Top News: ભ્રષ્ટાચારના વધુ એક કેસમાં આસિફ અલી ઝરદારીની ધરપકડ

સોમવારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ હાલ નેશનલ એકાઉન્ટિબ્લિટી બ્યૂરોની કસ્ટડીમાં છે. ઝરદારી તથા તેમનાં બહેન ફરયાલ તાલપુરની ઉપર મની લૉન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે.

'ધ ડોન'ના અહેવાલ મુજબ લંડનમાં ઝરદારીની સંપત્તિ સંદર્ભે આ ધરપકડ કરવામાં આવી હતી.

ઝરદારીએ વચગાળાના જામીન માટે ઇસ્લામાબાદની હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે એ અરજી પાછી ખેંચી કે તરત જ અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે શાહ ગુજરાતમાં

તા. પાંચમી જુલાઈએ રાજ્યસભાની છ બેઠકો માટે મતદાન યોજાશે. તે પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે.

તેઓ તા. ત્રીજી જુલાઈએ ગાંધીનગર પહોંચશે અને તેમના મતવિસ્તાર ગાંધીનીગરની મુલાકાત લેશે. ચોથી જુલાઈએ રથયાત્રા છે, જેમાં તેઓ ભાગ લેશે.

મળતી માહિતી પ્રમાણે, તેઓ ભાજપની સભ્યપદ યોજનામાં થયેલી પ્રગતિ પણ ચકાસશે.

વિનસ વિલિયમ્સનો પરાજય

વિમ્બલડન ટૂર્નામેન્ટમાં સોમવારે મોટો અપસેટ સર્જાયો હતો. 15 વર્ષીય કોરી ગૌફે 39 વર્ષનાં વિનસ વિલિયમ્સને હરાવ્યાં.

ટૂર્નામેન્ટનાં સૌથી યુવા ખેલાડી ગૌફે વિનસને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો.

મૅચમાં ગૌફની આંખમાં આંસુ હતાં. મૅચ બાદની પત્રકાર પરિષદમાં ગૌફે કહ્યું :

"મેં ઉત્કૃષ્ટ રમત રમવાનું નક્કી કર્યું હતું, જે મેં રમી. મેં જીતનું સપનું જોયું હતું, જે સાકાર થયું છે."

ઈરાન ઉપર દબાણ ચાલુ રહેશે

અમેરિકાનું કહેવું છે કે તે ઈરાન ઉપર શક્ય એટલું વધારે દબાણ લાવવાની વ્યૂહરચના ઉપર આગળ વધતું રહેશે.

અગાઉ ઈરાને સ્વીકાર્યું હતું કે તેણે 2015ના પરમાણુ કરાર સમયે જે ટોચમર્યાદા નક્કી કરવામાં આવી હતી, તેની કરતાં વધારે જથ્થામાં શુદ્ધ યુરેનિયમ એકઠું કરી લીધું છે.

અમેરિકાનું કહેવું છે કે નિર્ધારિત સમય માટે ઈરાનને યુરેનિયમનું શુદ્ધિકરણ કરવા દેવાનો નિર્ણય ભૂલભરેલો હતો.

ગત મહિને અમેરિકા આ કરારમાંથી ખસી ગયું હતું. ઈરાને કરારમાં સામેલ અન્ય રાષ્ટ્રો ઉપર દબાણ કર્યું હતું કે અમેરિકાનાં નિયંત્રણોની અસર ઘટાડવામાં મદદ કરે.

યૂએનના પ્રવક્તા સ્ટેફાન ડ્યૂજરિકે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે યૂએનના મહાસચિવે કરારની શરતોનું પાલન કરવા તથા ફરીથી કરાર સાથે જોડાવા માટે આગ્રહ કર્યો છે.

તેમનું કહેવું છે, "આમ કરવાથી ઈરાનને કોઈ લાભ નહીં થાય તથા ઈરાનીઓનાં આર્થિક હિતો પણ જોખમાશે. આ મુદ્દો JCPOA દ્વારા ઉકેલાવો જોઈએ."

જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું

જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને છ મહિના માટે લંબાવવાના પ્રસ્તાવને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે.

આ સિવાય સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અનામત બિલમાં ફેરફાર સૂચવતું બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું, જેને મંજૂર કરી દેવાયું હતું.

સારી રીતે ચર્ચા કરીને જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ ઉપર ચર્ચા કરવા બદલ વડા પ્રધાને તમામ સંસદસભ્યોનો આભાર માન્યો હતો.

ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે જો ચૂંટણીપંચ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર થાય તો સંબંધિત પ્રક્રિયા શરૂ કરવામાં એક મિનિટનો સમય પણ નહીં લાગે.

આ સિવાય નાગાલૅન્ડને ફરી એક વખત અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં AFSPA લાગુ રહેશે.