You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભગવંત માન : પંજાબમાં વિપક્ષને પરાસ્ત કરનારા નેતા, જેમણે શરાબ પીને ભાષણ આપ્યું હતું
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે.
આ પ્રવાસ દરમિયાન બન્ને રાજ્યના સફાઈકર્મચારીઓ, હંગામી કર્મચારીઓ તથા યુવાનો સાથે વાતચીત કરશે.
કેજરીવાલની માફક માન પણ સતત ચર્ચામાં રહેતા નેતા છે.
જોકે, માનની ઉપર શરાબ પીને સાર્વજનિક કાર્યક્રમો તથા સંસદભવનમાં પહોંચવાના આક્ષેપ પણ થયા છે. જાન્યુઆરી-2019થી તેમણે જાહેરમાં આ આદત છોડવાની વાત કરી હતી.
જમીન સાથે જોડાયેલા નેતા
માનને ભાષણ આપવાનો નાનપણથી જ શોખ હતો, તેઓ લાકડા કાપતી વખતે, ખેતરમાં કામ કરતી વખતે કુહાડી કે પાવડાના હાથાને જ માઇક બનાવીને ભાષણ આપવા લાગતા હતા, પરંતુ તેઓ રાજનેતા કે કૉમેડિયન બનશે તે વાતનો કોઈને અંદાજ ન હતો.
માનની દિનચર્યા અખબાર વાંચવાથી શરૂ થાય છે અને તેઓ માત્ર પંજાબની રાજધાનીમાંથી પ્રકાશિત અખબાર નથી વાંચતા, પરંતુ અખબારોના દરેક સંસ્કરણ પર નજર ફેરવી લે છે. જેથી રાજ્યના કયા ખૂણામાં શું ઘટી રહ્યું છે તથા કઈ જગ્યાએ કયો મુદ્દો ઉઠાવી શકાય તેમ છે, તેનાથી વાકેફ રહે છે.
માનને તેમના મિત્રો તથા પાર્ટીના કાર્યકર્તાના મોબાઇલ નંબર મોઢે હોય છે અને સીધો જ તેમને ફોન જોડે છે.
AAPના નહોતા માન
કૉલેજકાળ દરમિયાન માન ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. પંજાબમાં કૉંગ્રેસ તથા અકાલીદળના વિકલ્પરૂપે બલવંતસિંહ રામૂવાલિયાની 'લોક ભલાઈ પાર્ટી'નો વ્યાપ વધારવા માટે પ્રયાસ કર્યા. પ્રોફેશનલ કલાકાર તરીકે તેમણે અનેક પાર્ટીના મંચો પરથી સંબોધનો કર્યા,પરંતુ કદી કોઈનું સભ્યપદ ગ્રહણ નહોતું કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના જલંધર ખાતે રાજ્યના કૃષિવિજ્ઞાની સરદારસિંહ જોહલ દ્વારા જાહેર મુદ્દા અંગે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં માન સામેલ થયા હતા. જ્યાં તેમની મુલાકાત મનપ્રીતસિંહ બાદલ સાથે થઈ. તેમણે માનને સક્રિય રાજકારણમાં આવવા પ્રેરિત કર્યા.
મનપ્રીત તત્કાલીન બાદલ સરકારમાં નાણામંત્રી હતા અને મુખ્ય મંત્રી પ્રકાશસિંહના ભત્રીજા પણ થાય. માર્ચ-2011માં મનપ્રીતે બળવો પોકાર્યો. તેમણે પંજાબમાં 'પીપલ્સ પાર્ટી'ની સ્થાપના કરી. માન સક્રિય રાજકારણમાં આવી ગયા અને પાર્ટીના સ્થાપકસભ્યોમાંથી એક બન્યા.
ફેબ્રુઆરી-2012માં લહરાગાગા બેઠક પરથી પીપીપીના ઉમેદવાર તરીકે તેઓ કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી રાજિન્દરકૌર ભટ્ટલ સામે ચૂંટણીજંગમાં ઊતર્યા અને હારી ગયા. 2012ની એ ચૂંટણીમાં પીપીપીને એક પણ બેઠક ન મળી.
પહેલાં કૉંગ્રેસ અને પછી શિરોમણિ અકાલીદળ-ભાજપ સરકાર બનાવે તેવા ક્રમનો ભંગ થયો. સતત બીજી વખત અકાલીદળે સરકાર બનાવી. આ પછી મનપ્રીતસિંહ બાદલે કૉંગ્રેસમાં જવાની તૈયારી હાથ ધરી, ત્યારે માને પણ તેમની પાછળ-પાછળ કૉંગ્રેસમાં જવાને બદલે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી જન્મેલી દિલ્હીની આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું.
આપમાંથી અલવિદા અને (પુનઃ)આગમન
2014ની લોકસભા ચૂંટણી સમયે તેઓ પંજાબમાં આપના પ્રચારનો મુખ્ય ચહેરો બની રહ્યા. ક્લિનશેવ અને ટૂંકાવાળ સાથે સ્ટેજ તથા કૉમેડી શૉ કરનારા માને વાળ-દાઢી વધારી દીધા. હવે તેઓ માથે પાઘડી સાથે શીખ વેશમાં જ નજરે પડે છે.
તેમણે સંગરૂરની બેઠક પરથી અકાલીદળના દિગ્ગજ નેતા સુખદેવસિંહ ઢિંડસાને બે લાખ 11 હજાર 271 મતથી પરાજય આપ્યો. મે-2017માં તેમને આપની પંજાબ પાંખના વડા બનાવવામાં આવ્યા. તેમણે જલાલાબાદ બેઠક પરથી સુખબીરસિંહ બાદલ સામે ચૂંટણી લડી અને લગભગ 18 હજાર 500 જેટલા મતે હારી ગયા.
પાર્ટીને સંગરૂરની આસપાસના માલવામાં 20માંથી 18 બેઠક મળી. 20 ધારાસભ્ય સાથે પાર્ટીને વિધાનસભામાં વિપક્ષનું પદ મળ્યું.
એકાદ વર્ષમાં જ અન્ય એક રાજકીય ઘટના ઘટી. માર્ચ-2018માં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે અકાલીદળના નેતા બિક્રમસિંહ મજીઠિયા સામે કરેલા ડ્રગ્સના આક્ષેપો મુદ્દે તેમની માફી માગી લીધી.
મજીઠિયા પંજાબના પૂર્વ નાયબમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલના સાળા તથા મોદી સરકારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરતકૌર બાદલના ભાઈ થાય. કેજરીવાલના આ પગલાથી અનેક ધારાસભ્ય, નેતા તથા કાર્યકર્તા પાર્ટી છોડી ગયા.
આ અરસામાં જાહેરકાર્યક્રમોમાં તથા સંસદમાં શરાબ પીને આવવાના આક્ષેપો લાગતા રહ્યા. એમના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા. જાન્યુઆરી-2019માં તેમણે એક જાહેરકાર્યક્રમ દરમિયાન માતાની સામે શરાબ છોડવાની જાહેરાત કરી.
લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા અને સંગરૂરની બેઠક પરથી એક લાખ 11 હજાર 111 મતે વિજયી થયા. તેઓ સંસદના નીચલા ગૃહમાં પાર્ટીના એકમાત્ર પ્રતિનિધિ છે.
અગાઉની ચૂંટણી પરથી પાર્ટીને બોધ મળ્યો કે તેઓ દિલ્હીની પાર્ટી છે તથા બિનપંજાબી પાર્ટી છે, તેના વિશે કંઈક કરવું પડશે. જુલાઈ-2021માં કેજરીવાલે જાહેરાત કરી કે મુખ્ય મંત્રીપદના ઉમેદવાર શીખ હશે, ત્યારથી જ એવું માનવામાં આવતું હતું કે માન હશે. પાર્ટીએ ટેલિફોનનંબર જાહેર કરીને જનતાનો મત જાળ્યો, જેમાં પણ માનનું નામ જ બહાર આવ્યું હોવાનું જાહેર થયું.
કેજરીવાલ, તેમનાં પત્ની તથા પુત્રીએ પણ પંજાબમાં માન માટે પ્રચાર કર્યો હતો.
પર્સનલ, પ્રૉફેશનલ અને અ-પોલિટિકલ
ભગવંત માનનો જન્મ તા. 17મી ઑક્ટોબર 1973ના રોજ સંગરૂર જિલ્લાના મંડી નજીક સતોજ ગામ ખાતે થયો હતો. તેમના પિતા મહિંદરસિંહ સરકારી શાળામાં શિક્ષક હતા, જ્યારે માતા હરપાલકૌર ગૃહિણી.
માને ધો. 12 સુધી અભ્યાસ કર્યા બાદ સંગરૂરની સુનામ શહીદ ઉધમસિંહ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. આ અરસામાં તેમનો કૉમેડી તથા કવિતા તરફ રસ વધ્યો. એ વર્ષે જ તેમનાં ગીત, કૉમેડી તથા પૅરોડીની પહેલી ટેપ રજૂ થઈ.
આ ટેપને કારણે તેઓ કૉમેડીની દુનિયામાં છવાઈ ગયા અને પ્રૉફેશનલ કૉમેડિયન બની ગયા. એમણે અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો.
1992થી 2013 દરમિયાન તેમણે 25 આલ્બમ રેકર્ડ કર્યા. આ સિવાય તેમનાં ગીતોની પાંચ ટેપ પણ આવી. જેના દ્વારા તેઓ રાજકીય તથા સામાજિક મુદ્દા પર વ્યંગ કરતા હતા.
1994થી 2015 દરિયાન તેમણે 13 જેટલી પંજાબી અને હિંદી ફિલ્મો તથા અનેક જાહેરાતોમાં દેખા દીધી. 'જુગ્નુ', 'ઝંડાસિંહ', 'બીબો બુઆ' તથા 'પપ્પુ પાસ' જેવાં પાત્રો કૉમેડીની દુનિયાને માનની દેણ છે.
તેમણે 'જુગ્નુ મસ્ત મસ્ત' તથા 'નૉ લાઇફ વિથ વાઇફ' જેવા સ્ટેજ શૉ પણ કર્યા છે. તેમણે ઇંદ્રજિતકૌર સાથે લગ્ન કર્યાં છે અને એક પુત્ર તથા એક પુત્રી છે.
ઇંદ્રજિત તેમના પતિથી અલગ અમેરિકામાં રહે છે. માન પોતાનાં માતા સાથે સતોજ ખાતે જ રહે છે. તેમનાં બહેન મનપ્રીતનું લગ્ન સતોજ પાસે જ એક ગામમાં થયું છે.
માને એક કૉમેડી શોમાં કામ કર્યું, જ્યાં શેખર સુમન તથા નવજોતસિંહ સિદ્ધુ જજ હતા. યોગાનુયોગ આ ચૂંટણીમાં સિદ્ધુ અને માન સામ-સામે હતા. સિદ્ધુ પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ હતા તો માન આપના પ્રદેશાધ્યક્ષ હતા.
કૉમેડિયન તરીકે કૅરિયર તેમણે જગતા રાણા જગ્ગી, રાણા રણબીર જેવા કલાકારો સાથે કૉમેડી કરી. અનેક ધારાસભ્ય, નેતા તથા કાર્યકર્તા પાર્ટી છોડી ગયા.
તેમની જેમ જ કૉમેડી સરકસ દ્વારા નામના મેળવનારા ગુરપ્રીતસિંહ ગુગ્ગી આપની પંજાબ પાંખના કન્વીનર હતા. પરંતુ માન પર અતિરેક દારૂ પીવાના આરોપ મૂકીને ગુગ્ગીએ 2017માં પાર્ટી છોડી દીધી હતી.
મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર થયા બાદ માને કહ્યું હતું કે 'પંજાબને કૅલિફૉર્નિયા કે પેરિસ નથી બનાવવું. પંજાબને પંજાબ બનાવવું છે. હસતું-રમતું પંજાબ.'
રમત અને ગમત
આમ આદમી પાર્ટીની પંજાબ શાખાના મીડિયા સલાહકાર તથા પૂર્વ પત્રકાર મનજિતસિંહ સિદ્ધુ તથા ભગવંત માન સાથે ભણતા હતા.
તેમણે બીબીસી પંજાબી સાથે વાત કરતા કહ્યું હતું," મોટાભાગના લોકો માનને કૉમેડિયન તથા નેતા તરીકે ઓળખે છે, પરંતુ બહુ થોડા લોકોને ખબર હશે કે તેઓ કવિ પણ છે અને ઊંડાણવાળી કવિતા લખે છે. જોકે, હજુ સુધી તેમણે પોતાનો કોઈ કાવ્યસંગ્રહ પ્રકાશિત નથી કરાવ્યો."
માન રમતગમતમાં રસ ધરાવે છે. તેઓ એનબીએ (નેશનલ બાસ્કેટબૉલ ઍસોસિયેશન, જે અમેરિકામાં બાસ્કેટબૉલ સ્પર્ધાનું આયોજનક કરે છે.), ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકી જેવી રમતોના મૅચ રસથી જુએ છે. તેઓ ભારત જ નહીં, દુનિયાભરના ખેલાડીઓને ફૉલો કરે છે અને તેમના વિશે માહિતી પણ રાખે છે.
ઘણી વખત મોડી રાતે બે-ત્રણ વાગ્યાના ઍલાર્મ રાખીને ઊંઘે છે, જેથી કરીને મૅચ નિહાળી શકે છે.
માનની અન્ય એક ખાસિયત ગણાવતા સિદ્ધુ કહે છે કે તેઓ પંજાબની બહાર શૉ કરવા જાય એટલે કોઈ ને કોઈ મિત્રને સાથે લઈ જાય છે. ગામના લગભગ દરેક સહપાઠીને તેમણે હવાઈ મુસાફરી કરાવી છે.
નાનપણમાં રેડિયો પર મૅચની કૉમેન્ટ્રી સાંભળવાની આદત હતી, જે આજ પર્યંત જળવાય રહી છે.
મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર થયા બાદ માને કહ્યું હતું કે 'પંજાબને કૅલિફૉર્નિયા કે પેરિસ નથી બનાવવું. પંજાબને પંજાબ બનાવવું છે. હસતું-રમતું પંજાબ.' હવે તેમના ઉપર તેને સાકાર કરવાની જવાબદારી આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો