કારગિલ : 'મારાં ત્રણ ભાઈ-બહેન પેલી બાજુ હતાં, બધાં એકબીજાને મળ્યાં વિના મૃત્યુ પામ્યાં'

- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી સંવાદદાતા, કારગિલથી

- ભારત અને પાકિસ્તાનની સરહદથી થોડે દૂર આવેલ ગામ હિંડરમનના લોકો 1971ના યુદ્ધ બાદ આજ સુધી પોંતાના સંબંધીઓને મળવાની રાહ જોઈ રહ્યા છે
- વર્ષ 1971માં ભારત-પાક વચ્ચે થયેલ યુદ્ધ વખતે ભારતે આ ગામ પર કબજો કર્યો હતો
- વિખૂટા પડી ગયેલા પરિવારો પોતાના સ્વજનોને મળવાની રાહ જોઈ રહ્યા છે, કેટલાક તો રાહ જોતાંજોતાં જ મૃત્યુ પામ્યા છે

"મારાં ત્રણ ભાઈ-બહેન સીમાની બીજી બાજુએ હતાં. બધાં મૃત્યુ પામ્યાં. માતા-પિતા, ભાઈ-બહેન, બધાં એકબીજાને મળ્યાં વગર જ ચાલ્યાં ગયાં."
હિંડરમનનાં ઝૈનબબીબી પોતાની વાત પૂરી કરતાં પહેલાં જ રોવા માંડ્યાં. તેમની આંખો સરહદની પેલે પાર રહેતા પોતાના સંબંધીઓની વાટ જોતાંજોતાં થાકી ગઈ છે.
હિંડરમન કારગિલથી 13 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સીમા પર ઊંચા ઊંચા પહાડો વચ્ચે વસેલું એક નાનું ગામ છે.
આ ગામની સરહદ અત્યંત નજીક છે. હિંડરમન અને તેની આસપાસનાં ક્ષેત્રો પહેલાં પાકિસ્તાનનો ભાગ હતાં. વર્ષ 1971ના યુદ્ધમાં ભારતે આના પર કબજો કરી લીધો હતો અને યુદ્ધની અફરાતફરીમાં ઘણા પરિવાર વિખૂટા પડી ગયા.
અમુક પરિવાર પાકિસ્તાન તરફ ચાલ્યા ગયા, તો અમુક અહીં જ રહી ગયા, 50 વર્ષ બાદ પણ આ વિખૂટા પડી ગયેલા સંબંધીઓ એકબીજા સાથે મળી નથી શક્યા.
સ્થાનિક નિવાસી મોહમ્મદ હુસૈને બીબીસીને જણાવ્યું, "વર્ષ 1971માં અમારા ગામનું વિભાજન થયું હતું. અડધા અહીં રહી ગયા અને અડધા પેલી બાજુ જતા રહ્યા. અમારી લેણ-દેણ, અમારા સંબંધો એ ગામમાં પણ છે અને અહીં પણ. કોઈનાં બહેન ત્યાં છે તો કોઈના ભાઈ અહીં. કોઈનાં મા અહીં છે તો કોઈના પિતા ત્યાં."
આનું એક કારણ એ પણ છે કે મોટા ભાગના લોકો ગરીબ છે, અને તેઓ વિઝા લઈને એકબીજાના દેશની આટલી લાંબી અને મોંઘી યાત્રાનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
એક સમસ્યા એ પણ છે કે બંને સરકારો તેમને મુશ્કેલીથી જ વિઝા આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યાદોનું મ્યુઝિયમ

મોહમ્મદ હુસૈનનું કહેવું છે કે કરતારપુર કૉરિડૉર ખૂલવાથી અમારી આશાઓ વધી છે. અમે લાંબા સમયથી એવી માગણી કરી રહ્યા છીએ કે અમારો સીમા-માર્ગ પણ ખોલી દેવાય. તેમાં બંને સરકારોને પરેશાની નહીં થાય. રસ્તો અત્યંત નજીક છે. માત્ર દસ મિનિટનો રસ્તો છે.
હિંડરમનના રહેવાસી મોહમ્મદ ઇલિયાસના કાકા યુદ્ધ દરમિયાન સીમાની બીજી તરફના ગામડે જતા રહ્યા હતા અને ક્યારેય પાછા ન આવી શક્યા.
ઇલિયાસે વિખૂટા પડી ગયેલાને યાદ કરવા માટે 'યાદોનું મ્યુઝિયમ' બનાવ્યું છે.

મ્યુઝિયમમાં મૂકેલું એક બૉક્સ દેખાડતાં ઇલિયાસે જણાવ્યું, "આ મારા કાકાની સંદૂક હતી. જ્યારે અમે તે ખોલી ત્યારે તેમાં તેમનાં કપડાં અને બીજો સામાન નીકળ્યો. અમે એ સામાન અહીંની દીવાલો પર લગાડી દીધો છે."
તેમણે જણાવ્યું કે આ પ્રકારે તેઓ વિખૂટા પડી ગયેલા સંબંધીઓને યાદ કરે છે જેથી તેઓ દુનિયાને બતાવી શકે કે તેઓ પોતાનાથી વિખૂટા પડી ગયેલાને ભૂલ્યા નથી અને તેમને આ વાતનું દુ:ખ છે.
ઇલિયાસે એક ફોટો દેખાડતાં કહ્યું - આ અમારા મામાનો ફોટો છે. તેમને યાદ રાખવા માટે અમારી પાસે માત્ર આ જ ફોટો છે.

અપાર મુશ્કેલીઓ

ગામથી અમુક અંતરે પાકિસ્તાનનો વિસ્તાર દેખાય છે. સિલ્ક રોડ હિંડરમન ગામ અને કારગિલ શહેર વચ્ચેથી પસાર થાય છે. આ રોડ હજુ પણ મોજૂદ છે, પરંતુ જ્યાંથી પાકિસ્તાનનું ક્ષેત્ર શરૂ થાય છે, તેનાથી અમુક અંતરે જ તેને ભારત તરફથી બંધ કરી દેવાયો છે.
ત્યાં ભારતીય સૈન્યની છાવણી છે, પરંતુ આ ક્ષેત્ર સામાન્યપણે શાંતિપૂર્ણ જ રહ્યું છે. સ્થાનિક નેતા સજ્જાદ હુસૈનનું કહેવું છે કે આ એક માનવીય સમસ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "લદ્દાખ અને બાલ્ટિસ્તાન વચ્ચે લગભગ 15 હજાર પરિવાર એવા હતા, જે આજેય વિભાજિત છે. આ એક માનવીય ત્રાસદી છે. અમે ઘણી વાર સરકારોને અપીલ કરી છે કે આ સમસ્યાનું માનવીય આધારે નિરાકરણ લાવે. આ જ પ્રકારનો સંઘર્ષ અમે ખારમિંગ અને બાલ્ટિસ્તાનમાં પણ જોયો છે."
તેમણે જણાવ્યું કે ગિલગિટ-બલ્ટિસ્તાનની વિધાનસભામાં પણ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે હજુ સુધી કોઈ પહેલ નથી થઈ.

ખામોશ ગામ

સજ્જાદ હુસૈન આગળ કહે છે કે જો સરકાર રસ્તા ન ખોલી શકે તો અમારા માટે ઓછામાં ઓછું એક મિટિંગ પૉઇન્ટ બનાવી દે, જ્યાં સંબંધીઓ એકમેક સાથે મળી શકે.
"જો આ રસ્તો ખોલી દેવાયો, તો સુરક્ષાનું કેન્દ્ર બનેલો આ વિસ્તાર શાંતિક્ષેત્રમાં પરિવર્તિત થઈ શકે છે."
ઝૈનબબીબી હવે વૃદ્ધ થઈ ગયાં છે. તેમની આંખો સ્વજનોની રાહ જોતાંજોતાં થાકી ગઈ છે અને આ ગામની નવી પેઢી સરહદનું અંતર ભૂંસાય તેવું દૃશ્ય જોવા માગે છે.
પરંતુ હિંડરમન ગામ પોતાની યાદો અને દર્દ સાથે ખામોશ ખડું છે.

કારગિલ યુદ્ધ
કારગિલ એ સમયે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 1999માં કારગિલના પહાડો પર લડાઈ થઈ હતી.
મે-જુલાઈ 1999માં થયેલી આ લડાઈને ભારતે ઑપરેશન વિજયનું નામ આપ્યું હતું.
પાકિસ્તાને ક્યારેય એ વાતનો આધિકારિકપણે સ્વીકાર નથી કર્યો કે તેમના સૈનિક આ લડાઈમાં સામેલ હતા.
લગભગ બે મહિના સુધી ચાલેલી લડાઈ બાદ ભારતીય સેનાએ ઘૂસણખોરોને ખદેડવાનો અને પોતાના ક્ષેત્ર પર ફરી નિયંત્રણ મેળવ્યાનો દાવો કર્યો હતો.
તે બાદ દર વર્ષે 26 જુલાઈના રોજ ભારતમાં વિજય દિવસ મનાવવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













