માધવી પુરી બુચ કોણ છે, જેમના પર હિંડનબર્ગે નવા રિપોર્ટમાં આરોપ લગાવ્યા

અમેરિકાના શૉર્ટ સેલર ફંડ હિંડનબર્ગ રિસર્ચે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાનાં (સેબી) ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની "અદાણી મની સાઇફનિંગ ગોટાળા" માટે ઉપયોગ કરવામાં આવેલા ઑફશોર ફંડમાં ભાગીદારી છે.

હિંડનબર્ગ તરફથી જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટને વિશે સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને આરોપોને ફગાવ્યા હતા.

માધવી પુરી બુચ માર્ચ 2022માં સેબીનાં ચૅરપર્સન તરીકે નીમાયાં હતાં.

કોણ છે માધવી પુરી બુચ?

માધવીએ દિલ્હીના સૅન્ટ સ્ટીફન કૉલેજમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે ત્યારબાદ અમદાવાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટથી (આઈઆઈએમ) એમબીએની ડિગ્રી મેળવી.

માધવી બુચે ફાઇનાન્સ ક્ષેત્રે પોતાની કરિયરની શરૂઆત 1988માં પ્રોજેક્ટ ફાઇનાન્સ ઍનાલિસ્ટ તરીકે આઇસીઆઇસીઆઈ બૅન્ક સાથે કરી હતી.

ફાઇનાન્સ ક્ષેત્રમાં ત્રણ દાયકાથી લાંબી કરિયરમાં તેમણે અલગ-અલગ જવાબદારી નિભાવી છે.

માધવી બુચે 2006-09 દરમિયાન આઇસીઆઇસીઆઇનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ 2009-11 દરમિયાન તેમણે આઇસીઆઇસીઆઇનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે જવાબદારી સંભાળી હતી.

બુચ ત્યારબાદ એક અંતરરાષ્ટ્રીય પ્રાઇવેટ ઇક્વિટી કંપની ગ્રેટર પેસિફિક કૅપિટલમાં જોડાયાં હતાં. આ ઉપરાતં તેઓ શાંઘાઈસ્થિત ન્યુ ડેવલપમૅન્ટ બૅન્કનાં સલાહકાર પણ રહી ચૂક્યાં છે.

તેઓ ટેલિકોમ કંપની આઇડિયામાં પણ નૉન એક્ઝિક્યુટિવ ડિરેક્ટકર તરીકે કામ કરી ચૂક્યાં છે.

માધવી પુરીના લિંક્ડઇન એકાઉન્ટ પર આપેલી માહિતી પ્રમાણે, તેઓ 2017માં સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાનાં ફુલટાઇમ સભ્ય બન્યાં હતાં.

તેઓ ફુલટાઇમ સભ્ય તરીકે માર્કેટ રેગ્યુલેશન ડિપાર્ટમેન્ટ, ઇન્ટિગ્રેટડ સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમૅન્ટ ડિપાર્ટમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યૉરીટીઝ માર્કેટ અને ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી જેવા અલગ-અલગ વિભાગોમાં જવાબદારી નિભાવી હતી. તેઓ 2022માં સેબીનાં ચૅરપર્સન બન્યાં.

માધવીના પતિ ધવલ બુચ પણ એક પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લૅકસ્ટૉન ઍન્ડ અલ્વારેઝ અને માર્શલમાં સલાહકાર છે. તેઓ ગિલ્ડેનના બોર્ડમાં નૉન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.

ધવલની લિંક્ડઇન પ્રોફાઇલ પર આપેલી માહિતી પ્રમાણે તેમણે આઇઆઇટી દિલ્હીથી અભ્યાસ કર્યો છે. તેમણે 1984માં આઇઆઅટી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી.

ધવલ બુચ યુનિલિવરમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ત્યારબાદ કંપનીના ચીફ પ્રૉક્યુરમેન્ટ ઑફિસર બન્યાં.

બુચ પોતાને પ્રૉક્યુરમેન્ટ અને સપ્લાઈ ચેન વિશેષજ્ઞ ગણાવે છે.

હિંડનબર્ગ રિસર્ચના નવા અને જૂના રિપોર્ટ વિશે વધારે માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક જુઓ

હિંડનબર્ગ રિપોર્ટમાં શું આરોપ છે?

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબીનાં ચૅરપર્સનની એ ઑફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, સેબીએ અદાણીની શૅરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. ઇન્ડિયા ઇન્ફોલાઇનની ઈએમ રિસર્જન્ટ ફંડ અને ઇન્ડિયા ફોક્સ ફંડ આ કંપનીઓને સંચાલિત કરે છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં જણાવ્યું કે સેબીનાં અધ્યક્ષનાં હિતોના આ ટકરાવને કારણે માર્કેટ રેગ્યુલેટરની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે. સેબીના નેતૃત્વને લઈને રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

હિંડનબર્ગ કહ્યું છે કે અદાણી ગ્રૂપની નાણાકીય ગેરરીતિઓમાં સામેલ ઑફશોર ફંડ તદ્દન અસ્પષ્ટ છે અને તેની રચના જટિલ છે.

રિપોર્ટમાં માધવી પુરી બુચના ખાનગી હિત અને માર્કેટ રેગ્યુલેટર તરીકે તેમની ભૂમિકાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હિન્ડનબર્ગ રિસર્ચે કહ્યું કે સેબીએ અદાણી ગ્રૂપ વિશે જે તપાસ કરી છે તેની વ્યાપકપણે તપાસ થવી જોઈએ.

હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે વ્હિસલબ્લૉઅર પાસેથી મળેલા દસ્તાવેજો પ્રમાણે સેબીમાં માધવી પુરી બુચની નિમણૂકનાં થોડાંક અઠવાડિયાં પછી જ તેમના પતિ ધવલ બુચે મોરેશિયસના ફંડ પ્રશાસક ટ્રિડેન્ટ ટ્રસ્ટને મેઇલ કર્યો હતો. આ મેઇલમાં તેમની અને તેમનાં પત્નીના ગ્લોબલ ડાયનેમિક ઑપ્ચર્યુનિટીઝ ફંડમાં રોકાણનો ઉલ્લેખ હતો.

સેબી ચૅરપર્સન માધવી પુરી બુચે આરોપો નકાર્યા

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, માધવી બુચ અને તેમના પતિએ કહ્યું, "અમે એ જણાવવા માગીએ છીએ કે અમારા પર લગાવેલા ખોટા આરોપોનું અમે ખંડન કરીએ છીએ."

તેમણે કહ્યું, "અમારું જીવન અને નાણકીય હિસાબ જગજાહેર છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેબીને બધી જ જરૂરી જાણકારી આપવામાં આવી છે."

માધવી પુરી બુચ અને તેમના પતિએ કહ્યું, "અમને બીજા કોઈ નાણાકીય દસ્તાવેજો વિશે ખુલાસો કરવામાં કોઈ તકલીફ નથી, જેમાં અમે સામાન્ય નાગરિક હતા તે સમયના દસ્તાવેજો પણ સામેલ છે."

તેમણે કહ્યું કે, "આ મામલે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમે યોગ્ય સમયે આખું નિવેદન જાહેર કરીશું."

તેમણે કહ્યું, "સેબીએ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ અમલીકરણની કાર્યવાહી કરી હતી અને કારણદર્શક નોટિસ પણ આપી હતી. હિંડનબર્ગ રિસર્ચ તેના જવાબમાં નામ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે."

હિંડનબર્ગના રિપોર્ટ પર અદાણી જૂથનું નિવેદન

હિંડનબર્ગના આ રિપોર્ટ પર અદાણી જૂથે એક નિવેદનમાં કહ્યું છે કે, "હિંડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા નવા આરોપોમાં દુર્ભાવના અને દુષ્ટતાપૂર્ણ રીતે જાહેરમાં ઉપલબ્ધ જાણકારીને પસંદ કરવામાં આવી છે. એટલે ખાનગી લાભ માટે પહેલાંથી નક્કી કરેલાં નિષ્કર્ષ પર પહોંચી શકાય. આ તથ્યો અને કાયદાનું સંપૂર્ણ ઉલ્લંધન છે."

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, "અમે અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આક્ષેપોને પૂર્ણ રીતે નકારીએ છીએ. આ આરોપો એ આધારવિહીન દાવાઓની રિસાઇકલિંગ છે જેની પૂર્ણ રીતે તપાસ થઈ ચૂકી છે. આ આરોપોને જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં જ ફગાવી દેવામાં આવ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.