કાબુલ સ્કૂલ વિસ્ફોટ : અફઘાનિસ્તાનમાં બાળકોના મૃતદેહોને દફનાવતા પરિવારજનો, મૃતકાંક 60 થયો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે અનેક પરિવારો તેમનાં બાળકોના મૃતદેહોને દફનાવી રહ્યા હતા, માધ્યમિક શાળા ખાતે થયેલા વિસ્ફોટ બાદ કાબુલમાં આવા મંજર છે.

આ ઘટનાનો મૃતકાંક વધીને હવે 60 થઈ ગયો છે અને મૃતકો પૈકી વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારે છે.

દસ્ત-એ-બાર્ચીમાં આ હુમલો થયો હતો, આ વિસ્તાર સુન્ની ઉગ્રવાદીઓથી પ્રભાવિત હોવાનું મનાય છે.

કાબુલ હુમલા પાછળ કોણ?

અફઘાનિસ્તાનની સરકાર આ હુમલા માટે ઉગ્રવાદી તાલિબાનને જવાબદાર ઠેરવે છે, જોકે આ સમૂહ તેમની ભૂમિકાને નકારી કાઢે છે.

શનિવારના હુમલા માટે નિશાન પર કોણ હતું, એ અંગે સચોટપણે જાણી શકાયું નથી.

આ હુમલો એવા વખતે કરાયો છે, જ્યારે અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય હઠાવવાની શરૂઆત કરાયા બાદ હિંસામાં વધારો થયો છે.

રૉયટર્સ મુજબ તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોમાં મોટાં ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે, એમણે વિસ્ફોટનું કારણ શું હતું એ અને તે કોને નિશાન બનાવી કરવામાં આવ્યો તે નથી કહ્યું.

નોબેલ શાંતિ સન્માન મેળવનારાં મલાલાએ કાબુલમાં વિસ્ફોટનો ભોગ બનનાર શાળાના બાળકોનાં પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે અને દુનિયાના દેશોને બાળકોની રક્ષા માટે એક થવા અનુરોધ કર્યો છે.

કાબુલ હુમલાના દિવસે શું થયું?

એએફપી અનુસાર જે સમયે વિસ્ફોટ થયો એ સમયે સામાન્ય લોકો પણ પાસેના બજારમાં ઈદ-ઉલ-ફિત્ર માટે સામાન ખરીદવાં નીકળેલાં હતાં. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો માટે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવા પર ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે.

આ વિસ્તારમાં શિયા હજરા સમુદાયની ખૂબ મોટી વસતી રહે છે અને તાજેતરના વર્ષોમાં આ સમુદાય કથિત ઇસ્લામી ચરમંપથી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નિશાના પર રહ્યો છે.

સ્થાનિક મીડિયા અનુસાર અહીંની સરકારી સેકન્ડરી સ્કૂલની પાસે વિસ્ફોટનો મોટો અવાજ સાંભળવામાં આવ્યો. જે સમયે વિસ્ફોટ થયો તે સમયે વિદ્યાર્થીઓ સ્કૂલથી આવી રહ્યાં હતા.

સોશિયલ મીડિયામાં આવી રહેલી તસવીરોમાં સ્કૂલ બેગ અને બળેલી ગાડીઓ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હઠાવી લેવાનો નિર્ણય લીધો એ પછી દેશમાં હાઈઍલર્ટની સ્થિતિ છે.

અફઘાન અધિકારીઓનું કહેવું છે કે દેશની અંદર તાલિબાની હુમલાઓ વધી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો