લિક્વિડ ડાયટ : માત્ર પ્રવાહી પર રહેવાની પદ્ધતિ શું જીવલેણ સાબિત થઈ શકે?

ગત શુક્રવારે કુદરતી કારણસરો મૃત્યુ પામનારા ક્રિકેટર શેન વૉર્ન તેમના મૃત્યુ પહેલાં 14 દિવસથી લિક્વિડ ડાયટ પર હતા એવું જણાવાયું છે. ઝડપથી વજન ઓછું કરવા માટે તેઓ ડાયટ કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેમણે પોતાનો એક જૂનો ફોટો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે: "થોડાં વર્ષો પહેલાં હું આવો હતો, ફરીથી જુલાઈ સુધીમાં એવો જ થઈ જવાનો ગોલ છે."

તેમના મિત્રોનું કહેવું છે કે અગાઉ પણ આવી જ રીતે વજન ઉતારવાનો પ્રયાસ વૉર્ને કર્યો હતો.

આ પ્રકારના પ્રવાહી ખોરાક પર રહીને વજન ઉતારવાનું કેટલું ઉપયોગી છે અને તેનાથી શરીર પર શું અસર થાય છે?

જુદા-જુદા પ્રકારના ઘણા લિક્વિડ ડાયટ હોય છે, પણ પ્રવાહી ખોરાક પદ્ધતિ પાછળનો હેતુ એક જ હોય છે - બહુ ઓછી કૅલરી ખોરાકમાં લઈને ઝડપથી વજન ઓછું કરવું.

આ પ્રકારના લિક્વિડ ડાયટમાં પ્રચલિત ફલો અને વનસ્પતિના જ્યૂસનો સમાવેશ થાય છે, જેના આધારે શરીરનું શુદ્ધિકરણ કરીને ઓછી ચરબીવાળાં પીણાં અને સૂપ લેવાની વાત હોય છે.

જોકે નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પ્રકારના ડાયટને કારણે સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે અને મોટા ભાગના લોકો માટે માત્ર પ્રવાહી પર રહેવું યોગ્ય હોતું નથી.

એનએચએસના જણાવ્યા અનુસાર અમુક જૂથના લોકો માટે જ રોજની 800 કૅલરીવાળા આહારની પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે. ખાસ કરીને સ્થૂળ લોકો માટે અને ડાયાબિટીઝ ટાઇપ-2ની સારવાર લઈ રહેલા અતિસ્થૂળ લોકો માટે જ આવી સલાહ આપવામાં આવે છે.

પ્રયોગો અને પરિક્ષણો પછી આવી ડાયટ પદ્ધતિઓ તૈયાર કરાઈ છે અને તેમાં મેડિકલ સુપરવિઝન પણ રાખવામાં આવે છે. તેની સામે ઑનલાઇન લિક્વિડ ડાયટ માટેની સલાહ આપવામાં આવે છે તેમાં આ પ્રકારની કોઈ કાળજી લેવામાં આવી હોતી નથી.

બ્રિટિશ ડાયાબિટિક ઍસોસિએશનના એસ્લિંગ પીગોટ કહે છે, "લોકો ઝડપથી પાતળા થવા માગતા હોય છે એટલે તેમને જ્યૂસ લેવાની વાતમાં રસ પડે છે - પરંતુ એ યાદ રાખવું જોઈએ કે ડાયટ કરવાની વાત એટલી સહેલી હોતી નથી."

"જ્યૂસ ઉપયોગી ખરા - પરંતુ એક જ પ્રકારનો ઉપયોગ બધા માટે કામનો ના હોય."

"યોગ્ય વજન ધરાવનારા લોકોને પણ ધ્યાનમાં રાખીને આવા ડાયટનું માર્કેટિંગ થાય છે તે પણ ચિંતાનો કારણ છે."

ફળો અને શાકભાજીમાંથી સારા પ્રમાણમાં મિનરલ અને વિટામિન્સ મળે છે - પરંતુ તેમાંથી બહુ ઓછી ચરબી અને પ્રોટીન પ્રાપ્ત થાય છે.

ફળોને તેની છાલ અને બીજ સાથે ખાવામાં ના આવે ત્યારે તેમાંથી ફાઇબર પણ મળતું નથી.

પ્લાયમાઉથ યુનિવર્સિટીના માનવ પોષણ અંગેના એસોસિએટ પ્રોફેસર ડૉ. ગેઇલ રીસ કહે છે, "એક અઠવાડિયામાં જ તમને થાક અને નબળાઈનો અનુભવ થવા લાગે છે."

સંતુલિત પ્રકારનો આહાર લેવામાં ના આવે ત્યારે શરીરને જરૂરી દરેક પ્રકારના પોષક તત્ત્વો મળતા નથી. તેના કારણે ઊલટાનું લાંબા ગાળે "ઘણું નુકસાન પણ થઈ શકે છે".

પોષક તત્ત્વો ના મળે ત્યારે શરીરમાં અનામત રહેલા આયર્નનો જથ્થો વપરાવા લાગે અને તેના કારણે સ્ત્રીઓમાં એનેમિયા થાય છે.

સ્નાયુઓ અને આંતરડાં નબળાં પડવાં લાગે છે અને ફેફસાં તથા લીવરને શરીરને ચેતનવંતુ રાખવા માટે વધારે મહેનત કરવી પડે છે.

આ સિવાય માથાનો દુખાવો, ચક્કર આવવા, ખૂબ જ થાક લાગવો, ઝાડા થવા અને બાદી થવા જેવી આડઅસરો પણ થઈ શકે છે.

ફળોના જ્યૂસમાં ઘણા બધા કુદરતી ઍસિડ્સ પણ હોય છે અને તેના કારણે દાંત પરના ઇનામલના પડને નુકસાન થાય છે અને ઓછી કૅલરી આહારમાં આવે તે પછી શ્વાસમાં અલગ પ્રકારની સ્મેલ આવે છે.

પીગોટના જણાવ્યા અનુસાર લિક્વિડ ડાયટથી ઝડપથી વજન ઓછું થઈ શકે છે ખરું, પરંતુ તેમાં અલગ પ્રકારનું જોખમ પણ રહેલું છે. આ જોખમ એટલે "લોલક પ્રકારનું જોખમ" કે જેમાં એક વાર ડાયટનો કાર્યક્રમ પૂરો થઈ જાય અને ફરીથી સામાન્ય આહાર શરૂ કરવામાં આવે ત્યારે વજન ફરીથી ઝડપથી વધી પણ જાય છે.

આ પ્રકારના પ્રચલિત ડાયટને "ટૉક્સિક ડાયટ કલ્ચર"નો હિસ્સો ગણવામાં આવે છે, કેમ કે તેમાં અમુક પ્રકારના ભોજન પ્રત્યે અરુચિ ઉત્પન્ન કરવાની કોશિશ થાય છે. તેના કારણે ઊલટાનું ઘણી વાર એવું બને છે કે વજન ઘટવાને બદલે વધી જાય છે, એમ તેમનું કહેવું છે.

તેઓ સલાહ આપતા કહે છે કે તમારું શરીર શું અનુભવી રહ્યું છે તે જુઓ, તમારી રાબેતા મુજબની જીવનશૈલી જ રાખો અને લાંબા ગાળે વજન ઉતરે તે પ્રકારે જ આયોજન કરો. એક જ અઠવાડિયામાં વજન ઘટાડી દેવાની વાત વાજબી નથી.

'વજનની વધઘટ'

બ્રિટિશ ન્યૂટ્રિશન ફાઉન્ડેશનના ડૉ. સિમૉન સ્ટીન્સન કહે છે, "આકરા પ્રકારની ડાયટ પદ્ધતિ અપનાવીને વજન ઘટાડવાની વાત લાંબા ગાળે યોગ્ય ઉપાય નથી. આ રીતે વજન ઘટી જાય ત્યારે તેમાં મોટા ભાગે શરીરનું પ્રવાહી ઓછું થઈ જાય અને સ્નાયુઓ પાતળા થઈ જાય."

"આ રીતે ક્રૅશ ડાયટ કરવાથી આરોગ્યને પણ નુકસાન થાય છે, જેમ કે પથરી થવાનું પણ જોખમ ઊભું થાય છે."

ડૉ. સ્ટીન્સન "વજન વધઘટ"ની પરંપરા ચાલશે તેની સામે પણ ચેતવણી આપે છે. પ્રચલિત પ્રકારના ડાયટ કરીને અચાનક વજન ઓછું થઈ જાય અને પછી ડાયટ બંધ કરો એટલે ફરી વધી જાય - એ રીતે વધઘટને કારણે ઊલટાનું આરોગ્ય નબળું પડે છે.

તેઓ કહે છે કે વજન ઓછું કરવાનો સૌથી ઉત્તમ ઉપાય એ છે કે અલગ-અલગ પ્રકારના સંતુલિત આહારની ટેવ પાડવી. તેમાં ઘણાં બધાં ફળ, શાકભાજી, આખાં અનાજ, કઠોળ, વગેરે લઈ શકાય છે. સાથે જ રોજ થોડો શ્રમ કરવાની પણ આદત રાખવી જોઈએ.

ડૉ. રીસ ભલામણ કરે છે કે, "શરાબ, તળેલા પદાર્થો, બિસ્કિટ, અને તૈયાર ખાદ્ય પદાર્થોને ખાવાની ટેવ બંધ કરો. આ બધા પ્રકારની ખાણીપીણીમાંથી બિનજરૂરી કૅલરી મળે છે. તેથી ઝડપથી વજન ઓછું કરવા "લિક્વિડ ડાયટ" પર જવાના બદલે ખાવાના આ ચટાકાને નિયંત્રણમાં લઈ લો."

અને ખાસ તો તમને કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે ડૉક્ટર અથવા ડાયટિશિયનની ભલામણ વિના કોઈ ડાયટ પ્રોગ્રામ ચાલુ કરશો નહીં.

અમુક પ્રકારના લોકોમાં યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે લિક્વિડ ડાયટ ઉપયોગી ફણ થાય છે - પરંતુ મોટા ભાગના લોકો તેના માટેની પરેજી પાળી શકતા નથી અને તે પ્રકારના ઉપાયો અમુક રીતે જોખમી પણ રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો