You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑમિક્રોન : ગુજરાતમાં કોરોનાને કારણે મરણાંક 10 હજાર 300ને પાર, રાષ્ટ્રપતિએ કહ્યું, 'કોવિડના નિયમોનું પાલન સૌની પવિત્ર ફરજ'
ગુજરાતમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારાઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.
મંગળવારે સાંજની સ્થિતિ પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 16 હજાર 608 નવા કેસ નોંધાયા હતા. બીજી બાજુ, 17 હજાર 467 દરદીઓએ કોરોનાને માત આપી હતી.
આ ગાળા દરમિયાન વધુ 28 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. જેમાંથી સૌથી વધુ 10 મૃત્યુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં નોંધાયા હતા.
આ સિવાય જામનગર જિલ્લામાં ચાર, સુરત જિલ્લામાં પાંચ મૃત્યુ થયાં છે.
આ સિવાય મહેસાણા, નવસારી, ખેડા, પંચમહાલ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા તથા બોટાદમાં પણ એક-એક મૃત્યુ થયા છે.
રાજ્યમાં આ બીમારીને કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 10 હજાર 302 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાના એક લાખ 34 હજાર 261 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 255 વૅન્ટિલેટર પર છે. ગુજરાતના કુલ નવ લાખ 48 હજાર 405 દરદી કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 86.77 ટકા જેટલો રહેવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે તા 20મી જાન્યુઆરીએ 24 હજાર 485 કેસ નોંધાયા હતા, જે અત્યારસુધીનો સૌથી મોટો આંકડો હતો. સતત બે દિવસ સુધી આ આંકડો 20 હજાર કરતાં વધુ રહેવા પામ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપ્રિલ મહિનાના અંતભાગમાં કોરોનાની બીજી લહેરની ટોચ દરમિયાન 14 હજાર 600 જેટલા કેસ નોંધાયા હતા. બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વૅરિયન્ટની સરખામણીમાં ત્રીજી વેવ માટે જવાબદાર મનાતો ઑમિક્રોન વૅરિયન્ટ ઓછો ઘાતક તથા હૉસ્પિટલાઇઝેશનની ઓછી જરૂર પડી રહી છે.
ત્રીજી લહેરમાં અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર 41 ટકા લોકોએ રસી નહોતી લીધી
અમદાવાદ ટાઇમ્સ અખબારના એક અહેવાલ મુજબ અમદાવાદમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં 13 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી થયેલાં 41 મૃત્યુનું અમદાવાદ મ્યુનિસિપલ કૉરપોરેશનના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરાતા સમજી શકાયું છે કે તેમાંથી 17 દર્દીઓ એટલે કે 41 ટકા લોકોએ રસીના બન્ને અથવા એક ડોઝ પણ લીધો નહોતો.
અખબાર લખે છે કે એક અધિકારીએ જણાવ્યું કે 12 લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો નહોતો ત્યારે પાંચ લોકોએ કોરોના રસીનો એક ડોઝ લીધો હતો. આ મૃતકોમાં 30ની ઉંમર 45 વર્ષથી ઉપર હતી અને આ મૃતકોમાં એક જ દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. તે એક 13 વર્ષની કિશોરી હતી જેનું મૃત્યુ ગુલિયન બારી સિન્ડ્રોમને કારણે થયું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું 'કોવિડના નિયમોનું પાલન બધાની પવિત્ર ફરજ'
73મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને કોવિડ-19 સામેની લડતમાં વૈજ્ઞાનિકો દ્વારા સૂચવાયેલા કોરોનાના નિયમોનું પાલન કરવા વિનંતી કરી.
રાષ્ટ્રપતિ કોવિંદે ડૉક્ટરો, આરોગ્યકર્મીઓના પ્રયાસોના વખાણ કરતા કહ્યું કે ભારત દેશે કોવિડ-19ની સામેની લડતમાં અભૂતપૂર્વ નિશ્ચય ક્ષમતા દાખવી.
તેમણે કહ્યું કે, "કોરોના મહામારી સામે લડતમાં આ દરેક નાગરિકની રાષ્ટ્રીય ફરજ છે કે તેઓ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા સૂચવાયેલી સાવચેતીનું પાલન કરે. જ્યાં સુધી આપણી સામે સંકટ છે ત્યાં સુધી આપણે આ ફરજ બજાવવી પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો