ગેરકાયદેસર મુસાફરોને અમેરિકાથી હાથકડી અને બેડીઓ પહેરાવીને ભારત મોકલવા અંગે જાણકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
"વિમાનમાં ચઢ્યા પછી મારા હાથ અને પગ બંધાયેલા હતા. રસ્તામાં અમારું વિમાન ઘણી જગ્યાએ ઊભું રહ્યું હતું, પરંતુ પ્લેન અમૃતસર પહોંચ્યું ત્યારે જ મારા હાથ અને પગની બેડીઓ ખોલવામાં આવી હતી."
આ શબ્દો જસપાલસિંહના છે. અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવેલા 100થી વધુ ભારતીય નાગરિકોમાં તેમનો પણ સમાવેશ થાય છે.
તેઓ પંજાબના ગુરદાસપુરના વતની છે. યુએસ ઍરફૉર્સના સી-17 વિમાનમાં પાંચમી ફેબ્રુઆરીએ તેમને અમૃતસર લાવવામાં આવ્યા હતા.
જોકે, છઠ્ઠી ફેબ્રુઆરીએ વિદેશમંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે ડિપૉર્ટેશનની પ્રક્રિયા વર્ષોથી ચાલુ છે. બુધવારે(5 ફેબ્રુઆરી)એ જે થયું તેમાં કંઈ નવું નથી.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વિદેશમંત્રી એસ. જયશંકરના જણાવ્યા મુજબ, "અમેરિકા વિમાન દ્વારા જે ડિપૉર્ટેશન કરે તેમાં તેની ધોરણસરની(સ્ટાન્ડર્ડ) પ્રક્રિયા હોય છે. તે 2012થી અમલમાં છે. આ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવતા લોકો પર કેટલાક પ્રતિબંધો હોય છે. જોકે, અધિકારીઓએ અમને કહ્યું છે કે મહિલાઓ અને બાળકો પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો નથી હોતા."
તેમણે કહ્યું, "આ ઉપરાંત, દેશનિકાલ કરાયેલા લોકોની અન્ય જરૂરિયાતો, જેમ કે ખોરાક, સારવાર અથવા અન્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. જરૂર પડે તો શૌચાલયનો ઉપયોગ કરવા માટે તેમની બેડીઓ પણ ખોલવામાં આવે છે."
વિદેશમંત્રીના જણાવ્યા અનુસાર, "આ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા ચાર્ટર્ડ વિમાનો તેમજ મિલિટરી ઍરક્રાફ્ટ પર લાગુ થાય છે. 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાથી આવેલી ફ્લાઇટમાં પણ તે જ પ્રક્રિયાનું પાલન થયું હતું. જોકે, ફ્લાઇટ દરમિયાન દેશનિકાલ કરાયેલા લોકો સાથે કોઈપણ રીતે દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે અમેરિકાની સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ."
સરકારે આપેલા જવાબ પરથી એવું લાગે છે કે જસપાલસિંહ જેવા લોકો સાથે વિમાનમાં જે થયું તેના વિશે ભારત સરકાર અમેરિકાને જાહેરમાં કોઈ સવાલ કરવાની નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ સાતમી ફેબ્રુઆરીએ મીડિયાના સવાલોના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે લોકોને જે રીતે લાવવામાં આવ્યા, તેના વિશે સવાલ ઉઠાવવા યોગ્ય છે.
તેમણે કહ્યું, "અમે એ વાત પર ભાર મુક્યો છે કે લોકોની સાથે સારો વર્તાવ થવો જોઈએ. જે લોકો હજુ ડિપૉર્ટ થવાના છે, તેમની સાથે પણ યોગ્ય વર્તણૂક થવી જોઈએ."
વિરોધપક્ષના સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
જો કે વિરોધપક્ષે આ મામલે સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે.
કૉંગ્રેસનાં નેતા અને વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી છે.
તેમણે કહ્યું છે, "મોદીજી અને ટ્રમ્પજી ખૂબ સારા મિત્રો છે તેવી ઘણી વાતો થઈ છે. તો પછી મોદીજીએ આવું કેમ થવા દીધું? શું માનવી સાથે એવી વર્તણૂક કરવામાં આવે છે કે તેમને હાથકડી અને બેડીઓ બાંધીને મોકલવામાં આવે? આ કોઈ રીત છે... વડા પ્રધાને જવાબ આપવો જોઈએ."
આ મુદ્દો શા માટે મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોનો સામૂહિક દેશનિકાલ કરવો એ પોતાના કાર્યકાળનું એક લક્ષ્યાંક બનાવ્યું છે. તેથી આ મહત્ત્વનો મુદ્દો છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના 2022ના આંકડા મુજબ અમેરિકામાં લગભગ 7.25 લાખ ભારતીયો ગેરકાયદે વસે છે.
અન્ય દેશોના નાગરિકો સહિત આ તમામ પર પણ કાર્યવાહી કરવામાં આવે અને તેમને પરત મોકલવામાં આવે તેવો ખતરો છે.
અમેરિકામાંથી ભારતીયોને ડિપૉર્ટ કરવા માટે અગાઉ ક્યારેય સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે જાણવા માટે બીબીસીએ જૂના મીડિયા રિપોર્ટ શોધ્યા. તેમાં જાણવા મળ્યું કે સૈન્ય વિમાનનો ભાગ્યે જ ઉપયોગ થયો હશે.
આ વિશે ભારતના વિદેશ મંત્રાલય પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ નથી મળ્યો.
બીબીસીએ અમેરિકન દૂતાવાસના પ્રવક્તાને પૂછ્યું કે અગાઉ ચાર્ટર્ડ પ્લેન અને ઍરલાઇન્સ મારફત લોકોને પરત મોકલવામાં આવતા હતા, ત્યારે હવે સૈન્ય વિમાનનો ઉપયોગ શા માટે કરાયો? આ ઉપરાંત લોકોએ સફર દરમિયાન પોતાની તકલીફો વિશે જણાવ્યું તેના વિશે તેઓ શું માને છે?
તેમણે જણાવ્યું કે, "અમેરિકન સેના ગેરકાયદે માઇગ્રન્ટને હઠાવવાની પ્રક્રિયા ઝડપથી થાય તે માટે સરકારના પ્રયાસોમાં મદદ કરી રહી છે. તેનાથી વિશેષ હું કંઈ નહીં જણાવું. આ લોકોએ અમેરિકા-મૅક્સિકો અથવા અમેરિકા-કૅનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાસે ત્યાં રહેવા માટે કોઈ કાનૂની આધાર ન હતો."
અમૃતસરની ફ્લાઇટનો ઉલ્લેખ કરતા અમેરિકાના બૉર્ડર પેટ્રોલ ઑર્ગેનાઇઝેશનના પ્રેસિડન્ટ માઇકલ બૅન્ક્સે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં ભારતીય નાગરિકો વિમાનની અંદર સાંકળોથી બંધાયેલી હાલતમાં બહુ મુશ્કેલીથી ચાલતા જોવા મળે છે.
તેમણે વીડિયો સાથે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, "અમે સૈન્ય પરિવહનનો ઉપયોગ કરીને ગેરકાયદે 'ઍલિયન્સ'ને સફળતાપૂર્વક ભારત પાછા મોકલી દીધા....ડિપૉર્ટેશન માટે આ અત્યાર સુધીની સૌથી લાંબી ઉડાન છે. આ મિશન ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા અને ઝડપી ડિપૉર્ટેશન માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે."
ચોથી ફેબ્રુઆરીએ તેમની સંસ્થાએ જણાવ્યું હતું કે ગેરકાયદે લોકોના ડિપૉર્ટેશન માટે ભારત ઉપરાંત મૅક્સિકો અને હોંડુરાસ પણ વિમાનો મોકલવામાં આવે છે.
'આ લોકો આતંકવાદી કે યુદ્ધબંદી નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે બીબીસીને જણાવ્યું કે તેમના અભિપ્રાય મુજબ ભારતે અત્યાર સુધી આ મુદ્દાને યોગ્ય રીતે હાથ ધર્યો છે.
"સરકારે કહ્યું છે તે મુજબ આપણી પ્રાથમિકતા એ લોકો સામે કાર્યવાહીની હોવી જોઈએ જેઓ લોકોને ગેરકાયદે બહાર મોકલે છે. મારું માનવું છે કે આ અમેરિકાની આંતરિક રાજનીતિનો ભાગ વધારે છે અને ભારત જેવા દેશો માટે સંદેશ ઓછો છે. ટ્રમ્પ પોતાના ચૂંટણીવાયદાનું પાલન કરવા માટે કેટલા પ્રતિબદ્ધ છે તે દેખાડવાનો પ્રયાસ ચાલે છે. મને લાગે છે કે સમય પસાર થવાની સાથે અમેરિકાના વર્તનમાં નરમાઈ આવશે."
રાજીવ ડોગરા ભારતના રાજદૂત રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રનાં સંસ્થાનોમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "ડિપૉર્ટેશન એ કોઈ નવો મુદ્દો નથી. પરંતુ ડિપૉર્ટેશનની પ્રક્રિયાએ આ વખતે ધ્યાન ખેંચ્યું છે. મારું માનવું છે કે અમેરિકાએ આના વિશે ફેરવિચારણા કરવી જોઈએ. જે લોકોને ડિપૉર્ટ કરવામાં આવી રહ્યા છે તેઓ આતંકવાદી કે યુદ્ધ અપરાધી નથી."
"આ એવા યુવાનો હોય છે જેમણે કાયદાનો ચોક્કસ ભંગ કર્યો છે, પરંતુ તેઓ માત્ર વિદેશમાં એક નવું જીવન શરૂ કરવા માંગતા હતા. આવા લોકો સાથે કેવો વ્યવહાર થાય છે, તે આપણે બધા જોઈ રહ્યા છીએ."
રાજીવ ડોગરા કહે છે, "હું કૂટનીતિને લગતો લગભગ 50 વર્ષનો અનુભવ ધરાવું છું. મારું કહેવું છે કે ડિપૉર્ટેશન માટે આવી સૈન્ય ઉડાનનું કોઈ ઉદાહરણ નથી જેમાં લોકોને કલાકો સુધી સાંકળો અને હાથકડીમાં બાંધી રાખવામાં આવ્યા હોય. કોઈ દેશ ગેરકાયદે નાગરિકોને ડિપૉર્ટ કરતું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પ્રક્રિયા આખા દેશમાં ચાલે છે. ભારત પણ બાંગ્લાદેશના ગેરકાયદે નાગરિકોને ડિપૉર્ટ કરે છે. પરંતુ આવું કરવાની એક સન્માનજનક પ્રક્રિયા છે. તેનું પાલન કરવામાં આવે છે."
અમેરિકાની નીતિનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયે ભારતીયો સાથે જે થયું, જેવો જ વર્તાવ ગયા મહિને દક્ષિણ અમેરિકાના દેશો બ્રાઝિલ અને કોલંબિયા સાથે પણ થયો હતો.
આ બંને દેશોના નાગરિકોને જ્યારે હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને ડિપૉર્ટ કરવામાં આવ્યા, ત્યારે તેમણે અમેરિકાનો જાહેરમાં વિરોધ કર્યો હતો.
કોલંબિયાએ તો અમેરિકાનું વિમાન પાછું મોકલાવી દીધું અને પોતાનાં સૈન્ય વિમાન અમેરિકા મોકલ્યાં જેથી પોતાના નાગરિકોને સન્માનપૂર્વક પરત લાવી શકાય.
પરંતુ ડોગરા આ વાત સાથે સહમત નથી.
તેઓ કહે છે, "જે દેશ પોતાના વિસ્તારમાંથી બીજા દેશોના નાગરિકોને પકડીને તેને ગેરકાયદે જાહેર કરે, ત્યારે તેની જવાબદારી બની જાય છે કે વૅરિફિકેશન પછી જ પોતાના દેશ પરત મોકલે. તેથી આ મામલે બધી જવાબદારી અમેરિકાની છે."
બીજી તરફ ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. ઍમ્નેસ્ટીએ ટ્રમ્પની સમગ્ર કાર્યવાહીને નુકસાનકારક, વંશવાદી, અરાજકતા ફેલાવનાર અને સમુદાયોને નુકસાન પહોંચાડનાર તરીકે ગણાવી છે.
તો શું ભારતે અમેરિકાની આ નીતિનો ઉગ્ર વિરોધ કરવો જોઈતો હતો?
રાજીવ ડોગરા કહે છે કે, "મને લાગે છે કે ભારત કોઈને કોઈ સ્વરૂપમાં આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવશે. મહત્ત્વની વાત એ છે કે અમેરિકા જેવા પશ્ચિમી દેશો જ દુનિયાને માનવઅધિકાર વિશે ભાષણ આપતા હતા. આજે જુઓ કે તેઓ કઈ રીતે વર્તી રહ્યા છે."
શશાંક પણ માને છે કે અમેરિકાએ ટૂંક સમયમાં પોતાની જરૂરિયાતોના કારણે આવી વર્તણૂક વિશે પુનઃવિચાર કરવો પડશે.
શશાંક કહે છે કે, "અમેરિકાને ઓછા પગારે કામ કરે તેવા લોકોની જરૂર છે. અમેરિકા જેને ડિપૉર્ટ કરી રહ્યું છે તે લોકો જ સસ્તામાં કામ કરે છે. તેથી શક્ય છે કે આ પ્રકારની નીતિ ચાલુ રાખવા અંગે કંઈક ચર્ચા થશે અને તેનું વલણ બદલાશે."
(બીબીસી પંજાબીના ગુરપ્રીત ચાવલાના સહયોગથી)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












