You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોહલીએ બનાવેલો એ રેકૉર્ડ જેની દુનિયાભરમાં ભારે ચર્ચા છે
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
"આ મૅચ કિંગ કોહલીની હતી. આ વર્લ્ડ કપ વિરાટ કોહલીનો છે. તેણે રનના પહાડ ખડક્યા છે. એવું લાગે છે કે આ વર્લ્ડ કપનું આયોજન તેમના માટે જ થયું છે."
આમ કહેવું છે રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનું. શોએબે એક તરફ વિરાટ કોહલીની પ્રશંસાના પુલ બાંધ્યા હતા, જ્યારે બીજી તરફ તેણે ભારતીય ટીમની બૉલિંગની બુઠ્ઠી ધારની વાત કરી હતી.
શોએબે કહ્યું, "ભારતીય ટીમ ભલે મૅચ જીતી ગઈ, પરંતુ તેમની બૉલિંગની ખામી છતી થઈ ગઈ છે." સૌપ્રથમ તો શોએબે બાંગ્લાદેશને અભિનંદન આપ્યાં, પણ સાથે જ કહ્યું કે તેણે છોકરમત કરી દીધી છે. તેમણે કહ્યું, "હું બાંગ્લાદેશને અભિનંદન આપું છું. તમે શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ મોટી ભૂલ કરી. લિટન દાસે સારી શરૂઆત અપાવી, પરંતુ વરસાદને કારણે તમે તેનો ફાયદો ઉઠાવી ન શક્યા."
"બૉલ ભીનો થઈ જશે એવી ભિતિમાં બે રન મેળવાની ઉતાવળ કરી બેઠા. શું જરૂર હતી, બૉલ બેટ પર આવી રહ્યો હતો. સારા શોટ્સ લાગી રહ્યા હતા, તમારે ઉતાવળ કરવાની જરૂર ન હતી. લિટન દાસ સ્લિપ થયો અને પછી તે રન આઉટ થયો. તે ટર્નિંગ પૉઈન્ટ હતો."
"તમે શરૂઆતમાં સારું ક્રિકેટ રમ્યા હતા, પરંતુ પછીથી ખૂબ જ બાલિશ ક્રિકેટ રમી."
"આ સાથે હું ભારતને અભિનંદન આપવા માંગુ છું. તે આગળ તો જશે, પરંતુ મેં અગાઉ કહ્યું જ છે કે આગળ શું થશે."
શોએબ અખ્તરે ફરી પોતાની વાતને દોહરાવી હતી.
તેમણે ફરી કહ્યું, "તમે લોકો બહુ નારાજ છો. મેં કહ્યું હતું કે પાકિસ્તાન આ અઠવાડિયે અને ભારત આવતા અઠવાડિયે વર્લ્ડકપમાંથી ફેંકાઈ જશે. હું મારા ક્રિકેટના અનુભવના આધારે આમ કહું છું. "પરંતુ જો તમે જુઓ છો કે હાર્દિક પંડ્યા ટીમમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. છેલ્લી ઓવરની પહેલાની ઓવર નાખે છે. આઉટ કરી બતાવે છે. તે તમારો બૉલિંગ ઑલરાઉન્ડર છે. તેથી હું અહીં ભારતને બેસ્ટ ઑફ લક કહેવા માંગુ છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભલે ભારતે આ મૅચ આસાનીથી ન જીતી, પરંતુ જીતું તો ગયું જ. અંતર જોઈએ તો બહુ જ ઓછા માર્જિનથી જીત્યું, પણ જીતું ગયું."
"પરંતુ શું તેની પાસે સેમિફાઇનલ સુધી પહોંચવાની ક્ષમતા છે. હા, બિલકુલ છે. પરંતુ શું તેની આ વર્લ્ડકપ જીતવાની ક્ષમતા પણ છે. એ તો સમય જ કહેશે."
વરસાદ પાકિસ્તાન માટે લકી સાબિત થયો
આ તરફ શોએબ કહી રહ્યા હતા કે વરસાદને કારણે મૅચ ભારતની ઝોળીમાં ગઈ છે, ત્યારે ક્રિકેટના આંકડાના નિષ્ણાત મઝહર અરશદ 30 વર્ષ પહેલાં પાકિસ્તાનને જીતેલા વર્લ્ડકપમાં મહત્ત્વની વાતની યાદ અપાવી રહ્યા હતા.
બાંગ્લાદેશ સામે વરસાદથી વિક્ષેપિત મૅચમાં ભારતની જીત સામે અરશદ 1992 વન-ડે વર્લ્ડકપની એ મૅચની યાદ અપાવી રહ્યા હતા જે ઍડિલેડમાં જ રમાઈ હતી અને તેમાં પાકિસ્તાન બહુ પાછળ રહી ગયું હતું.
ત્યારપછી વરસાદ આવ્યો અને એક પણ બૉલ ફેંકી શકાયો ન હતો અને તેના કારણે પાકિસ્તાનને મહત્ત્વનો પૉઈન્ટ મળી ગયો અને સેમિફાઈનલમાં પહોંચી ગયું અને આખરે ઈમરાન ખાનના નેતૃત્વમાં વર્લ્ડકપ જીતી પણ લીધો.
અરશદ 1 માર્ચ 1992ના રોજ ઍડિલેડ ઓવલ ખાતે પાકિસ્તાન અને ઈંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
એ મૅચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 40.2 ઓવરમાં માત્ર 74 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લૅન્ડે 8 ઓવરમાં 24 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ વરસાદ આવ્યો અને મૅચ આગળ રમાઈ શકી નહીં.
પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ એક પોઇન્ટ નિર્ણાયક સાબિત થયો હતો. ઑસ્ટ્રેલિયાના 8 પૉઈન્ટ હતા અને તેમનો નેટ રન રેટ પણ પાકિસ્તાન કરતા સારો હતો. પરંતુ 9 પૉઈન્ટ સાથે પાકિસ્તાન સેમીફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું.
વિરાટનું ઐતિહાસિક પરાક્રમ
બાંગ્લાદેશ સામેની આ મૅચના પ્રદર્શનની વાત કરીએ તો અહીં ફરી એકવાર વિરાટ કોહલીનો દબદબો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપમાં પોતાની 64 રનની ઇનિંગ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી દીધી હતી.
આ ઇનિંગ દરમિયાન તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન બની ગયા હતા. તેમણે મહેલા જયવર્દનેના રેકૉર્ડને પાછળ છોડી દીધો. મહેલા જયવર્દનેના નામે ટી20 વર્લ્ડ કપની 23 ઇનિંગ્સમાં 1016 રન બનાવવાનો રેકૉર્ડ હતો.
વિરાટ કોહલીએ જયવર્દને કરતાં 8 ઈનિંગ્સ ઓછી રમીને આ રેકૉર્ડ તોડી નાખ્યો છે. કોહલીના ખાતે હવે ટી20 વર્લ્ડકપની 25 મૅચોમાં 88.75ની એવરેજ સાથે 1065 રન બોલે છે.
આટલું જ નહીં, તેઓ ટી20 વર્લ્ડકપમાં બેટિંગ એવરેજના મામલે અને સૌથી વધુ અર્ધશતક (13)માં પણ સૌથી આગળ છે.
'લવ ફ્રૉમ ઍડિલેડ'
વિરાટ કોહલીએ આ મૅચમાં શાનદાર પ્રદર્શન સાથે ઍડિલેડ ઓવલના મેદાનમાં હંમેશની જેમ મૅચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
ક્રિકેટના દરેક ફૉર્મેટમાં આ મેદાન પર વિરાટનું બેટ ચાલ્યું છે. આ ટી20માં આ મેદાન પર તેમની માત્ર બીજી ઇનિંગ હતી.
તેમણે પહેલી ઇનિંગમાં 90 રન બનાવ્યા હતા, ત્યારબાદ આજે તેણે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. એટલે કે બંને ઇનિંગ્સમાં કોહલીના બૅટમાંથી અડધી સદી નીકળી હતી.
વિરાટે ઍડિલેડના મેદાન પર 63.63ની એવરેજથી 509 રન બનાવ્યા છે, જેમાં ટેસ્ટમૅચમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ છે. વનડેમાં પણ તેણે ચાર મૅચમાં બે સદી ફટકારી છે અને 61.00ની સરેરાશથી 244 રન બનાવ્યા છે.
આ ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો વિરાટે ચાર મૅચમાં 220 રન બનાવ્યા છે જેમાં ત્રણ અડધી સદી સામેલ છે અને તેને આઉટ કરવાનો લહાવો માત્ર દક્ષિણ આફ્રિકાના બૉલરને મળ્યો છે. વિરાટ આ ટૂર્નામેન્ટમાં 220ની ઍવરેજથી રમી રહ્યા છે.
મૅચ બાદ વિરાટે એમ પણ કહ્યું હતું કે તેને ઍડિલેડમાં બેટિંગ કરવાનું પસંદ છે અને અહીં ઘર જેવું લાગે છે.
મૅચ અંગે તેણે કહ્યું કે, "હું બેટિંગ કરવા ઊતર્યો ત્યારે થોડું દબાણ હતું. હું ઈચ્છતો ન હતો કે કોઈ પણ નાની સરખી ભૂલ પણ મને અસર કરે. હું અત્યારના સમયને મારા ભૂતકાળ સાથે સરખાવવા માંગતો નથી. જ્યારે મને ખબર પડી કે આ વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં છે, ત્યારે હું મનમાં ખુશી અનુભવી રહ્યો હતો."
નબળી કડી
આ ટૂર્નામેન્ટમાં ઋષભ પંતને પડતાં મૂકીને દિનેશ કાર્તિકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ દિનેશ ન તો બૅટથી રન બનાવી રહ્યા છે કે ન તો વિકેટકીપિંગ સારી રહી.
કાર્તિકની જેમ રવિચંદ્રન અશ્વિન પણ આ વર્લ્ડકપમાં પોતાના બૉલથી કંઈ ખાસ કરી શક્યા નથી.
દક્ષિણ આફ્રિકા સામે ચાર ઓવરમાં એક વિકેટે 43 રન અને પાકિસ્તાન સામે 3 ઓવરમાં 23 રન આપનાર અશ્વિનનું ખરાબ પ્રદર્શન બાંગ્લાદેશ સામે પણ યથાવત્ રહ્યું હતું. તેણે પોતાની બે ઓવરમાં 19 રન આપી દીધા હતા.
ટીમની તાકાત
કેટલાક જૂના અને અનુભવી ખેલાડીઓ ટીમની નબળી કડી બની રહ્યા છે તો સૂર્યકુમાર યાદવ અને અર્શદીપસિંહ જેવા ખેલાડીઓ ટીમનો નવો આધાર બની રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામે માત્ર 30 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બુધવારે જ તેણે ટી20 ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું હતું, જે તેમણે થોડાં અઠવાડિયાં પહેલાં માત્ર થોડા કલાકો માટે મળ્યું હતું.
સૂર્યકુમાર યાદવ હવે ટી20 ક્રિકેટમાં નંબર-1 બૅટ્સમૅન બની ગયા છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધા છે.
તેઓ આ વર્ષે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન પણ છે. ટી20 ક્રિકેટમાં નંબર 1 બૅટ્સમૅન બન્યા બાદ તેણે ટ્વીટ કર્યું, "તમારા પ્રેમ અને સમર્થન બદલ આભારી છું, તે મને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે."
આ વર્લ્ડકપમાં તેમણે 15, 51 અણનમ, 68 અને 30 રનની ઇનિંગ્સ રમી છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેમની બેટિંગના વખાણમાં ઘણું બધું કહ્યું છે.
અર્શદીપસિંહ માટે પણ બિલકુલ એવું જ કહેવામાં આવી રહ્યું છે. તેમણે ટી20 વર્લ્ડકપની શરૂઆત પાકિસ્તાન સામે વિકેટથી કરી હતી.
તેમણે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને શરૂઆતમાં જ આઉટ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. સાઉથ આફ્રિકા સામે પણ શરૂઆતની વિકેટો તેમણે જ ઝડપી હતી અને થોડા સમય માટે જીતની આશા જગાવી હતી.
અત્યાર સુધીમાં અર્શદીપે આ વર્લ્ડકપમાં 9 વિકેટ ઝડપી છે, જે અન્ય તમામ અનુભવી ભારતીય બૉલરો કરતાં વધુ છે.
બાંગ્લાદેશ સામેની મૅચ બાદ ખુદ કૅપ્ટન રોહિત શર્માએ અર્શદીપનું મહત્ત્વ જણાવ્યું હતું.
બાંગ્લાદેશ સામે અર્શદીપે છેલ્લી ઓવર ફેંકી અને મૅચ બાદ કહ્યું, "જ્યારે અર્શદીપ ટીમમાં આવ્યો ત્યારે અમે તેને ડેથ ઓવરોમાં બૉલિંગ કરવાનું કહ્યું હતું. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં કોઈ પણ બૉલર માટે આ મુશ્કેલ કામ છે. યુવા ખેલાડી માટે આવું કામ કરવું સરળ નથી, પરંતુ અમે તેને તેના માટે તૈયાર કર્યો છે. તે છેલ્લા 8-9 મહિનાથી આ કરી રહ્યો છે."
સેમિફાઇનલની તકો
બાંગ્લાદેશ સામે ભારતની જીતનો મતલબ એ છે કે સેમિફાઈનલમાં પ્રવેશ પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.
દક્ષિણ આફ્રિકા સામે હાર સાથે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે અને જો તે આગામી બે મૅચ જીતી જાય તો પણ તેના માત્ર છ પૉઈન્ટ રહેશે.
જો ભારત તેની છેલ્લી મૅચ જીતી જશે તો તે સેમિફાઈનલમાં પહોંચી જશે, જ્યારે બંને મૅચ જીત્યા બાદ પાકિસ્તાન માત્ર છ પૉઈન્ટને કારણે બહાર નિકળી જશે. કારણ કે દક્ષિણ આફ્રિકાને હજુ નેધરલૅન્ડ સામે રમવાનું છે.
સેમિફાઇનલમાં ભારતનું સ્થાન લગભગ નિશ્ચિત છે, પાકિસ્તાન માટે કાઠું લાગે છે. આ ગ્રૂપમાંથી સેમિફાઇનલમાં કોણ પહોંચશે તેનો અંતિમ નિર્ણય 6 નવેમ્બરે જઈ જશે.