ગુજરાત સહિત કહેવાતાં 'વિકસિત' રાજ્યોમાં કેમ બાળકીઓને તરછોડી દેવાય છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ખાતે 4 ઑગસ્ટના રોજ જીવિત દાટેલી અવસ્થામાં મળી આવેલ નવજાત બાળકીનું સાત દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.
સારવાર દરમિયાન બાળકીને કાર્ડિયેક અરેસ્ટના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવાયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી. બાળકીને જીવિત અવસ્થામાં જ દાટવાના આરોપમાં તેનાં માતાપિતાની ધરપકડ પણ કરાઈ હતી.
બાળકીઓને ત્યજી દેવાના આધિકારિક ડેટાની વાત કરીએ તો ગુજરાત સહિત દેશનાં કહેવાતાં વિકસિત રાજ્યોમાં દર છ દિવસે એક બાળકીને ત્યાગી દેવાય છે.
'બેટી બચાઓ અને બેટી પઢાઓ' જેવી વાતોની સપાટી પરની સ્થિતિ અંગેની વાસ્તવિકતા તપાસવા માટે બીબીસી ગુજરાતી દ્વારા માહિતી અધિકારની અરજીઓ દ્વારા આ દિશામાં માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ પાછલાં અમુક વર્ષોમાં સેંકડો દીકરીઓને રસ્તે રઝળતી મૂકી દેવામાં આવી હતી. જે પૈકી કેટલીક નવજાત આ કપરી પરિસ્થિતિનો સામનો ન કરી શકતાં મૃત્યુ પામી હતી.
આ વલણનાં કારણોની તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક જાણકારો સાથે વાત કરી હતી. એ પહેલાં અમુક કિસ્સાઓની મદદથી જાણીએ આ વિચલિત કરી નાખતું વલણ કેવી રીતે વધુ અને વધુ વ્યાપક બનતું જઈ રહ્યું છે.
સૌથી પહેલાં વાત ગાંભોઈના દુ:ખદ બનાવની.
4 ઑગસ્ટે હિંમતનગરના ગાંભોઈ ખાતે એક ખેતરમાં માતાપિતાએ જ પોતાની નવજાત બાળકીને કથિતપણે 'આર્થિક તંગી'ને કારણે ખેતરમાં જીવતી જ દાટી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિકોને શંકા જતાં તેમણે દાટેલી બાળકીને કાઢી તો તે જીવિત હતી, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ. બાદમાં તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી.
આવી જ રીતે 16 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતનાં મોટા ભાગનાં છાપાંમાં એક વિદેશી દંપતી સાથે બે વર્ષની માસૂમ બાળકી અંબાની તસવીરો છપાઈ હતી.
આ દંપતી ઇટાલીનાં છે. તેમણે અંબાને રાજકોટસ્થિત કાઠિયાવાડ બાલાશ્રમ ખાતેથી દત્તક લીધી હતી.
નોંધનીય છે કે અંબા આજથી બે વર્ષ પહેલાં રાજકોટના ઠેબચડા ગામની હદમાંથી મળી આવી હતી. જે સમયે તે મળી એક કૂતરું તેને મોઢેથી ઊંચકીને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને સ્થાનિકોની જાગૃતિના કારણે તેનો જીવ બચી શક્યો હતો.

અગાઉની ઘટનાઓ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતાં તેની એક મહિના સુધી સારવાર ચાલી હતી. જે બાદ તે ‘મોતના મુખ’માંથી પાછી ફરી હતી.
કંઈક આવી જ રીતે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલ એક અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કૅનાલમાં ઢીમા રોડ ખાતે એક બાળકીનું ભ્રૂણ તરતું મળી આવ્યું હતું.
આ ઘટનાઓ જેટલી ચોંકાવનારી છે એટલી હૃદયદ્રાવક પણ. પોતાનાં જ માતાપિતા દ્વારા બાળકીને તરછોડવાની ઘટના બને ત્યારે તે વિશે વાંચીને આપણી બાળકીઓ પ્રત્યે સમાજના વલણથી ચિંતા જન્મે તે વાજબી છે.
માત્ર ગુજરાત જ પાછલા અમુક દિવસોમાં જીવિત કે મૃત અવસ્થામાં બાળકીઓ મળી આવવાની ઉપરોક્ત ઘટનાઓ નોંધાઈ છે.
આવી જ રીતે બાળકીઓના તરછોડાવાના સંખ્યાબંધ કિસ્સાઓ અવારનવાર સમગ્ર ભારતમાં જોવા મળે છે.
જે પૈકી અમુક અંબા અને આદિશીની જેમ નસીબજોગ જીવિત રહેવા પામે છે. જ્યારે અન્ય કચરાના ઢગલા કે અન્ય કોઈ જગ્યાએ મૃત અવસ્થામાં મળી આવે છે.
સરકાર, બિન સરકારી સંસ્થાઓ અને નાગરિક સમાજના અસંખ્ય પ્રયત્નો છતાં આવી ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળે છે.
બીબીસી ગુજરાતીએ કરેલી RTIના જવાબમાં જાણવા મળ્યું હતું કે દેશનાં કહેવાતાં વિકસિત રાજ્યો ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પાછલાં દસ વર્ષમાં 602 નવજાત બાળકીઓ તરછોડાયેલ અવસ્થામાં મળી આવી છે.
જો આની સરેરાશ કાઢવામાં આવે તો માત્ર આ ત્રણ રાજ્યોમાં જ દર છ દિવસે એક નવજાત બાળકી તરછોડવાનો બનાવ નોંધાયો છે.
‘દીકરી વહાલનો દરીયો’, આ વિચારમાં વિશ્વાસ રાખતા હોવાનો દાવો કરતાં ભારતીયો કેમ પોતાની નવજાત દીકરીઓને રસ્તા પર તરછોડી દે છે? આ પ્રશ્ન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ આ ક્ષેત્રના જાણકારો સાથે વાત કરી હતી.

વિકસિત રાજ્યોમાં બાળકીઓ તરછોડાવાના કિસ્સા

ઇમેજ સ્રોત, Getty Images
આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર વર્ષ 2011-12થી 2020-21 સુધીમાં ગુજરાતમાં 150, મહારાષ્ટ્રમાં 97 જ્યારે દિલ્હીમાં સૌથી વધુ 355 નવજાત બાળકીઓ તરછોડાયેલ અવસ્થામાં મળી આવી હતી.
આ અંગે વાત કરતાં જાલંધરના ભાઈ ઘનૈયાજી ચૅરિટેબલ ટ્રસ્ટના સામાજિક કાર્યકર ઘનશ્યામ જણાવે છે કે, “પાછલા લગભગ દસ વર્ષથી હું અનાથ બાળકોની સારસંભાળ કરતી સંસ્થા સાથે સંકળાયેલો છું. પાછલાં અમુક વર્ષોમાં દીકરીઓને તરછોડવાની માનસિકતામાં બદલાવ આવ્યો છે. પરંતુ હજુ આ દિશામાં ઘણું બધું કરવાની જરૂર છે.”
ઘનશ્યામ આગળ જણાવે છે કે, “મારા અનુભવના આધારે હું કહી શકું છું કે હજુ પણ દીકરાઓની સરખામણીમાં લોકો દીકરીઓને વધુ તરછોડવાનું વલણ ધરાવે છે. જેના માટે આર્થિક કારકો સહિત સામાજિક કારણો જવાબદાર છે. આ કારકો પૈકી મુખ્ય ભારતીય સમાજની પુત્ર માટેની ઘેલછા પણ એક છે.”

કેમ વધુ તરછોડાય છે બાળકીઓ?

પંજાબના જાલંધર ખાતે 'યુનિક કૅર' નામે તરછોડાયેલ બાળકો માટે સંસ્થા ચલાવનાર પ્રકાશકોર આ સમસ્યાને ખૂબ જ ગંભીર સામાજિક સમસ્યા ગણાવે છે અને કહે છે કે, "છોકરાઓ કરતાં છોકરીઓને તેમના સ્વજનો દ્વારા વધુ તરછોડી દેવામાં આવે છે. તેના માટે આપણી સમાજવ્યવસ્થા, દીકરીને સાપનો ભારો માનતી સમાજની કુંઠિત બુદ્ધિ, ઓછું શિક્ષણ અને શિક્ષણવ્યવસ્થાની ખામી મુખ્યત્વે જવાબદાર છે."
પ્રકાશકોરને તરછોડાયેલાં બાળકોના ભલા માટે કામ કરવા બદલ વર્ષ 2018માં 'પદ્મશ્રી' પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
પ્રકાશકોર કહે છે કે, "ઓછાં ભણેલાં માતાપિતાને પરિવાર નિયોજનની સમજ હોતી નથી. તેથી વધુ પડતાં સંતાનોથી પીછો છોડાવવા માટે ઘણી વાર ઘરની બાળકી તેમને દવલી લાગવા લાગે છે. અને તેઓ આવું કૃત્ય કરે છે."
તેઓ આવા દુ:ખદ વલણ માટે સમાજની માનસિક ગ્રંથિને પણ જવાબદાર ગણે છે.
તેઓ કહે છે કે, "આપણા ભારતીય સમાજમાં આજે પણ પુત્રને કુળને આગળ વધારનાર, નામ કાઢનાર ગણવામાં આવે છે. જ્યારે બાળકીને બોજ ગણવામાં આવે છે. આપણે માનીએ કે ન માનીએ પરંતુ આ સત્ય છે. જેનો અમે રોજ સામનો કરીએ છીએ."
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભગના વડા ઝવેરભાઈ પટેલ આ સમસ્યા અંગે વાત કરતાં કહે છે કે, “અમુક વર્ષોના વલણને જોતાં બાળકીઓ તરછોડી દેવાના કિસ્સાઓમાં ઘટાડો દેખાયો છે. પરંતુ હજુ પણ તેનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ છે. તેના માટે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો જવાબદાર છે.”
તેઓ કહે છે કે, “ભારતીય સમાજમાં મહિલાઓને સમાજની ઇજ્જત તરીકે જોવામાં આવે છે. જેના કારણે ઘણા પરિવારો પોતાને ત્યાં એક પ્રમાણ કરતાં વધુ બાળકીઓ હોય તો મુશ્કેલી સર્જાય તેવી માનસિકતા ધરાવે છે. જેને બદલવાની જરૂર છે.”
“પાછલાં અમુક વર્ષોમાં સ્ત્રીશિક્ષણ અને કેળવણીથી થયેલ પ્રયત્નોએ મહિલાસશક્તિકરણની દિશામાં જે ચમત્કાર કરી બતાવ્યા છે તેને જોઈને ઘણા સમાજના વિચાર બદલાયા છે. પણ હજુ આટલું પૂરતું નથી એવું લાગે છે.”
પટેલ આ અંગે આગળ વાત કરતાં કહે છે કે, “જ્યારે પણ કોઈ દંપતીને ત્રીજું કે ચોથું સંતાન જન્મે અને તે બાળકી હોય તો તેઓ આર્થિક, સામાજિક ગમે તે કારણોસર તેને તરછોડવા સહિતના વિચારો કરવા લાગે છે. જે ઘણી વખત હકીકતમાં પરિણમે છે.”
આ સિવાય તેઓ સમાજમાં લગ્ન વગર કે લગ્નેત્તર સંબંધોથી જન્મેલાં બાળકોના કિસ્સાઓમાં વધારો થવાને કારણે પણ આવી ઘટનાઓ જોવા મળતી હોવાનું તારણ કાઢે છે.

સમગ્ર દેશના ચિલ્ડ્રન હોમમાં બાળકીઓની સંખ્યા વધારે

ઇમેજ સ્રોત, Getty Images
જો ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ પ્રમાણ 38 ટકા વધુ છે.
તેમાં પણ 0-2ના વયજૂથમાં સમગ્ર દેશનાં ચિલ્ડ્રન હોમમાં 188 છોકરા દત્તક લેવા માટે ઉપલબ્ધ છે. તેની સામે 241 છોકરીઓ ઉપલબ્ધ છે.
ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 0-2ના વયજૂથમાં છોકરાઓની સરખામણીએ 28 ટકા વધુ છોકરીઓ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.
અહીં નોંધનીય છે કે દર વર્ષે છોકરાની સરખામણીએ લગભગ દોઢ ગણી છોકરીઓ દત્તક લેવાય છે, છતાં દેશભરનાં ચિલ્ડ્રન હોમમાં છોકરીઓ વધુ પ્રમાણમાં દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.
આ પ્રકારના વલણના સંભવિત કારણ તરીકે છોકરીઓને વધારે તરછોડી મૂકવાની ઘટનાઓ અને સામાજિક વલણ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.
આ સાથે જ નિષ્ણાતોનું માનવું છે કે એવું બની શકે કે ખરેખર બનતી ઘટનાઓ પૈકી ઘણી ઘટનાઓ સામે ન આવતી હોય. તેથી સમાજમાં બાળકીઓ તરછોડાવાનું પ્રમાણ રાજ્યો સાથે નોંધાયેલ કિસ્સા કરતાં વધુ હોવાની પૂરેપૂરી શક્યતા છે.

રાષ્ટ્રીય બાળકી દિવસ
ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળકી દિવસ ઊજવવામાં આવે છે.
તેની શરૂઆત વર્ષ 2008માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણીનો હેતુ ભારતની દીકરીઓને ટેકો અને તક મળી રહે તે છે. તેની શરૂઆત બાળકીઓના અધિકારો અંગે જાગૃતિ વધારવાના ધ્યેય સાથે કરાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












