નોબલ પીસ પ્રાઇઝ : ફિલિપાઇન્સના મારિયા રેસ્સા અને રશિયાના દિમિત્રી મુરાતોવને શાંતિ પુરસ્કાર

આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર રશિયા અને ફિલિપાઇન્સના બે પત્રકારો, મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને સંયુક્તપણ એનાયત થશે.

નોર્વેની નોબલ કમિટિએ આ બેઉ પત્રકારોને શાંતિ પુરસ્કાર આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આ બેઉ પત્રકારોને અભિવ્યક્તિની આઝાદીની હિમાયત અને સુરક્ષા બદલ પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે.

નોબલ પ્રાઇઝ કમિટિ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ બેઉએ બોલવાની આઝાદીની સુરક્ષા માટે કોશિશ કરી છે, જે લોકશાહી અને શાંતિ માટે પાયાની શરત છે.

કોણ છે મારિયા અને દિમિત્રી?

મારિયા રેસ્સા ફિલિપાઇન્સનાં જાણીતાં પત્રકાર છે, જેઓ રેપલર નામની વેબસાઇટ ચલાવે છે. સરકારને આકરા સવાલો કરવાને કારણે એમણે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે.

રેસ્સાનો જન્મ ફિલિપાઇન્સમાં જ થયો હતો, પરંતુ તેઓ બાળપણમાં જ અમેરિકા જતાં રહ્યાં હતાં. એમણે પ્રિંસટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

દિમિત્રી મુરાતોવ પણ પત્રકાર છે અને તેમણે નોવાજા ગજેતા નામના એક સ્વતંત્ર અખબારની સ્થાપના કરી છે. તેઓ દાયકાઓથી રશિયામાં અભિવ્યક્તિની આઝાદીની હિમાયત કરે છે.

નોબલ શાંતિ પુરસ્કારમાં આશરે 8 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ વર્ષે આ બેઉની પસંદગી 329 ઉમેદવારોની યાદીમાંથી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉમેદવારોમાં પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ, મીડિયા રાઇટ્સ ગ્રૂપ વિધાઉટ બૉર્ડર અને વિશ્વ આરોગ્ય સંસ્થા સામેલ હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો