પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા કેવી રીતે કામ કરે છે, તેના કામની ટીકા કેમ થાય છે?

ઇમેજ સ્રોત, ISPR
- લેેખક, ઉમર ફારુક
- પદ, રક્ષા વિશેષજ્ઞ
પાકિસ્તાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર એડજુડેન્ટ જનરલના પદ પર કાર્યરત્ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ આસીમ મલિકને પાકિસ્તાન સેનાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના નવા પ્રમુખ બનાવાયા છે.
નવા આઈએસઆઈ પ્રમુખની નિમણૂક સાથે જ સોશિયલ મીડિયા પર તેમની ભૂમિકા અને તેમના કામ કરવાની રીત વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
1 માર્ચ 2003ના રોજ આઈએસઆઈના બે ડઝન અધિકારીઓએ રાવલપિંડીના એક ઘરેથી ખાલિદ શેખ મોહમ્મદની ધરપકડ કરી હતી.
ખાલિદ શેખ મોહમ્મદ પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકી શહેરો પર હુમલાનું ષડ્યંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો.
એજ સાંજે આઈએસઆઈએ ઇસ્લામાબાદમાં આવેલા પોતાના હેડક્વાર્ટરમાં પાકિસ્તાની અને વિદેશી પત્રકારોને બ્રીફિંગ માટે બોલાવ્યા હતા. જેથી તેમને આ ધરપકડ વિશે સમગ્ર જાણકારી આપી શકાય.
પોતાના કોઈ ઑપરેશનના મામલે આઈએસઆઈના કોઈ અધિકારીએ વિદેશી પત્રકારોને બ્રીફિંગ માટે બોલાવ્યા હોય એવું ભાગ્યે જ થયું છે. પણ આ ઘટના અસામાન્ય હતી જેણે આઈએસઆઈ વિશે ચર્ચા છેડી દીધી છે.
હાજર પત્રકારોમાંથી મોટા ભાગના ખાલિદ શેખ મોહમ્મદની ધરપકડ વિશે અગાઉથી જ જાણતા હતા. તેમને ખબર હતી કે રાવલપિંડીના એક ઘરેથી ખાલિદ શેખ મોહમ્મદની ધરપકડ કરી હતી.
એ ઘર જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાનથી નિકટના સંબંધ ધરાવનાર એક જાણીતા ધાર્મિક પરિવારના મોભીનું નામ અહમદ અબ્દુલ કુદ્દસનું હતું, જેમનાં માતા જમાત-એ-ઇસ્લામીનાં સક્રિય સભ્ય હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, GOVT OF PAKISTAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રીફિંગ દરમ્યાન પત્રકારોએ આઈએસઆઈના ડેપ્યુટી ડિરેક્ટર જનરલને જમાત-એ-ઇસ્લામી અને અલકાયદા કે અન્ય ચરમપંથી સમૂહો સાથેના સંભવિત સંબંધ વિશે સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું.
નૌસેનાના અધિકારી એવા ડેપ્યુટી ડિરેક્ટર જનરલે પત્રકારોને જણાવ્યું કે જમાત-એ-ઇસ્લામીનો અલ-કાયદા કે અન્ય કોઈ આતંકી સંગઠન સાથે કોઈ સંબંધ નથી.
આ કાર્યવાહી પછી આઈએસઆઈએ એક તરફ અમેરિકી સીઆઈએ અને એફબીઆઈ સાથે મળીને પાકિસ્તાનમાં સંયુક્ત ઑપરેશન કર્યું અને બીજી તરફ પાકિસ્તાનની અંદર ધાર્મિક લોબી સાથે નજીકના સંબંધ પણ જાળવી રાખ્યા.
સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે, આતંકવાદ સામેની લડાઈના દિવસોમાં ફોજી નહીં પણ ગુપ્તચર જંગ લડાયો હતો. જેનાથી એ વાતની ખબર પડે છે કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના ગુપ્તચર સહયોગને કારણે આતંકવાદીઓ સામેની સફળ કાર્યવાહીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી.
9/11ના આતંકવાદી હુમલા પછી તરત જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગુપ્તચર બાબતોની આપલેની સમજૂતી થઈ હતી. આ વાત ક્યારેય લોકો સામે આવી નહોતી.
આ સમજૂતી એવા સમયે થઈ કે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના અંત આવ્યા પછી અલ-કાયદા સાથે જોડાયેલા લોકો અફઘાનિસ્તાન છોડીને પડોશી દેશોમાં શરણું શોધી રહ્યા હતા.
શરૂઆતનાં વર્ષોમાં અલકાયદાના ઘણા નેતાઓની પાકિસ્તાનનાં મોટાં શહેરોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
9/11 હુમલા સાથે સંકળાયેલું મોટું નામ અને આરોપી એવા ખાલિદ શેખ મોહમ્મદની રાવલપિંડીમાંથી, જ્યારે રમઝી બિન અલ-શીબાની કરાચીમાંથી ધરપકડ કરાઈ હતી.

ઇમેજ સ્રોત, ISPR
નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગુપ્તચર સહકાર સમજૂતી પર સફળતાપૂર્વક અમલ એવા સમયે શરૂ થયો જ્યારે બંને દેશ પાકિસ્તાનના નાગરિક વિસ્તારોમાં અલકાયદા સાથે જોડાયેલા લોકોનો પીછો કરતા હતા.
પાકિસ્તાનનાં મુખ્ય કેન્દ્રોમાંથી અલકાયદાના જાણીતા ચહેરાની ધરપકડ દર્શાવે છે કે ગુપ્તચર માહિતીની આપલે કરવાની સિસ્ટમ ગૂંચવણ ઊભી કરી રહી નહોતી, કારણ કે કોઈ મોટા વિરોધ વગર અલકાયદાના લોકોની ધરપકડ કરવામાં આવી રહી હતી.
પણ જેવું આતંકવાદ સામેની લડાઈનું કેન્દ્ર બદલાયું અને એ કબાલી વિસ્તારો તરફ ગયું તો બંને દેશ વચ્ચે ગુપ્તચર માહિતીની આપલેમાં વ્યાવહારિક અને રાજકીય અડચણ ઊભી થવા લાગી.
આમાં એક વ્યાવહારિક અડચણ પાકિસ્તાન સરકાર અને ચરમપંથીઓ વચ્ચે કબાલી વિસ્તારોમાં થનારી શાંતિ સમજૂતી હતી. સમજૂતીને કારણે સ્થાનીય અને અલકાયદા ચરમપંથીઓ વચ્ચે ફરક પડી ગયો હતો.
વ્યાવહારિક રીતે અમેરિકી સૈન્ય પાકિસ્તાની અધિકારીઓના દૃષ્ટિકોણ સાથે સહમત નહોતું. પાકિસ્તાનની કથિત ‘બેવડા માપદંડ’ની નીતિની અમેરિકા દ્વારા થયેલી ટીકા પરથી એનો સંકેત મળે છે.
આઈએસઆઈની કહેવાતી બેવડી નીતિ અને ધાર્મિક સંગઠનો સાથે સંપર્ક જાળવી રાખવા અંગે અમેરિકા ખુશ નહોતું. પ્રદેશમાં અમેરિકાની હાજરીનો તેઓ વિરોધ કરી રહ્યા હતા.
જ્યારે વૉશિંગ્ટને તાલિબાન સાથે વાટાઘાટ શરૂ કરી અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે પણ આ કથિત સંપર્કો ચાલુ હતા.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ તરફ પાકિસ્તાનમાં, વિપક્ષે આઈએસઆઈ અને તેના નેતૃત્વ પર રાજકીય તડજોડનો આરોપ લગાવ્યો હતો. પોતાનો કાર્યકાળ પૂરો કરનારા આઈએસઆઈના ડિરેકટર જનરલ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ વર્ષ 2018ની સંસદીય ચૂંટણીમાં ઇમરાન ખાનની સફળતા પાછળ ખરા વ્યૂહરચનાકાર હતા.
આ સંસ્થા વિશે એવું શું છે કે પાકિસ્તાનની અંદર તેમજ બહાર તેની ટીકા થાય છે? એવું કેમ છે કે રાજકીય પૃષ્ઠભૂમિમાં કોઈ પણ અપહરણ, હત્યા કે ધમકીનો આરોપ આઈએસઆઈ પર લગાવાય છે?
નામ ન આપવાની શરતે આઈએસઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આઈએસઆઈ પાકિસ્તાનની પ્રીમિયર ગુપ્તચર સંસ્થા છે, જે પ્રદેશમાં થતી દરેક હલચલ પર નજર રાખે છે."
તેમણે કહ્યું હતું કે, “જો અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા થાય, પાકિસ્તાન તેમાં હાજર હોય છે. જો તાલિબાન કાબૂલમાં સરકાર બનાવે છે, તો દુનિયા અમારી તરફ જુએ છે, જો અફઘાનિસ્તાનમાંથી પશ્ચિમી રાજદ્વારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની વાત હોય તો અમારી મદદની જરૂર પડે છે. તમે જે કોઈ પણ વાત કરશો, તેમાં અમારું મહત્ત્વ દેખાશે.”
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ પર તાલિબાનીઓએ કબજો મેળવ્યો ત્યારથી પોતાનો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી આઈએસઆઈના ડીજી બે વખત કાબૂલ ગયા હતા. જ્યાં તેઓ તાલિબાનના ટોચના નેતાઓને મળ્યા હતા.
તે જ વખતે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ધ્યાન અપાય તે માટે પાકિસ્તાન વૉશિગ્ટનમાં અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યુ હતું.
1979થી 2021 સુધી, આઈએસઆઈ અફઘાનિસ્તાનની સ્થિતિ અને પાકિસ્તાન પર તેની થનારી અસર પર ધ્યાન આપી રહી હતી.
આઈએસઆઈના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલે નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું હતું કે, "એમાં કોઈ શંકા નથી કે આઈએસઆઈ માટે આ એક મોટી સફળતા છે કે અમે પાકિસ્તાનને થનારાં મોટાં નુકસાન અથવા તો અફઘાનિસ્તાનની સ્થિતિને કારણે ઊભી થતી નકારાત્મક અસરથી બચાવ્યું છે.”
આઈએસઆઈ સંગઠનનો ઢાંચો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દેશનાં સશસ્ત્ર દળોની વ્યાવહારિક અને વૈચારિક સુરક્ષા એ આઈએસઆઈની પાયાની જવાબદારી છે, જે આ સંસ્થાના નામ એટલે કે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ પરથી સ્પષ્ટ થાય છે.
સામાન્ય નાગરિકો પણ આઈએસઆઈમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા છે, પરંતુ તેઓ સંગઠનાત્મક માળખામાં પ્રભુત્વ ધરાવતા નથી.
જર્મન રાજકીય વિશ્લેષક ડૉ. હીન એચ. કિસલિંગે તેમના પુસ્તક 'આઈએસઆઈ ઑફ પાકિસ્તાન'માં એનું સંગઠનાત્મક માળખું આપ્યું છે. આ પુસ્તક અનુસાર, તેમણે 1989થી 2002 સુધીનો સમય પાકિસ્તાનમાં વિતાવ્યો હતો.
પુસ્તકમાં કિસલિંગે લખ્યું છે કે, "આઈએસઆઈ એક આધુનિક સંસ્થા છે, જેનું મુખ્ય કામ ગુપ્ત માહિતી એકઠી કરવાનું છે."
તેમના મતે, "આઈએસઆઈમાં સાત ડિરેકટરેટ્સ ઉપરાંત અનેક વિભાગો અને પેટાવિભાગો છે. આઈએસઆઈના માળખામાં આર્મીનું વર્ચસ્વ છે, જોકે નૅવી અને ઍરફોર્સના અધિકારીઓ પણ આ સંગઠનમાં છે."
આઈએસઆઈના ડીજી પડદા પાછળ ગુપ્તચર બાબતોમાં વડા પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરે છે.
એક વરિષ્ઠ આર્મી અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "સશસ્ત્ર દળોમાં, આર્મી, ઍરફોર્સ અને નૅવી પાસે એક અલગ ગુપ્તચર એજન્સી છે, જેમાં મિલિટરી ઇન્ટેલિજન્સ, ઍર ઇન્ટેલિજન્સ અને નેવલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે, જે પોતપોતાનાં દળો માટે જરૂરી માહિતી એકત્રિત કરે છે અને કાર્યવાહી કરે છે."
આઈએસઆઈ તેમજ આ એજન્સીઓના કામકાજમાં ક્યારેક એક જ પ્રકારની માહિતી પણ એકઠી કરવામાં આવે છે, કારણ કે દરેક એજન્સી સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખે છે અને દુશ્મનો પર ચાંપતી નજર રાખે છે.
જોકે, સેનાના સંગઠનમાં અન્ય એજન્સીઓની સરખામણીમાં આઈએસઆઈ સૌથી મોટી, સૌથી પ્રભાવક અને સૌથી શક્તિશાળી એજન્સી માનવામાં આવે છે.
જોકે, એમાં કેટલા લોકો કામ કરે છે એ વિશે સ્થાનિક મીડિયા કે સરકારી ક્ષેત્રમાં કોઈ વિગત નથી. એનું ભંડોળ પણ જનતાને ખબર નથી હોતું.
જોકે, વૉશિંગ્ટનસ્થિત ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ દ્વારા ઘણાં વર્ષ અગાઉ કરવામાં આવેલી તપાસ અનુસાર, આઈએસઆઈમાં 10 હજાર અધિકારી અને સ્ટાફ છે, જેમાં બાતમીદારો અને માહિતી આપનારા લોકો સામેલ નથી. તેમાં 6થી 8 વિભાગો છે.
કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑપરેશન

ઇમેજ સ્રોત, Getty Images
લશ્કરી નિષ્ણાતો કહે છે કે આઈએસઆઈનું સંગઠનાત્મક માળખું તેને કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી ગુપ્તચર એજન્સી બનાવે છે, પરંતુ એનું કારણ શું છે?
પાકિસ્તાનની સંરક્ષણ વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂકેલા નિવૃત્ત બ્રિગેડિયર ફિરોઝ એચ ખાને ‘ઇટિંગ ગ્રાસ’ નામનું પુસ્તક લખ્યું છે.
તેઓ લખે છે કે, “અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘના હસ્તક્ષેપે પાકિસ્તાનના ત્રીજા સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકને પરેશાન કરી દીધા હતા. એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે સત્તાના નશામાં ધૂત વિશ્વશક્તિ અમારા દેશના બારણે ટકોરા દઈ રહી હતી."
"તે સ્થિતિમાં કાર્ટર વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૈન્ય અને આર્થિક સહાય સંતોષકારક હતી, પરંતુ અમેરિકન પ્રસ્તાવ લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા માટે અન્ય પ્રકારની સમસ્યાનું કારણ બન્યો હતો."
"તેઓ સમજતા હતા કે અમેરિકન સહાય પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને લશ્કરી ક્ષમતામાં વધારો કરશે. પરંતુ બીજી બાજુ, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ગુપ્તચર માહિતીની વહેંચણી માટે પાકિસ્તાનની અંદર વધુ દેખરેખની જરૂર પડશે, જેનાથી પાકિસ્તાનની રાષ્ટ્રીય ગુપ્ત માહિતીની સુરક્ષિત રાખવામાં મુશ્કેલી આવી શકે છે."
બ્રિગેડિયર ફિરોઝે લખ્યું છે કે જનરલ ઝિયાએ પાકિસ્તાનમાં અમેરિકાની ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરીને 'તટસ્થ – ન્યુટ્રલાઇઝ' કરવાનો અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પાકિસ્તાનની ગુપ્તચર સેવાની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો હતો. જેનો અર્થ આઇએસઆઈની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગને છૂટથી બજેટ મળી રહે."

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ દિવસોમાં અમેરિકી ઇન્ટેલિજન્સ ઑપરેશન મોટે ભાગે પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમ અંગે જ હતાં.
બીજી તરફ અફઘાનિસ્તાન યુદ્ધના પરિણામે, મોટી સંખ્યામાં પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓનો ઇસ્લામાબાદમાં કાયમી વસવાટ હતો.
પરિસ્થિતિ જોઈને તે સમયની સૈન્ય સરકારે પાકિસ્તાનની ગુપ્તચર સેવાઓને એવી રીતે ફરીથી ગોઠવી કે તેમનું ફોકસ કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑપરેશન્સ બની જાય.
કાઉન્ટર ઇન્ટેલિજન્સ એટલે જાણકારી મેળવવા તેમજ વિદેશી સરકારો કે સંગઠનો કે વિદેશી લોકો કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો કે તેમના ઇશારે થતી જાસૂસી. સૈનિક સુધારા વિશેના શબ્દકોશમાં તે મુજબની વ્યાખ્યા છે.
આ સિવાય તેમાં અન્ય ગુપ્તચર એજન્સીઓની ગતિવિધિઓ, ષડયંત્ર કે હત્યાની કાર્યવાહીથી બચવા માટે કરાતી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
ફિરોઝ ખાનના વિચાર અનુસાર, "જનરલ ઝિયા ઉલ હક આઈએસઆઈના આર્કિટેક્ટ હતા અને તેઓ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એવી રીતે ચલાવવા માગતા હતા કે જે અન્ય તમામ ઇન્ટેલિજન્સ કરતાં ચડિયાતી હોય."
"તેથી, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સર્વિસિસનું એવું માળખું બનાવાયુ હતું કે તે પ્રગતિ કરે અને પારદર્શક રીતે આગળ વધે. તેનું વધારાનું ધ્યાન દેશની અંદર અને બહાર કાઉન્ટર ઇન્ટેલિજન્સ પર હોવું જોઈએ."
ફિરોઝ ખાને લખ્યું છે કે, "ઝિયા ઉલ હક પાસે આગળ વધવા માટે બહુ ઓછા વિકલ્પો હતા પરંતુ તેમને દાવ લગાવવો હતો. પરમાણુ મુદ્દાને કૂટનીતિ દ્વારા હળવો કરી શકાય તેમ હતો અને અમેરિકન ગુપ્તચર દ્વારા માહિતી મેળવવામાં જોખમ હતાં, કાઉન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા આ સમસ્યાને વધુ સારી રીતે ઉકેલી શકાતી હતી."
જૉઇન્ટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આજ સુધી, આઈએસઆઈની અંદરનાં નિદેશાલયો કાઉન્ટર ઇન્ટેલિજન્સની જવાબદારી સંભાળે છે, જેને જૉઇન્ટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો અથવા જેસીઆઈબી નામ આપવામાં આવ્યું છે, જે સૌથી મોટું નિદેશાલય છે.
કિસલિંગ તેમના પુસ્તકમાં લખે છે કે, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેસીઆઈબીને એક્સ્ટર્નલ રીતે કન્ટ્રોલ કરે છે.
તેમના મતે, "એની જવાબદારી વિદેશમાં તહેનાત પાકિસ્તાની રાજદ્વારીઓ પર નજર રાખવાની છે. એ સાથે જ મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા, ચીન, અફઘાનિસ્તાન અને ભૂતપૂર્વ સોવિયત સંઘથી અલગ થયેલા દેશોમાં ગુપ્તચર કામગીરી હાથ ધરવાની છે."
જેસીઆઈબીના ચાર ડિરેક્ટરેટ છે. જેમાં દરેકને અલગ-અલગ જવાબદારી આપવામાં આવી છે.
- એ – એક ડિરેક્ટર વિદેશી રાજદ્વારીઓ અને વિદેશીઓની ક્ષેત્રીય દેખરેખ સંભાળે છે.
- બી – બીજા ડિરેક્ટર વિદેશી રાજનીતિ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકત્ર કરે છે.
- સી - ત્રીજા ડિરેક્ટરની જવાબદારી એશિયા, યુરોપ અને મધ્ય-પૂર્વમાંથી ગુપ્ત માહિતી એકત્રિત કરવાની છે.
- ડી - ચોથા ડિરેક્ટર ગુપ્તચર બાબતોમાં વડા પ્રધાનના સહાયક તરીકે કામ કરે છે. જે સૌથી મોટું ડિરેક્ટોરેટ છે. તેમની જવાબદારીઓમાં આઈએસઆઈના અધિકારીઓના કામકાજ પર નજર રાખવાનો પણ સમાવેશ થાય છે.
એમનું કામ રાજકીય ગતિવિધિઓનો હિસાબ રાખવાનું પણ છે એને એ પાકિસ્તાનનાં દરેક મોટાં શહેરો – ક્ષેત્રોમાં મોજૂદ છે.
આઈએસઆઈમાં અન્ય નિદેશાલય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ડૉક્ટર હીન કિસલિંગના પુસ્તક અનુસાર, આઈએસઆઈનું બીજો ડાયરેક્ટોરેટ જૉઇન્ટ ઇન્ટેલિજન્સ બ્યૂરો એટલે કે જેઆઈબી છે જો સંવેદનશીલ રાજનૈતિક વિષયે સંબંધિત છે.
જેમાં રાજનૈતિક દળ, ટ્રેડ યુનિયન, અફઘાનિસ્તાન, આતંકવાદ નિરોધી કાર્યવાહીઓ અને વીઆઈપી સુરક્ષા સામેલ છે. આ વિદેશી દૂતાવાસોમાં કામ કરવા માટે ખાસ નિયુક્ત પાકિસ્તાનના સૈનિકો અને સૈનિક સલાહકારો સાથે જોડાયેલા મામલાનું નિરીક્ષણ કરે છે.
ડૉક્ટર કિસલિંગે લખ્યું છે કે જેઆઈએન જમ્મુ-કાશ્મીરનું કામ પણ જુએ છે. તેની મૂળ જવાબદારી ગુપ્ત માહિતી મેળવવાની છે અને આ કાશ્મીરી ચરમપંથીઓને તાલીમ, હથિયાર તથા ફંડ ઉપલબ્ધ કરાવવાનું છે.
પાકિસ્તાન પર કાશ્મીરી ચરમપંથીઓની મદદના આરોપ લાગે છે, પરંતુ પાકિસ્તાન તેને નકારે છે.
ડૉ. કિસલિંગ મુજબ જૉઇન્ટ ઇન્ટેલિજેન્સ યુરોપના અલગ-અલગ દેશો, અમેરિકા, એશિયા અને મધ્ય-પૂર્વમાં જાસૂસીનું કામ કરે છે અને એજન્ટ મારફતે આઈએસઆઈ હેડક્વાર્ટર સાથે સીધા સંપર્કમાં રહે છે.
“આ વિદેશોમાં તહેનાત અધિકારીઓની મદદથી ગુપ્ત માહિતી જમા કરે છે. આ પોતાની આક્રમક કાર્યવાહી માટે તાલીમ લઈ ચૂકેલા જાસૂસોને ભારત અને અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં લે છે.”
સેના અને આઈએસઆઈમાં મતભેદ
એક નિવૃત્ત સિનિયર સેનાધિકારીના જણાવ્યા અનુસાર, આઈએસઆઈ પાકિસ્તાન આર્મીના અંતર્ગત કામ કરે છે જે તેને અખૂટ શક્તિ આપે છે. પરંતુ તેના અનુસાર તેમના સંબંધોમાં ક્યારેક તિરાડો પણ પડે છે, જે ભૂતકાળમાં ખૂલીને સામે આવી છે.
તેમણે નામ ન આપવાની કરવાની શરતે કહ્યું કે, “સૈનિકો ઉદાહરણ આપતા કહે છે કે 12, ઑક્ટોબર 1999નો બળવો, નવાઝ શરીફ સરકાર સામે તો હતો જ પરંતુ તે આઈએસઆઈ સામે પણ હતો.”
“આઈએસઆઈ પોતાના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝિયાઉદ્દીન બટ સાથે હતો, જે તે સમયના વડા પ્રધાને તેમને ચીફ ઑફ આર્મી સ્ટાફ બનાવી દીધા હતા.”
“બીજી વાર બળવો ત્યારે થયો જ્યારે જનરલ મુશર્રફના સમયે આઈએસઆઈએ પોતાની મીડિયા વિંગ શરૂ કરી અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંબંધો બનાવ્યા.”
એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે કહ્યું કે, “આઈએસઆઈની મીડિયા વિંગ ક્યારેક સ્વતંત્ર રીતે કામ કરે છે અને આ કામ આ ઉદ્દેશ્યથી તદ્દન અલગ છે જેને આઈએસપીઆર કરે છે.”
“આઈએસપીઆર પાકિસ્તાની સેનાનો જનસંપર્ક વિભાગ છે. મીડિયા પર આ વિંગના દબાણની આઈએસપીઆરના દબાણ સાથે સમાંતર પ્રભાવ પડે છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












