Corona Virus : શું ચીન વિરુદ્ધ અમેરિકા ભય ફેલાવી રહ્યું છે?

અમેરિકા અને ચીનની વચ્ચે 'ટ્રૅડ-વૉર' બાદ કોરોના વાઇરસ મુદ્દે પણ વિવાદ ઊભો થયો છે. ચીનનો આરોપ છે કે કોરોના વાઇરસ મુદ્દે અમેરિકા દ્વારા અફરાતફરીનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાએ કોરોના વાઇરસના મુદ્દે પબ્લિક હેલ્થ ઇમર્જન્સી લાદી છે.

જે વિદેશીઓએ બે અઠવાડિયા દરમિયાન ચીનની મુલાકાત લીધી હોય, તેમના ઉપર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ નિષેધ લાદવામાં આવ્યો છે.

અમેરિકાના આ તાજેતરના પગલાં ઉપર ચીને આ પ્રતિક્રિયા આપી છે.

ચીનનું કહેવું છે કે દેશમાં લગભગ 17 હજાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને 360થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

ચીનની બહાર કોરોના વાઇરસના ચેપના લગભગ 150 કિસ્સા નોંધાયા છે, જ્યારે ફિલિપિન્સમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ચીનની પ્રતિક્રિયા

ચીનના વિદેશમંત્રાલયનું કહેવું છે કે અમેરિકાના પગલાને કારણે વિશ્વમાં ભયનો માહોલ ઊભો થશે.

પ્રવક્તા હુઆ ચુનિયંગનું કહેવું છે કે આવા સંજોગોમાં મદદ કરવાને બદલે અમેરિકા દ્વારા ભય ફેલાવવામાં આવી રહ્યો છે.

ચુનયિંગે કહ્યું કે અમેરિકા પહેલો દેશ હતો, જેણે ચીનના પર્યટકોના આગમન ઉપર પ્રતિબંધ લાદ્યો અને પોતાના રાજદૂતાલયના કેટલાક કર્મચારીઓને પરત બોલાવવાની વાત કહી.

વાસ્તવમાં અમેરિકા તથા અન્ય વિકસિત દેશ આ પ્રકારની સ્થિતિને ફેલાતી અટકાવવા માટે સક્ષમ છે.

અમેરિકા દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, WHO)ની ભલામણ ઉપરાંતના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

અમેરિકાની જાહેરાત બાદ ઑસ્ટ્રેલિયા તથા અન્ય કેટલાક દેશોએ ચીનના મુસાફરોની ઉપર કેટલાંક નિયંત્રણ લાદ્યાં છે. હૉંગકૉંગે ચીન સાથે જોડાયેલી 13માંથી 10 સરહદ બંધ કરી છે.

WHOએ ચેતવણી આપતાં કહ્યું છે કે સરહદો બંધ કરવાને કારણે વાઇરસનો ફેલાવો વધી શકે છે, કારણ કે આવા સંજોગોમાં લોકો ગેરકાયદેસર રીતે અન્ય દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.

ઍલર્ટ અમેરિકા

23મી જાન્યુઆરીએ અમેરિકાએ વુહાનમાં તહેનાત વધારાના અમેરિકન કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને સ્વદેશ પરત ફરવા નિર્દેશ આપ્યા.

એક અઠવાડિયા બાદ અમરેકિએ વધુ કેટલાક કર્મચારી તથા તેમના પરિવારજનોને ચીનથી પરત ફરવાની મંજૂરી આપી હતી.

30મી જાન્યુઆરીએ WHOએ કોરોના વાઇરસ સંદર્ભે 'ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી' જાહેર કરી.

ત્યાર બાદ અમેરિકાએ તેના કર્મચારીઓનાં 21 વર્ષથી નાની ઉંમરના સંતાનો તથા પરિવારજનોને ચીનથી પરત ફરવાના આદેશ આપ્યા.

અમેરિકાએ કહ્યું હતું કે જે નાગરિક હુબેઈ પ્રાંતથી પરત ફરશે તેમને 14 દિવસ સુધી અલાયદા રાખવામાં આવશે.

અન્ય દેશોની સાવધાની

ભારતે પણ ચીનના વુહાનમાં ફસાયેલા તેના નાગરિકોને વિશેષ વિમાનસેવા દ્વારા સ્વદેશ પરત લાવવા તજવીજ હાથ ધરી છે.

અનેક દેશોએ ચીનમાં અવર-જવર ઉપર અલગ-અલગ પ્રકારના પ્રતિબંધ લાદ્યા છે.

અમેરિકા, સિંગાપુર તથા ઑસ્ટ્રેલિયાએ તાજેતરમાં ચીનની મુલાકાત લેનાર વિદેશી મુસાફરના પોતાના દેશમાં આગમન ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

ન્યૂઝીલૅન્ડ તથા ઇઝરાયલે મેઇન-લૅન્ડ ચાઇનાથી આવનાર તમામ વિદેશીઓના આગમન ઉપર પ્રતબંધ મૂક્યો છે.

ઇજિપ્ત, ફિનલૅન્ડ, બ્રિટન તથા ઇટાલીએ તેમની રાષ્ટ્રીય વિમાનસેવાઓની ચીન માટેની ઉડ્ડાણ હાલ પૂરતી રદ કરી છે.

બીજી બાજુ, WHOએ સરહદો ઉપર મુસાફરોનું સઘન સ્ક્રિનિંગ કરવા ભલામણ કરી છે.

કોરોના વાઇરસની ભયાનકતા

ચીનમાં કોરોના વાઇરસના પ્રસારનું કેન્દ્રબિન્દુ મનાતા વુહાનમાં લગભગ 75 હજાર લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા છે.

યુનિવર્સિટી ઑફ હૉંગકૉંગનું કહેવું છે કે સત્તાવાર આંકડો ઘણો વધારે હોય તેવી સંભાવના છે.

મેડિકલ જનરલ લિન્સૅન્ટરના રિપોર્ટ મુજબ, કોરોના વાઇરસને કારણે જે લોકોનાં મૃત્યુ થયાં છે, તેઓ અગાઉથી જ અન્ય કોઈ બીમારીથી પીડિત હતા.

રિપોર્ટ મુજબ વુહાનની જિનિતાન હૉસ્પિટલમાં લગભગ 99 લોકોની સારવાર ચાલી રહી હતી, જેમાંથી 40 દરદીઓનું હૃદય નબળું હતું અને રક્તવાહિનીઓને પણ નુકસાન થયું હતું.

જ્યારે અન્ય 12 દર્દી ડાયાબિટીસથી પીડિત હતા.

આ વાઇરસથી પીડિત દરદીમાં સૌ પહેલાં તાવ પછી સૂકી ઉધરત તથા શ્વાચ્છોશ્વાસમાં તકલીફ જેવાં લક્ષણો જોવાં મળે છે.

આ વાઇરસના સંસર્ગમાં આવેલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જાય તેવી શક્યતા રહેલી હોય છે કારણ કે તેમને સાદો ફ્લૂ જ થયો હોય તેની પણ શક્યતા રહેલી હોય છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનનું કહેવું છે કે કોરોના વાઇરસનો સામાન્ય ચેપ લાગ્યો હોય તો દરદી એક અઠવાડિયામાં સાજો થઈ જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો