You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર તખ્તાપલટો : 'લોહિયાળ દિવસ'માં 100થી વધુ પ્રદર્શનકારીઓનાં મોત, બીજી બાજુ સૈન્ય જનરલે ઉજવણી કરી
મ્યાનમારમાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં લોકો 'આર્મ્ડ ફોર્સિઝ ડે' ના દિવસે રસ્તાઓ પર ઊતરી આવતાં સેનાએ તેમની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યોં હતો. જેથી સેનાના ગોળીબારમાં 100થી પ્રદર્શનકારીઓનાં મોત થયા છે. અમેરિકાએ આને આતંકનું રાજ ગણાવ્યું છે તો વિશ્વભરમાંથી વિરોધ થઈ રહ્યો છે.
દરમિયાન 12 દેશોના રક્ષામંત્રીએ આ ઘટનાને વખોડી છે. અને વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે જે દિવસે મોટી સંખ્યામાં મૃત્યુ થયા એ રાત્રે સૈન્ય જનરલ મિંન આંગ હેલીંગે સૈનિકો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
આસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પોલિટિકલ પ્રિઝનર્સ અનુસાર 100થી વધારે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે. રવિવારે મૃતકોની અંતિમવિધિઓ યોજાઈ હતી. મ્યાનમારની આ ઘટનાના વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
સમાચાર એજન્સી રૉયટર્સ લખે છે કે સેના દ્વારા કરાયેલા બળપ્રયોગમાં 114 લોકો માર્યા ગયા છે.
તખ્તાપલટા સામે લોકોએ યાંગુન અને બીજાં શહેરોમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
તખ્તાપલટો કરનાર નેતા મિન આંગ હેલીંગે શનિવારે ટીવી સંબંધોનમાં નિવેદન આપ્યું હતું કે તેઓ લોકશાહીને બચાવશે અને ચૂંટણીઓ યોજાવામાં આવશે. જોકે તેમણે ચૂંટણી માટેની કોઈ તારીખ જણાવી નહોતી.
1 ફેબ્રુઆરીએ જ્યારથી સેનાએ તખ્તાપલટો કર્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શનમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
શુક્રવારે સરકારી ચેનલે એક કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું જેમાં લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે, ''અગાઉ જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમના દુઃખથી તેમણે શીખવું જોઈએ કે તમને પણ માથામાં અને પીઠમાં ગોળી વાગી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસ્તાઓ પર શું થઈ રહ્યું છે?
સમાચાર સંસ્થા 'ધ ઇરાવડ્ડી' અને 'મ્યાનમાર નાઉ'ના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયાં એ અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન છે.
મ્યાનમાર નાઉ મુજબ સાંજે 4-30 વાગ્યા સુધી દેશનાં 40 શહેરોમાં 91 લોકોનાં મૃત્યુ થયાં છે.
ધ ઇરાવડ્ડીનાં અહેવાલ અનુસાર 28 જગ્યાએ 59 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 3 બાળકો પણ સામેલ છે.
સેના દ્વારા હિંસા અચારવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવા છતાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં ઍક્ટિવિસ્ટોએ શનિવારે મોટાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.
વિરોધ પ્રદર્શન કરતાં લોકોને રૅલી કરતાં અટકાવવા માટે સમગ્ર દેશમાં, ખાસ કરીને યાંગુનમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં હતા. યાંગુનમાં યુએસ કલ્ચરલ સેન્ટરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુએસ ઍમ્બેસીએ જણાવ્યું કે ગોળીબારથી કોઈને પણ ઈજા થઈ નથી.
ઍમ્બેસીએ નિઃશસ્ત્ર લોકોની હત્યા કરવા બદલ મ્યાનમારની સેનાની નિંદા કરી છે અને મ્યાનમાર નાઉ અનુસાર ચાર મૃત્યુ યાંગુનના ડાલા પરામાં પોલીસ સ્ટેશનની બહાર થયા હતા.
સાક્ષીઓ અને સૂત્રોએ બીબીસી બર્મીઝને જણાવ્યું કે મેગવે, મોગોક, ક્યોકપડાઉંગ અને મયાંગોનનાં શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં મૃત્યુ થયાં છે.
મ્યાનમારના બીજાં સૌથી મોટા શહેર મંડલેના માર્ગો પર લોકોનાં મૃત્યુ થયાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોએ નૅશનલ લીગ ફૉર ડેમૉૉક્રેસી (એનએલડી)નો ધ્વજ હાથમાં લીધો હતો, જે અટકાયતમાં લવાયેલા નાગરિક નેતા આંગ સાન સુ કીની પાર્ટીનો ધ્વજ છે.
એક પત્રકારે એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું કે પોલીસે ઉત્તર-પૂર્વ શહેર લાશીયોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે દારૂગોળાનો ઉપયોગ કર્યો હતો.
દુનિયાની પ્રતિક્રિયા
મ્યાનમારમાં આવેલા ઇયુના પ્રતિનિધિ મંડળે કહ્યું: "મ્યાનમારનો આ 76મો આર્મ્ડ ફોર્સિઝ ડે આંતક અને અપમાનના દિવસ તરીકે યાદ રહેશે. બાળકો સહિત નિઃશસ્ત્ર લોકોની હત્યા અમાનવિય કૃત્ય છે."
એન્ટી-જન્ટા જૂથ સીઆરપીએચના પ્રવક્તા ડૉ. સાસાએ રોઇટર્સને જણાવ્યું કે, આ સશસ્ત્ર દળો માટે શરમજનક દિવસ છે.
અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓએ મ્યાનમારમાં શનિવારે થયેલી હિંસાને વખોડી કાઢી છે.
અમેરિકના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને ટ્વીટ કર્યું છે કે "બર્માના સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા ખૂન-ખરાબાથી અમે લોકો સ્તબ્ધ છીએ. લશ્કર કેટલાંક લોકોની સેવા કરવા માટે સામાન્ય લોકોની જિંદગી કુરબાન કરી રહ્યું છે એમ લાગે છે. હું પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. બર્માની બહાદુર જનતાએ સૈન્યના આતંકના યુગને નકારી કાઢ્યો છે."
બ્રિટનના રાજદૂત ડેન ચગે એક નિવેદનમાં કહ્યું છે કે હથિયાર વગરનાં નાગરિકો પર ગોળીઓ વરસાવીને સુરક્ષાદળોએ એમની પ્રતિષ્ઠા ખોઈ દીધી છે.
અમેરિકાના દૂતાવાસનું કહેવું છે કે સુરક્ષાદળો 'હથિયાર વિનાનાં સામાન્ય લોકોની હત્યા' કરી રહ્યા છે.
સેનાએ શું કહ્યું
આ અગાઉ મ્યાનમારની સેનાના પ્રમુખ મિન આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા કરશે.
એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે પરંતુ ચૂંટણી ક્યારે થશે એ અંગે એમણે કંઈ કહ્યું નથી.
એમણે દાવો કર્યો કે, લોકશાહી રીતે ચૂંટાયેલાં નેતા આંગ સૂ કી અને એમની પાર્ટીએ ગેરકાયદે કૃત્યો કર્યા એટલે એમને સત્તામાં આવવું પડ્યું.
એમણે સેનાને પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો કે નહીં તે અંગે કંઈ ન કહ્યું. જોકે, અગાઉ પ્રદર્શનકારીઓ તરફથી ગોળીઓ ચલાવવામાં આવે છે એવું તેઓ કહી ચૂક્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.