દેખાવ કરતાં વ્યક્તિત્વના કયા ગુણો લોકોને વધુ આકર્ષે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજીમાં એક કહેવત છે "First impression is the last impression."
આનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે તમે તેના પર જે છાપ કે પ્રભાવ પાડો છો તે લાંબા સમય સુધી યાદ રહી જાય છે.
પ્રથમ મુલાકાતમાં તમે કેવા દેખાશો તે મહત્ત્વનું છે, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વનાં અન્ય પાસાં કયાં છે જે લોકોનાં હૃદયને સ્પર્શે છે.
એક સામાન્ય માન્યતા છે કે કોઈ પણ રોમૅન્ટિક સંબંધની શરૂઆત તમારી પહેલી નજર કેવી રીતે મળે છે તેનાથી થાય છે.
પરંતુ શારીરિક આકર્ષણ વ્યક્તિના અન્ય ઘણા ગુણોને કારણે પણ હોઈ શકે છે. શું તમે સંવાદ કરી શકો છો? કેવી રીતે વાત કરો છો? તમારું વર્તન કેવું છે?
અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વેમાં યુગલોને પૂછવામાં આવ્યું હતું કે તેમને લોકોના દેખાવ સિવાય અન્ય કયા ગુણો ગમે છે.
સર્વેક્ષણના પ્રશ્નોના જવાબમાં લોકોએ કહ્યું કે ભૌતિક સફળતાઓ, જેમ કે નાણાકીય સુરક્ષા અને સરસ ઘર, તેમના માટેના આકર્ષક ગુણોમાં સૌથી નીચું સ્થાન ધરાવે છે.
બીજી બાજુ તેઓ તેમના જીવનસાથી સાથે સંમત થવું, બહિર્મુખ હોવું, બુદ્ધિમત્તાને શારીરિક આકર્ષણથી વધુ સ્થાન આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'દેખાવ' કેટલો મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સર્વે અંગે અમેરિકાની ફ્લૉરિડા યુનિવર્સિટીના સાયકૉલૉજીના પ્રોફેસર ગ્રેગ વેબસ્ટર કહે છે કે, "આવાં સર્વેક્ષણોમાં લોકો એવા જવાબો આપવાનો પ્રયાસ કરે છે જે તેમને અન્યની નજરમાં સારા બનાવી શકે. જેનો અર્થ એ થઈ શકે છે કે આવાં સર્વેક્ષણના ડેટા સંપૂર્ણપણે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકતા નથી.
પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે આપણે વાસ્તવિક જીવનની વાત કરીએ છીએ ત્યારે શું વ્યક્તિના વ્યક્તિત્વને દેખાવ કરતાં વધુ ધ્યાન આપવામાં આવે છે?
આ પ્રશ્ન પર બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથે વાત કરતાં મનોવિજ્ઞાની ડૉ. પૂજા શિવમ જેટલી કહે છે, "પ્રારંભિક આકર્ષણ શરૂઆતમાં દેખાવ પર આધારિત હોય છે. પરંતુ તે વ્યક્તિ પર પણ આધાર રાખે છે."
"તમે કેવી રીતે જુઓ છો તે મહત્ત્વનું છે અને તે એક પ્રારંભિક બિંદુ પણ છે. પરંતુ વ્યક્તિની સુંદરતા અથવા દેખાવ લાંબા ગાળે કોઈને આકર્ષિત કરી શકતાં નથી."
ડૉ. પૂજા શિવમ જેટલી કહે છે કે, જો તમે લાંબા ગાળાના સંબંધો વિશે, તમારા વ્યક્તિત્વ વિશે, તમારી જરૂરિયાતો અને તમે દુનિયાને કેવી રીતે જુઓ છો તે વિશે પૂછો તો આ બધું પણ લોકોને આકર્ષે છે.
તેમના કહેવા પ્રમાણે, "મોટા ભાગના સંબંધોમાં જ્યારે આ પાસાં પર ચર્ચા કરવામાં આવતી નથી ત્યારે ભવિષ્યમાં મતભેદો થઈ શકે છે. કોઈ પણ સંબંધ માટે તમારા પાર્ટનરની વાત સાંભળવી અને પરસ્પર સમજૂતી જાળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
તેઓ કહે છે, "શું કોઈ એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકે જે તેમની વાતોને મહત્ત્વ ન આપે?"
કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને માપવું એ મુશ્કેલ કાર્ય છે. દાયકાઓથી લોકોને સાઇકૉમેટ્રિક પરીક્ષણોમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે જેથી કરીને તેમના વ્યક્તિત્વ વિશે વધુ માહિતી મેળવી શકાય.
કોઈના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ સામાન્ય જીવનમાં વ્યક્તિના વ્યક્તિત્વને કેવી રીતે આંકી શકાય?
આ પ્રશ્ન પર બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથે વાત કરતાં વ્યક્તિત્વ અને માણસના વર્તન સંબંધિત નિષ્ણાત અને લાઇફ કોચ આસ્થા દીવાન કહે છે, "વ્યક્તિનું વ્યક્તિત્વ ઘણી વસ્તુઓથી બનેલું હોય છે. તમે તેની સાથે સરળતાથી વાત કરી શકો છો કે નહીં તે ઘણું મહત્ત્વનું છે."
"શું તમે વાત કરતી વખતે બીજાને બોલવાની તક આપો છો? તમારી પસંદગી શું છે. તમારા વિચારો શું છે? તમારાં જીવનમૂલ્યો શું છે, તમારો આત્મવિશ્વાસ કેવો છે. આ બધી બાબતો તમારા વ્યક્તિત્વનો મહત્ત્વપૂર્ણ ભાગ છે."
તે જ સમયે, તમે એ પણ સાંભળ્યું હશે કે 'વિરોધી આકર્ષણ' એટલે બે લોકો જે એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે અને એકબીજા તરફ આકર્ષાય છે, કારણ કે વ્યક્તિત્વમાં તફાવત પણ લોકોને આકર્ષે છે.
બીબીસી ફ્યુચરના લેખમાં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ રૉચેસ્ટરના હેરી રીડ અને યુનિવર્સિટી ઑફ મિનેસોટાના એલન બર્શાર્ડ સમજાવે છે કે, વ્યક્તિ એવા જીવનસાથીની શોધ કરે છે જેને તે પહેલેથી જ જાણે છે. જેનું વ્યક્તિત્વ, જીવનશૈલી અને સામાજિક જૂથ મેળ ખાય છે. આ આકર્ષણનો મૂળ સિદ્ધાંત છે.
આ અંગે ડૉ. આસ્થા દીવાન કહે છે, "ઘણી વખત લોકો એકબીજામાં સમાનતા શોધે છે, તો ક્યારેક તેઓ તેમનાથી અલગ વ્યક્તિને પસંદ પણ કરે છે. સમાનતા શોધવી એ માનવ સ્વભાવ છે."
"આ બાબત વ્યક્તિને ખૂબ જ સુરક્ષિત અનુભવ કરાવે છે. જ્યારે તમારા વિચારો, ગુણો અને પસંદમાં સમાનતા હોય છે ત્યારે ત્વરિત સ્પાર્ક, ત્વરિત બંધન હોય છે."
તેઓ કહે છે, "કોઈ પણ સંબંધને લાંબો સમય જાળવી રાખવા માટે એ જરૂરી છે કે તમારી પાસે સાથે રહેતા હોવા પછી પણ અલગથી જીવનમાં આગળ વધવાનો અવકાશ હોય."
"એવું નથી કે લોકો હંમેશાં સમાનતા શોધે છે, પરંતુ કેટલીક વાર તમારાથી સંપૂર્ણપણે અલગ હોય તેવા લોકોને પસંદ કરી શકાય છે. જોકે બંને એકબીજાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતા હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. આસ્થા દીવાનના મતે આકર્ષણ જે મિત્રતા કરતાં વધારે હોય તે મોટે ભાગે સામેવાળા લોકો સાથે થાય છે. બે સંપૂર્ણપણે અલગ લોકો વચ્ચે પણ મિત્રતા ઝડપથી થાય છે.
તેઓ કહે છે, "ઘણી વખત વ્યક્તિ પોતાનામાં શું ઊણપ ધરાવે છે તે તેના જીવનસાથીમાં શોધે છે અને સાથે મળીને તેઓ એકબીજાને પૂર્ણ કરે છે."
બીબીસી ફ્યુચર સાથે વાત કરતા ગ્રેગ વેબસ્ટર કહે છે, "અન્ય આકર્ષક ગુણોની સાથે સંમતિ જાળવી રાખવીએ સંબંધમાં બંને ભાગીદારોમાં શ્રેષ્ઠતા લાવી શકે છે.
ગ્રેગ વેબસ્ટરે સામાજિક મનોવૈજ્ઞાનિકો એન્જેલા બ્રાયન અને અમાન્દા મહાફે સાથે મળીને વ્યક્તિનાં ત્રણ વ્યક્તિત્વ લક્ષણો પર સંશોધન કર્યું છે.
આ ત્રણ ગુણો એ હતા કે વ્યક્તિ શારીરિક રીતે આકર્ષક હોય, આર્થિક રીતે પ્રભાવશાળી હોય અને અન્ય લોકો સાથે સમજૂતી જાળવવાનો સ્વાભાવિક સ્વભાવ હોય.
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય ગુણો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કારણ કે દરેક ગુણવત્તા કોઈને કોઈ રીતે સુરક્ષા અને ખોરાક અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે.
પરંતુ વર્ચસ્વ સારું પણ હોઈ શકે અને ખરાબ પણ.
વેબસ્ટર કહે છે, "જ્યારે વર્ચસ્વની વાત આવે છે ત્યારે વિચાર આવે છે કે પછી ભલે તે સંબંધમાં હોય કે સંબંધની બહાર હોય, કારણ કે લોકો ચોક્કસપણે ઇચ્છે છે કે તેમનો પાર્ટનર સામાજિક, શારીરિક અથવા આર્થિક રીતે પ્રભાવશાળી બને. પરંતુ મોટા ભાગના લોકોને આ પસંદ નથી. વર્ચસ્વ તેમના સંબંધોને પણ અસર કરે છે.
"જો કોઈ વ્યક્તિમાં વર્ચસ્વ સ્થાપિત કરવાની સાથે સાથે પરસ્પર સંમતિ બનાવવાના ગુણો હોય તો તે વ્યક્તિ વધુ આકર્ષક દેખાવા લાગે છે."
છેવટે વેબસ્ટર કહે છે કે, દરેક સાથે સહમતિ જાળવવાની આપણી ગુણવત્તા આપણા વ્યક્તિત્વના અન્ય ગુણો કરતાં ઘણી વધુ આગળ છે.
મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો












