ગુજરાત 2002 રમખાણો : બ્રિટિશ નાગરિકોની હત્યાના આરોપીઓને નિર્દોષ જાહેર કરતો નીચલી કોર્ટનો ચુકાદો હાઇકોર્ટે માન્ય રાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં ત્રણ બ્રિટિશ નાગરિકો સહિત, કુલ ચાર લોકોની હત્યાના કેસમાં છ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના નીચલી અદાલતના વર્ષ 2015ના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખ્યો છે.
28મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં હિમ્મતનગરના પ્રાંતિજમાં એક ટોળાએ ચાર લોકોને મારી નાંખ્યા હતા. આ કેસમાં નીચલી અદાલતે આ કેસના આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જોકે, આ ચુકાદાની વિરુદ્ધમાં ભોગ બનનારા ઇમરાન દાઉદે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીના સંદર્ભમાં પોતાના ઑર્ડરમાં ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે પોલીસ તપાસ દરમિયાન પુરાવાના અભાવને કારણે આ છ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
6 માર્ચ, 2025ના આ ઑર્ડર પ્રમાણે – કોર્ટને આ કેસમાં કોઈ એવા પુરાવા મળ્યા નથી કે જેનાથી તે નીચલી કોર્ટના ચુકાદામાં કંઈ ફેરફાર કરી શકે, જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ, સાબરકાંઠા દ્વારા છ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
સઇદ દાઉદ, સકીલ દાઉદ, મોહમ્મદ અબ્દુલ અસ્વર (તમામ બ્રિટિશ નાગરિકો) અને યુસુફ પાલેગર (નવસારીના રહેવાસી) નામના ચાર લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં, જેમાં તેમની ઉપર એક ટોળાએ હથિયારોથી હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનામાં ઇમરાન દાઉદ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવા છતાં તેઓ બચી જવા પામ્યા હતા.
આ ઘટના બાદ પ્રાંતિજમાં પોલીસ ફરિયાદ થઇ હતી, જેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી હતી, પરંતુ થોડા સમય બાદ તેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા રચના કરવામાં આવેલી SITને સોંપવામાં આવી હતી. આ ગુના બદલ કુલ છ આરોપીની ધરપકડ થઈ હતી જેમાં મીઠાભાઈ પટેલ, રાકેશ પટેલ, ચંદુભાઈ પટેલ, કાળાભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને મનોજભાઈ પટેલ નામના લોકોનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2015માં સાબરકાંઠાની સેશન્સ કોર્ટે આ તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા. બીબીસીએ તેમાથી અમુક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ગુનામાં જેમની ધરપકડ થઈ હતી, તે મીઠાભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આખરે અમારી સાથે ન્યાય થયો છે. હું ગુનાના સ્થળે હાજર ન હતો, મેં કંઈ કર્યું ન હતું. મરનાર લોકો સાથે મને સહાનુભૂતિ છે, પરંતુ મને ખુશી છે કે મારે હવે કોર્ટ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. આ કેસ પછી મેં મારી નોકરી ગુમાવી, રોજગારી ગુમાવી અને જીવનનાં અમૂલ્ય વર્ષો ગુમાવ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં વર્ષ 2002ની શું હતી ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેસની વિગતો પ્રમાણે, ભોગ બનનારા તમામ પાંચ લોકો આગ્રા અને જયપુરનો પ્રવાસ કરીને નવસારી તરફ જતા હતા. યુ.કે.માં વસવાટ કરતા આ લોકો ભારતમાં રજાઓ માણવા માટે આવ્યા હતા.
પોલીસ ફરિયાદ પ્રમાણે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ સાંજે 6 વાગે તેમની કારને એક ટોળાએ રોક્યા, જેમણે તેમને તેમના ધર્મ વિશે પૂછ્યું, અને જ્યારે તેમને ખબર પડી કે આ લોકો મુસ્લિમ ધર્મના છે તો તેમના પર હુમલો કરી દીધો હતો.
તેમની ગાડીના ડ્રાઇવર યુસુફ પાલેગરને કારની સાથે જીવતો સળગાવી દેવામાં આવ્યા હતા, જ્યારે બીજા તમામ લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો. હુમલા બાદ અસ્વર અને ઇમરાનને પોલીસ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગઇ હતી, જેમાં અસ્વરનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
થોડા દિવસો બાદ સઇદ અને સકીલના શરીરના બળી ગયેલા અવશેષો ઘટનાસ્થળની બાજુમાં આવેલી રબર ફેક્ટરીમાંથી મળ્યા હતા.
કોર્ટમાં પોતાની જુબાનીમાં ઇમરાને જણાવ્યું હતું, 'આશરે 5.30 (ફેબ્રુઆરી 28, 2002ના રોજ) વાગ્યે તેઓ જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક પોલીસ અધિકારીને પૂછ્યું હતું કે 'શું આ રસ્તો તેમના માટે સુરક્ષિત છે', તેમણે કહ્યું હતું કે તે રસ્તો સુરક્ષિત છે."
ઇમરાને વધુમાં તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે, "આશરે 6 વાગ્યાની આસપાસ લગભગ 15થી 20 લોકોના ટોળાએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુસુફે ગાડી રોકી ન હતી, ત્યાર બાદ ટોળું તેમની ગાડીની પાછળ દોડ્યું, પરંતુ ગાડી સુધી પહોંચી શક્યું ન હતું. પરંતુ થોડે આગળ લગભગ 20 મોટરસાઇકલ પર સવાર લોકોએ ફરીથી તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો, યુસુફે રોડની બાજુથી ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તો બંધ હોવાથી તેમણે ગાડી રોકી દેવી પડી હતી."
જોકે, કેસની વિગતો પ્રમાણે આ ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી, જેમાં યુસુફ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઇમરાન અને બીજા લોકો પર હુમલો થયો હતો.
આ કેસમાં અનેક સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, જેમાંથી અમુક લોકોએ પોતાની જુબાની ફેરવી દીધી છે.
પ્રવીણ પટેલ, જે આ કેસના એક સાક્ષી છે. તેમણે આ ઘટનાને દૂરથી જોઈ હતી.
તેમણે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું, "અમે જોયું કે ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી, જ્યારે બે લોકો ભાગી ગયા હતા, અને બીજા બે ઉપર હુમલો થયો હતો."
પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, 'તેમણે જ્યારે એક પોલીસ જીપ ત્યાંથી પસાર થતા જોઇ ત્યારે તેમને આ ઘટનાની જાણ કરી હતી.'
ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યાર બાદ એક પોલીસ વાનમાં અસ્વર અને ઇમરાનને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જોકે, બીજા બે લોકોની કોઈ ભાળ તે સમયે પોલીસને મળી ન હતી. હૉસ્પિટલમાં અસ્વરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની ફરિયાદ 2002માં નોંધાઈ હતી, જેની તપાસ 2008માં SIT ને સોંપવામાં આવી હતી, જેણે 2009માં ચાર્જ ફ્રેમ કર્યા હતા અને 2015માં નીચલી કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો. જેમાં છ આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
બ્રિટિશ નાગરિકોનાં મૃત્યુ અને બ્રિટિશ દૂતાવાસ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
મરનાર સઇદ દાઉદના ભાઈ, બિલાલ દાઉદે બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર, મુંબઈ ખાતે આ ઘટનાની રજૂઆત કરી હતી.
તે સમયના અધિકારી આયન રિક્સે, બિલાલ અને સ્થાનિક પોલીસ સાથે ગુનાના સ્થળની મુલાકાત લીધી હતી.
તેમની મુલાકાત દરમિયાન તેઓ 'ફ્લૅક્સિસ ગમ્મી હૉશ પ્રાઇવેટ લિમિટેડ' નામની એક રબર ફેક્ટરીમાં ગયા હતા, જે રોડથી 400 મીટર જેટલી દૂર હતી. આ ફેક્ટરીમાં 'તોફાની તત્ત્વો'એ આગ લગાવી દીધી હતી.
તેમને આ બળેલી ફેક્ટરીમાંથી માનવીય અવશેષો મળ્યા હતા, આ નમૂનાઓને તેમણે ફોરેન્સિક સાઇન્સ લૅબોરેટરી, હૈદરાબાદમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
બ્રિટિશ દૂતાવાસે આ નમૂનાઓને બિલાલના લોહીના નમૂના સાથે ચકાસવા માટે બિલાલના લોહીનું સૅમ્પલ પણ લેવામાં આવ્યું હતું.
જોકે, ત્યાર બાદ બ્રિટિશ હાઈકમિશનરની કચેરીને 24 માર્ચ, 2002ના રોજ એક બેનામી ફૅક્સ પણ મળ્યો હતો, જેમાં એક વ્યક્તિનું નામ અને તે વ્યક્તિ જ ટોળાની આગેવાની કરી રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ ફૅક્સને હાઈકમિશનરની કચેરીએ ગુજરાતના ડી.જી.પી.ને મોકલ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
બચાવ પક્ષના વકીલ, વિજય એચ. પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "એ બદનસીબીની વાત છે કે, પોલીસ સાચા આરોપીઓને પકડી નથી શકી. પોલીસ આ ફૅક્સ ક્યાંથી આવ્યો હતો, કોણે મોકલ્યો હતો, તેની પણ તપાસ કરી નથી શકી. જે ખરેખર સાચા આરોપીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકી હોત."
તેમણે વધુમાં જણાવ્યું કે "સાચા આરોપીઓ મળ્યા નહીં, એટલે જે આગેવાનો હતા, જે સમાજના નાનાં મોટાં કામો સાથે સંકળાયેલા હતા, તેમનાં નામો લખીને તેમને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા, એટલા માટે ન તો તેમની સામે કોઈ પુરાવા હતા, કે ન તેમની ઓળખ પણ થઈ શકી હતી."
આ ગુનામાં મનોજ પટેલની પણ ધરપકડ થઇ હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મનોજ પટેલે કહ્યું, "2002 થી 2015 મારે દરેક પોલીસ સ્ટેશન અને કોર્ટની મુલાકાત લેવી પડી હતી. એક કે બીજી રીતે મને વારેઘડીએ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતો હતો. મારે છ મહીના જેલમાં વિતાવવા પડ્યા અને મારી ખેતીની જમીન પણ વેચી દેવી પડી છે."
કયા આધારે આરોપીઓ નિર્દોષ છૂટ્યા?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સામાન્ય રીતે કોઈ પણ ગુનો બને તો ગુનાને નજરે જોનારા સાક્ષીને સામે શંકાસ્પદ લોકોને લાવવામાં આવે છે, તેમની ઓળખ કરાવવામાં આવે છે. આ ગુનામાં ફરિયાદી અને ઘટનાના સાક્ષી ઇમરાને, ધરપકડ કરાયેલા લોકોને ઓળખી બતાવવાના હતા. આ માટે તેમણે યુ.કે.થી વીડિયો કૉલથી ઓળખ પરેડમાં ભાગ લીધો હતો.
જોકે, આ ઓળખ પરેડને નીચલી અદાલતે ઠોસ પુરાવા તરીકે નહોતી ગણી.
ઓળખ પરેડ દરમિયાન તેમણે કહ્યું હતું, "આ લોકો ટોળામાં હતા તેવા લાગે છે, અત્યારે 8 વર્ષ થઈ ગયાં છે."
આ કેસ સંદર્ભે બીબીસી ગુજરાતીએ ગુજરાત હાઇકોર્ટમાં ઇમરાનના વકીલ નાસીર સૈયદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તેમણે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે ફરિયાદ નોંધતા સમયે આરોપીઓની કોઈ વિગત એફ.આઇ.આર.માં નોંધવામાં આવી ન હતી.
બચાવ પક્ષના બીજા વકીલ રશ્મીન જાનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "કોઈ પણ આરોપીની ભૂમિકા પોલીસ પોતાની તપાસમાં નક્કી કરી શકી ન હતી. તેમણે શું કર્યું હતું? કેવી રીતે ગુનો આચર્યો હતો? તેવી કોઈ જ માહિતી પોલીસ પાસે ન હતી."
આ કેસની તપાસ સમયે આરોપીઓના લાઈ-ડિટેક્શન ટેસ્ટ પર કરવામાં આવ્યા હતા.
જોકે, તેને પણ કોર્ટે ઠોસ પુરાવા તરીકે નહોતા ગણ્યા.
વસંત પટેલ નામના એફ.એસ.એલ. અધિકારીએ તેમનો લાઈ-ડિટેક્શન ટેસ્ટ કર્યો હતો.
તેમણે તપાસકર્તાઓને જણાવ્યું હતું, "ટેસ્ટનાં પરિણામોમાં એવું જાણવા મળ્યું હતું કે મીઠાભાઈ અને રાકેશભાઈ ખોટું નહોતા બોલી રહ્યા, જ્યારે ચંદુભાઈ અને કાલાભાઈ ખોટું બોલી રહ્યા હતા, જ્યારે મનોજભાઈ અને રમેશભાઈ પર ગુનો આચરવા માટે શંકા જઈ શકે છે તેવું લાગી રહ્યું હતું. જ્યારે કોર્ટે તેમને પૂછ્યું હતું કે આ લાઈ-ડિટેક્શન માટે પોલીસે કોર્ટની પરવાનગી લીધી હતી, તો તેનો જવાબ તેઓ આપી શક્યા ન હતા અને જણાવ્યું હતું કે માત્ર આરોપીઓની મરજીથી આ લાઈ-ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















