ટ્રમ્પ-કિમની બેઠક માટે સિંગાપોર રૂ. 100 કરોડ ખર્ચશે

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર દુનિયાની નજર અત્યારે સિંગાપોર પર છે કે જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ-ઉનની મુલાકાત યોજાવા જઈ રહી છે.
સિંગાપોરના વડાપ્રધાન લી શિયેન લૂંગે જણાવ્યું છે કે એમનો દેશ આ મુલાકાત પાછળ 20 મિલિયન સિંગાપોર ડૉલર ખર્ચશે.
ભારતીય ચલણમાં આ રકમ 100 કરોડ રૂપિયા કરતાં વધારે થાય છે.
વડાપ્રધાન લી શિયેન લૂંગે જણાવ્યા મુજબ આ રકમમાંથી અડધોઅડધ તો સુરક્ષા પાછળ ખર્ચવામાં આવશે.
એમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પગલા તરીકે આ રકમ યોગ્ય જ છે અને એમાં સિંગાપોરનું હિત પણ છે.
મંગળવારે સિંગાપોરનાં સેંટોસામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાત થશે. બંને નેતાઓ આ મુલાકાત માટે સિંગાપોર પહોંચી ગયા છે.
કિમ જોંગ-ઉને સિંગાપોરનાં પ્રધાનમંત્રી લી શિયેન લૂંગને મુલાકાત બાદ જણાવ્યું કે જો શિખર સંમેલનમાં કોઈ કરાર કરવામાં આવશે તો સિંગાપોરને એ માટે ઇતિહાસમાં કાયમ યાદ કરવામાં આવશે.
આ બાજુ અમેરીકા એવી આશા રાખી રહ્યું છે કે આ મુલાકાતમાં તે, કિમ જોંગ-ઉન પાસેથી પરમાણુ હથિયાર છોડવા અંગેનું કોઈ વચન લઈ શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સિંગાપોર જ કેમ?

ઇમેજ સ્રોત, Twitter@Leehsuebkoong
સિંગાપોરની આ મુલાકાત માટે મંગોલિયા, સ્વીડન, સ્વિટઝરલેન્ડ અને બંને કોરિયાઈ દેશો વચ્ચે પડનારા સૈન્યવિહિન વિસ્તારને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
પાંચ જૂને સિંગાપોરના વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણે વૉંશિગ્ટનમાં જણાવ્યું કે, “આ યજમાનગીરી માટે સિંગાપોરે જાતે જ ઇચ્છા વ્યક્ત નહોતી કરી પણ અમેરિકાએ એના માટે અમને કહ્યું હતું.”
એમણે કહ્યું કે, “મને લાગે છે કે સિંગાપોરનાં લોકોને આ માટે ગૌરવ થશે... અમારી એટલા માટે પસંદગી કરવામાં આવી છે કારણ કે તેઓ જાણે છે કે અમે નિષ્પક્ષ, ભરોસાપાત્ર અને સુરક્ષિત છીએ.''
દુનિયાભરમાં સિંગાપોરને એક સુરક્ષિત અને વ્યવસ્થિત શહેર તરીકે ગણવામાં આવે છે. જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને જાહેર સભાઓ પર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવે છે.
સિંગાપોર અને ઉત્તર કોરિયાનાં રાજનૈતિક અને વ્યૂહાત્મક સંબંધો સિત્તેરના દાયકાથી છે.
પણ ઉત્તર કોરિયાનાં છઠ્ઠા પરમાણુ પરીક્ષણ બાદ સિંગાપોરે, સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયા સાથે ધંધાકીય સંબંધો તોડી નાખ્યા હતા.
સિંગાપોરમાં અમેરીકા અને ઉત્તર કોરિયા બંને દેશોનાં દૂતાવાસ છે. એનો અર્થ એ કે અહિંયા બંને દેશો વચ્ચે ખાનગી મંત્રણાઓની સંભાવના પણ છે.
સિંગાપોર ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી પણ ઘણું નજીક છે.

સિંગાપોરની મીડિયા અને સરકારનું વલણ

ઇમેજ સ્રોત, Reuters
આ શિખર સંમેલનની યજમાનગીરી માટે સિંગાપોર જ કેમ ઉમદા વિક્લ્પ કેમ હતો? આ સવાલ પર સિંગાપોરના નેતાઓ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા.
પ્રધાનમંત્રી લી શિયેન લૂંગે જણાવ્યું કે, સિંગાપોર બંને દેશો માટે રાજનીતિક રીતે માન્યતાપાત્ર છે કારણ કે બંને પક્ષો સાથે એમના સંબંધો મૈત્રીપૂર્ણ છે.
એવા સમાચાર છે કે ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે આ સંમેલનનો ખર્ચ ઉઠાવવામાં પોતાની અસમર્થતા જણાવી હતી.
આ બાબતે સિંગાપોરે જણાવ્યું કે એમનો દેશ આ ખર્ચ ઉઠાવવા માટે ઇચ્છુક છે અને એક ઐતિહાસિક મુલાકાતમાં આ એમનું નાનકડું યોગદાન બની રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












