સદ્દામ હુસૈન પાસેથી યુકે અને યુએસને 'ગુપ્ત હથિયારો' કે તેના પુરાવા પણ કેમ ન મળ્યા?

ઇમેજ સ્રોત, JIM WATSON
- લેેખક, ગૉર્ડન કોરેરા
- પદ, સુરક્ષા સંવાદદાતા, બીબીસી
ઇરાક પર આક્રમણનાં વીસ વર્ષ પછી "સામૂહિક વિનાશનાં શસ્ત્રો"નું અસ્તિત્વ હજુ પણ વિવાદિત છે. આ હથિયારોના કાર્યક્રમને કારણે બ્રિટનને આ હુમલામાં ભાગ લેવાનું કારણ મળ્યું હતું.
સામૂહિક વિનાશના શસ્ત્રોની શોધ અંગેની નવી વિગતો બીબીસી સિરીઝ 'શૉક ઍન્ડ વૉરઃ ઇરાક 20 યર્સ ઑન'માં બહાર આવી છે. સિરીઝ ઇરાકમાં "સામૂહિક વિનાશનાં શસ્ત્રો"ની શોધમાં સીધા સંકળાયેલા ડઝનેક લોકો સાથેના ઇન્ટરવ્યૂ પર આધારિત છે.
2001ના છેલ્લા મહિનામાં જ્યારે MI6ના વરિષ્ઠ અધિકારીને અમેરિકા ઇરાક સાથેના યુદ્ધને લઈને ગંભીર છે એમ કહેવામાં આવ્યું તો તેઓ ચોંકી ગયા.
આ ઘટનાને યાદ કરતાં યુએસના ગુપ્તચર વિભાગ સીઆઈએના ઇરાક ઑપરેશન ગ્રૂપના વડા લુઈસ રુએડા કહે છે, "મને લાગ્યું કે તેમને ત્યાં ટેબલ પર બેઠા-બેઠા હાર્ટ ઍટેક આવી જશે. જો તેઓ સભ્ય માણસ ન હોત તો તો આવીને મને થપ્પડ જ મારી દેત."
આ સમાચાર ટૂંક સમયમાં બ્રિટનની 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડા પ્રધાનના નિવાસસ્થાન) સુધી પહોંચી ગયા, જે કોઈ રાજદ્વારીએ નહીં પણ જાસૂસોએ પહોંચાડ્યા હોવા જોઈએ.
તે સમયે MI6ના વડા સર રિચર્ડ ડિયરલવે બીબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇરાક આક્રમણ અંગે બ્રિટિશ વડા પ્રધાનને માહિતી આપનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
તેઓ કહે છે, "મેં વડા પ્રધાનને કહ્યું કે તમને ગમે કે ન ગમે, પરંતુ હવે તમે તૈયારી કરો કારણ કે એવું લાગે છે કે તેઓ (અમેરિકા) હુમલાની તૈયારી કરી રહ્યા છે."
બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સી MI6 તેના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ અને ગૂંચવણભર્યા પ્રકરણમાં સામેલ થવા જઈ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા માટે સામૂહિક વિનાશના શસ્ત્રોના મુદ્દા કરતાં વધારે મહત્ત્વનો મુદ્દો સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવવાનો હતો.
લુઈસ રૂએડા કહે છે, "જો સદ્દામ હુસૈન પાસે રબર બૅન્ડ અને પેપરક્લિપ હોત તો પણ અમે ઇરાક પર આક્રમણ કરી દીધું હોત."
બ્રિટનને ઇરાકના રાસાયણિક, જૈવિક અને પરમાણુ હથિયારોથી જોખમ હતું.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલીકવાર એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે "સામૂહિક વિનાશનાં શસ્ત્રો" હોવાનો દાવો બ્રિટનની સરકારે કર્યો હતો. પરંતુ તે સમયના મંત્રીઓનું કહેવું છે કે તેમને જાસૂસો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇરાક પાસે શસ્ત્રો છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન સર ટોની બ્લૅરે મને કહ્યું, "મને જે ગુપ્ત માહિતી મળી રહી હતી તેને સમજવી ખરેખર જરૂરી છે. હું જેના પર ભરોસો કરી રહ્યો હતો, મને લાગે છે કે મારે તેમ કરવું જોઈતું હતું."
આક્રમણની પૂર્વસંધ્યાએ તેમનું કહેવું છે કે તેમણે સંયુક્ત ગુપ્તચર સમિતિ પાસેથી આશ્વાસન માંગ્યું હતું. તેઓ ખોટા હોવા પર ગુપ્તચર એજન્સીની ટીકા કરવાનો ઇનકાર કરે છે.
બાકીના મંત્રીઓએ કહ્યું કે તેમને તે સમયે આ અંગે શંકા હતી.
તત્કાલીન વિદેશમંત્રી જેક સ્ટ્રૉ કહે છે, "ત્રણ ઘટનાઓ પર મેં રિચર્ડ ડિયરલવને પ્રશ્ન કર્યો અને આ ગુપ્ત માહિતીના સ્ત્રોત વિશે પૂછ્યું."
"મને આ અંગે અસ્વસ્થતાની લાગણી હતી. પરંતુ ડિયરલવે મને દરેક પ્રસંગે ખાતરી આપી હતી કે એજન્ટો વિશ્વસનીય છે."
જોકે જેક સ્ટ્રૉનું કહેવું છે કે નેતાઓએ આની જવાબદારી લેવાની હતી, છેવટે અંતિમ નિર્ણય તો તેઓ જ લેતા હતા.
જ્યારે બીબીસીએ તેમને પૂછ્યું કે શું તેઓ ઇરાકને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા તરીકે જુએ છે. આનો જવાબ તેમણે ‘ના’માં આપ્યો.
તેઓ આજે પણ માને છે કે ઇરાકમાં શસ્ત્રો હતાં અને કદાચ તેને ચોરીછુપીથી સીરિયામાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

સદ્દામ હુસૈન પાસે સામૂહિક વિનાશનાં શસ્ત્રો હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના તત્કાલીન સુરક્ષા અને ગુપ્તચર કોઑર્ડિનેટર સર ડેવિડ ઓમંડ કહે છે, "તે એક મોટી નિષ્ફળતા હતી."
તેમનુ કહેવું છે કે સદ્દામ હુસૈન પાસે સામૂહિક વિનાશનાં શસ્ત્રો હોવાના વિચારને સમર્થન આપતી માહિતી જ સરકારી નિષ્ણાતોના ધ્યાન પર લાવવામાં આવી હતી, જ્યારે તેને સમર્થન ન કરતી માહિતીને હટાવી દેવામાં આવી હતી.
MI6ની અંદરના કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ પણ આ અંગે ચિંતિત હતા.
ઇરાકમાં ફરજ બજાવતા એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે, "તે સમયે મને લાગ્યું કે અમે જે કરી રહ્યા હતા તે ખોટું હતું."
એક વરિષ્ઠ અધિકારી વર્ષ 2002નો ઉલ્લેખ કરતા કહે છે, "કોઈપણ પ્રકારની નવી કે વિશ્વસનીય ગુપ્ત માહિતીનું મૂલ્યાંકન નહોતું કરાયું, જેના આધારે એ અનુમાન લગાવી શકાય કે ઇરાકે સામૂહિક વિનાશના હથિયારોની યોજનાને ફરી શરૂ કરી દીધી છે અને તેનાથી ખતરો ઊભો થઈ ગયો છે."
"મને લાગે છે કે સરકારના દૃષ્ટિકોણથી એકમાત્ર એવી વાત હતી જેના આધારે તેઓ ઇરાકના સામૂહિક વિનાશના હથિયારોના મુદ્દાને ન્યાયી ઠેરવી શકે તેમ હતા."
2002ની વસંતઋતુમાં ઉપલબ્ધ ગુપ્ત માહિતી અસ્પષ્ટ હતી. લાંબા સમયથી ઇરાકમાં હાજર MI6 એજન્ટોને સામૂહિક વિનાશનાં શસ્ત્રો વિશે બહુ ઓછી અથવા નહિવત જાણકારી હતી.
આ કેસને મજબૂત કરવા માટે નવાં સૂત્રો પાસેથી નવી ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી. સપ્ટેમ્બર 2002માં ડોઝિયરની યોજના ઘડાઈ ત્યારે આમ કરાયું હતું.
ગુપ્તચર વિભાગના એક સૂત્ર એક સંદેશને ડીકોડ કરવાની વાત કરે છે. તે સંદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુપ્તચર એજન્સીની ભૂમિકા બ્રિટિશ જનતાને ઇરાક પર કાર્યવાહી કરવા માટે સમજાવવાથી વિશેષ નહોતી.

જૈવિક શસ્ત્રો પર કામ કરવા ઇરાકે મોબાઈલ લૅબ બનાવી હતી?

ઇમેજ સ્રોત, DAN KITWOOD
12 સપ્ટેમ્બર 2002ના રોજ, સર રિચાર્ડ ડિયરલવ ડાઉનિંગ સ્ટ્રીટમાં નવા સોર્સની ખબર લઈને આવ્યા. આ નવા સોર્સે કહ્યું કે સદ્દામ હુસૈને શસ્ત્રોનો કાર્યક્રમ ફરી શરૂ કરી દીધો છે અને સૂત્રે ટૂંક સમયમાં નવી વિગતો આપવાનું વચન આપ્યું.
ભલે આ સૂત્રની સંપૂર્ણ તપાસ કરવામાં આવી ન હતી અને તેની માહિતી નિષ્ણાતો સાથે શેર કરવામાં આવી ન હતી, પરંતુ તેની વિગતો વડા પ્રધાનને સોંપવામાં આવી હતી.
સર રિચાર્ડ આરોપોને નકારી કાઢે છે કે તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડા પ્રધાન)ની ખૂબ નજીક આવી ગયા હતા.
આગામી મહિનાઓમાં નવા સૂત્રે કોઈ પુરાવા આપ્યા ન હતા અને અંતે માની લેવામાં આવ્યું હતું કે તેમની પાસે કોઈ પુરાવા નથી.
સંભાવના હતી કે આ એવા સૂત્ર હતા જેઓ માહિતીના બદલામાં પૈસા કમાવા માંગતા હતા અથવા ઇરાકમાંથી સદ્દામ હુસૈનને હટાવી દેવા માંગતા હતા.
સર રિચર્ડ કહે છે, “જાન્યુઆરી 2003માં હું જોર્ડનમાં સદ્દામની ગુપ્તચર સેવાના એક માણસને મળ્યો હતો જે તેમની વિરુદ્ધ થઈ ગયો હતો. તેમણે દાવો કર્યો કે અમેરિકાને અંધારામાં રાખીને તેઓ જૈવિક શસ્ત્રો પર કામ કરવા માટે મોબાઈલ લૅબ બનાવી રહ્યા છે.
આ વ્યક્તિના દાવાને કારણે અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી કોલિન પૉવેલે સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, તેના પછી તરત જ અમેરિકી સરકારે એવુ કહીને ‘નોટિસ’ જારી કરી કે આ માહિતી પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
'કર્વબૉલ' કોડનેમ ધરાવતા એક અન્ય સોર્સ જેના પર યુએસ અને યુકેની સરકારો આધાર રાખતી હતી, તે પણ લૅબ વિશે માહિતી આપી રહ્યો હતો.

સામૂહિક વિનાશનાં શસ્ત્રોની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
2003ના યુદ્ધના થોડાં અઠવાડિયા પહેલાં મેં ઉત્તરી ઇરાકના હલબ્ઝા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો પાસેથી એ વાતો સાંભળી કે 1988માં જ્યારે સદ્દામ હુસૈનના દળોએ તેમના પર રાસાયણિક શસ્ત્રો છોડ્યાં હતાં.
ઇરાકના ટોચના વૈજ્ઞાનિકોમાંના એકે મને પાછળથી કહ્યું કે સદ્દામે 1990ના દાયકાની શરૂઆતમાં યુએનના શસ્ત્ર નિરીક્ષકો પાસેથી ક્લીનચિટ મેળવવાની આશામાં મોટાભાગના સામૂહિક વિનાશના હથિયારના પ્રોગ્રામનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકે કહ્યું કે ઈરાકી નેતાએ કદાચ પછીથી કાર્યક્રમ ફરી શરૂ કરી દીધો હશે. પરંતુ ઈરાકે ગુપ્ત રીતે બધું જ નષ્ટ કરી દીધું હતું. ઇરાક એવી ધાક જાળવી રાખવા માટે આવું કરી રહ્યો હતો જેથી સંદેશ જાય કે ઇરાક પાસે કંઈક છે જેનો ઉપયોગ તે પાડોશી દેશ ઈરાન સામે કરી શકે છે.
તેથી જ પાછળથી જ્યારે ઇરાક પાસે બધું નષ્ટ કરવાના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તે તેમ કરી શક્યું નહીં.
2002ના અંતમાં, યુએનના નિરીક્ષકો સામૂહિક વિનાશનાં શસ્ત્રોની તપાસ કરવા માટે ફરી ઇરાક આવ્યા હતા. તેમાંથી કેટલાકે બીબીસીને કહ્યું કે તેમને એવી સાઇટ્સ યાદ છે જ્યાં પશ્ચિમ દ્વારા સૂચિત મોબાઇલ લૅબમાં ગુપ્ત પ્લાન્ટ હોવાનું માનવામાં આવતું હતું.
જાન્યુઆરી 2003માં ટોની બ્લૅરે મજાકમાં સર રિચાર્ડને કહ્યું હતું કે "મારું ભવિષ્ય તમારા હાથમાં છે, કારણ કે સામૂહિક વિનાશનાં શસ્ત્રોના પુરાવા શોધવાનું દબાણ વધી રહ્યું છે."
સર રિચાર્ડ યાદ કરે છે, "તે સમયે તેઓ હતાશ હતા."
સર રિચાર્ડ યુએન હથિયાર નિરીક્ષકો પર "અક્ષમ" હોવાનો આરોપ મૂકે છે.
યુએનના રાસાયણિક અને જૈવિક તપાસના વડા હૅન્સ બ્લિક્સે બીબીસીને કહ્યું કે 2003ની શરૂઆત સુધી તેઓ પણ માનતા હતા કે ઇરાકમાં શસ્ત્રો હતા. પરંતુ ગુપ્ત માહિતી મળ્યા બાદ તેના અસ્તિત્વ પર શંકા જવા લાગી હતી. તેમને પુરાવા માટે થોડો વધુ સમય જોઈતો હતો, પરંતુ તેમને મળ્યો નહીં.
એક ભૂતપૂર્વ MI6 અધિકારીએ સૂત્રની યુદ્ધ પછીની આંતરિક સમીક્ષા યાદ કરતા કહે છે, “કોઈ ગંભીર પુરાવા ન મળવાથી યુદ્ધ માર્ચ 2003 સુધી અટકી શકે તેમ ન હતું અને તે પછી કોઈ જનસંહારના હથિયારો ન મળ્યા અને બધું વેરવિખેર થઈ ગયું.”
આ વાત જાસૂસો અને રાજકારણીઓ બંને માટે ઘેરા અને કાયમી પરિણામો છોડી જનારી નીવડી.














