You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને પડોશી દેશો સાથે કયાકયા મુદ્દે વાંધો પડ્યો છે?
- લેેખક, સચિન ગોગોઈ
- પદ, બીબીસી મૉનિટરિંગ
ભારત અને ચીન વચ્ચે એલએસી પર વધી ગયેલા તણાવ દરમિયાન અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતાના બે શક્તિશાળી વૉરશિપ યુએસએસ રોનાલ્ડ રીગન અને યુએસએસ નિમિત્ઝને તહેનાત કર્યાં છે.
ચીન સાથે તણાવ પર ભારતને અમેરિકા અને અન્ય કેટલાક મિત્રદેશોનો ટેકો મળ્યો, પરંતુ પાડોશી દેશો તરફથી કોઈ ખાસ ઉત્સાહજનક પ્રતિક્રિયા ભારતને નહોતી મળી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સત્તા સંભાળતાંની સાથે જ પાડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિ લાગુ કરી હતી.
પરંતુ ભારતના પાડોશી દેશો ચીન, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને કારણે પણ જે રીતે અલગઅલગ સ્તર પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તેનાથી લાગે છે કે આ નીતિની અસરકારકતાનો ખુલાસો પણ જલદી થશે.
ભારત અને ચીન વચ્ચે સૈન્યસંઘર્ષથી ઉપજેલા તણાવમાં અમેરિકાએ ચીનની આજુબાજુ જે રીતની સૈનિક વ્યવસ્થા કરી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના અધિકારીઓએ ભારતના સમર્થનમાં નિવેદન પણ આપ્યાં છે.
ફ્રાન્સની સાથે સંરક્ષણ સમજૂતી
જૂનના અંતમાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે અમેરિકા પોતાની સેનાને યુરોપથી હઠાવીને ચીનની નજીક તહેનાત કરવા પર વિચારી રહ્યું છે.
પોતાના નિવેદનમાં પૉમ્પિયોએ કહ્યું હતું કે ચીનથી એશિયાના દેશો (જેમાં ભારત પણ સામેલ છે)ને ખતરો પેદા થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન ભારતીય મીડિયામાં સમાચાર આવ્યા કે ફ્રાન્સ ભારતને જલદી જ 36 રફાલ વિમાન સોંપવા જઈ રહ્યું છે.
ભારતે એક મોટી સંરક્ષણસમજૂતી હેઠળ ફ્રાન્સની દાસો ઍવિએશન પાસેથી આ વિમાન ખરીદ્યાં છે.
એક રિપોર્ટ પ્રમાણે ભારતની માગ પછી ફ્રાન્સ આ વિમાનોને સમય કરતાં પહેલાં સોંપવા માટે કામ કરી રહ્યું છે.
ભારતીય મીડિયાના કેટલાક રિપોર્ટ પ્રમાણે પહેલા છ લડાયક વિમાન જુલાઈના અંત સુધી ભારત પહોંચી શકે છે.
રશિયા કરશે સમજૂતીનું ઝડપી અમલીકરણ?
આ દરમિયાન રશિયાના મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા કે રશિયા ભારતને 21 મિગ-29 અને 12 સુખોઈ એમકે1 લડાયક વિમાન તથા એસ-400 મિસાઇલ રક્ષાપ્રણાલી વેચવાની પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યું છે.
રશિયાની ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીએ એક રશિયન અધિકારીના હવાલાથી કહ્યું કે આ સમજૂતી નજીકના ભવિષ્યમાં થઈ શકે છે.
ત્યારે જાપાનના મૅરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફૉર્સે 27 જૂનના દિવસે હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો.
આ બધો ઘટનાક્રમ એવા સમયમાં થયો છે જ્યારે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે.
ઑસ્ટ્રેલિયા સાથે સૈન્ય ઠેકાણાને લઈને કરાર
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જ્યારે લદ્દાખમાં એલએસી પર ઘર્ષણ થતું હતું ત્યારે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ પર ચર્ચા કરી હતી. દરમિયાન બંને દેશોએ સાત સમજૂતીઓ કરી હતી, જેમાં જરૂર પડવા પર લૉજિસ્ટિકલ સહયોગ માટે એકબીજાને સૈન્યઠેકાણાં વાપરવાં અંગેની સમજૂતી પણ સામેલ છે.
ગુરુવારે એક નિવેદનમાં ચીને કહ્યું કે એલએસી પર પશ્ચિમી સૅક્ટરમાં પરિસ્થિતિ સુધરી રહી છે અને બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા ચાલુ છે.
હાલના દિવસોમાં સરહદ પર તણાવ ઘટ્યો છે. ચીન અને ભારતની સેનાઓને પાછી ખસેડવામાં આવી છે.
જોકે 15-16 જૂનની રાત્રે ગલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં પછી ભારત અને ચીન વચ્ચે વિશ્વાસનો અભાવ જોવા મળ્યો છે.
'ધ ટેલિગ્રાફ'માં પ્રકાશિત એક લેખમાં ચીનની બાબતોના નિષ્ણાત મનોજ કેવલરમાનીએ ટિપ્પણી કરી છે, "છેલ્લા એક વર્ષમાં ચીન પોતાને દરેક તરફથી ઘેરાલેયું જોઈ રહ્યું છે અને આ કારણે જ તે બધી તરફ આક્રમક વલણ દાખવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ચીને જે પણ કંઈ કર્યું છે, રણનીતિક રૂપે તે અર્થહીન છે."
રણનીતિક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સમાં લખ્યું, 'ભારત વિરુદ્ધ ચીનની આક્રમકતાની અસર એશિયાના સંરક્ષણ પરિદૃશ્ય પર પડશે. જો હાલનો ગતિરોધ પણ 2017ના ડોકલામની જેમ ખતમ થાય (જેમાં ચીને સ્પષ્ટ રૂપથી વિજય મેળવ્યો હતો) તો શી જિનપિંગના શાસનને મજબૂતી મળશે અને તે પાડોશી દેશો માટે વધારે મોટો ખતરો બની જશે.'
લદ્દાખમાં જે હિંસક સંઘર્ષ થયો તેના કારણે ભલે વધારે હિંસક ઘટનાઓ ન ઘટી હોય, પરંતુ બંને દેશો વચ્ચે વેપારમાં મુશ્કેલીઓ તો આવી જ રહી છે. ચીન અને ભારત વચ્ચે વાર્ષિક 82 અબજ ડૉલરનો વેપાર થાય છે.
ભારત સરકારે હાલના દિવસોમાં ચીનના વેપારિક હિતોને નુકસાન પહોંચાડવા માટે કેટલાંક પગલાં લીધાં છે. તેમાં 59 ચીની ઍપ્સ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પણ સામેલ છે.
ભારતની સડકનિર્માણ પરિયોજનામાં રોકાણ કરનારી ચીનની કંપનીઓ પર પણ રોક લગાવવામાં આવી છે. ભારત સરકારે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ ને કહ્યું છે કે તેઓ ગ્રાહકોને એ પણ જણાવે કે ઉત્પાદનનું નિર્માણ કઈ જગ્યાએ થયું છે.
નેપાળ અને ચીનના સંબંધ
જોકે લાગે છે કે લદ્દાખ સંકટ સામે લડી રહ્યા ભારતે જાણે નેપાળમાં ચીન માટે જગ્યા છોડી દીધી છે.
હિંસક સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુનાં થોડા દિવસ પછી નેપાળની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળે (સીપીએન) ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) સાથે વર્ચુઅલ સેમિનાર કરીને પાર્ટી અને સરકારના સંચાલનની નીતિઓ પર ચર્ચા કરી હતી.
જૂનમાં નેપાળની સરકારે નવા નક્શાને મંજૂરી આપવા માટે દેશના અન્ય રાજકીય પક્ષોનું સમર્થન મેળવ્યું. નક્શામાં સામેલ કેટલાક વિસ્તાર ભારતના નિયંત્રણમાં છે.
હાલમાં જ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે ભારત તેમને સત્તા પરથી હઠાવવાનું કાવત્રું કરી રહ્યું છે. જોકે ઓલીને પોતાની પાર્ટીના નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન ભારત અને નેપાળના મીડિયામાં નેપાળમાં ચીનનાં રાજદૂત હાઓ યાંકીની સક્રિયતાના પણ સમાચાર આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચીનનાં રાજદૂત નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના વિપક્ષી જૂથો વચ્ચે વાતચીત કરાવી રહ્યાં છે.
પાકિસ્તાન સાથે વાકયુદ્ધ
બીજી તરફ ભારતના મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ લદ્દાખમાં ચીન સાથે ચાલતાં તણાવના દિવસોમાં પાકિસ્તાને પણ સરહદ પર ગોળીબાર કર્યો હતો.
'ધ પ્રિન્ટ' વેબસાઇટ મુજબ આ વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં પાકિસ્તાન તરફથી અનુક્રમે 387, 382 અને 302 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે ગત વર્ષે આ દરમિયાન 234, 221 અને 181 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થયું હતું.
પાકિસ્તાન સાથે વાકયુદ્ધ પણ ચાલુ રહ્યું અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અનેક વખત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
ઇમરાન ખાને આક્ષેપ કર્યો કે પાકિસ્તાનમાં 29 જૂને સ્ટૉક એક્સચેન્જ પર થયેલા હુમલા પાછળ ભારતનો હાથ હતો. આવામાં ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવાની કોઈ તક આવે તો પણ શાંતિ સ્થપાય તેની શક્યતા બહુ ઓછી છે.
શ્રીલંકાએ પણ ભારતેનું રોકાણ અટકાવ્યું
દક્ષિણી પાડોશી દેશ શ્રીલંકાએ પણ ભારતીય વિદેશનીતિ માટે ચિંતા વધારી દીધી છે. હાલમાં જ શ્રીલંકાએ જાપાન અને ભારતના રોકાણવાળા નિર્માણ પ્રોજેક્ટને હોલ્ડ પર મૂકી દીધો છે.
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોલંબોના ઇસ્ટ કન્ટેનર ટર્મિનલની નાણાકીય સંભાવનાઓની તપાસ માટે એક સમિતિ બનાવી છે. ભારત અને જાપાનના રોકાણવાળા આ પ્રોજેક્ટને ગત સરકારે મંજૂરી આપી હતી.
'ઇન્ડિયા ટુડે'માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો નિર્ણય રાજકીય લાભ ઉઠાવવાનો એક પ્રયાસ હોઈ શકે છે. શ્રીલંકામાં આ વર્ષ ઑગસ્ટ મહિનામાં સંસદીય ચૂંટણી થવાની છે.
જોકે કેટલાક લોકોનું માનવું છે કે શ્રીલંકાનો આ નિર્ણય ચીનના પ્રભાવમાં લેવાયો છે, ચીન આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો