ટાઇપ-5 ડાયાબિટીસ શું છે, તેનાં લક્ષણો શું છે અને તે કોને થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિત્યા પાંડિયન
- પદ, બીબીસી સંવાદદાતા
ઘણા લોકોના મનમાં એવી માન્યતા છે કે જેમનું વજન વધારે હોય, માત્ર તેમને જ ડાયાબિટીસ થાય છે.
થોડા મહિના પહેલા બૅંગકૉકમાં યોજાયેલા 'ગ્લોબલ ડાયાબિટીસ કૉન્ફરન્સ'માં ભાગ લેનારા તબીબી ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું હતું કે ઓછા બી.એમ.આઈ. (બૉડી માસ ઇન્ડેક્સ) ધરાવતા લોકોને પણ (અર્થાત દુબળા-પાતળા લોકો) ડાયાબિટીસ થઈ શકે છે.
આ બીમારી ન તો ટાઇપ 1 ડાયાબિટીસ છે કે ન જ ટાઇપ 2, પરંતુ આ એક નવી શ્રેણી છે જેને ટાઇપ 5 ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવી રહી છે.
બી.એમ.આઈ.એ શરીરના વજન અને ઊંચાઈના અનુપાત દ્વારા કાઢવામાં આવે છે. જેમનું બી.એમ.આઈ. 25 કે તેથી વધુ હોય છે, તેઓ વધારે વજન અથવા મોટાપાની શ્રેણીમાં આવે છે.
ડૉક્ટરોનું કહેવું છે કે આ પ્રકારનો ડાયાબિટીસ મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં વધુ જોવા મળે છે.

ઇન્ટરનૅશનલ ડાયાબિટીસ ફેડરેશનના અધ્યક્ષ પ્રોફેસર પીટર શ્વાર્ઝે જણાવ્યું કે એવા લોકો, જે લોકો જાડા નથી પરંતુ જેમના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પૂરતું થતું નથી, તેમને થતાં મધુપ્રમેહને ટાઇપ-5 ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરવું જોઈએ. તેમનું કહેવું છે કે આ દિશામાં ઝડપભેર સંશોધન કરવું જોઈએ.
ટાઇપ-5 ડાયાબિટીસ કોને થાય છે, તે કેવી રીતે વિકસે છે અને તેને નિયંત્રિત કરવા માટે શું પગલાં લેવાં જોઈએ—આ જાણવા માટે એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમની રચના કરવામાં આવી છે.
આ સ્ટોરીમાં આપણે જાણીશું કે ટાઇપ-5 ડાયાબિટીસ શું છે, તેની શોધ ક્યારે થઈ અને કયા સામાજિક વર્ગોને તેનું સૌથી વધુ જોખમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ઍન્ડોક્રિનોલૉજી, ડાયાબિટીસ અને મૅટાબોલિઝમ વિભાગના પ્રોફેસર ડૉ. ફેલિક્સ જેબાસિંહે બીબીસીને જણાવ્યું:
"જાડાંપણાંથી પીડિત ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં, તેમનું શરીર ઇન્સ્યુલિન બનાવે છે, છતાં પણ તે બ્લડમાં શુગરના સ્તરને જાળવી રાખવા માટે પૂરતું નથી હોતું, કારણ કે તેમનાં શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી ગયું હોય છે."
જોકે, ટાઇપ-5 ડાયાબિટીસ એવા લોકોમાં જોવા મળે છે જેઓ જાડા નથી—અર્થાત્ જેમનો બી.એમ.આઈ. 19થી ઓછો હોય છે—અને તેમના શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે.
ડૉ. ફેલિક્સ જેબાસિંહનું કહેવું છે: "ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે જે ઇન્જેક્શનો આપવામાં આવે છે, તેનાથી વિપરીત, ટાઇપ-5 ડાયાબિટીસમાં શુગરના સ્તરને ટેબલેટ દ્વારા જાળવી કરી શકાય છે."

- જેમનો બી.એમ.આઈ. 19થી ઓછો હોય
- બાળપણથી કુપોષણના કારણે દુબળા-પાતળા અને ઓછું વજન ધરાવતા લોકો
- જેમના શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર ઓછું હોય
- જેમના આહારમાં વિવિધતાનો અભાવ હોય
વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર, આવા લોકોને ટાઇપ-5 ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે.

1955માં હ્યૂ જોન્સે જમૈકામાં બી.એમ.આઈ. ઓછો હોય એવા લોકોનો અભ્યાસ કર્યો હતો.
તેમણે શોધ્યું કે આ લોકોમાં ન તો ટાઇપ 1 ડાયાબિટીસ હતો અને ન જ ટાઇપ 2, પરંતુ આ એક અલગ પ્રકારનો ડાયાબિટીસ હતો, જેને પછીમાં પોષણ-સંબંધિત ડાયાબિટીસ મેલિટસ (માલન્યુટ્રિશન-રિલેટેડ ડાયાબિટીસ મેલિટસ – MRDM) તરીકે ઓળખવામાં આવ્યો.
આ પછી આ બીમારીના દર્દીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કોરિયા, થાઇલૅન્ડ, નાઇજીરિયા, ઇથિયોપિયા, યુગાન્ડા વગેરે દેશોમાં પણ જોવા મળ્યા.
આ બીમારીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 1985માં ઔપચારિક રીતે એક અલગ પ્રકારના ડાયાબિટીસ તરીકે ઓળખ આપવામાં આવી. તેને સત્તાવાર રીતે MRDM તરીકે માન્યતા આપવામાં આવી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) પ્રથમ વખત 1980માં ડાયાબિટીસ માટે વ્યાપક રીતે સ્વીકારવામાં આવેલાં વર્ગીકરણો પ્રકાશિત કર્યાં હતાં, જેને 1985માં સુધારીને ફરી પ્રકાશિત કરવામાં આવ્યાં.
1980માં, નિષ્ણાતોની એક પૅનલે ડાયાબિટીસના બે પ્રકારો—ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ—સામેલ કરવાની ભલામણ કરી હતી.
1985માં, આ યાદીમાં MRDM (માલન્યુટ્રિશન-સંબંધિત ડાયાબિટીસ મેલિટસ)નો પણ ઉમેરો કરવામાં આવ્યો.
પરંતુ 1999માં, WHOએ MRDMને યાદીમાંથી દૂર કરવાની ભલામણ કરી, કારણ કે કુપોષણ અથવા પ્રોટીનની અછત આ પ્રકારના ડાયાબિટીસનું કારણ બને છે એ વાતને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નહોતા.
WHOએ આ પ્રકારની ડાયાબિટીસને યાદીમાંથી દૂર કરતી વખતે એમ પણ કહ્યું હતું કે આ વિષય સંદર્ભે વધુ વિસ્તૃત સંશોધન થવું જોઈએ, જેથી તેને સારી રીતે સમજાવી શકાય.
ટાઇપ 5 ડાયાબિટીઝ પર સંશોધનની જરૂર કેમ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજમાં 2022માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ઓછાં વજન અને કુપોષણથી પીડિત લોકોમાં જોવા મળતો ડાયાબિટીસ ન તો ટાઇપ 1 છે અને ન તો ટાઇપ 2.
તેમના સંશોધનમાં આ પણ પુષ્ટિ થઈ કે આ ડાયાબિટીસ સંભવત: પોષણ-સંબંધિત ડાયાબિટીસ, એટલે કે MRDMનું (માલન્યુટ્રિશન-રિલેટેડ ડાયાબિટીસ મેલિટસ) જ એક સ્વરૂપ હોય શકે છે, જેની ઓળખ સૌપ્રથમ 1955માં કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં, તેમણે એ જ વર્ષે "એન ઍટિપિકલ ફૉર્મ ઑફ ડાયાબિટીસ એમંગ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ લો બી.એમ.આઈ." શીર્ષક હેઠળ સંશોધન પણ પ્રકાશિત કર્યું હતું.
આ અભ્યાસ હેઠળ ઓછો બી.એમ.આઈ. ધરાવતા અને સામાજિક-આર્થિક દૃષ્ટિએ પછાતવર્ગના 73 ભારતીય પુરુષોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 20 પુરુષોમાં કુપોષણ સંબંધિત ડાયાબિટીસ જોવા મળ્યો હતો.
આ સંશોધનમાં વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ઍન્ડોક્રિનોલૉજી, ડાયાબિટીસ અને મૅટાબોલિઝમ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અને તબીબ ડૉ. નેહાલ થૉમસે અમેરિકાના ન્યૂ યૉર્કસ્થિત આલ્બર્ટ આઇન્સ્ટાઇન કૉલેજ ઑફ મેડિસિનનાં પ્રોફેસર મૅરિડિથ હૉકિન્સ અને આ ક્ષેત્રના અન્ય અનેક નિષ્ણાતો સાથે મળીને ભાગ લીધો હતો.
ડૉ. ફેલિક્સ જેબાસિંહના જણાવ્યા અનુસાર, "વેલ્લોર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑન ઍન્ડોક્રિનોલૉજી"નું આયોજન ગત જાન્યુઆરીમાં વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજમાં થયું હતું, જ્યાં આ વિષય અંગે વધુ સંશોધન અને અસરગ્રસ્ત લોકો માટે વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આનો વિસ્તૃત સ્વરૂપ તરીકે આગામી ઘોષણાપત્ર તાજેતરમાં બૅંગકૉકમાં જાહેર કરવામાં આવ્યું.
વેલ્લોરમાં યોજાયેલી આ કૉન્ફરન્સની અધ્યક્ષતા પ્રોફેસર નેહાલ થૉમસ અને પ્રોફેસર મૅરિડિથ હૉકિન્સે કરી હતી, જ્યારે પ્રોફેસર ફેલિક્સ જેબાસિંહ આયોજક સચિવ તરીકે જોડાયા હતા.
ડૉ. ફેલિક્સ જેબાસિંહે બીબીસીને જણાવ્યું, "સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આવા લોકો ડાયાબિટીસથી પીડિત નથી, પરંતુ વાસ્તવમાં તેમને પણ ડાયાબિટીસ થઈ શકે છે. ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ માટે બનાવવામાં આવેલા સામાન્ય ઉપચાર તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે."
"ટાઇપ 5 ડાયાબિટીસથી પીડિત લોકો માટે યોગ્ય સારવાર વ્યવસ્થા વિકસાવવી, લોકો અને ડૉક્ટરોમાં જાગૃતિ વધારવી—આ માટે આ પ્રકારનાં સંશોધનોને ચાલુ રાખવાં અત્યંત જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












