'કુદરત કા નિઝામ' : પાકિસ્તાને ઇંગ્લૅન્ડને હરાવવું હોય તો શું કરવું? વસીમ અકરમે આપી સલાહ

ગુરુવારે બૅંગ્લુરૂમાં રમાયેલી વર્લ્ડકપની 41મી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 160 બૉલ બાકી રાખીને શ્રીલંકાની ટીમને પાંચ વિકેટે હરાવી હતી.

આ જીત સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, બંને સેમિફાઇનલમાં જગ્યા બનાવવાની આશા પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે.

બંને પાસે કાગળ પરનાં સમીકરણો આધારે સેમિફાઇનલમાં જગ્યા બનાવવાની સંભાવના તો છે, પરંતુ આવું માત્ર અમુક ચમત્કારથી જ શક્ય બની શકે છે. હજુ અફઘાનિસ્તાનની મૅચ દક્ષિણ આફિકા સાથે ચાલી રહી છે અને તેની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે.

ન્યૂઝીલૅન્ડ રન રેટના આધારે પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે અને હવે પાકિસ્તાને શનિવારે પોતાની અંતિમ મૅચ રમવાની છે.

પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે માત્ર આ મૅચ જીતવી જ નહીં પડે બલકે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં સારો રન રેટ પણ હાંસલ કરવો પડશે. ક્રિકેટ પૉર્ટલ ક્રિકઇન્ફો પ્રમાણે, અફઘાનિસ્તાનને જો નેટ રનરેટના આધારે ન્યૂઝીલૅન્ડથી આગળ નીકળવું હોય તો તેણે ઓછામાં ઓછા 438 રન બનાવવા પડશે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન પાસે છે અશક્ય લાગતી સંભાવનાઓ

તેમજ પાકિસ્તાનને સેમિફાઇનલમાં જગ્યા હાંસલ કરવી હોય તો તેણે ઇંગ્લૅન્ડને ઓછામાં ઓછા 287 રન હરાવવું પડશે, તેમજ જો ઇંગ્લૅન્ડ પ્રથમ બેટિંગ કરીને માત્ર 150 રન જ બનાવી શકે તો પાકિસ્તાને 3.4 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લેવું પડે.

દેખીતું છે કે દરેક બૉલ પર છગ્ગો ફટકારીને પણ આ લક્ષ્ય હાંસલ ન કરી શકાય. પરંતુ પાકિસ્તાનના કેટલાક ક્રિકેટ પ્રશંસકો ઇચ્છી રહ્યા છે કે કંઈક તો એવું થાય જેથી તેમની ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લે.

સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે પાકિસ્તાન સામે આવી અસંભવ પરિસ્થિતિ સર્જાઈ જ ન હોત જો ગુરુવારના રોજ શ્રીલંકાએ જીત હાંસલ કરી હોત અને એ પણ ભારે અંતર સાથે.

પરંતુ તેનો બેટિંગ ઑર્ડર ખૂબ ખરાબ રીતે ધરાશાયી થઈ ગયો અ સમગ્ર ટીમ 46.4 ઓવરમાં માત્ર 171 રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા ન્યૂઝીલૅન્ડે પાંચ વિકેટ બાકી રાખીને 24મી ઓવરમાં જ આ મૅચ જીતી લીધી. જેના કારણે હવે નેટ રનરેટ મામલે તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ખૂબ ઉપર પહોંચી ગયું છે.

'કુદરત કા નિઝામ' પાકિસ્તાની પ્રશંસકોની પ્રાર્થના

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પાકિસ્તાનના પ્રશંસકો કાલની મૅચ બાદ નિરાશ છે. જોકે, એવા પણ કેટલાક છે જેઓ ‘કુદરતના નિઝામ’ પર ભરોસો કરી રહ્યા છે.

હકીકતમાં 'કુદરતનો નિઝામ' એ શબ્દ છે, જેનો પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસક એ પરિસ્થિતિ માટે ઉપયોગ કરે છે, જ્યારે ટુર્નામેન્ટમાં હારના કારણે પાછળ રહી ગયેલી પાકિસ્તાની ટીમ અસંભવ દેખાઈ રહેલી પરિસ્થિતિઓ છતાં બીજા તબક્કામાં જગ્યા બનાવી લે છે.

આવી સ્થિતિમાં અમુક પ્રશંસકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે કોઈ ચમત્કાર થશે જેથી પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચશે.

@dor_raho_yaarrr હૅન્ડલવાળા એક યૂઝર એક્સ (અગાઉનું ટ્વિટર) પ્લૅટફૉર્મ પર લખે છે, “જો આપણે ઇંગ્લૅન્ડને 400 કરતાં વધુ લક્ષ્ય આપીએ અને તેમને 100 રન નીચે સમેટી દઈએ તો આપણે સેમિફાઇનલમાં પહોંચી શકીએ છીએ. પ્લીઝ અલ્લાહ, કાલે અમને કુદરતના નિઝામની જરૂરિયાત છે.”

ફરીદ ખાન નામના એક યૂઝરે પૂછ્યું કે પ્રામાણિકતાથી જણાવો, "શું આપણે હજુ પણ સેમિફાઇનલમાં પહોંચી શકીએ?" આ અંગે @PTIKhan__Fan નામના યૂઝરે જવાબ આપ્યો, “મને પૂરો વિશ્વાસ છે કે 'કુદરતનો નિઝામ' આપણને અધવચ્ચે મૂકી નહીં જાય, હજુ આપણી અંતિમ મૅચ બાકી છે.”

હવે ‘તાળા’ની જ આશા

પાકિસ્તાનની લીગ સ્ટેજની અંતિમ મૅચ શનિવારે ઇંગ્લૅન્ડ સાથે જ થશે. ક્રિકેટરો અને ઘણા પ્રશંસકોનું કહેવું છે કે હવે સેમિફાઇનલ વિશે વિચાર કરીને કોઈ ફાયદો નથી.

પાકિસ્તાની સ્પૉર્ટ્સ ચેનલ એ સ્પૉર્ટ્સના શો ‘ધ પેવેલિયન’ના હોસ્ટ ફખર એ આલમે જણાવ્યું કે ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ પર હળવા અંદાજમાં ટિપ્પણી કરી છે.

આલમના જણાવ્યા અનુસાર, અકરમે શો પર આવતા પહેલાં કહ્યું, “પાકિસ્તાન પહેલા બેટિંગ કરીને સ્કોર બનાવે અને પછી ઇંગ્લૅન્ડના ડ્રેસિંગ રૂમે જઈને બહારથી તાળું મારી દે, પછી 20 મિનિટની અંદર બધાને ટાઇમ આઉટ કરાવી દે. આવી રીતે મૅચ પણ જીતી જશો અને રનરેટ પણ બની જશે.”

જોકે, આ કાર્યક્રમમાં આવનારા ભૂતપૂર્વ ક્રિકેટરો વસીમ અકરમ, મિસબાહ-ઉલ-હક, મોઇન ખાન અને શોએબ મલિક બધાનું કહેવું હતું કે પાકિસ્તાની ક્રિકેટરોએ માત્ર આ મૅચ પર જ ફોકસ કરવું જોઈએ.

તેમનું કહેવું હતું કે એવું જ સારું રહેશે કે પાકિસ્તાન એક જીત સાથે આ વર્લ્ડકપમાં પોતાની સફરનો અંત આણે.