1000 રૂપિયા રોકાણ કરીને ત્રણ મહિના વ્યાજ મેળવો, નિવૃત્તિ પછીની ફાયદાકારક આ યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રોકાણ નિષ્ણાતો કહે છે કે તમારે તમારી પહેલી નોકરીથી જ નિવૃત્તિનું આયોજન શરૂ કરી દેવું જોઈએ, પણ સવાલ એ છે કે નિવૃત્તિ પછી તમે કેટલા રોકાણ વિકલ્પોમાંથી પસંદગી કરી શકો, જે તમને નિયમિત રીતે આવક પૂરી પાડી શકે?
આવો એક વિકલ્પ સિનિયર સિટીઝન્સ સેવિંગ્ઝ સ્કીમ છે.
આ એક સરકારી રોકાણ યોજના છે, પણ તેમાં શું જોગવાઈ છે? તેમાં કોણ રોકાણ કરી શકે? કેટલો ફાયદો અને કેટલું જોખમ છે? ચાલો, જાણીએ.

કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી વખતે આપણે એ જોઈએ છીએ કે તેમાંથી કેટલું વળતર મળશે, રોકાણ કેટલું સલામત છે અને અને તેમાંથી કર લાભ મળશે કે નહીં.
મોટા ભાગના રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા નિવૃત્તિ પછી ઘટે છે. એ સમયે રોકાણ માટે કેટલાક સલામત રસ્તાઓ શોધવામાં આવે છે.
આવો જ એક વિકલ્પ સિનિયર સિટીઝન્સ સેવિંગ્ઝ સ્કીમ (SCSS) છે.

આ યોજનામાં 60 વર્ષથી વધુ વયનો કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે.
એ ઉપરાંત વ્યક્તિ જ્યાં નોકરી કરતી હતી તે કંપની દ્વારા ઑફર કરવામાં આવેલી નિવૃત્તિ યોજના સ્વીકારીને નિવૃત્ત થયેલા, સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) અથવા સ્પેશિયલ વીઆરએસ દ્વારા નિવૃત્તિ પામેલા 55થી વધુ વર્ષના (60 વર્ષથી ઓછી વયના લોકો પણ) લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંરક્ષણ દળોમાંથી નિવૃત્ત થયેલા 50 વર્ષથી વધુ વયના અધિકારીઓ પણ, કેટલીક શરતોને આધીન આ યોજનામાં રોકાણ કરી શકે છે.
તમે વ્યક્તિગત રીતે અથવા જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકો છો. એ માટે તમારા ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડશે.

આ યોજના હેઠળ કોઈ પણ શિડ્યુલ્ડ બૅન્ક અથવા પોસ્ટ ઑફિસમાં ખાતું ખોલાવી શકાય છે. તે ખાતું ખોલ્યાની તારીખથી પાંચ વર્ષ માટે માન્ય રહેશે અને તેને વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાશે. રોકાણકાર માત્ર ચોક્કસ કારણસર જ આ ખાતું સમય પહેલાં બંધ કરાવી શકે છે.

આ યોજનામાં ઓછામાં ઓછું રૂપિયા 1000નું રોકાણ કરવું જરૂરી છે. તમે વધુમાં વધુ રૂપિયા ત્રીસ લાખનું રોકાણ કરી શકો છો.
આ યોજના રોકાણકારોને દરેક ક્વાર્ટરમાં વ્યાજની ચુકવણી કરવામાં આવે છે અને દરેક ક્વાર્ટર માટેના વ્યાજદર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.

SCSSમાં ડિપૉઝિટ પર રોકાણકારને મળતું વ્યાજ કરપાત્ર છે, પરંતુ વરિષ્ઠ નાગરિકો ઇન્કમ ટૅક્સની કલમ 80સી હેઠળ રૂપિયા દોઢ લાખ સુધીના કર લાભ મેળવી શકે છે.

ખાતું ખોલતી વખતે જમા કરાવેલાં નાણાં તમને પાંચ વર્ષની મૅચ્યોરિટી પછી પાછાં મળશે. તમે અવધિ ત્રણ વર્ષ માટે લંબાવશો તો આઠ વર્ષ પછી મળશે.
સવાલ એ છે કે આ ખાતું પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થાય એ પહેલાં બંધ કરી શકાય?
આ માટે કેટલીક શરતો છે:
- ખાતું ખોલ્યાની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા પહેલાં બંધ કરવું હોય, તો જમા કરાવેલી રકમ પર મળતું વ્યાજ કાપી લેવામાં આવશે અને બાકીની રકમ પાછી આપવામાં આવશે.
- ખાતું એક વર્ષ પછી પણ બે વર્ષ પૂર્ણ થયા પહેલાં બંધ કરવામાં આવે તો જમા કરવામાં આવેલી રકમના દોઢ ટકા કાપી લેવામાં આવશે અને બાકીની રકમ પાછી આપવામાં આવશે.
- ખાતું ખોલ્યાના બે વર્ષ પછી બંધ કરવામાં આવે તો બાકીની ડિપૉઝિટની રકમ એક ટકો કાપીને પરત આપવામાં આવશે.

SCSS સરકારના નિવૃત્તિ લાભ કાર્યક્રમનો એક ભાગ છે. સરકાર એમ પણ કહે છે કે આ થાપણો પરનું વ્યાજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમાં જમા કરાવેલાં નાણાં 100 ટકા સલામત છે.
તેને નિવૃત્તિ પછીની નિયમિત આવકનો સ્રોત ગણી શકાય, કારણ કે તેમાં દર ત્રણ મહિને રોકાણકારને વ્યાજ ચૂકવવામાં આવે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ધારો કે તમે એક જ ખાતું ખોલાવો છો અને તેમાં રૂપિયા 30 લાખ જમા કરાવો છો. તેમાં વર્તમાન વ્યાજદર 8.2 ટકા છે અને યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે.
એ મુજબ,
તમને દર ત્રણ મહિને રૂ. 61,500 વ્યાજ મળશે.
પાંચ વર્ષમાં વ્યાજની કુલ રકમ રૂ. 12,30,000 થશે.
ટૂંકમાં આ યોજના વધુ સલામત માનવામાં આવે છે. વ્યાજદર ત્રણ મહિને ચૂકવવામાં આવે છે. અન્ય યોજનાઓ કરતાં વ્યાજનો દર સારો છે. કેટલીક બૅન્કો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપૉઝિટ પર આનાથી પણ ઊંચા દર ઑફર કરે છે. તમે તમારી અનુકૂળતા મુજબ આ ફિક્સ્ડ ડિપૉઝિટ માટે ટૂંકા કે લાંબા સમયગાળાની પસંદગી કરી શકો છો.
આ યોજનામાં પાંચ વર્ષનો લૉક-ઇન પિરિયડ હોવાની સાથે કેટલીક રકમ કાપીને નાણાં પાછાં મેળવવાનો વિકલ્પ પણ છે. દોઢ લાખ રૂપિયા સુધીનું વ્યાજ કરમુક્ત હોવા છતાં આ યોજનામાં મળતું તમામ વ્યાજ પીપીએફથી વિપરીત કરમુક્ત નથી.
(આ ફક્ત માહિતી છે. રોકાણના નિર્ણય રોકાણ સલાહકારની સલાહ અનુસાર લેવા જોઈએ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












