યુએઈમાં નવી વિઝા પૉલિસી લાગુ થતાં દુબઈમાં નોકરી કરવા ઇચ્છતા ભારતીયોને કેવો ફાયદો થશે?

  • યુએઈના આ બદલાયેલા નિયમો ભારત માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકો અને કામદારો ત્યાં કામ કરે છે
  • ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો માટે નવી દસ વર્ષની ગોલ્ડન વિઝા યોજના લાગુ કરવામાં આવી છે
  • યુએઈમાં 34 લાખથી વધુ ભારતીયો છે. આ લોકોમાં સૌથી વધુ સંખ્યા કેરળના લોકોની છે, જેઓ ત્યાં રોજગાર અને વ્યવસાય માટે જાય છે. આ લોકોને ગ્રીન વિઝાનો સૌથી વધુ ફાયદો મળશે
  • ગ્રીનના વિઝાના આધારે ઇમિગ્રન્ટ ત્યાં પાંચ વર્ષ સુધી રહી શકે છે. તેને રિન્યૂ પણ કરી શકાય છે
  • ગોલ્ડન વિઝા વિદેશી સાહસિકો, સંશોધકો, તબીબી વ્યાવસાયિકો, વિજ્ઞાન અને સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા નિષ્ણાતો અને યુએઈમાં રોકાણ કરનારા વિશેષ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને સ્નાતકોને આપવામાં આવે છે
  • ટૂરિસ્ટ વિઝા પર યુએઈ જનારા લોકો ત્યાં વધુ 60 દિવસ રહી શકશે. અગાઉ આ સમયગાળો 30 વર્ષનો હતો
  • ફ્લેક્સિબલ મલ્ટી-ઍન્ટ્રી ટૂરિસ્ટ વિઝા પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રવાસી 90 દિવસ સુધી ત્યાં રહી શકે છે અને આ દરમિયાન તે આવ-જા કરી શકે છે

યુનાઈટેડ આરબ અમીરાતે ગયા મહિને તેની વિઝા નીતિમાં જે ફેરફારો જાહેર કર્યા હતા તે 3 ઑક્ટોબરથી અમલમાં આવ્યા છે.

દેશની ઇમિગ્રેશન પૉલિસીમાં ફેરફાર અંતર્ગત લાગુ કરાયેલા નવા વિઝા નિયમો હેઠળ પ્રવાસીઓ માટે લાંબા ગાળાના વિઝા, વ્યવસાયિકો માટે લાંબા સમય સુધી રહેવાની સુવિધા આપવામાં આવી છે.

ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો માટે નવી દસ વર્ષની ગોલ્ડન વિઝા યોજના લાગુ કરવામાં આવી છે.

યુએઈના આ બદલાયેલા નિયમો ભારત માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકો અને કામદારો ત્યાં કામ કરે છે.

યુએઈમાં 34 લાખથી વધુ ભારતીયો છે. આ લોકોમાં સૌથી વધુ સંખ્યા કેરળના લોકોની છે, જેઓ ત્યાં રોજગાર અને વ્યવસાય માટે જાય છે. આ લોકોને ગ્રીન વિઝાનો સૌથી વધુ ફાયદો મળશે.

તાજેતરના વર્ષોમાં યુએઈનાં નીતિ-નિર્ણયોમાં આને સૌથી મોટા ફેરફારો તરીકે જોવામાં આવે છે. યુએઈ સરકારના જણાવ્યાનુસાર, દેશમાં વધુ રોકાણકારો, પ્રવાસીઓ અને વ્યાવસાયિકોને આકર્ષવા માટે નવી નીતિ લાવવામાં આવી છે.

દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ યુએઈની મુલાકાત લે છે. નવી વિઝા પૉલિસીની વિશેષતાઓ શું છે અને તેનાથી યુએઈ અને ભારતીયોને કેવી રીતે ફાયદો થશે તે જાણીએ.

ગ્રીન વિઝા

ગ્રીન વિઝાના આધારે ઇમિગ્રન્ટ ત્યાં પાંચ વર્ષ સુધી રહી શકે છે. તેને રિન્યૂ પણ કરી શકાય છે.

આ સેલ્ફ સ્પોન્સર્ડ વિઝા હશે. એટલે કે, આ માટે, યુએઈના નાગરિક, નોકરીદાતાએ અહીં આવતા લોકોના વિઝાને સ્પોન્સર કરવાની જરૂર રહેશે નહીં. ફ્રીલાન્સર, પોતાનો રોજગાર ચલાવતા, કુશળ શ્રમિક, રોકાણકારો અથવા તેમના ભાગીદારો આ વિઝા મેળવી શકશે.

ગ્રીન વિઝાધારકને વધુ લાભો મળશે. તેઓ તેમના ત્યાં રોકાણ દરમિયાન તેમની પત્ની અથવા પતિ, બાળકો અને નજીકના સંબંધીઓને તેમની સાથે રાખી શકશે. માતા-પિતા તેમનાં 25 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ત્યાં રાખી શકશે. અગાઉ આ ઉંમર 18 વર્ષ સુધીની હતી. આ વય મર્યાદા અપરિણીત પુત્રી અથવા અપંગ બાળકોના કિસ્સામાં લાગુ પડતી નથી. ગ્રીન કાર્ડધારકને રહેઠાણનો સમયગાળો પૂરો થતા છ મહિનાનો ગ્રેસ પિરિયડ મળશે.

દસ વર્ષના ગોલ્ડન વિઝા

ગોલ્ડન વિઝા વિદેશી સાહસિકો, સંશોધકો, તબીબી વ્યવસાયિકો, વિજ્ઞાન અને સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા નિષ્ણાતો અને યુએઈમાં રોકાણ કરનારા વિશેષ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને સ્નાતકોને આપવામાં આવે છે.

યુએઈમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે ગોલ્ડન વિઝા યોજના 2020માં લાગુ કરવામાં આવી હતી. ગોલ્ડન વિઝા યોજના હેઠળ આપવામાં આવતા વિઝાની અવધિ દસ વર્ષ સુધીની રહેશે.

ગોલ્ડન વિઝાધારકોને અનેક લાભો મળશે. આમાં, તેમની પાસે તેના વ્યવસાયની 100 ટકા માલિકી હશે. અગાઉ છ મહિના સુધી દેશની બહાર રહેતા લોકોનો ત્યાંનો અધિકાર ખતમ કરવામાં આવ્યો હતો. પરંતુ દસ વર્ષની ગોલ્ડન વિઝા સ્કીમમાં આ પ્રતિબંધ નાબૂદ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓના ઘરેલુ સહાયકોની સંખ્યા પરની મર્યાદા દૂર કરવામાં આવી છે.

નવી યોજના હેઠળ, ગોલ્ડન વિઝા ધારકો તેમના જીવનસાથી અને કોઈ પણ વયનાં બાળકોને સ્પોન્સર કરી શકે છે. જો ગોલ્ડન વિઝા ધારક મૃત્યુ પામે તો પણ તેના પરિવારના સભ્યો વિઝાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી ત્યાં રહી શકે છે.

ગોલ્ડન વિઝા હેઠળ સાયન્સ-એન્જિનિયરિંગ, મેડિસિન, આઈટી, બિઝનેસ, ઍડમિનિસ્ટ્રેશન અને ઍજ્યુકેશન સાથે સંબંધિત કુશળ વ્યવસાયિકોને યુએઈમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

પહેલાં આવા પ્રોફેશનલોને ત્યાં રહેવા માટે દર મહિને 50 હજાર એઈડી (દિરહામ) એટલે કે લગભગ 11 લાખ રૂપિયાથી વધુ કમાવું પડતું હતું, પરંતુ હવે તે ઘટાડીને 30 હજાર એઈડી એટલે કે 6.6 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

પ્રવાસીઓ અને અન્યો માટે વિઝા નીતિ

ટૂરિસ્ટ વિઝા પર યુએઈ જનારા લોકો ત્યાં વધુ 60 દિવસ રહી શકશે. અગાઉ આ સમયગાળો 30 વર્ષનો હતો.

આ સિવાય ફ્લેક્સિબલ મલ્ટી-ઍન્ટ્રી ટૂરિસ્ટ વિઝા પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રવાસી 90 દિવસ સુધી ત્યાં રહી શકે છે અને આ દરમિયાન તે આવ-જા કરી શકે છે. યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. યુએઈનું શહેર દુબઈ પણ એક મોટું આંતરરાષ્ટ્રીય શોપિંગ સ્થળ છે.

નવી વિઝા પોલિસીને કારણે નોકરી માટે ત્યાં જતા લોકોને સ્પોન્સર કે હોસ્ટની જરૂર નહીં રહે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલ પ્રથમ, દ્વિતીય અને ત્રીજી શ્રેણી હેઠળ આવતા વ્યાવસાયિકો અને વિશ્વની 500 ટોચની યુનિવર્સિટીઓના નવા સ્નાતકો જૉબ વિઝા માટે અરજી કરી શકે છે.

ભારતીયો યુએઈમાંથી મોટી રકમ સ્વદેશ મોકલે છે

ભારતના 34 લાખ લોકો યુએઈમાં રહે છે અને તે ત્યાંનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય છે.

ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, યુએઈનું ભારતમાં 1.70-1.80 અબજ ડૉલરનું રોકાણ છે. તેમાંથી 1.16 અબજ ડૉલર એફડીઆઈના રૂપમાં છે, બાકીનું પોર્ટફોલિયો રોકાણ છે. એફડીઆઈના સંદર્ભમાં યુએઈ ભારતમાં રોકાણ કરનાર નવમો સૌથી મોટો દેશ છે.

ભારતીય કંપનીઓએ પણ યુએઈમાં રોકાણ વધાર્યું છે. યુએઈમાં ભારતીય કંપનીઓનું રોકાણ 85 અબજ ડૉલર જેટલું હોઈ શકે છે. યુએઈની સેન્ટ્રલ બૅંકના 2018ના આંકડા અનુસાર, દુબઈમાં કામ કરતા ભારતીયોએ દેશમાં 17.56 અબજ ડૉલર મોકલ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો