પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ચરમપંથી હુમલો, ચાર પાકિસ્તાની સૈનિકો અને 15 હુમલાખોરોનાં મૃત્યુ
- લેેખક, મોહમ્મ કાઝિમ
- પદ, બીબીસી ઉર્દૂ, ક્વેટા, પાકિસ્તાન
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે બલૂચિસ્તાન પ્રાંતના બે અલગ-અલગ વિસ્તારો નોશકી અને પંજગુરમાં એફસી (ફ્રંટિયર કૉર્પ્સ) મુખ્યાલય પર ચરમપંથી હુમલામાં અત્યાર સુધી ચાર સૈનિકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમનું કહેવું છે કે પંજગુરમાં અત્યાર સુધી ઑપરેશન ચાલી રહ્યું છે અને કેટલાક હુમલાવરોને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે.

ગૃહમંત્રીએ એક વીડિયોના નિવેદનમાં કહ્યું કે હુમલાવરોએ બુધવાર રાત્રે નોશકી અને પંજગુરમાં એક મોટો હુમલો કર્યો જેને સુરક્ષાદળોએ નિષ્ફળ કરી દીધો હતો.
તેમણે દાવો કર્યો, "નોશકીમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે સેનાના ચાર જવાનો શહીદ થયા હતા અને પંજગુરમાં છ આતંકવાદી માર્યા ગયા છે."
શેખ રશીદ મુજબ, 'પંજગુર અને નોશકી બંને જગ્યાએથી ચરમપંથીઓને ખદેડી દેવામાં આવ્યા છે અને સેનાએ પોતાની પરંપરા જીવિત રાખી છે.'
જોકે બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના સલાહકાર ઝિયા ઉલ્લાહ લાંગો અનુસાર 12 સૈનિકો આ હુમલામાં માર્યા ગયા છે. જોકે આની પહેલાં આઈએસપીઆરે દાવો કર્યો હતો કે 13 ઉગ્રવાદીઓ અને સાત સૈનિકો સુરક્ષાદળોના ઑપરેશન્સ વખતે માર્યા ગયા હતા.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શું કહ્યું?

બીજી તરફ વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાઓની ટીકા કરતાં કહ્યું, "અમે પોતાના બહાદુર સૈનિકોને સલામ કરી છીએ જેમાં બલૂચિસ્તાન, પંજગુર અને નોશકીમાં સૈન્યઠેકાણે આતંકવાદી હુમલાને નિષ્ફળ કરી દેવાયો છે."
વડા પ્રધાને પોતાના ટ્વીટમાં કહ્યું કે આખો દેશ પોતાની સેનાની પાછળ એકજુટ થઈને ઊભો છે, "જે અમારી સુરક્ષા અને રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સેનાના જનસંપર્ક અધિકારીએ બુધવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું, "પંજગુરમાં આતંકવાદીઓએ બે જગ્યાઓથી એફસી કાર્યાલયમાં પ્રવેશ કરવાની કોશિશ કરી પરંતુ સમય પર કાર્યવાહી કરીને તેમને નિષ્ફળ કરી દેવાયા હતા."
હુમલાની જવાબદારી સ્વીકાર કરતા બલૂચિસ્તાન લિબરેશન આર્મી તરફથી જારી એક નિવેદન અનુસાર, સંગઠનના મજીદ બ્રિગેડે દાવો કર્યો કે પંજગુર અને નોશકીમાં ઑપરેશન ચાલુ છે જેમાં તેમના બે હુમલાખોરો માર્યા ગયા.
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે હુમલાની ટીકા કરી અને કહ્યું, "આતંકવાદનો ખાતમો બોલાવવાના સુરક્ષાદળોના દૃઢ સંકલ્પ અને સાહસને તોડી ન શકાય અને આતંકવાદીઓ પોતાના ઇરાદામાં ક્યારેય સફળ નહીં થાય."

'હુમલાને નિષ્ફળ કર્યો'

ઇમેજ સ્રોત, AFP
બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયાઉલ્લાહ લાંગોએ બુધવાર રાત્રે બીબીસીને જણાવ્યું હતું કે પંજગુરમાં ફ્રન્ટિયર કોર કૅમ્પની પાસે વિસ્ફોટ થયો છે જેમાં છ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.
તેમણે કહ્યું હતું કે નોશકીમાં વિસ્ફોટ પછી ઑપરેશન ક્લીન-અપ ચાલુ છે, ઑપરેશન પૂર્ણ થયા પછી જ કેટલા લોકોનાં મૃત્યુ થયાં એ વિશે ચોક્કસ માહિતી આપી શકાશે.
મીર ઝિયાઉલ્લાહે કહ્યું કે," અમારા સુરક્ષાદળોના જવાનો આતંકવાદની વિરુદ્ધ મજબૂતીથી ઊભા છે અને આતંકવાદીઓના બધા ઇરાદા નિષ્ફળ કરી દેવામાં આવશે."
નોશકીના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી આજુબાજુના પોલીસ સ્ટેશન્સ, સિવિલ હૉસ્પિટલ અને ડેપ્યુટી કમિશ્નરની ઑફિસ હચમચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનના કેચ વિસ્તારમાં 25થી 26 જાન્યુઆરીની મધરાત્રે ચરમપંથી હુમલામાં સેનાના 10 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
આઈએસપીઆરે હુમલાના બે દિવસ બાદ પોતાના નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે, " પાકિસ્તાની સેનાના 10 જવાનો શહીદ થયા છે જ્યારે સામેની કાર્યવાહીમાં એક આંતકવાદી માર્યો ગયો હતો."
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું જોયું?

નોશકીમાં એફસીના એક અધિકારીએ બીબીસીનાં ફરહત જાવેદને કહ્યું કે, "આતંકવાદી કૅમ્પની અંદર પ્રવેશ ન કરી શક્યા અને ગેટ પર રહેલા ગાર્ડ્સે કેટલાક હુમલાખોરોને ઠાર માર્યા હતા, જેમના મૃતદેહો એફસી ગેટ પર વિખરાયેલા પડ્યા છે."
નોશકીમાં એક પોલીસ અધિકારીએ ફોન પર બીબીસીને જણાવ્યું કે, "કલી શરીફ ખાન રોડ તરફથી ફ્રન્ટિયર કોરના મેઇન ગેટ પર એક જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો."
પોલીસ અધિકારીએ કહ્યું કે વિસ્ફોટ પછી ભારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો જે ઘણો સમય ચાલ્યો.
તેમણે કહ્યું કે, "એફસી મુખ્યાલયથી પણ ફાયરિંગનો અવાજ આવતો હતો અને એવું લાગી રહ્યું હતું કે વિસ્ફોટ થયા બાદ એફસી મુખ્યાલય પર કોઈ હુમલો થયો છે અથવા એફસી કર્મીઓએ આત્મરક્ષામાં ફાયરિંગ શરૂ કર્યું છે."

નોશકી અને પંજગુર વિસ્તાર ક્યાં સ્થિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
નોશકી ક્વેટા શહેરથી લગભગ 150 કિલોમિટર દૂર પશ્ચિમમાં આવેલું છે અને નોશકી જિલ્લાની સીમા ઉત્તરમાં અફઘાનિસ્તાનની સીમા પાસે આવેલો છે.
નોશકીમાં પહેલાં પણ સુરક્ષાદળોને બૉમ્બ વિસ્ફોટ અને હુમલાનાં નિશાન બનાવવામાં આવ્યાં છે. પરંતુ મંગળવારની રાત્રે જે ઘટના ઘટી છે તે નોશકી શહેરના ઇતિહાસમાં આવી પહેલી ઘટના છે.
બીજી તરફ પંજગુર, પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત છે જ્યાંથી ઈરાનની સીમા 100 કિલોમિટરથી પણ ઓછા અંતરે આવેલી છે. જ્યારે આ પ્રાંતની રાજધાની ક્વેટાથી 500 કિલોમિટર દૂર છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












