રાજકોટના નવાગામમાં આવેલી કેમિકલની ફેકટરીમાં લાગી આગ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
બનાસકાંઠાના ડીસામાં આગની ઘટના અત્યારે ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં પણ આગની ઘટના સામે આવી છે.
રાજકોટના નવાગામમાં કુવાડવા રોડ પર આવેલી એક કેમિકલની ફેકટરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ફેકટરીમાં આગ લાગવાની જાણ થતાં ફાયર અને પોલીસ સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
રાજકોટથી બીબીસી ગુજરાતીના સહોયગી પત્રકાર બિપિન ટંકારિયા ફાયર ફાઇટરો દ્વારા આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદરની તરફ કેમિકલ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. પાસેની એક ફેકટરીમાં કામ કરતા પ્રત્યક્ષદર્શી પ્રદીપભાઈના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ પોતાની ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે એક ધડાકો સંભળાયો હતો. બહાર આવીને જોયું ત્યારે આગની જવાળાઓ જોવા મળતી હતી.
આગ ઓલવવા માટે ફાયર વિભાગ સફેદ કલરના ફૉર્ નો ઉપયોગ કરી રહી છે. સતત એક કલાકથી આગને ઓલવવાની કામગીરી ચાલી રહી હતી. હાલ આગ કાબુમાં આવી છે. જોકે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ફેકટરીના માલિક દીપકભાઈ જયતિભાઈ નડિયાપરા છે.
ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર અમિત કે દવેના જણાવ્યા પ્રમાણે સાત ફાયર ફાઇટર અને પચાસ જેટલા સ્ટાફ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફેકટરીની બાજુમાંથી પસાર થતી વીજ લાઈન પણ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ફેકટરીમાં ફલેમેબલ કેમિકલ હતું પરંતુ ચોક્કસ ક્યું કેમિકલ હતું એ હજું સુધી જાણવા મળ્યું નથી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ અને એફએસએલની તપાસમાં આગનું કારણ જાણવા મળશે.
ઔરંગઝેબપુર નહીં, શિવાજી નગર કહોઃ ઉત્તરાખંડમાં ઢગલાબંધ સ્થળોના નામ બદલાયા

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યના ચાર જિલ્લામાં વિવિધ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે.
સીએમ ધામીએ આ નિર્ણયને 'જાહેર ભાવનાઓ અને ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુરૂપ' ગણાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે મોડી સાંજે મુખ્ય મંત્રી ધામીએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો અને હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી.
આ જાહેરાત મુજબ હરિદ્વાર જિલ્લામાં ઔરંગઝેબપુરનું નવું નામ શિવાજી નગર, ગાઝીવાલીનું નામ આર્ય નગર, ચાંદપુરનું જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટનું નામ મોહનપુર જાટ, ખાનપુર કુર્સલીનું નામ આંબેડકર નગર, ઈન્દ્રીશપુરનું નામ નંદપુર, ખાનપુરનું શ્રી કૃષ્ણપુર, અકબરપુરનું નામ વિજાલપુર રાખવામાં આવશે.
દેહરાદૂન વિસ્તારમાં મિંયાવાલાનું નામ બદલીને રામજીવાલા, પીરવાલાનું કેસરીનગર, ચાંદપુર ખુર્દનું નામ પૃથ્વીરાજ નગર, અબ્દુલ્લા નગરનું નામ દક્ષ નગર રાખવામાં આવશે.
નૈનીતાલ જિલ્લામાં નવાબી રોડ હવેથી અટલ માર્ગ તરીકે ઓળખાશે.
પશ્ચિમ બંગાળમાં ગૅસ સિલિન્ડર ફાટવાથી 7 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANI/SCREENSHOT
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે સોમવારે રાતે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 જિલ્લાના પાથર પ્રતિમા ખાતે એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાથી સાત લોકોના મોત નિપજ્યાં છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે મૃતકોમાં ચાર બાળકો અને બે મહિલાઓ સામેલ છે.
સુંદરવન પોલીસના જિલ્લા એસપી કોટેશ્વર રાવે પીટીઆઈને જણાવ્યું કે, "તમામ મૃતદેહ મેળવી લેવાયા છે. ઈજાગ્રસ્ત મહિલાને ઘરમાંથી બચાવીને હૉસ્પિટલે સારવાર માટે ભરતી કરવામાં આવી છે."
પોલીસને શંકા છે કે ઘરમાં બે ગૅસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને ઘરમાં જ ફટાકડાનો જથ્થો પણ હતો જેમાં આગ લાગવાથી સિલિન્ડર ફાટ્યા હતા.
પુતિન વિશે ટ્રમ્પના નિવેદન પછી રશિયાએ જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આકરી ટીકા કર્યા પછી રશિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
રશિયાએ કહ્યું કે તે હજુ પણ 'અમેરિકાની સાથે કામ કરે' છે.
રશિયાના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ દિમિત્રી પેસકોવે જણાવ્યું કે, "અમે અમેરિકાના પક્ષમાં કામ કરવાનું ચાલુ રાખીશું. સૌથી પહેલાં અમારા સંબંધોને સુધારવા માટે કામ કરીશું."
તેમણે કહ્યું કે, "આ અઠવાડિયે પુતિન અને ટ્રમ્પ વચ્ચે વાતચીતની કોઈ યોજના નથી. પરંતુ વાતચીત જરૂરી હશે તો પુતિન તેના માટે તૈયાર છે."
રવિવારે ટ્રમ્પે એનબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ઘણા નારાજ છે.
ટ્રમ્પે ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, જો પુતિન યુદ્ધ વિરામ માટે સહમત નહીં થાય તો તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 50 ટકા ટેરિફ લગાવી શકે છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવો ઘટેલો ભાવ મંગળવારથી અમલમાં આવશે.
દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવેથી 1762 રૂપિયા રહેશે. અગાઉ પહેલી ફેબ્રુઆરીએ પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કરાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવને ધ્યાનમાં રાખીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ગેસના ભાવમાં ફેરફાર કરતી હોય છે. ઘર વપરાશ માટેના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.
ગયા ડિસેમ્બર મહિનામાં ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. કોમર્શિયલ ગેસના ભાવથી નાના બિઝનેસને વધારે અસર થતી હોય છે જ્યાં આવા સિલિન્ડર વધારે વપરાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












