પેલેસ્ટાઇન : લેબનનમાં રૉકેટ હુમલા વચ્ચે બાઇડન અને નેતન્યાહુ વચ્ચે વાતચીત

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ જ્યારે ઇઝરાયલ લેબનનમાં રૉકેટ હુમલા સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુ સાથે વાત કરી છે.
ઇઝરાયલ અને હમાસમાં લડાઈ ચાલુ થયા બાદ બંને નેતાઓએ ચોથી વાર ફોન પર વાત કરી છે.
અમેરિકા અને ઇઝરાયલની મિત્રતા જગજાહેર છે.
હાલમાં જ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંઘર્ષ પર સંયુક્ત પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
વ્હાઇટ હાઇસ અનુસાર, બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી છે અને સાથે જ સંઘર્ષવિરામ માટે થઈ રહેલી કૂટનીતિક કોશિશો અંગે પણ વાત કરી.
નિવેદન અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલી પીએમ નેતન્યાહુને એ સંદેશ આપ્યો છે કે તેમને આજે સંઘર્ષવિરામની રાહમાં તણાવ ઓછો થવાની આશા છે.
જોકે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયલી નેતા પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં લાગી છે અને તે સ્ટૉપવૉચની સાથે ઊભા નથી.
આ દરમિયાન ઇઝરાયલની સુરક્ષા સાથે જોડાયેલાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે હાલમાં કોઈ પણ સંઘર્ષવિરામની વાત નથી. હમાસના અધિકારીઓએ કહ્યું કે સંઘર્ષવિરામ માટે પણ ગંભીર કોશિશો ચાલુ છે. તેમણે ઇઝરાયલ પર અડિયલ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લેબનન તરફથી ઇઝરાયલ પર હુમલો, ઇઝરાયલનો જવાબ

ઇમેજ સ્રોત, EPA
ઉત્તર ઇઝરાયલ પર લેબનન તરફથી અનેક રૉકેટ હુમલા થયા છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે ચાર રૉકેટ છોડવામાં આવ્યાં છે.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે એક રૉકેટને ઇન્ટરસેપ્ટરે નષ્ટ કરી દીધું છે. બીજું એક ખુલ્લા ખેતરમાં જઈને પડ્યું અને બે અન્ય ભૂમધ્યસાગરમાં જઈને પડ્યાં.
ઇઝરાયલી સેનાએ કહ્યું કે જવાબમાં તેણે લેબનનની જમીન પર આવેલા અનેક ટાર્ગેટ પર હુમલા કર્યા છે.
ટાઇમ્સ ઑફ ઇઝરાયલ અનુસાર, હઇફા અને તેની આસપાસનાં અનેક શહેરોમાં લોકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિની સૂચના મળી નથી. ચરમપંથી સંગઠન હિજ્બુલ્લાહ લેબનનથી જ કામ કરે છે. વર્ષ 2006માં હિજ્બુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે મહિનાઓ સુધી લડાઈ ચાલી હતી.

ઇઝરાયલે હમાસના સૈન્યપ્રમુખને મારવા માટે અનેક વાર તાક્યું નિશાન

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને ગાઝાના પેલેસ્ટાઇની ચરમપંથીઓ વચ્ચે સતત દસમા દિવસે પણ હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયલનું કહેવું છે એણે પેલેસ્ટાઇની ચરમપંથી સંગઠન હમાસના કમાન્ડરોનાં ઘરો પર હુમલા કર્યા છે.
ઇઝરાયલનું કહેવું છે કે એણે હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દેઇફને મારવાની અનેકવાર કોશિશ કરી. મંગળવારે રાત્રે થયેલા હુમલામાં બે ચરમપંથીઓ માર્યા ગયા.
બીજી તરફ ઇઝરાયલ ઉપર રૉકેટ હુમલાઓ થયા છે. હમાસનું કહેવું છે કે એણે દક્ષિણમાં એક ઍરબેઝને નિશાન બનાવ્યું છે.
બેઉ પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થાય તેની કોશિશ થઈ રહી છે પરંતુ હજી તેમાં કોઈ ખાસ પ્રગતિ થતી દેખાઈ નથી રહી.
ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇજિપ્ત અને જોર્ડન સાથે મળીને હિંસા અટકાવવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે પણ તે ફક્ત એક મુસદ્દો માત્ર છે.
સુરક્ષા પરિષદ એક સંયુક્ત નિવેદન જાહેર કરે એ મામલે અમેરિકા સતત અવરોધો ઊભા કરી રહ્યું છે. જોકે, અમેરિકાએ પણ યુદ્ધવિરામની અપીલ કરી છે.
ગત દસ દિવસોથી ચાલી રહેલી હિંસામાં કમ સે કમ 219 લોકો મૃત્યુ પામ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગાઝા પર આધિપત્ય ધરાવનાર હમાસના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મૃતકોમાં લગભગ 100 મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં માર્યા જનારમાં કમ સે કમ 150 ચરમપંથીઓ સામેલ છે. હમાસે પોતાના લોકોનાં મૃત્યુ બાબતે કોઈ આંકડો આપ્યો નથી.
ઇઝરાયલ અનુસાર એમને ત્યાં 12 લોકો મૃત્યુ પામ્યા છે જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલનું કહેવું છે કે ગાઝાથી ચરમપંથીઓએ એમની પર આશરે પોણા ચાર હજાર રૉકેટ છોડ્યાં છે.
ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂનું કહેવું છે કે "જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી ગાઝામાં સેન્ય અભિયાન ચાલતું રહેશે."
એ સાથે જ દક્ષિણ ઇઝરાયલમાં અધિકારીઓએ કહ્યું કે, આ અભિયાન પૂર્ણ થવામાં "અનેક દિવસો" લાગી શકે છે.
નેતન્યાહૂએ દાવો કર્યો છે કે આ વખતે હમાસને એવો ઝાટકો મળ્યો છે જેની એણે કલ્પના નહોતી કરી અને તે વર્ષો પાછળ ધકેલાઈ ગયું છે.
નેતન્યાહૂએ કહ્યું, "અમારી આસપાસના દુશ્મનો જોઈ શકે છે કે અમે અમારી વિરુદ્ધ હુમલો કરનાર પાસે શું કિંમત વસૂલીએ છીએ." મંગળવારે રાત્રે પણ બેઉ પક્ષો વચ્ચે હુમલાઓ થતા રહ્યા.
ઇઝરાયલની સેનાએ કહ્યું કે, એમના યુદ્ધવિમાનોએ હમાસનાં સૈન્ય ઠેકાણાં અને કમાન્ડરોનાં ઘરો પર હુમલાઓ કર્યા છે.
ગાઝાસ્થિત બીબીસી સંવાદદાતા રશ્દી અબુઆલૂફનું કહેવું છે કે ઇઝરાયલનાં વિમાનોએ એક ઇમારતના ઍપાર્ટમૅન્ટ પર 70થી વધારે હુમલાઓ કર્યા જેના કારણે ત્યાં બે પેલેસ્ટાઇની ચરમપંથીઓનાં મૃત્યુ થયાં.
બીબીસી સંવાદદાતા મુજબ, ગાઝાના ખાન યૂનસ વિસ્તારમાં 50 હુમલાઓ થયા અને ચરમપંથી સમૂહની ટ્રેનિંગ મથકો, હમાસનું એક સિક્યૉરિટી કમ્પાઉન્ડ, રસ્તાઓ અને ખેતરોને નિશાન બનાવવામાં આવ્યા.
ઇઝરાયલ સૈન્યના પ્રવક્તા બ્રિગ્રેડિયર જનરલ હિડાઈ જિલ્બરમૈને કહ્યું કે, "આ સમગ્ર અભિયાનમાં અમે મોહમ્મ્દ દેઇફને મારવાની કોશિશ કરી, અમે અનેક વાર પ્રયાસો કર્યાં."
મોહમ્મદ દેઇફ હમાસની સૈન્ય શાખા ઇજ્જદી અલ-કસામ બ્રિગ્રેડના પ્રમુખ છે. એમની પર પહેલાં પણ અનેક વાર જીવલેણ હુમલાઓ થઈ ચુક્યા છે. છેલ્લે 2014માં છેડાયેલી લડાઈમાં પણ એમની પર હુમલો થયો હતો.
તેઓ પરદાની પાછળ રહીને કામ કરે છે અને એમનાં ઠેકાણાં વિશે કોઈને ખબર નથી હોતી.

કેવી રીતે ભડકી હિંસા?

ઇમેજ સ્રોત, Getty Images
ગાઝા સ્થિત પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલ વચ્ચે આ હિંસક સંઘર્ષની શરૂઆત લગભગ પાછલા એક મહિનાની અશાંતિ બાદ થઈ છે.
આની શરૂઆત પૂર્વ જેરૂસલેમમાં શેખ જર્રા વિસ્તારમાંથી પેલેસ્ટાઇની પરિવારોને હાંકી કાઢવાની ધમકી બાદ થઈ હતી, જેને યહૂદી પોતાની ભૂમિ ગણાવે છે અને ત્યાં વસવાટ કરવા માગે છે. આને કારણે ત્યાંની આરબ
વસતિવાળા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હતું.
7 મેના રોજ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક વાર ઘર્ષણ થયું.
અલ-અક્સા મસ્જિદ પાસે બેઉ પક્ષો વચ્ચે અનેક ઘર્ષણ થાય છે પણ 7મેના રોજ થયેલી હિંસા પાછલા અનેક વર્ષોમાં બનેલી સૌથી ગંભીર ઘટના હતી.
આ પછી તણાવ વધતો ગયો અને ગત સોમવારથી યહૂદીઓ અને મુસલમાનો બેઉ માટે પવિત્ર માનવામાં આવતા જેરૂસલેમમાં ભીષણ હિંસા શરૂ થઈ ગઈ.
હમાસે ઇઝરાયલને ત્યાંથી હઠી જવાની ચેતવણી આપતા રૉકેટ હુમલો કર્યો અને પછી ઇઝરાયલે પણ જવાબમાં હવાઈ હુમલાઓ કર્યા. આનાથી શરૂ થયેલી હિંસા દસમા દિવસે પણ ચાલી રહી છે.
જોકે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે સમજૂતી કરાવવાની કોશિશો ઝડપી થઈ ગઈ છે.

શું છે જેરૂસલેમ વિવાદ?

ઇમેજ સ્રોત, AFP
ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા તણાવ પાછળનું કારણ લાંબા સમયથી ચાલી રહેલો વણઉકેલ્યો વિવાદ છે, જેના કારણે બંને દેશો એક વખત ફરી સામસામે આવી ગયા છે.
મધ્યપૂર્વના દેશો માટે આ એક એવી સમસ્યા છે જેના કારણે વારંવાર લડાઈ થતી રહે છે, પરંતુ આ વખતે મામલો રૉકેટ છોડવાં, હવાઈ હુમલો કરવા અને લોકોનાં મૃત્યુ સુધી પહોંચી ગયો છે.ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ જેરૂસલેમને પવિત્ર માને છે અને તેમના માટે આ જગ્યાનું ધાર્મિક મહત્ત્વ છે.આ યહૂદી અને મુસ્લિમોના ધર્મનું ઉત્પત્તિસ્થળ છે અને એટલા માટે આ મહત્વપૂર્ણ છે.
યહૂદીઓ અને મુસ્લિમો માટે આ જગ્યા રાષ્ટ્રીય પ્રતીકનો ભાગ પણ છે.ભૌગોલિક રીતે આ બંને જગ્યાઓ પાસપાસે છે. 'ધ ચર્ચ ઑફ ધ હોલી સેપલ્કર' પણ ઇઝરાયલના ચેક પૉઇન્ટની બીજી બાજુ છે, જેમાં પેલેસ્ટાઇનને આસ્થા છે.
આ જૂના શહેરની દીવાલોની બહારની જગ્યા છે જ્યાં પેલેસ્ટાઈનવાસીઓ રહે છે. તેમની જમીન અને ત્યાંની પ્રૉપર્ટી પર યહૂદીઓએ ઇઝરાયલની અદાલતમાં દાવો કરીને રાખ્યો છે.પરંતુ આ વિવાદ કેટલાંક ઘરોને લઈને જ નથી.
વર્ષોથી ઇઝરાયલની સરકાર જેરૂસલેમમાં યહૂદીઓની સંખ્યા વધારવાના પ્રયત્ન કરી રહી છે અને આ મુદ્દાને લઈને પણ અહીં તણાવ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














