You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રખડતાં કૂતરાં માણસની પાછળ કેમ દોડે છે, એવા સમયે તમારે શું કરવું જોઈએ?
રખડતાં કૂતરાં અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશ બાદથી આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
કેન્દ્રીય પશુપાલન મંત્રાલયના આંકડા પ્રમાણે કૂતરું કરડવાના કેસોમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.
11 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે પાટનગર દિલ્હી અને અન્ય શહેરોમાં વધેલા કૂતરાં કરડવાના કેસો અંગે આકરી પ્રતિક્રિયા આપી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનને આસપાસના વિસ્તારોમાં રખડતાં કૂતરાંને શિફ્ટ કરવા માટે મોટા પાયે શેલ્ટર હોમ્સ બનાવવાના નિર્દેશ આપ્યા.
જસ્ટિસ જેબી પારડીવાલા અને આર. મહાદેવનની બે જજોની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે આ શેલ્ટર હોમ્સમાં ખસીકરણ, રસીકરણ અને સીસીટીવી કૅમેરા જરૂર હોવા જોઈએ.
11 ઑગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે પણ કંઈક આવું જ વલણ અખત્યાર કર્યું હતું. હાઇકોર્ટે જયપુર, જોધપુર અને ઉદયપુર શહેરોના રસ્તા પરથી રખડતાં કૂતરાં અને અન્ય રખડતાં પ્રાણીઓની સમસ્યા દૂર કરવાના નિર્દેશ સંબંધિત સત્તામંડળોને આપ્યા.
કૂતરાં કરડવાના કેસોમાં વધારો
વર્ષ 2022માં આખા દેશમાં કૂતરાં કરડવાના 21,89,909 કેસો નોંધાયા હતા. વર્ષ 2023માં આ આંકડો વધીને 30,52,521 થયો. 2024માં 37,15,713 થયો.
કેન્દ્રીય પશુપાલન મંત્રાલય પ્રમાણે માત્ર જાન્યુઆરી 2025માં જ કૂતરું કરડવાના 4,29,664 કેસો નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં પણ કૂતરું કરડવાના કેસોમાં વર્ષ 2022થી સતત વધારો જોવો મળ્યો છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની એક રિલીઝ અનુસાર વર્ષ 2022માં રાજ્યમાં કૂતરું કરડવાના 1,69,363 કેસ થયા હતા. જે વર્ષ 2023માં વધીને 2,78,537 થયા હતા. વર્ષ 2024માં તો આ સંખ્યા વધીને 3,92,837 થઈ ગઈ હતી. આંકડા અનુસાર રાજ્યમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં કૂતરું કરડવાના 53,942 કેસ નોંધાયા હતા.
રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં વર્ષ 2022માં કૂતરું કરડવાના 6,691 કેસો નોંધાયા હતા, આ સંખ્યામાં પછીનાં વર્ષોમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
વર્ષ 2023માં દિલ્હીમાં કૂતરું કરડવાના 17,874 કેસો રિપોર્ટ થયા હતા, અને 2024માં આ સંખ્યા 25,120 સુધી પહોંચી ગઈ હતી.
કૂતરાં શા માટે માણસ પર હુમલો કરે છે?
પશુચિકિત્સક અજય સુદ માને છે કે કૂતરાં માણસ પર 'અસલામતી'ને કારણે હુમલો કરે છે.
તેમણે જણાવ્યું, "દરેક કૂતરું એક ચોક્કસ વિસ્તારને પોતાનું ક્ષેત્ર માને છે. હવે તેમનાં ગલુડિયાં પણ ઝડપથી થઈ રહ્યાં છે. બીજી બાજુ માણસોની વસતી પણ વધી રહી છે. આના કારણે કૂતરાંનું ક્ષેત્ર ઝડપથી ઘટી રહ્યું છે. જેથી તે અસલામત અનુભવે છે. તેમને લાગે છે કે માણસો તેમના ક્ષેત્રમાં દબાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તે આક્રમક વર્તન કરે છે."
અજય સુદ સમજાવે છે કે, "ઘણી વાર કૂતરાં માણસને ગભરાવવાની પ્રવૃત્તિને રમત ગણે છે. જ્યારે તે લોકોનો પીછો કરે છે, તો લોકો ભાગી જાય છે. આ જોઈને, તેમને ખબર પડી જાય છે કે માણસો તેમનાથી ગભરાય છે. આ પ્રક્રિયામાં કેટલીક વાર એ હુમલો કરે છે અને લોકોને બચકું ભરી લે છે."
શેરી પરના કૂતરાં વધુ તાપમાન, ભોજનના અભાવ, ઘોંઘાટ અને તીવ્ર પ્રકાશને કારણે પણ આક્રમક બની જાય છે.
ઘણી વાર તે ભૂતકાળની કોઈ ઘટના યાદ કરીને પણ આક્રમક બની જાય છે. જો કોઈ તેને પથ્થરથી મારે તો તે હુમલો કરવાનો પ્રયાસ કરશે.
જો કોઈ વાહન અકસ્માતમાં કૂતરાંને ઈજા થઈ હોય તો તે એ અનુભવને યાદ રાખીને સામે આવતા વાહન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે.
જોકે, ખરેખર કૂતરાં આવું કેમ કરે છે એ ચોક્કસપણે કહેવું ખૂબ મુશ્કેલ છે.
જો રખડતાં કૂતરાં તમારી પાછળ દોડે તો શું કરવું?
જો વાહન પર જતી વખતે કૂતરું તમારી પાછળ દોડે તો તમારે થોડી ગતિ વધારવી જોઈએ. એ બાદ કૂતરું રોકાઈ જશે. ચાલતી વખતે લાકડી કે અન્ય કોઈ વસ્તુ હાથમાં રાખવી જોઈએ. મોટાં ભાગનાં કૂતરાં હુમલો નથી કરતાં, તે લોકોના મનમાં ડર બેસાડવાનો પ્રયાસ કરે છે.
જો તમે કોઈ અવાજ કરો તો કૂતરું પાછળ હઠી જશે અથવા તેને એ ગભરાય એવું કંઈક બતાવો. આપણે એ સમજવાની જરૂર છે કે જો કૂતરું ભસતું હોય તો એ કોઈ સામાન્ય કૂતરું નથી, એ થોડું આક્રમક કૂતરું છે.
પછી આપણે સ્થિતિને સમજવાની અને એ પ્રમાણે વર્તવાની જરૂર હોય છે.
બાળકોને એકલાં ન છોડવાં જોઈએ. ઘણાં કૂતરાં એકલા મુકાયેલા બાળક પર હુમલો કરી દે છે.
જ્યારે કૂતરાં જૂથમાં હોય ત્યારે તેમની નિકટ ન જાઓ એ જ સારું રહેશે.
પાલતું કૂતરાં કેમ બચકું ભરે છે?
ડૉ. અજય સુદ કહે છે કે પાલતું કૂતરાંને તેના માલિકો દ્વારા આક્રમક રહેવાનું શિખવાડાય છે.
"બે-ત્રણ મહિનાનાં ગલુડિયાં લગભગ બધું તેના મોં વડે જ પકડે છે. એ સમયે માલિકો તેને તેના જડબા વડે વસ્તુઓ પકડતાં રોકતા નથી. તેઓ તેને રમતું જોઈને આનંદ માણે છે. બાદમાં, આ તેના માટે આદત બની જાય છે. ખરેખર તો આ જ ઉંમરે તેને સારી ટેવો શિખવાડવાની જરૂર હોય છે."
સુદ કહે છે કે ભોજન અને પાણીનું અસંતુલન પણ તેના આક્રમક વર્તનનું કારણ હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "અમુક વખત પાલતું કૂતરાંને તેની જરૂરિયાત કરતાં વધુ ભોજન આપી દેવાય છે. તેને વધુ કસરત કરવાની તક મળતી નથી. આ પ્રકારની સ્થિતિમાં તેની શારીરિક શક્તિ ખર્ચાતી નથી. આ બાબત તેની આક્રમકતાનું કારણ બની શકે છે."
પાલતું પશુઓ માટે કામ કરતી સંસ્થા 'ફ્રેડિકોઝ'ના અભિષેકસિંહ રખડતાં કૂતરાં અને પાલતું કૂતરાંમાંથી કોણ વધુ જોખમી એ સવાલનો જવાબ આપતાં કહે છે કે આ બધું તેની જાત પર આધારિત હોય છે. તેઓ કહે છે કે હાઇપરબ્રીડ કૂતરા વધુ આક્રમક હોય છે.
તેઓ કહે છે કે, "જો કૂતરું હાઇપરબ્રીડ હોય ક્યારે અને કેવી રીતે તેનું વર્તન બદલાશે એ કોઈ ન કહી શકે."
કયાં કૂતરાં વધુ ખતરનાક?
ડૉ. સુદ કહે છે કે પાલતું કૂતરાં અને રખડતાં કૂતરાંના કરડવાના વર્તનમાં ફરક છે. તેઓ કહે છે કે પાલતું કૂતરું એક વખત બચકું ભરશે તો પાછું હઠી જશે.
ડૉ. સુદે સમજાવ્યું, "સામાન્ય રીતે પાલતું કૂતરામાં પોતે કંઈ ખોટું કર્યું છે એ સમજવાની શક્તિ હોય છે. તેથી એક વખત કરડ્યા પછી તે પાછું હઠે છે, પરંતુ રખડતાં કૂતરાં આવાં નથી હોતાં. તેનામાં શિકારી વૃત્તિ હોય છે. તે આક્રમક સ્વભાવ સાથે જ પેદા થયા હોય છે."
પાલતું કૂતરાનું રસીકરણ થયેલું હોય છે, પરંતુ પાલતું કૂતરાનું નહીં. તેથી પાલતું કૂતરાં કરડે તો તેવી સ્થિતિમાં હડકવા થવાની શક્યતા વધુ હોય છે.
જો હડકાયું કૂતરું કરડે તો શું કરવું?
"સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો તમને હડકાયું કૂતરું કરડે તો આવી સ્થિતિમાં તેના પર ચાર દિવસ સુધી ધ્યાન રાખવું. જો એ હજુ જીવિત હોય તો વાંધો નથી, પરંતુ જો એ મરી જાય, તો એ તમારા માટે ખૂબ ખતરનાક સ્થિતિ બની જાય છે."
ડૉ. સુદ કહે છે કે, "હડકવાનો ચેપ લાગ્યાના ચારથી દસ દિવસમાં કૂતરાંનું મૃત્યુ થઈ જાય છે. તેને એ જ દિવસે હડકવાનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. તેથી વડીલો આવી સ્થિતિમાં કૂતરાં પર ચાર દિવસ સુધી ધ્યાન દેવાનું કહી ગયા છે. જો એ મરી જાય તો તમારે ફરિજયાતપણે ઇન્જેક્શન લેવાં માટે જવું પડે."
હડકવાનો ચેપ ન લાગે એ માટે શું કરવું?
ઘણા લોકોને એવો ભય હોય છે કે જો કૂતરું તેમને કરડશે તો તેમને હડકવાનો ચેપ લાગી જશે.
હડકવાના બે પ્રકાર હોય છે.
એક હોય મૂંગો હડકવા. આનો ચેપ લાગે તો કૂતરાંના જ્ઞાનતંતુ નબળા પડી જાય છે. એ હલનચલન ન કરી શકે અને એક જ જગ્યાએ બેસી જાય છે. બાદમાં એ લકવાને કારણે ચાર દિવસમાં મરી જાય છે.
બીજો છે આક્રમક હડકવા. તેમાં ચેપગ્રસ્ત કૂતરાંને મરવામાં દસ દિવસ લાગે છે. આ દરમિયાન એ ખૂબ વધુ ગુસ્સાવાળો અને આક્રમક બની જાય છે.
ડૉ. સુદ કહે છે કે, "જો કૂતરાંને આક્રમક હડકવાનો ચેપ લાગ્યો હોય તો, એ તેની લાળ પણ નથી ગળી શકતો. તેના ગળાના જ્ઞાનતંતુ લકવાગ્રસ્ત થઈ ગયા હોય છે. આ રોગથી એ હજુ વધુ ચીડાયેલો રહેવા લાગે છે અને મનુષ્યો પર હુમલા કરવા લાગે છે."
કૂતરો કરડે તો ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ઘાને ધુઓ. બાદમાં તેના પર બેટાડાઇન ક્રીમ લગાવી લો.
"સામાન્ય રીતે પાલતું કૂતરાંનું રસીકરણ થયેલું હોય છે, તેથી તેનાથી હડકવાનું કોઈ જોખમ નથી હોતું. આ કારણે તેને સામાન્ય ઈજા જ ગણવી જોઈએ. જો પાલતું કૂતરો કરડે તો તેના પર ધ્યાન રાખવું જોઈએ. આ સ્થિતિમાં હડકવાની રસી લેવી જોઈએ."
ડૉ. સુદ સમજાવે છે કે, "કૂતરું કરડ્યા બાદ તમારે આગામી દસ દિવસ સુધી મેડિકલ સુપરવિઝન હેઠળ રહેવું જોઈએ. તમારે કુલ પાંચ ઇન્જેક્શન લેવાં જોઈએ, પહેલું ઇન્જેક્શન કૂતરો કરડે એ દિવસે જ લેવો જોઈએ, બાદમાં તેના ત્રીજા, સાતમા,ચૌદમા અને અઠ્યાવીસમા દિવસે ઇન્જેક્શન લેવાં જોઈએ."
હડકવાવિરોધી ઇન્જેક્શન પહેલાં 'ઇમ્યુનોગ્લોબ્યુલિન' નામક ઇન્જેક્શન જરૂર લેવું જોઈએ. જે સરકારી હૉસ્પિટલોમાં મફતમાં અપાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન