You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલેગાંવ બ્લાસ્ટ કેસ : 17 વર્ષે ચુકાદો આવ્યો અને તમામ આરોપી છૂટ્યાં, જાણો આખો મામલો શું છે?
સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલા બૉમ્બવિસ્ફોટના કેસમાં 17 વર્ષ પછી સુનાવણી પૂરી થઈ છે અને સ્પેશિયલ એનઆઈએ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં છે.
આરોપીઓમાં ભાજપનાં નેતા પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય (રિટાયર્ડ), અજય રાહીરકર, સુધાકર દ્વિવેદી, સુધારક ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થતો હતો. આ તમામને છોડી મુકાયાં છે.
સ્પેશિયલ જજ એકે લાહોટીએ ચુકાદા માટે 8 મેની તારીખ નક્કી કરી હતી, પરંતુ 8મી મેએ આદેશ આપ્યો કે તમામ આરોપીઓએ 31 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
આ કેસ દરમિયાન સરકારી વકીલે 323 સાક્ષીઓની ઊલટતપાસ કરી હતી જેમાંથી 37 પોતાનાં નિવેદનોમાંથી ફરી ગયા હતા.
ચુકાદામાં જજે કયા મુદ્દાનો ઉલ્લેખ કર્યો?
કોર્ટના કહેવા પ્રમાણે પ્રોસિક્યુશને બૉમ્બવિસ્ફોટ થયો હતો તે સાબિત કર્યું, પરંતુ બૉમ્બ મોટરસાઇકલ પર લગાવાયો હતો તે સાબિત નહોતું થયું.
આ વિસ્ફોટ માટેનો આરડીએક્સ પ્રસાદ પુરોહિત દ્વારા કાશ્મીરથી લાવવામાં આવ્યો હતો એવું કહેવાયું, પરંતુ તેના પુરાવા નથી.
પુરોહિતે પોતાના ઘરે બૉમ્બ એસેમ્બલ કર્યો હોવાના કોઈ પુરાવા નથી.
રમઝાનને કારણે મસ્જિદ આસપાસનો વિસ્તાર કૉર્ડન કરાયો હતો. છતાં મોટરસાઇકલને ત્યાં કેવી રીતે લાવવામાં આવી હતી તે સ્પષ્ટ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં પંચનામાં જરૂરી નિષ્ણાતો દ્વારા કરવામાં નથી આવ્યાં. પુરાવામાં ખામીઓ છે. તેથી તેના પરિણામ સચોટ હોઈ શકે નહીં.
ષડયંત્રની મોટા ભાગની બેઠકો ઇન્દોર, ઉજ્જૈન, નાસિક વગેરેમાં થઈ હતી, પરંતુ આવી બેઠકો અંગે કોઈ સ્વીકાર્ય પુરાવા રેકૉર્ડ પર નથી.
તપાસ અધિકારી દ્વારા ફોનના રેકૉર્ડમાં અનધિકૃત એક્સેસ કરવામાં આવ્યું છે. એસીએસ હોમની મંજૂરી લેવામાં આવી ન હતી.
અભિનવ ભારત: પુરોહિત, રાહિરકર, ઉપાધ્યાય વગેરે વચ્ચે કેટલાક નાણાકીય વ્યવહારોના પુરાવા છે, પરંતુ તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે થયો તેવા કોઈ પુરાવા નથી.
વિશ્વસનીય પુરાવા પ્રદાન આપવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહી છે.
શું હતો માલેગાંવ કેસ?
મહારાષ્ટ્રના માલેગાંવના અંજુમન ચોક અને ભીકુ ચોકમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બૉમ્બબ્લાસ્ટ થયા હતા. જેમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 101 લોકો ઘાયલ થયા હતા.
આ બ્લાસ્ટમાં મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રમઝાન મહિનામાં મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની શરૂઆતની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર એટીએસે આ આરોપીઓ પર મકોકાની કલમો પણ લગાવી હતી.
મહારાષ્ટ્ર એટીએસે તપાસ પૂર્ણ કર્યા બાદ 11 ધરપકડ પામેલા અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ 20 જાન્યુઆરી 2009ના રોજ પહેલી ચાર્જશીટ તૈયાર કરી હતી.
21 એપ્રિલ 2011ના રોજ મહારાષ્ટ્ર એટીએસે એક વધારાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.
ભારત સરકારે જાન્યુઆરી 2011માં આપેલા એક આદેશ બાદ આ કેસની તપાસ એનઆઈએને સોંપી હતી.
આરોપીઓએ હાઇકોર્ટમાં મકોકા સામે અનેક વાંધાઅરજીઓ દાખલ કરી હતી.
એનઆઈએ આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એપ્રિલ 2015માં તપાસ શરૂ કરી હતી.
2015 સુધી એનઆઈએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ જ પુરાવા રજૂ કરી શકી નહોતી.
એનઆઈએ એ મે 2016માં ચાર્જશીટ દાખલ કરી, જેમાં કર્નલ પુરોહિત સહિત બધા આરોપીઓ પરથી મકોકાની કલમ હઠાવી દેવામાં આવી.
આ મામલે સરકારી વકીલ રોહિણી સાલિયાંએ 2015માં એનઆઈએએ તેમને ધીમી ગતિએ કામ કરવાનું કહ્યુ હોવાના આરોપસર રાજીનામું આપી દીધું હતું.
આ કેસ છોડવાનું કારણ આપતાં રોહિણી સાલિયાંએ બીબીસીને જણાવ્યુ હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના ઍજન્ડા અલગ છે.
"એમને મારી સેવાની જરૂર નથી. સમગ્ર સુનાવણી પ્રક્રિયામાં મારી દલીલો મુજબ એક પણ ચુકાદો નથી આવ્યો. મારી સેવાથી તેમને કોઈ ફરક નથી પડતો. આ કેસની જવાબદારી મારા પર છે, તેથી લોકોને એના વિશે ખ્યાલ હોવો જોઈએ."
કર્નલ પુરોહિતની સંડોવણી આવી હતી બહાર
માલેગાંવ બ્લાસ્ટના આરોપી નંબર 9 લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત 23 ઑગસ્ટ 2017ના રોજ રાયગઢ જિલ્લાની હાઈ સિક્યૉરિટીવાળી તાલોજા જેલમાંથી છૂટ્યા હતા.
મરાઠા લાઇફ ઇફેન્ટ્રી માટે નિયુક્તિ પામેલા કર્નલ પુરોહિત મિલિટ્રી ઇન્ટેલિજન્સ ફીલ્ડ યુનિટમાં જોડાયા હતા.
5 નવેમ્બર, 2008ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ 21 ઑગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા અને 9 વર્ષે તેઓ છૂટ્યા.
આ કેસની પહેલી ચાર્જશીટ મુજબ આરોપી કર્નલ પુરોહિતે 2007માં 'અભિનવ ભારત' નામનું એક સંગઠન બનાવ્યુ હતું.
જેનો હેતુ સંપૂર્ણ હિંદુ રાષ્ટ્રની રચના કરવાનો હતો, જેનું એક અલગ બંધારણ હોય અને એક ભગવો ધ્વજ હોય.
એટીએસની ચાર્જશીટ મુજબ આ સંગઠનના લોકોએ ફરીદાબાદ, કોલકાતા, ભોપાલ, જબલપુર, ઇન્દોર અને નાસિક બેઠકો પર બ્લાસ્ટ કરવાની યોજના ઘડી હતી.
'અભિનવ ભારત' સંગઠન પોતાના હેતુ પાર પાડવા સમગ્ર દેશના લોકોને પોતાની સાથે જોડી રહ્યુ હતું.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ભૂમિકા
આ બ્લાસ્ટમાં એક મોટરસાઇકલનો ઉપયોગ થયો હતો. એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના રિપોર્ટ પ્રમાણે, આ મોટરસાઇકલ પ્રજ્ઞા ઠાકુરના નામે હતી.
મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરેના નેતૃત્વમાં આ તપાસમાં એવું તારણ નીકળ્યું કે મોટરસાઇકલનું કનેક્શન સુરત અને છેલ્લે પ્રજ્ઞા ઠાકુર સાથે હતું.
પ્રજ્ઞા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સભ્ય રહી ચૂક્યાં હતાં. પોલીસે પુણે, નાસિક, ભોપાલ અને ઇંદોરમાં તપાસ કરી. તેમાં સેનાના અધિકારી કર્નલ પુરોહિત અને રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાયની પણ ધરપકડ થઈ હતી.
તેમાં હિંદુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ પણ આવ્યું હતું. સાથે સાથે સુધારક દ્વિવેદી ઉર્ફે દયાનંદ પાંડેનું નામ પણ બહાર આવ્યું હતું.
આ મામલે એનઆઈએ કોર્ટે પ્રજ્ઞા ઠાકુરને જામીન આપી દીધી હતાં, પરંતુ તેમને દોષમુક્ત માન્યા નહોતાં અને ડિસેમ્બર 2017માં આપેલા આદેશમાં કહ્યું હતું કે પ્રજ્ઞા પર યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) અંતર્ગત કેસ ચાલતો રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન