You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અગ્નિપથ યોજના : જાહેરાતથી અત્યાર સુધીમાં શું-શું થયું?
ગત મંગળવારે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સેનામાં ભરતી માટેની નવી યોજના અગ્નિપથની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત બાદથી દેશભરમાં હિંસક વિરોધ થઈ રહ્યો છે.
અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ તે દિવસથી જ ઠેરઠેર વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં. સૌથી પહેલાં અને સૌથી વધારે પ્રદર્શનો બિહારમાં થયાં હતાં.
પ્રદર્શનકારીઓએ વિરોધમાં ટ્રેનોમાં આગ ચાંપી હતી અને રસ્તા પર ઊતરીને ચક્કાજામ કર્યા હતા. પ્રદર્શનકારીઓની માત્ર એક માગ છે કે આ યોજના પાછી ખેંચાય.
જોકે, સરકારે આ વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના અંતર્ગત ભરતીપ્રક્રિયામાં કેટલીક હળવાશો મૂકી હતી અને કેટલીક બાબતોને લઈને સ્પષ્ટતા કરી હતી.
આ વચ્ચે રવિવારે સેનાની ત્રણેય પાંખના વડાઓએ સંયુક્ત પત્રકારપરિષદ યોજીને આ યોજના પાછી ખેંચાશે નહીં, તેવી જાહેરાત કરી છે.
ત્યારે આ યોજનાની જાહેરાત થઈને સેના પ્રમુખોએ કરેલી સ્પષ્ટતાની તમામ બાબતો અહીં રજૂ છે, જે તમારે જાણવી જરૂરી છે.
અગ્નિપથ યોજના શું છે?
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંરક્ષણમંત્રીએ યુવાનોને અગ્નિવીર બનવા અપીલ કરી હતી. ચાર વર્ષની સેવા બાદ રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો અગ્નિવીર કહેવાશે.
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, ઍરફોર્સ અને નૅવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મેરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."
"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રીય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
સંરક્ષણમંત્રાલયના જણાવ્યા અનુસાર, "અગ્નિપથ યોજના તમામ અગ્નિવીરોને દર મહિને 30,000 રૂપિયા અને ચોથા વર્ષમાં 40,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પૅકેજ આપવામાં આવશે. ચાર વર્ષ પૂરાં થવા પર તમામ ઉમેદવારો માટે વ્યાપક નાણાકીય પૅકેજ 'સેવા નિધિ'ની પણ જોગવાઈ છે.
આ દરમિયાન નૅવી ચીફ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે.
સંક્ષિપ્તમાં સમજો : અગ્નિપથ યોજના છે શું?
- ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
- ભરતી ચાર વર્ષ માટે થશે
- ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
- ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
- પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
- ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે. આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.
અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 23 વર્ષની વચ્ચે હશે.
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, ઍરફોર્સ અને નૅવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મેરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."
"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રીય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
સંરક્ષણમંત્રાલયના જણાવ્યા અનુસાર, "અગ્નિપથ યોજના તમામ અગ્નિવીરોને દર મહિને 30,000 રૂપિયા અને ચોથા વર્ષમાં 40,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પૅકેજ આપવામાં આવશે. ચાર વર્ષ પૂરાં થવા પર તમામ ઉમેદવારો માટે વ્યાપક નાણાકીય પૅકેજ 'સેવા નિધિ'ની પણ જોગવાઈ છે.
વાઇસ ચીફ ઑફ સ્ટાફ બીએસ રાજુના કહેવા પ્રમાણે, "90 દિવસની અંદર પહેલી રેલી યોજાશે, 180 દિવસની અંદર પસંદ થયેલા યુવાનો સૈન્ય તાલીમકેન્દ્ર પહોંચશે અને એક વર્ષમાં પહેલી ટુકડી ભરતી થઈ જશે."
આઈટીઆઈ તથા ડિપ્લોમા સંસ્થાઓમાંથી પણ ભરતી કરવામાં આવશે, જેથી કરીને ટેકનિકલ જ્ઞાનવાળાંકામો માટે જરૂરી માનવબળ મળી રહે.
અગ્નિવીર યોજનાની ટીકા કેમ?
સેવાનિવૃત્ત લેફટનન્ટ જનરલ વિનોદ ભાટિયાએ આ યોજના વિશે લખ્યું, "સશસ્ત્રબળો માટે ચેતવણીની ઘંટડી સમાન છે. પાઇલટ પ્રોજેક્ટ વગર આ યોજનાને લાગુ કરી દેવામાં આવી છે. સમાજમાં સૈન્યકરણનું જોખમ વધી જશે. દર વર્ષે 40 હજાર યુવાનો બેરોજગાર થશે. આ અગ્નિવીરો હથિયાર ચલાવવામાં પૂરતા તાલીમબદ્ધ નહીં હોય. આ સારો વિચાર નથી. તેનાથી કોઈને પણ લાભ નહીં થાય."
સેવાનિવૃત્ત મેજર જનરલ બીએસ ધનોઆએ ટ્વિટર પર લખ્યું, "પ્રોફેશનલ સેનાઓ સામાન્ય રીતે યોજનાઓ ઉપર કામ ન કરે, માત્ર કહી રહ્યો છું."
સામાન્ય સૈનિકોની જેમ જ અગ્નિવીરોને દેશભરમાં કોઈપણ મોરચે તહેનાત કરવામાં આવશે. આને કારણે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના કારણે સેનામાં 'નવશિખાઉ' સૈનિકોની સંખ્યા વધી જશે. જે દુશ્મન દેશોનો સામનો કરવા માટે સક્ષમ નહીં હોય.
અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.
સિંગાપોરમાં એસ. રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનિત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રૉફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."
સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફેલો સુશાંતસિંહ આ પ્રસ્તાવને લઈને અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.
સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"
"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફોજ ન તૈયાર થઈ જાય."
આ સિવાય એક ચિંતા સેનામાં પ્રવર્તમાન સદીઓ પુરાણી રેજિમૅન્ટલ વ્યવસ્થા વિશેની પણ છે, જેમાં અવરોધ ઊભા થશે.
હાલના સમયમાં એક સક્ષમ સૈનિક 10થી 15 વર્ષ સુધી સેનામાં સેવા આપે છે.
યોજના સારી કે ખરાબ?
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પ્રમાણે ભારતીય સેનામાં કોઈનું ચાર વર્ષ માટે જોડાવું એ ઘણો ઓછો સમય કહેવાય અને જો આ આઇડિયા સારો હોય તો તેને તબક્કાવાર લાગુ કરવો જોઈએ.
તેઓ કહે છે કે ચિંતા એ પણ છે કે આટલા ઓછા સમય માટે કોઈ યુવાન ખુદના સ્વભાવને મિલિટરીના બીબામાં કઈ રીતે ઢાળી શકશે.
તેઓ કહે છે કે, "ચાર વર્ષમાંથી છ મહિના તો ટ્રેનિંગમાં જશે. પછી એ વ્યક્તિ ઇન્ફૅન્ટરી, સિગ્નલ જેવાં ક્ષેત્રોમાં આગળ જાય તો તેની વિશેષ ટ્રેનિંગ લેવી પડશે."
"જેમાં વધારે સમય જશે. ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલાં તેની સારી જાણકારી મેળવવી જરૂરી છે."
શેઓનાનસિંહને ચિંતા છે કે ટ્રેનિંગમાં આટલો સમય વીતાવ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ખરેખર સેવામાં કેટલો આગળ વધી શકશે. તેઓ કહે છે, "એ વ્યક્તિ ઍરફોર્સમાં પાઇલટ તો બની શકશે નહીં. એ ગ્રાઉન્ડ્સમૅન કે પછી મિકૅનિક બનશે. એ વર્કશૉપમાં જશે. ચાર વર્ષમાં એ શું શીખી શકશે?"
"કોઈ તેને ઍરક્રાફ્ટને હાથ પણ નહીં લગાવવા દે. જો તમને ઉપકરણોની સારસંભાળ રાખતા પણ ન આવડતી હોય તો ઇન્ફૅન્ટ્રીમાં પણ તમારું કોઈ કામ નથી."
"યુદ્ધમાં કોઈ અનુભવી સૈનિક સાથે જાઓ તો શું યુદ્ધમાં તેમના મૃત્યુ બાદ ચાર વર્ષનો અનુભવી સૈનિક તેમની જગ્યા લઈ શકશે? આ કામ એ રીતે થતું નથી. આથી સુરક્ષાબળોની કુશળતાને અસર થશે."
અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો
- ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
- આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
- આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
- પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
- તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.
યોજના અંતર્ગત ભરતી થનારા લોકોનું ભવિષ્ય?
અગ્નિપથ યોજનાના ટીકાકારોનું કહેવું છે કે સેનામાં ટ્રેનિંગ લીધેલા 21 વર્ષીય બેરોજગાર યુવાન ખોટા રસ્તે જઈને પોતાની ટ્રેનિંગનો ખોટો ઉપયોગ કરી શકે છે.
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પૂછે છે કે 21 વર્ષીય દસ કે બાર ધોરણ પાસ બેરોજગાર યુવાન રોજગારી માટે ક્યાં જશે?
તેઓ કહે છે કે, "જો તે પોલીસમાં ભરતી માટે જાય તો તેમને કહેવામાં આવશે કે ત્યાં તો પહેલાંથી બીએ પાસ જવાનો છે, તેથી તેમને લાઇનમાં સૌથી પાછળ ઊભું રહેવું પડશે. અભ્યાસના કારણે તેમના પ્રમોશન પર અસર પડશે."
તેમનો મત છે કે યુવાનોને 11 વર્ષ સુધી સેનામાં સામેલ કરવામાં આવે. જેથી તેઓ ઓછામાં ઓછાં આઠ વર્ષ સેવા આપી શકે અને બાદમાં તેમને અડધું પૅન્શન આપીને જવા દેવામાં આવે.
રિટાયર્ડ મેજર જનરલ એસબી અસ્થાનાનું માનવું છે કે 21 વર્ષીય ગ્રૅજ્યુએટ યુવાન અને અગ્નિવીરો નોકરી શોધતી વખતે કોઈ અલગ સ્તર પર નહીં હોય. કારણ કે અગ્નિવીરો હુન્નરની દૃષ્ટિએ અન્યો કરતાં તદ્દન જુદા હશે.
અગ્નિપથ સામે વિરોધ
બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી માંડીને હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સેનામાં ભરતી સાથે સંબંધિત 'અગ્નિપથ સ્કીમ'નો વિરોધ જોવા મળ્યો હતો. આ સિવાય દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ તેમજ તેલંગાણામાં પણ અગ્નિપથ યોજનામાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
અગાઉ શનિવારે સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથના વિરોધમાં દેશમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને કારણે રેલવેએ 369 ટ્રેન રદ કરવી પડી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ટ્રેનમાં 210 મેલ-એક્સપ્રેસ રેલગાડી અને 159 સ્થાનિક ગાડી સામેલ છે. અગાઉ શુક્રવારે પણ 200 ટ્રેન રદ કરવી પડી હતી.
ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી અને ત્યાર પછી દેશમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે અને હજુ પણ વિરોધ ચાલુ છે.
બિહારમાં સેનામાં ભરતીની યોજનાના વિરોધમાં શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે નારાજ પ્રદર્શનકારીઓએ શનિવારે બિહારના તારેગના રેલવે સ્ટેશનને આગને હવાલે કરી દીધું હતું.
તેઓ સરકાર તેનો નિર્ણય પાછો લે તેવી માગ કરી રહ્યા હતા.
બિહાર પોલીસના એક વરિષ્ઠ અધિકારી સંજયસિંહે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે હજારોની સંખ્યામાં નવજવાનોએ ટ્રેનની બોગીઓ પર હુમલો કર્યો, ટાયર સળગાવ્યાં અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું.
તેમણે માહિતી આપી કે કમસે કમ 12 પ્રદર્શનકારીની ધરપકડ કરાઈ છે. તારેગના રેલવે સ્ટેશન પર થયેલી હિંસામાં ચાર પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
દાનાપુર રેલવે ડિવિઝનના પ્રમુખ પ્રભાતકુમારે કહ્યું કે "રેલવે પરિસરમાં હિંસક ઘટનાઓને કારણે રેલવેની 200 કરોડથી વધુ સંપત્તિનું નુકસાન થયું છે. 50 રેલકોચ અને પાંચ એન્જિન સંપૂર્ણ સળગાવી દીધાં છે. રેલવે પ્લેટફોર્મ, કમ્પ્યુટર અને ઘણાં તકનીકી ઉપકરણોને નુકસાન થયું છે."
તો કેરળના તિરુઅનંતપુરમના થંપાનૂર વિસ્તારમાં યુવાનો એકઠા થયા હતા અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના સત્તાવાર નિવાસસ્થાન રાજભવન તરફ માર્ચ કરી હતી.
તેઓ ભારત સરકારની નવી યોજના વિરુદ્ધ સૂત્રો પોકારતા હતા, તેમના હાથમાં પ્લેકાર્ડ અને બૅનર જોવા મળતાં હતાં, જેમાં સરકારને પોતાનો નિર્ણય પાછો લેવાની માગ કરાઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ યુવાનો કેરળનાં અલગઅલગ શહેરમાંથી આવ્યા હતા. પ્રદર્શનકારીઓમાંથી એક નવયુવાને કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ ભરતી યોજનાને પાછી નહીં લે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે "અમારામાંથી ઘણાએ સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ વચ્ચે છોડીને પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જો કેન્દ્ર સરકાર આ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધશે તો અમે શું કરીશું. અમારું ભાવિ અંધકારમય થઈ જશે. આથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું."
અગ્નિપથ વિરોધી આંદોલન દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક સુધી વિસ્તરી ગયું છે. બેલગવી જિલ્લાના ખાનપુર અને ધારવાડમાંથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જે બંને મુખ્ય સૈન્ય ભરતી જિલ્લાઓ છે.
બીબીસીના પત્રકાર ઈમરાન કુરેશીના જણાવ્યા પ્રમાણે, ખાનપુરમાં વિરોધપ્રદર્શન કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. અંજલિ નિમ્બાલકરની આગેવાની હેઠળ યોજાયું હતું. તેમાં શારીરિક અને તબીબી પરીક્ષાઓ આપી ચૂકેલા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રદર્શન મોટે ભાગે શાંતિપૂર્ણ યોજાયું હતું.
ડૉ. નિમ્બલકરે બીબીસી હિન્દીને જણાવ્યું હતું, "આ યુવાનો તેમની લેખિત પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. તેઓ નવી અગ્નિપથ યોજનાથી ખૂબ જ હતાશ છે, કારણ કે તેઓએ છેલ્લાં કેટલાંક વર્ષોથી તાલીમ લીધી છે અને તેના માટે ઘણા પૈસા પણ ખર્ચ્યા છે."
તેમણે કહ્યું, "બંને ટેસ્ટ 2020માં લેવામાં આવી હતી અને ત્યારથી તેઓ લેખિત પરીક્ષા લખવા માટે રાહ જોઈ રહ્યા હતા. 2021માં પણ ભરતી થઈ ન હતી.''
જ્યારે ધારવાડમાં અધિક નાયબ કમિશનરને આવેદનપત્ર આપ્યા પછી પણ પ્રદર્શન ન વિખેરાતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
હુબલ્લી-ધારવાડના પોલીસ કમિશનર લાભુ રામે બીબીસી હિન્દીને જણાવ્યું હતું, "અધિક નાયબ કમિશનરે આવેદનપત્ર સ્વીકાર્યા પછી પણ પ્રદર્શનકારીઓ વિખેરાયા ન હતા, ત્યારે અમે તેમને વચન મુજબ જવાનું કહ્યું હતું. તેમાંથી કેટલાકે બસો પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક બસને નુકસાન થયું હતું. તેથી અમે તેમનો પીછો કર્યો હતો. તે લાઠીચાર્જ નહોતો."
તેલંગણા પછી કર્ણાટક એ બીજું દક્ષિણનું રાજ્ય છે, જ્યાં ભારતીય સેનામાં ભરતી માટે પરીક્ષાઓ આપનાર અથવા તાલીમ લઈ રહેલા યુવાનો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો.
સંરક્ષણમંત્રીની બેઠક અને અનામતની જાહેરાત
સેનામાં ભરતીની નવી અગ્નિપથ યોજના પર વિરોધ પ્રદર્શનો વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવાર સવારે ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે બેઠક કરી હતી.
આ અઠવાડિયે ત્રણેય સેનાના પ્રમુખોની સાથે રક્ષા મંત્રીએ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી.
આજ બપોરે બે વાગ્યે સેનાની ત્રણેય પાંખોના પ્રમુખ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરશે. આ પ્રેસ વાર્તા અતિરિક્ત સચિવ (ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સ)ની આગેવાનીમાં થઈ.
જોકે, આ યોજનાનો દેશના અલગઅલગ ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ ટ્રેનોમાં આગ ચાંપવામાં આવી છે.
નવી યોજના હેઠળ સાડા 17 વર્ષથી 23 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે સેવાનો અવસર મળ્યો છે.
બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે રક્ષા મંત્રાલયની નોકરીઓમાં 'અગ્નિવીરો' માટે 10% અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અનામત માત્ર લાયકાતની શરતો પૂરી કરતા અગ્નિવીરોને જ લાગુ પડશે.
રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, રક્ષા વિભાગના નાગરિક પદો અને રક્ષા મંત્રાલય હેઠળના તમામ 16 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 10% અનામતની સિસ્ટમ લાગુ પડશે.
ભૂતપૂર્વ સૈનિકો માટે રક્ષા મંત્રાલય સાથે સંબંધિત નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા પહેલેથી જ છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે રક્ષા મંત્રાલયની નોકરીઓમાં 'અગ્નિવીરો' માટે 10% અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અનામત માત્ર લાયકાતની શરતો પૂરી કરતા અગ્નિવીરોને જ લાગુ પડશે.
રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, રક્ષા વિભાગના નાગરિક પદો અને રક્ષા મંત્રાલય હેઠળના તમામ 16 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 10% અનામતની સિસ્ટમ લાગુ પડશે.
ભૂતપૂર્વ સૈનિકો માટે રક્ષા મંત્રાલય સાથે સંબંધિત નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા પહેલેથી જ છે.
વિરોધ સામે સેનાનો જવાબ
ભારતીય સેનામાં ભરતી માટેની નવી અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા આંદોલનને શાંત કરવા માટે સેનાએ રવિવારે દિલ્હીમાં આ યોજના સાથે જોડાયેલી વાતોને સ્પષ્ટ કરવાની કોશિશ કરી હતી.
અગ્નિપથ યોજના અંગે સ્પષ્ટતા માટે રવિવારે બપોરે સેનાની ત્રણેય પાંખના અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સ અધિક સચિવ (ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સ)ની આગેવાનીમાં થઈ હતી.
રક્ષા મંત્રાલયમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે, "આજે પણ પ્રતિવર્ષ ઇન્ડિયન આર્મીમાં અંદાજે 14,000, નૅવીમાં 3000 અને ઍરફોર્સમાં 500-600 જેટલા જવાનો રિટાયર્ડ થાય છે. તેમની ઉંમર 35થી 38 વર્ષ છે. આજ સુધી એવો સવાલ નથી ઊભો થયો કે તેઓ બહાર જઈને શું કામ કરે છે?"
તેમણે કહ્યું, "દેશની સેવામાં બલિદાન આપનારા અગ્નિવીરને એક કરોડ રૂપિયાનું વળતર મળશે. 'અગ્નિવીર'ને સિયાચીન અને અન્ય વિસ્તારોમાં તે જ ભથ્થું અને સુવિધાઓ મળશે જે હાલમાં કાયમી સૈનિકોને લાગુ પડે છે. તેની સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે."
લેફ્ટનન્ટ જનરલની રજૂઆતના મહત્ત્વના મુદ્દાઓ
- આર્મીને યુવાન બનાવવાની ક્વાયત 1989થી થઈ રહી હતી.
- કારગિલ રિવ્યુ કમિટીમાં અરુણસિંહ કમિશન, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ રિપોર્ટ્સ સહિતના તમામની ભલામણો હતી કે કમાન્ડિંગ ઑફિસરની ઉંમર ઘટાડવી.
- આજે નહીં 30 વર્ષથી આની જરૂર હતી. 1989માં તે ઉંમર 30 વર્ષ હતી જે આજે 32 વર્ષ છે. તેને ગમે તેમ ઘટાડીને 26 વર્ષ કરવાની યોજના છે, કારણ કે 2030માં દેશમાં 50 ટકા વસ્તી 25 વર્ષથી નાની વયની હશે. એવામાં એ યોગ્ય નથી કે દેશની રક્ષા કરતા જવાનોની ઉંમર 32 વર્ષ હોય.
- 2 વર્ષ ગંભીર અભ્યાસ કરવામાં આવ્યો. સૈન્યની ત્રણેય પાંખના વડાઓએ મળીને આ મુદ્દે ચર્ચા કરી.
- બહારના દેશોનો અભ્યાસ કર્યો. મોટાભાગના દેશોમાં કમાન્ડિંગ ઑફિસરની નિયુક્તિની ઉંમર 26,27 કે 28 વર્ષ છે. કારણ કે જોશ અને હોશ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
- આગામી લડાઈ ટેકનોસેવી લડાઈ હશે તેમાં આજના મોબાઇલ, કમ્પ્યુટર સેવી યુવાઓ મદદરૂપ થશે.
- આર્મીમાં 70 ટકા ગામમાંથી આવે છે. ગામડાંમાં મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેમાં 10 ધોરણ ભણેલા એટલા માટે રાખ્યા કે આ જવાનોએ મોરચે લડવાનું છે. એટલે અમે તેમની ઓછામાં ઓછી સાડા 17 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષ વયમર્યાદા રાખી. આ વયમર્યાદા પહેલાં પણ આટલી જ હતી.
- અત્યારે વર્ષે 40,000ની ભરતી આગામી 4-5 વર્ષોમાં 90,000 પર પહોંચશે. અમે થોડાથી શરૂઆત એટલા માટે કરી છે, કેમકે તેને ચલાવતા અમને પણ શીખવા મળે કે ક્યાં કેવી તકલીફો આવી રહી છે.
તેમણે કહ્યું, "જે પણ અમારી સાથે અગ્નિવીર સાથે જોડાવા માગે છે તેમણે પ્રતિજ્ઞા લેવી પડશે કે તેણે કોઈ પણ પ્રદર્શન અથવા તોડફોડમાં ભાગ લીધો નથી. પોલીસ વેરિફિકેશન વિના કોઈ પણ સેનામાં પ્રવેશ કરી શકશે નહીં. તેથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનો સમય બગાડે નહીં."
આ પ્રેસ કૉન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ સ્પષ્ટ કર્યું હતું કે સેનામાં જવાનોની ભરતીની નવી અગ્નિપથ યોજના પાછી નહીં લેવાય. તેમના અનુસાર આ એક પ્રગતિશીલ પગલું છે અને દેશની સેવા માટે આવું કરવું ખાસ જરૂરી છે.
નૌકાદળના વાઇસ એડમિરલ ડીકે ત્રિપાઠીએ કહ્યું, "અમે અમારી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 25 જૂન સુધીમાં અમારી જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સુધી પહોંચી જશે. એક મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. 21 નવેમ્બરે અમારા પ્રથમ અગ્નિવીર સંસ્થાનમાં તાલીમની શરૂઆત કરશે."
તેમણે કહ્યું, "અમે નૌકાદળમાં મહિલા અગ્નિવીરને પણ લઈ રહ્યા છીએ. તે માટે અમારી તાલીમમાં સુધારા માટેનું કામ શરૂ થઈ ગયું છે. અમે 21 નવેમ્બરની રાહ જોઈ રહ્યા છીએ, મને આશા છે કે મહિલા અને પુરુષ અગ્નિવીર આઈએનએસ ચિલ્કા પર તહેનાત થશે."
એર ચીફ માર્શલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની પ્રથમ બેચ લેવાની પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે. તેના માટે એક ઑનલાઈન સિસ્ટમ છે. તેના હેઠળ રજિસ્ટ્રેશન શરૂ થશે. એક મહિના પછી, 24 જુલાઈથી ફેઝ -1 ઑનલાઇન પરીક્ષાઓ શરૂ થશે. ડિસેમ્બરના અંત સુધીમાં અગ્નિવીરની પ્રથમ બેચને ઍરફોર્સમાં સામેલ કરવામાં આવશે. બેચની તાલીમ 30 ડિસેમ્બર પહેલા શરૂ થઈ જશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો