અભાવે તેમના ઉદયમાં આટલી સરળતા ન થઈ હોત.”
રાજીવ કુમારે કહ્યું, “આજકાલ કોઈપણ ઍક્સ્પર્ટ બનીને એક ડબ્બો લઈને ઈવીએમ જેવું કંઈક બનાવીને ધારણા બનાવવા લાગે છે કે મત કંઈક નાખ્યો અને રેકર્ડ અલગ નીકળ્યો. જોકે, તમે સિસ્ટમ કેવી રીતે બનાવી છે તે કોઈ નથી જાણતું.”
તેમણે કહ્યું, “હું કાલે વિચારી રહ્યો હતો કે ઈવીએમ પર સવાલ પૂછવામાં આવશે. તો આ વિશે મેં કંઈક લખ્યું છે જે હું કહેવા માંગુ છું.”
“અધૂરી ઇચ્છાઓના આરોપો દર વખતે અમારા પર લગાવવા ઠીક નથી. આ હું નહીં ઈવીએમ કહી રહ્યાં છે.”
“અધૂરી ઇચ્છાઓના આરોપો દર વખતે અમારા પર લગાવવા ઠીક નથી.
પોતાનાથી વફાદારી નથી અને ખામી ઈવીએમની કાઢો છો.”
હાલત એવી છે કે જ્યારે પરિણામ તમારા પક્ષમાં આવે છે ત્યારે તમે તમારી જ વાત પર ટકી નથી રહેતા.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “ઈવીએમ 100 ટકા સુરક્ષિત છે. અમે બે વર્ષમાં ઘણા સુધારાઓ કર્યા છે. અમે હવે દરેક ઉમેદવારને બૂથ પર જનાર ઈવીએમના નંબર પણ આપીશું.”
ટોટલાઇઝરનો ઉપયોગ કેમ નહીં?
એક પત્રકારે સવાલ કર્યો કે બૂથ પર જનાર મશીનના નંબર આપવાથી ઉમેદવારને ખબર પડશે કે ક્યાંથી તેમને ઓછા અને ક્યાંથ વધારે વોટ મળ્યા છે. તો શું આવી સ્થિતિથી બચવા માટે દરેક મશીનોનું પરિણામ એકસાથે આપનાર ટોટલાઇઝર ઉપકરણનો ઉપયોગ શું ન કરવો જોઈએ?
આ વિશે ચૂંટણી કમિશનરે કહ્યું, “હું માનું છું કે બૂથ પ્રમાણે પરિણામ ખબર પડવી સારી વાત નથી. જોકે, ટોટલાઇઝરનો ઉપયોગ કરીને મશીનોનું પરિણામ આપવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે લોકો એક મશીન પર જ સવાલ ઉઠાવી રહ્યાં છે. એક સાથે અનેક મશીનોનું પરિણામ આપશું તો ખબર નહીં શું થશે.”
તેમણે કહ્યું, “રાજકીય સિસ્ટમ પરિપક્વ થવા દેવી જોઈએ. નવી ટેકનિક લાગુ કરવા માટે સમય લાગે છે. આશા છે કે તેવો સમય આવશે.”
અરુણ ગોયલના રાજીનામા પાછળ શું કારણ છે?
ગયા શનિવારે ચૂંટણી અધિકારી અરુણ ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.
એક પત્રકારે આ વિશે રાજીવ કુમારને સવાલ પૂછ્યો કે ગોયલે રાજીનામું કેમ આપ્યું, આ વિશે એમનું શું કહેવું છે.
જવાબમાં રાજીવ કુમારે કહ્યું, “તે અમારી ટીમના ખાસ સભ્ય હતા. તેમની સાથે કામ કરીને સારું લાગ્યું. જોકે, દરેક સંસ્થામાં લોકોને તેમની વ્યક્તિગત મોકળાશ આપવી જોઈએ. જો તેમણે રાજીનામું આપવા પાછળનું કારણ વ્યક્તિગત હોવાનું કહ્યું છે તો આ મામલે અંગત પ્રશ્નો ન થવા જોઈએ.”
"કોઈપણ રીતે, અમારા પુરોગામીઓએ ચૂંટણી પંચને એક એવી જગ્યા બનાવી છે જ્યાં મતભેદોને પણ સન્માન આપવામાં આવે છે. તેથી અહીં ચર્ચાઓ થાય છે, મતભેદ પણ થાય છે અને આવું થતું રહેવું જોઈએ."
આચારસંહિતાના ભંગ પર 'બેવડાં ધોરણો' શા માટે?
રાજીવ કુમારે પોતાના ભાષણમાં ચૂંટણી પંચના જે ચાર મુખ્ય પડકારોની વાત કરી તેમાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ પણ સામેલ છે.
એક પત્રકારે સવાલ કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈને કેટલીક ફરિયાદો વિશે અમે એ જોયું છે કે ચૂંટણી પંચ એવી રીતે કાર્યવાહી નથી કરતો જે રીતે વિપક્ષના નેતાઓ સામે કરવામાં આવે છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે આ વિશે કોઈ ચોક્કસ જવાબ ન આપ્યો. તેમણે કહ્યું, “આ એક રીતે અમારા પર આરોપ છે. સવાલ પૂછવાનો તમને અધિકાર છે. છેલ્લી 11 ચૂંટણીઓમાં અમારા પર જેટલા પણ આરોપ લાગ્યા તે વિશે અમારી નોટિસ જુઓ.”
"જ્યારે પણ આચારસંહિતા ભંગનો આરોપ મૂકવામાં આવે છે, એવું નથી કે તેનો જવાબ મળ્યા પછી પગલાં લીધાં નથી. જેની સામે કેસ દાખલ કરવામાં આવે છે, પછી ભલે તે ગમે તેટલો મોટો સ્ટાર પ્રચારક કેમ ન હોય, અમે જોતા નહીં રહીએ અને તેમની સામે પગલાં લઈશું.”
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કેમ નહીં?
મુખ્ય ચૂંટણી કમિશનરે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ન કરાવવા પાછળ બે કારણો આપ્યાં.
તેમણે કહ્યું, “જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો 2019 માં લાગુ કરવામાં આવ્યો હતો. 107 વિધાનસભા બેઠકોની જોગવાઈ હતી, જેમાંથી 47 બેઠકો પીઓકે માટે હતી, પરંતુ પછી જ્યારે 2022 માં ફરીથી સીમાંકન કરવામાં આવ્યું, ત્યારે રાજ્યમાં બેઠકો 107 થી વધીને 114 થઈ. ત્યારે તેમાં અનામતની જોગવાઈ પણ હતી. ત્યારપછી ડિસેમ્બરમાં આ આધારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અમે લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા.”
"જ્યારે અમે કાશ્મીરમાં લોકોને મળવા ગયા ત્યારે ત્યાંના રાજકીય પક્ષોએ કહ્યું કે અહીં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ. પરંતુ ત્યાંના વહીવટીતંત્રે કહ્યું કે આમ કરવું શક્ય નથી. કારણ કે ત્યાં લગભગ 1000 ઉમેદવારો હશે. અને દરેક ઉમેદવારને સુરક્ષા માટે ઓછામાં ઓછા બે સેક્શન ફોર્સ આપવી પડશે."
રોકડ રકમ પકડાય તો શું પગલાં લેવામાં આવે છે?
ચૂંટણી પંચની સિદ્ધિઓ ગણાવતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે 11 રાજ્યોની તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 3500 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આ અંગે એક પત્રકારે જણાવ્યું હતું કે આ રોકડની વસૂલાત પછી કેટલા લોકો જેલમાં ગયા અને કયા પક્ષો તેમા સામેલ હતા તેની માહિતી શેર કરવામાં આવી નથી.
રાજીવ કુમારે આ અંગે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તમિલનાડુના વેલ્લોરમાં એક ઉમેદવાર કરોડો રૂપિયા સાથે મળી આવતાં શું કાર્યવાહી કરવામાં આવી તેના જવાબમાં તેમણે કહ્યું કે, "ઘણાં રાજ્યોમાં પૈસા વધુ શક્તિશાળી બની રહ્યા છે. અમે આ બાબતે ગંભીર છીએ. જો તમે દક્ષિણનાં અન્ય રાજ્યોમાં તાજેતરની ચૂંટણીઓ પર નજર નાખો તો તમે જોશો કે અમે આ સમસ્યાને ઘણી હદ સુધી કાબૂમાં કરી લીધી છે. તમે ચિંતા કરશો નહીં."