You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયાના 10 સૌથી ખતરનાક સાપ, કોઈ વીંટળાઈને મારી નાખે, કોઈના એક ડંખથી 100 લોકો માર્યા જાય
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અનુમાન અનુસાર, સાપ કરડવાથી દર વર્ષે આખી દુનિયામાં 81,410થી લઈને 1,37,880 લોકો માર્યા જાય છે.
આ સિવાય વર્ષ 2000થી 2019 વચ્ચે ભારતમાં સાપ કરડવાથી 12 લાખ લોકોનાં મોત થાય છે. એટલે કે દર વર્ષે સરેરાશ 58,000 લોકો માર્યા જાય છે.
દર વર્ષે દુનિયાભરમાં સાપ કરડવાની 50 લાખ ઘટના બને છે. જેમાં 4 લાખ કેસમાં શરીરનો કોઈ ભાગ કાપવો પડે છે અથવા તો તે ભાગ કાયમી ધોરણે ડિસએબલ થઈ જાય છે.
આ બધા જ આંકડા ડરામણા લાગે છે? આનું મુખ્ય કારણ છે એક સાપ.
દુનિયાની ઘણી સભ્યતા અને સંસ્કૃતિમાં સાપનું મહત્ત્વ છે. કેટલાક સમાજ સાપને પૂજે છે જ્યારે કેટલાક એનાથી ડરે છે.
કેટલાક ખરેખર ખતરનાક હોય છે જ્યારે કેટલાક તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી.
કેટલાક સાવ પાતળા હોય છે જ્યારે કેટલાક કદમાં જિરાફથી પણ લાંબા હોય છે. આ સાપ બકરી અને ભૂંડને પણ ગળી જાય છે.
બીબીસી અર્થમાં સોફિયા ક્વાગ્લિયા લખે છે કે એવું માનવામાં આવે છે કે લગભગ 17 કરોડ વર્ષ પહેલાં સાપ, પ્રાચીન ખિસકોલીથી અલગ થયા અને તેમણે પગ ગુમાવી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીનેટિક રિસર્ચ જણાવે છે એ પ્રમાણે સાપના ખરા પૂર્વજ લાંબી, પાતળી અને ખિસકોલી હોવાનું અનુમાન છે. જેની પાછળ નાના પગ અને આંગળી પણ હતાં અને તેમનું રહેઠાણ લૉરેશિયાનાં ગરમ જંગલોમાં હતું. જે આજે નૉર્થ અમેરિકા, ગ્રીનલૅન્ડ, યુરોપ અને એશિયામાં વહેંચાયેલું છે.
દુનિયાભરમાં સાપની લગભગ 3900 પ્રજાતિ જોવા મળે છે. જેમાં માત્ર 725 જ ઝેરી હોય છે.
250 પ્રજાતિ એવી છે કે જેના એક વાર કરડવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે.
જે સાપ ઝેરી ન હોય એ પણ માણસનો જીવ લઈ શકે છે, જોકે આવી ઘટના દુર્લભ હોય છે. વર્ષે એક કે બે મોત. જેમ કે પાઇથન પોતાના શિકારને ચારે બાજુ વીંટળાઈને ગૂંગળાવીને મારી શકે છે.
દુનિયાના 10 સૌથી ખતરનાક સાપ
જ્યારે આપણે ઝેરી સાપોની વાત કરીએ છીએ ત્યારે એના બે અર્થ થઈ શકે છે.
પહેલો અર્થ એ કે જે સૌથી વધુ માણસને મારે છે અથવા તો એ સાપ કે જે સૌથી વધુ ટૉક્સિક છે એટલે કે સૌથી વધારે ઝેરી છે. આ બંને અલગ-અલગ છે.
શક્ય છે કે સૌથી વધુ ઝેરી સાપ માણસો વચ્ચે રહેતો ન હોય અથવા તો આક્રમક ન હોય.
મૃત્યુ સિવાય સાપ કરડવાથી ટિસ્યૂ નેક્રોસિસ જેવી ઈજા પણ થાય છે જેને કારણે શરીરનો કોઈ ભાગ કાપીને અલગ કરવો પડે છે. એનિમલ બિહેવિયર રિસર્ચર અને સાયન્સ રાઇટર લિયોમા વિલિયમ્સે બીબીસી વાઇલ્ડલાઇફ મૅગેઝિન ડિસ્કવર વાઇલ્ડલાઇફમાં દુનિયાના દસ સૌથી ખતરનાક અને ઝેરી સાપોની સૂચિ બનાવી છે.
1. સૉ-સ્કેલ્ડ વાઇપર
સૉ સ્કેલ્ડ વાઇપર મિડલ ઈસ્ટ અને મધ્ય એશિયામાં જોવા મળે છે અને ઘણો આક્રમક હોય છે. વર્ષમાં સૌથી વધુ માણસોને કરડીને મારી નાખતો આ સાપ માણસ માટે વધુ ખતરનાક છે.
ભારતમાં આ સાપને કારણે અંદાજે પાંચ હજાર લોકોનાં મૃત્યુ થાય છે.
2- ઇનલૅન્ડ ટાઇપન
જ્યારે સૌથી ઝેરી સાપની વાત આવે છે, ત્યારે ઇનલૅન્ડ તાઇપન સૌથી મોખરે છે. મધ્ય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળતો આ સાપ મુખ્યત્વે ઉંદરોનો શિકાર કરે છે.
એવું કહેવાય છે કે આ સાપના એક ડંખથી સો લોકોનો જીવ જઈ શકે છે. જોકે, સૉ સ્કેલ્ડેડ વાઇપરથી વિપરીત તે મૃત્યુ માટે જવાબદાર નથી.
આનું કારણ એ છે કે તે મોટે ભાગે દૂરના વિસ્તારોમાં અને ભૂગર્ભમાં માનવ વસાહતોથી દૂર રહે છે.
3. બ્લૅક મામ્બા
બ્લૅક મામ્બા એટલો બધો ઝેરી સાપ છે કે જંગલનો રાજા સિંહ પણ તેની સામે શરણાગતિ સ્વીકારી લે છે.
સબ-સહરા આફ્રિકામાં જોવા મળતો આ સાપ તાઇપન કરતાં ઘણો વધુ આક્રમક છે.
સામાન્ય રીતે માણસોથી દૂર રહેતા આ સાપ ભયને અહેસાસ થતાં જ ઊભો થઈ જાય છે અને વીજળી વેગે હુમલો કરે છે.
જો સારવાર ન મળે તો, તેના ડંખ માર્યાના અડધા કલાકમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
4. રસલ વાઇપર
રસેલ વાઇપર, ઇન્ડિયન કોબ્રા, કૉમન ક્રેટ અને સૉ-સ્કેલ્ડ વાઇપર સાથે મળીને 'બિગ ફોર' બનાવે છે. ભારતીય ઉપખંડમાં સૌથી વધુ મૃત્યુ માટે આ ચાર સાપ જવાબદાર છે.
જ્યારે રસેલ વાઇપર કરડે છે, ત્યારે તે ખૂબ જ પીડા આપે છે. તે ખૂબ જ આક્રમક અને ઝડપી અને બુદ્ધિશાળી હોવાનું કહેવાય છે.
ભારતમાં 43% સાપ કરડવાના બનાવો માટે આ સાપ કારણભૂત છે.
5. કૉમન કરેટ
બિગ ફોરનો સભ્ય આ સાપ અત્યંત ઝેરી છે અને તેના કરડવાથી મૃત્યુની શક્યતા 80% છે.
તેના ઝેરમાં ન્યુરોટોક્સિન હોય છે જે મસલ્સ પેરાલાઇસિસ , રેસ્પિટરી ફેઇલોર અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
તે બીજા સાપ, ઉંદરો અને દેડકા ખાય છે. આ સાપનો ભાગ્યે જ માણસો સાથે સામનો થાય છે, પરંતુ જો તમે અંધારામાં તેના પર પગ મૂકશો તો તે ચોક્કસ કરડશે.
6. ઇન્ડિયન કોબ્રા
ભારતમાં જે સાપ સૌથી ખતરનાક માનવામાં આવે છે એમાં ઇન્ડિયન કોબ્રા પણ સામેલ છે. ભારતમાં પહેલાં મદારીઓ આ સાપને લઈને શેરીઓમાં ફરતા હતા.
આ સાપ ઝેરી અને આક્રમક હોય છે. મુખ્ય ખોરાક ઉંદર હોવાને કારણે તે માનવવસ્તીની આસપાસ જોવા મળે છે. એટલે માણસો સાથે આ સાપનો સામનો ખૂબ થાય છે.
7. પફ એડર
ભારતીય ઉપખંડથી દૂર આફ્રિકામાં મોટો અને ભયાનક પફ એડર જોવા મળે છે. વાઇપર પરિવારનો આ સાપ અન્ય તમામ આફ્રિકન સાપની તુલનામાં સૌથી વધુ જીવલેણ છે.
જ્યારે તે ડરી જાય છે, ત્યારે તે ભાગવાને બદલે સામનો કરે છે. અને ઘણી વાર લોકો પસાર થાય છે ત્યાં આરામ કરતો જોવા મળે છે.
તે હુમલો કરતા પહેલાં ચેતવણી પણ આપે છે. તે પોતાના શરીરને ફુલાવીને સિસકારો કરે છે.
8. કૉમન ડેથ એડર
આ સાપ ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં જોવા મળે છે. તે પાંદડાં વચ્ચે છુપાઈ જાય છે અને જ્યારે તેનો શિકાર આવે છે ત્યારે હુમલો કરે છે.
આવી સ્થિતિમાં તે એવા લોકો માટે ખાસ કરીને ખતરનાક બની જાય છે જે આવા વિસ્તારોમાં ફરતી વખતે આકસ્મિક રીતે તેના પર પગ મૂકી દે છે.
તેનું ઝેર કોઈને મારી નાખવા માટે પૂરતું છે અને 60% કિસ્સામાં તે મૃત્યુ તરફ દોરી જાય છે.
9. કિંગ કોબ્રા
સરેરાશ ચાર મીટર લંબાઈ ધરાવતા આ સાપે 5.85 મીટરનો રેકૉર્ડ બનાવી ચૂક્યો છે. ભારતીય કોબ્રાની જેમ, કિંગ કોબ્રાનું ભારતમાં ખૂબ જ સાંસ્કૃતિક મહત્ત્વ છે.
માનવીઓ તેના પ્રદેશો પર અતિક્રમણ કરી રહ્યા છે અને પરંપરાગત ચીની દવાઓમાં ઉપયોગ માટે તેનો શિકાર પણ કરવામાં આવે છે. ભારતમાં કિંગ કોબ્રાને મારવા બદલ સજાની જોગવાઈ છે.
10. ઇસ્ટર્ન ડાયમંડબૅક રેટલસ્નૅક
તે ઉત્તર અમેરિકાનો સૌથી ખતરનાક સાપ છે. જોકે, તે એશિયાના સાપ કરતાં ઓછો ખતરનાક છે અને દર વર્ષે અમેરિકામાં પાંચ લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
આ ખૂબ મોટો અને ભારે સાપ છે. તેનું વજન 15 કિલોગ્રામથી વધુ હોઈ શકે છે.
તેના ઝેરમાં હિમોટોક્સિન હોય છે, જે લાલ રક્તકણો પર હુમલો કરે છે.
આ દસ સાપ ઉપરાંત, ટાઇગર સ્નૅક, કોસ્ટલ ટાઇપન અને ઇસ્ટર્ન બ્રાઉન સ્નૅક ખતરનાક સાપમાં ગણાય છે.
શું સાપનાં ઝેર અલગ-અલગ હોય છે?
સાપમાં બે પ્રકારનાં ઝેર હોય છે. ન્યુરોટોક્સિક ઝેર શરીરના નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેના કારણે લકવો થાય છે, જ્યારે હિમોટોક્સિક ઝેર રુધિરાભિસરણ તંત્ર પર હુમલો કરે છે, જેનાથી લોહી પર અસર થાય છે અને પેશીઓને નુકસાન થાય છે.
કોબ્રા, મામ્બા અને ક્રેટ્સમાં ન્યુરોટોક્સિક ઝેર હોય છે, જ્યારે રેટલસ્નૅક અને એડર્સ જેવા વાઇપરમાં હિમોટોક્સિક ઝેર હોય છે.
જોકે, કેટલાક અપવાદો છે અને કેટલાક સાપના ઝેરની શરીર પર મિશ્ર અસર થાય છે. કેટલાક વાઇપરમાં ન્યુરોટોક્સિક ઝેરના ઘટકો હોય છે, જ્યારે અન્ય સાપમાં મિશ્ર ઝેર હોઈ શકે છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારતમાં સાપ કરડવાથી આટલાં બધાં મૃત્યુ કેમ થાય છે. તેના જવાબમાં સ્નૅકબાઇટ હીલિંગ ઍન્ડ ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને સ્થાપક પ્રિયંકા કદમ કહે છે કે, "ભારતમાં જૈવવિવિધતા ખૂબ જ સમૃદ્ધ છે અને માનવવસ્તી પણ વધુ છે, તેથી સાપ કરડવાથી થતા મૃત્યુની સૌથી વધુ સંખ્યા પણ અહીં જ છે."
પ્રિયંકાએ બીબીસીને જણાવ્યું, "વાઇપર પ્રજાતિનું ઝેર હિમોટોક્સિક છે, જે લોહીને અસર કરે છે. તે લોહીને પાતળું કરે છે, આંતરિક રક્તસ્રાવનું કારણ બને છે, આને આંતરિક રક્તસ્રાવ કહેવામાં આવે છે. બ્લડ કેપલરી ફાટવા લાગે છે. કિડનીને અસર થાય છે. વાઇપરના ડંખથી વ્યક્તિ તરત જ મૃત્યુ પામતી નથી, પરંતુ તેના કારણે થતી ગૂંચવણો ઘણી વધારે છે.''
"જો હિમોટોક્સિક ઝેર શરીરમાં પ્રવેશ કરે છે, તો વ્યક્તિ બચી શકે છે, પરંતુ કિડનીને નુકસાન થઈ શકે છે, આંતરિક સમસ્યાઓ થઈ શકે છે, અંગોને અસર થઈ શકે છે."
તેમણે કહ્યું એ પ્રમાણે આ સિવાય ક્રેટ અને કોબ્રા જેવા સાપમાં ન્યુરોટોક્સિક ઝેર હોય છે. આ ઝેર ચેતાતંત્રને અસર કરે છે, જેના પછી સ્નાયુઓ કામ કરવાનું બંધ કરી દે છે. આ ઝેર ન્યુરોલૉજિકલ સિસ્ટમને લકવાગ્રસ્ત કરે છે અને માણસ માટે શ્વાસ લેવાનું અશક્ય બની જાય છે.
આ જ કારણ છે કે જો આવા સાપ કરડ્યા પછી તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો મૃત્યુની શક્યતા ઘણી વધી જાય છે.
એન્ટિ-વેનોમનો અભાવ એક મોટી સમસ્યા છે કે કેમ તે પ્રશ્ન પર, પ્રિયંકા કદમ કહે છે કે, "ભારતમાં બિગ ફોર પર ધ્યાન કેન્દ્રિત કરીને એન્ટિ-વેનોમ પણ તૈયાર કરવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં, ખાસ કરીને ઉત્તર પૂર્વમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે.''
''બંગાળમાં ગ્રેટર બ્લૅક ક્રેટ, લેસર બ્લૅક ક્રેટ જેવી અન્ય પ્રજાતિના સાપ જોવા મળે છે, પરંતુ જ્યારે તે કરડે છે, ત્યારે યોગ્ય એન્ટિ-વેનોમ યોગ્ય સમયે ઉપલબ્ધ નથી, જે મૃત્યુનું જોખમ ઘણું વધી જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન