ઝિમ્બાબ્વેમાં સાયબર સુરક્ષા માટે પ્રધાનની નિયુક્તિ

    • લેેખક, શિંગઈ ન્યોકા
    • પદ, બીબીસી આફ્રિકા, હરારે

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપ્રમુખ રૉબર્ટ મુગાબેએ સાયબર સુરક્ષા માટેનું નવું મંત્રાલય જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર એક નકલી સરકારી નોટિસ વાયરલ થઈ હતી.

ઝિમ્બાબ્વેના નાગરિકોએ રમૂજ માટે નોટિસ વાયરલ કરી હતી.

જેમાં નવનિયુક્ત સાયબર પ્રધાન પૅટ્રીક ચિનામાસાના ખોટા હસ્તાક્ષર અને લેટરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જેમાં દેશના અનેક વ્હૉટ્સઍપ ગ્રુપના સભ્યોને નવેમ્બર માસ સુધીમાં આ મંત્રાલયમાં નોંધણી કરાવી જવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

'મને સુપરત કરવામાં આવેલી સાયબર સત્તાઓના આધારે આ આદેશ છે'. એવા વાક્ય સાથે આ નોટિસ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ રમૂજની પળો જેમ ઓસરી રહી છે તેમ ઝિમ્બાબ્વેના નાગરિકો એ વિચાર કરી રહ્યા છે કે આ નવું મંત્રાલય નાગરિક સ્વતંત્રતાઓ અને ખાસ કરીને વાણી સ્વાતંત્ર્ય પર શું અસર કરશે?

પાદરી ઈવાન માવારારીરે ગત વર્ષે સોશિઅલ મીડિયા પર #ThisFlag ચળવળ શરૂ કરી હતી.

આ ઘટના બાદ ઝિમ્બાબ્વેની સરકાર સોશિયલ મીડિયા બાબતે થોડી અસ્વસ્થ બની છે.

ટ્વિટર અને ફેસબુક જેવાં સોશિઅલ મીડિયા પ્લેટફૉર્મનો ઉપયોગ કરી તેણે લોકોને ઘરેબેઠાં વિરોધમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.

આ દાયકામાં સરકાર વિરુદ્ધ થયેલા વિવિધ વિરોધ પ્રદર્શોનો પૈકી આ સોથી મોટું પ્રદર્શન હતું.

રાષ્ટ્રપ્રમુખ રૉબર્ટ મુગાબેના સંવાદદાતા જ્યૉર્જ ચારમ્બા કહે છે, "દેશ વિરુદ્ધ ઊભા થઈ રહેલા વિવિધ ભયને ટાળવા માટે રાષ્ટ્રપ્રમુખે આ નવા મંત્રાલયની રચના કરી છે.

"સોશિઅલ મીડિયાનો દુરુપયોગ અને તેના દ્વારા થતા ગેરકાયદે આચરણને નિવારવા આ પગલું લેવાયું છે."

ઝિમ્બાબ્વેના નાગરિકો માટે સમાચાર મેળવવાનું અને સંચાર માટેનું પ્રાથમિક માધ્યમ સોશિઅલ મીડિયા છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ રાખતા કાયદાઓ છતાં પણ આ માધ્યમ ત્યાં સમૃદ્ધ છે.

ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન(ITU)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ ઝિમ્બાબ્વેમાં ગત 16 વર્ષમાં ઈન્ટરનેટનો વપરાશ 0.3 ટકાથી હરણફાળ ભરીને 46 ટકાએ પહોંચ્યો છે.

ઘણાં ટેલિવિઝન સ્ટેશન અને ઑનલાઈન પ્રકાશકો, જેમાંના કેટલાંક લોકો વિદેશમાં કાર્યરત છે તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ સમાચારના પ્રસારણ માટે કરે છે અને તેઓ સરકારની પહોંચ બહાર છે.

ચારમ્બા કહે છે, "સોશિઅલ મીડિયાનો દુરુપયોગ લોકોમાં ગભરાટ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. જેના કારણે અર્થતંત્રમાં કેટલીક અસ્થિરતા સર્જાઈ હતી."

નવનિયુક્ત સાયબર પ્રધાન ચિનામાસા આ વાતથી સહમત છે. નિયુક્તિ થતાં પહેલાં તેમણે આ મુદ્દે કમેન્ટ કરી હતી કે, 'આ બનાવનું કારણ સોશિઅલ મીડિયા છે.'

"આ સુરક્ષાનો એક મુદ્દો હતો અને એક રાજકીય એજન્ડા હતો જેનો હેતુ સત્તા પરિવર્તનનો હતો. સુરક્ષાના આ સંઘર્ષમાં અમે સુધારાત્મક પગલાં લેશું."

અભિવ્યક્તિ પર તરાપ?

અન્ય લોકોનું કહેવું છે કે સરકારનું આ વલણ નાગરિક અધિકારો માટે ભયસ્થાન સમાન છે.

સંચાર અધિકારો(કમ્યુનિકેશ રાઈટ્સ) ક્ષેત્રે સંકળાયેલા સમૂહ 'મીડિયા ઈન્સ્ટિટ્યુટ ફૉર સધર્ન આફ્રિકા(મિસા)'ના ઝિમ્બાબ્વે ચેપ્ટરનું કહેવું છે કે સોશિઅલ મીડિયા પરની આ બારીક તપાસ બંધારણ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિરુદ્ધની છે.

"આ પ્રકારના ભયસ્થાનોના કારણે વ્યક્તિગત સેન્સરશિપનો જન્મ થશે."

ઝિમ્બાબ્વેનો વિરોધ પક્ષ 'મુવમેન્ટ ફૉર ડેમોક્રેટિક ચેન્જ(એમડીસી)' કહે છે કે, 'આ નવા મંત્રાલયનો અર્થ એ છે કે સરકાર નાગરિકોની જાસૂસી કરવા માગે છે.'

સાયબર પ્રધાનની નિયુક્તિની ઘટના પર ઝિમ્બાબ્વેના ધણાં નાગરિકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

જેમાં એક ટિપ્પણીમાં ચિનામાસાને 'વ્હૉટ્સઍપ પ્રધાન' પણ કહેવામાં આવ્યા છે.

જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રકારની મશ્કરી દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે સાયબર ક્રાઈમના ઉભરી રહેલા ભય પ્રત્યેની ગેરસમજણના કારણે આ પ્રકારની મશ્કરી કરવામાં આવી રહી છે.

કેટલાક લોકો સરકારની આ બારીક તપાસ અને આગામી ચૂંટણી વચ્ચે પણ કંઈક જોડાણ હોવાનો મત રજૂ કરી રહ્યા છે.

ઘણાં દેશઓમાં એન્ટિ સાયબર ક્રાઈમ વિભાગો અને એજન્સીઓ છે પરંતુ ઝિમ્બાબ્વે એવો પહેલો દેશ છે જ્યાં આ બાબત માટે સમગ્ર મંત્રાલય રચવામાં આવ્યું છે.

આ ચર્ચાઓ દરમિયાન કેટલાક મેસેજ સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

'મિસ્ટર ચાઈપા' નામના એક યુઝર છે કે ઝિમ્બાબ્વેના નાગરિકોએ સોશિઅલ મીડિયા પર એવું જ કન્ટેન્ટ શેર કરવું જોઈએ જેના પર તેઓ કૉર્ટમાં પોતાના બચાવ રજૂ કરી શકે.

મિસ્ટર ચાઈપા કહે છે કે હવે સરકાર માટે ઑનલાઈન સંદેશાઓ પર નજર રાખવી સરળ રહેશે. આ યુઝરે એવી પ્રવૃત્તિઓની યાદી પણ આપી છે જેનો સમાવેશ ગુના તરીકે થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો