બાંગ્લાદેશમાં 'ભારતવિરોધી' ભાવનાઓને કોણ ભડકાવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તન્હા તસ્નીમ
- પદ, બીબીસી ન્યૂઝ
હું બાંગ્લાદેશ વિજય દિવસના બે દિવસ પછી જ 18 ડિસેમ્બરની રાત્રે શીર્ષ મીડિયા અને થોડીક સાંસ્કૃતિક સંસ્થાઓ પર ટોળાં દ્વારા કરાયેલા અભૂતપૂર્વ હુમલાની સાક્ષી બની.
ઇન્કલાબ મંચના સંયોજક અને પ્રવક્તા ઉસ્માન હાદીના મૃત્યુ પછી ઉશ્કેરાયેલાં ટોળાંએ બે મીડિયા સંસ્થાઓ – 'પ્રથમ આલો' અને 'ધ ડેઇલી સ્ટાર' સાથે છાયાનટ ભવનમાં હુમલા, તોડફોડ અને આગચંપી કરી.
આ સંસ્થાઓને 'ભારતના દલાલ' અને 'ફાસીવાદીના મિત્ર' જેવાં બિરુદ અપાયાં છે.
વિશ્લેષકોનું કહેવું છે કે ભારતે આઝાદીની લડાઈમાં બાંગ્લાદેશની મદદ જરૂર કરી હતી, પરંતુ ત્યાર પછી સીમાવર્તી વિસ્તારોમાં લોકોની હત્યા અને પાણીની વહેંચણીની બાબતમાં તેની ભૂમિકા કે આંતરિક બાબતોમાં હસ્તક્ષેપનો આરોપ થયાના કારણે બાંગ્લાદેશમાં ઘણી વાર 'ભારતવિરોધી' ભાવનાઓ સામે આવતી રહી છે.
ઘણાનું માનવું છે કે બાંગ્લાદેશના રાજકારણમાં સમયસમયાંતરે 'ભારતવિરોધી' ભાવનાઓનો જે ઉપયોગ જોવા મળે છે, તાજા હુમલા તેનાં જ ઉદાહરણ છે.
વિશ્લેષકોનું કહેવું છે કે વચગાળાની સરકારના 16 મહિનાના કાર્યકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એક મોટો મુદ્દો રહી છે.
હવે ચૂંટણી જ આ અસ્થિર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ છે.
ઘણા રાજનેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે એક જૂથ આગામી ચૂંટણીઓમાં ગરબડ ઊભી કરવા માટે 'ભારતવિરોધી' ભાવનાનો ઉપયોગ કરીને હિંસા ભડકાવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાદીના મૃત્યુના બહાને 'ભારતવિરોધ'નું રાજકારણ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશમાં લાંબા સમયથી વિભિન્ન કારણસર ઊભરતી ભારતવિરોધી ભાવનામાં ગયા વર્ષના જુલાઈના આંદોલન પછી એક નવું પરિમાણ જોડાઈ ગયું.
આ આંદોલન પછી વડાં પ્રધાન શેખ હસીના સહિત અવામી લીગનાં ઘણાં નેતાઓ અને કાર્યકરોએ ભારતમાં શરણ લીધાં પછી બંને દેશના રાજદ્વારી સંબંધોમાં તણાવ ઊભો થયો.
ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર કાજી મારફૂલ ઇસ્લામ કહે છે, "લાંબા સમયથી ચાલી રહેલા આધિપત્ય વિરુદ્ધ એક સક્રિય પ્રતિકાર તો હંમેશાં રહ્યો છે. તે સિવાય તેણે (ભારત સરકારે) સત્તા ગુમાવનાર સરકારનું સમર્થન પણ કર્યું છે."
વિશ્લેષકોનું કહેવું છે કે શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી છતાં તેમને પાછાં નહીં મોકલવાં અને ઉસ્માન હાદીની હત્યા પછી આરોપીઓ ભારત ભાગી ગયાના સોશિયલ મીડિયા પ્રચારે બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં તણાવમાં વધારો કર્યો છે.
જોકે, સરકાર અને વહીવટી તંત્રએ કહ્યું છે કે આરોપીઓ દેશ છોડીને જતા રહ્યાના કોઈ ચોક્કસ પુરાવા નથી મળ્યા.
બાંગ્લાદેશ પોલીસના ઍડિશનલ આઇજી ખાંડેકર રફીકુલ ઇસ્લામે રવિવારે કહ્યું, "અમે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી કરી શક્યા કે આરોપીઓએ સીમા પર કરી છે."
આની આગળના દિવસ સોમવારે, ગૃહમંત્રાલયના સલાહકારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "જો આરોપીઓનાં ઠેકાણાં વિશે પાકી માહિતી હોત તો તેમની ધરપકડ કરી લેવામાં આવી હોત.
'ભારતવિરોધી' ભાવનાના નામે હિંસા ભડકાવાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Abu Sufian Jewel/AFP via Getty Images
વિશ્લેષકોનું કહેવું છે કે બાંગ્લાદેશના રાજકારણમાં 'ભારતવિરોધ'ના મુદ્દાનો સમયાંતરે ઉપયોગ કરાતો રહ્યો છે.
તાજેતરમાં મીડિયા સંસ્થાઓ, સાંસ્કૃતિક સંગઠન છાયાનટ અને ધાનમંડી-32ના આવાસ પર નવેસર તોડફોડ દરમિયાન ભારતવિરોધી સૂત્રોચાર થયા હતા. આ હુમલા દરમિયાન જમાત ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોના નેતા પણ આ સંસ્થાઓ વિરુદ્ધ નિવેદન આપતા જોવા મળ્યા હતા.
ગયા ગુરુવારે ઉસ્માન હાદીના મૃત્યુના સમાચાર ફેલાયા પછી સ્વયંભૂ વિરોધપ્રદર્શનો થયાં. ત્યાર પછી આયોજિત સભામાં રાજશાહી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ મોસ્તાકુર રહમાને કહેલું, અમે આજના આ કાર્યક્રમમાં ઍલાન કરીએ છીએ કે 'પ્રથમ આલો' અને 'ધ ડેઇલી સ્ટાર' જેવાં અખબારોને બંધ કરાવી દઈશું.
એ જ દિવસે ઇસ્લામી છાત્ર શિવિરના જહાંગીરનગર યુનિવર્સિટી શાખાના સચિવ મુસ્તફિઝુર રહમાને કહ્યું હતું, "રાજકીય લડાઈ દ્વારા બાંગ્લાદેશની અસલી આઝાદી હાંસલ કરવી અશક્ય છે. અમારી લડાઈ શહીદ ઉસ્માન હાદીના ઇન્કલાબ મંચની સાંસ્કૃતિક લડાઈથી શરૂ થશે. કાલે બામ, શાહબાગી, છાયાનટ અને ઉદિચીનો વિધ્વંસ કરી દેવો પડશે. ત્યાર પછી જ બાંગ્લાદેશને ખરી આઝાદી મળશે."
ડાબેરીઓને સંક્ષેપમાં બામ કહેવામાં આવે છે, જ્યારે શાહબાગી શબ્દ 2013માં શાહબાગમાં થયેલા વિરોધપ્રદર્શનમાંથી નીકળ્યો છે. આ જ પ્રકારે છાયાનટ એક મુખ્ય સાંસ્કૃતિક સંસ્થા છે અને ઉદિચી દેશનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી બાંગ્લા દ્વારા સંપર્ક કરાતાં એ લોકોએ પોતાની ટિપ્પણી આપવાનો ઇન્કાર તો નથી કર્યો, પરંતુ તેમણે જુદી જુદી રીતે તેની વ્યાખ્યા કરી છે.
તેમનો દાવો છે કે આ નિવેદનના માધ્યમથી તેઓ સાંસ્કૃતિક સંસ્થાઓ તરફથી અવામી લીગને આપવામાં આવેલી માન્યતાને ખતમ કરવા અને બંને મીડિયા સંસ્થાઓના પક્ષપાતપૂર્ણ વલણ પર અંકુશ મૂકવાની વાત કરી રહ્યા હતા.
બીજી બાજુ, ઇસ્લામી છાત્ર શિવિરે દાવો કર્યો છે કે નેતાઓની બફાટ ભરી ટિપ્પણીઓના કારણે હુમલાનો દોષ સંગઠન પર નાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે. સંગઠને એવી કોશિશોનો સખત વિરોધ કર્યો છે.
પરંતુ સચિવ પરિષદના અધ્યક્ષ નુરુલ કબીર કહે છે, "ધર્મ આધારિત રાજકારણને મજબૂત કરવાની ઇચ્છા ધરાવતાં જૂથો માટે ભારતવિરોધી સૂત્રોચાર કરવા સુવિધાજનક છે. જુલાઈ આંદોલન દરમિયાન અને ત્યાર પછી ભારત તરફથી કરાયેલી પ્રતિક્રિયાએ તેના વિરુદ્ધ નારાજગી વધારી દીધી છે. હવે હાદીના મૃત્યુ પછી પોતાના ધર્મ આધારિત રાજકારણને મજબૂત કરવા ઇચ્છતા લોકો કે સંગઠન આ ભાવનાનો એક જુદા પ્રકારે અને વધુ પ્રભાવશાળી રીતે ઉપયોગ કરવા માગે છે."
તેઓ કહે છે, "જ્યારે આ જ દેશના લોકોનો એક વર્ગ લોકશાહી સંસ્થાઓને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ભારતવિરોધી સૂત્રોનો આધાર લેવો તેમના માટે સુવિધાજનક છે."
હિંસામાં સરકારની મિલીભગતનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
'પ્રથમ આલો' અને 'ધ ડેઇલી સ્ટાર'એ આરોપ કર્યો છે કે હુમલાખોરો ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં સરકારના શીર્ષ સ્તરે મદદની માંગણી કર્યા છતાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળી.
નજરે જોનારાઓનું કહેવું છે કે સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચ્યાં છતાં તેમણે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ પગલાં ભર્યાં નહીં. આ જ કારણ છે કે આ હિંસા અને આગચંપીની પાછળ સરકારની ભૂમિકા અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
પ્રોફેસર કાઝી મારુફુલ ઇસ્લામ કહે છે, "હકીકતમાં, આ સંપૂર્ણ રીતે વચગાળાની સરકારની નિષ્ફળતા છે. અત્યાર સુધી કોઈ પણ સંસ્થા પર સરકારના નિયંત્રણના પુરાવા નથી મળ્યા. મોટા ભાગે એવું લાગે છે કે આ વચગાળાની સરકાર સંભવતઃ આ તમામ ઉશ્કેરણીઓ અને હિંસાને પ્રોત્સાહન આપી રહી છે."
છાયાનટે હુમલાની ઘટનામાં 300થી વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. 'પ્રથમ આલો' અને 'ધ ડેઇલી સ્ટાર' પર થયેલા હુમલાના કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જોકે, ઘટનાના દિવસે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ઘણા વીડિયોમાંના એકમાં એક સેના અધિકારી હુમલાખોરોનો વિરોધ કરવાના બદલે તેમની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તે અધિકારી ઇમારતમાં ફસાયેલા પત્રકારોને બચાવવા માટે હુમલાખોરો પાસે 20 મિનિટનો સમય માગતા પણ જોવા મળ્યા હતા.
નુરુલ કબીરનું કહેવું છે કે સરકારના એક જૂથના સમર્થનના લીધે જ હિંસાની આવી ઘટનાઓ થઈ રહી છે.
તેઓ કહે છે, "સત્તામાં રહેનાર સરકારે 'ધ ડેઇલી સ્ટાર' અને 'પ્રથમ આલો'ની ઑફિસમાં આગચંપી પછી આ ઘટનામાં હસ્તક્ષેપ માટે જે વિલંબ કર્યો, તે સંપૂર્ણપણે તેની નિષ્ફળતા છે. હું તો કહીશ કે સરકાર, વહીવટી તંત્ર અને મોહમ્મદ યુનુસ સરકારના મંત્રીમંડળમાં ચોક્કસપણે એવા લોકો છે, જેઓ આ ઘટનાઓ થવા દેવા માગતા હતા."
નૅશનલ સિટિઝન પાર્ટી (એનસીપી)ના સંયોજક નાહિદ ઇસ્લામે પણ આ જ આરોપ કર્યો છે. આ પાર્ટીની કમાન સંભાળતાં પહેલાં નાહિદ લગભગ સાડા સાત મહિના સુધી વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે.
અખબારના સંપાદકોના સંગઠન સંપાદક પરિષદ અને માલિકોના સંગઠન ન્યૂઝપેપર ઑનર્સ ઍસોસિયેશનની પહેલથી સોમવારે આયોજિત સંયુક્ત વિરોધ સભામાં નાહિદ ઇસ્લામનું કહેવું હતું, "તે લોકોએ અમારાં સૂત્રોનો ઉપયોગ કરીને હુમલા કર્યા અને તેમના પક્ષમાં લોકમત ઊભો કર્યો. આ ઘટના પછી અમારું કહેવું છે કે આ હુમલામાં સરકારમાં સામેલ એક જૂથની પણ મિલીભગત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












