You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના પરિવારની કહાણી, જેણે જમ્મુ-કાશ્મીરમાં બૉમ્બ બ્લાસ્ટમાં ચાર બાળકો ગુમાવ્યાં
તા. 22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ચરમપંથી હુમલો થયો, જેમાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર તથા મૂળ સુરતના યુવાનનો સમાવેશ થાય છે. જોકે, આ ઘટનાક્રમે સુરતના એક પરિવારના લગભગ બે દાયકા પહેલાંના ઘાવને તાજા કરી દીધા છે.
સુરતનો આ પરિવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયો હતો, ત્યારે ગુજરાતી મુસાફરોની બસ ઉપર ગ્રૅનેડથી હુમલો થયો હતો, જેમાં ચાર બાળક મૃત્યુ પામ્યાં હતાં અને છને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તમાંથી બાળક શિવાંગની જિંદગી એ દિવસથી હંમેશા માટે બદલાઈ ગઈ. પરિવારની ફરિયાદ છે કે એ સમયે ગુજરાત સરકાર દ્વારા જે વચન આપવામાં આવ્યું, તે પાળવામાં નથી આવ્યું.
એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તાજેતરના હુમલા પછી વડા પ્રધાન મોદીએ જે વાત કહી છે, એવી જ કંઈક વાત તેમણે એ સમયે પણ કહી હતી.
જોકે, સુરતવાસીઓ મૃતક બાળકોને ભૂલ્યા નહીં અને તેમનાં માટે સ્મૃતિસ્થળ પણ તૈયાર કર્યું.
પહલગામના હુમલા સમયે જેવી રાજકીય સ્થિતિ હતી, કંઈક એવા જ સંજોગો એ દિવસોમાં પણ હતા, જેના કારણે આ હુમલો થયો હતો.
શું થયું હતું તે દિવસે?
સુરતનો જરીવાલા પરિવાર ખૂબ જ ખુશ હતો, પરિવારની બે દીકરીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. અન્ય બાળકોની પરીક્ષાઓ પણ પતી ગઈ હતી, એટલે તેમણે વૅકેશન માણવા માટે જમ્મુ-કાશ્મીર જવાનું નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં જરીવાલા કુટુંબનો વેવાઈ પરિવાર પણ જોડાયો હતો. એક જ પરિવારના 20થી વધુ લોકોએ સુરતસ્થિત ટ્રાવેલ્સ કંપની જોડે બુકિંગ કરાવ્યું હતું. તેઓ ટ્રેન મારફત જમ્મુ અને ત્યાંથી કાશ્મીર પહોંચ્યા હતા.
ટુર ઑપરેટર દ્વારા તા. 25મી મેના સાંજના સમયે તુલિપનાં ફૂલો માટે વિખ્યાત મુઘલ ગાર્ડન જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.
કોઈપણ પ્રવાસ કાર્યક્રમમાં થાય છે એમ, જરીવાલા પરિવારનાં બાળકો બસમાં આગળ બેઠાં હતાં. ધો. 10ની પરીક્ષા આપનારાં ક્રિષ્ના અને ખુશ્બુની સાથે ફૅનિલ, રૉબિન અને શિવાંગ પણ તેમની સાથે જ આગળની જ બેઠકોમાં હતાં.
શિવાંગ જરીવાલા એ સમયે 10 વર્ષનાં હતાં. એ ઘટનાક્રમને યાદ કરતાં શિવાંગ કહે છે, "અમે મુઘલ ગાર્ડન જઈ રહ્યાં હતાં, ત્યારે બે યુવાનો બાઇક ઉપર આવ્યા અને બસની પાસે ચલાવવા માંડ્યા. બસની બીજી બારી ખુલ્લી હતી. તેમણે બારીમાંથી બસમાં બૉમ્બ નાખ્યો, જે બહેનોના પગ પાસે પડ્યો અને પછી ધડાકો થયો."
થોડી જ મિનિટોમાં પરિવારની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ. એ ધડાકામાં ક્રિષ્ના, ખુશ્બુ, ફૅનિલ તથા રૉબિન મૃત્યુ પામ્યાં. શિવાંગના શરીરમાં ગ્રૅનેડના છરા ઘૂસી ગયા. તેમની કરોડરજ્જૂમાં ઈજા થવાને કારણે તેઓ જાતે હરીફરી શકતા નથી.
રાજકીય સંજોગો ત્યારે અને અત્યારે
પહલગામમાં જે હુમલો થયો હતો તેને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની ભારતયાત્રા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયાના પ્રવાસ સાથે જોડીને જોવામાં આવે છે.
વર્ષ 2006ના હુમલાના દિવસે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર કન્વૅન્શન સેન્ટર ખાતે હતા. કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે તેઓ હુર્રિયતના નેતાઓ, બુદ્ધિજીવી તથા હિતધારકો સાથે મુલાકાત કરવાના હતા. જેમાં વિઘ્ન નાખવા માટે ઉગ્રવાદીઓ પ્રયાસરત હતા.
સુરતના જરીવાલા પરિવાર સાથે જે કંઈ બન્યું, તેના લગભગ એક અઠવાડિયા પહેલાંથી કાશ્મીરમાં હિંસક ઘટનાઓ ઘટી રહી હતી. એસએટીપીના ડેટા અનુસાર, એ અરસામાં સુરક્ષાબળો ઉપર ગ્રૅનેડ હુમલા થયા હતા અને પર્યટકોની બસ ઉપર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
દલ લૅક ખાતે જવા માટે પર્યટકબસો દ્વારા જે રૂટ લેવામાં આવે છે, તેના કરતાં અલગ રુટ એ દિવસે તેમણે લેવો પડ્યો હતો, કારણ કે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ યોજાઈ રહી હતી.
નરેન્દ્ર મોદીએ ત્યારે શું કહ્યું હતું?
શિવાંગનાં માતા હેમાક્ષીબહેન જરીવાલા કહે છે, "ધડાકો થયો એ પછી શું થયું મને કશું ખબર નથી. શિવાંગ બસની બહાર આવીને બેસી ગયો. તે ઊભો થઈ શકતો ન હતો. તેને તથા બીજાને કોણ હૉસ્પિટલે લઈ ગયું અમને કશી ખબર ન હતી. અમને અમારી હોટલે લઈ જવામાં આવ્યા. ખૂબ જ વિનંતી કરી ત્યારે પોલીસ અમને શ્રીનગરની સિવિલ હૉસ્પિટલે (શેર-એ-કાશ્મીર) લઈ ગઈ હતી."
"જ્યાં અમને ચાર બાળકોનાં મૃત્યુ વિશે જાણ થઈ હતી.... એ સમયે મોદી સરે અમને ખૂબ મદદ કરી હતી."
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે વાત કરી હતી. ચાર મૃતકોના પાર્થિવદેહ તથા ઈજાગ્રસ્તોને ગુજરાત મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે મદદ માગી હતી.
મૃતદેહો, ઈજાગ્રસ્તો તથા સહપ્રવાસીઓને વાયુદળના વિશેષ વિમાનમાં શ્રીનગરથી વડોદરા મોકલવામાં આવ્યા હતા. વર્ષ 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ત્યારે આ ઘટનાક્રમને યાદ કર્યો હતો.
સુરતથી ઍમ્બુલન્સો વડોદરા પહોંચી હતી, જેમાં મૃતકોના પાર્થિવદેહ તથા ઈજાગ્રસ્તોને રુસ્તમપુરા લાવવામાં આવ્યા હતા. એ સમયે બૃહૃદ જરીવાલા પરિવાર અહીં રહેતો હતો.
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના નાગરિકો ઉમટી પડ્યા હતા. નરેન્દ્ર મોદી પણ મૃતકો તથા તેમના પરિવારજનોને અંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એ સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "જેમનું સ્વજન જાય છે, એમને જ ખબર હોય છે કે આતંકવાદ કે તેનો ખોફ શું હોય છે. જમ્મુ-કાશ્મીરની ધરતી ઉપર ગુજરાતનું લોહી રેડાયું છે, તે એળે નહીં જાય. કોઈક દિવસ એમનું બલિદાન રંગ લાવશે એમ મારો આત્મા કહે છે."
નરેન્દ્ર મોદીએ એ સમયે ઈજાગ્રસ્તોને 'ભોગ બનેલાઓને સરકાર તમામ પ્રકારે મદદ કરશે' એવી ખાતરી આપી હતી.
હેમાક્ષીબહેન કહે છે, "રાજ્ય સરકાર તરફથી અમને કોઈ મદદ કે સહાય મળી નથી."
તેઓ ઉમેરે છે, 'અમે સંતાનો ગુમાવ્યાં છે. હું જે કરું છું તે મારું જ મન જાણે છે. દરરોજ શિવાંગને જોઉં છું ત્યારે એ દિવસ યાદ આવે છે.'
આગળ જતાં સલાબતપુરા ખાતે મૃતકોની સ્મૃતિમાં સર્કલ બનાવવામાં આવ્યું, જેમાં ચારેય બાળકોનાં ચહેરા, નામ, જન્મતારીખ સહિતની વિગતો અંકિત છે. જે સુરતીઓને પણ એ ઘટનાની યાદ અપાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન