CBSE : 'ગુજરાતમાં 2002માં મુસ્લિમવિરોધી હિંસા કઈ સરકાર હેઠળ થઈ હતી?' સીબીએસઈએ પરીક્ષામાં પૂછાયેલા સવાલ પર સ્પષ્ટતા કરી

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)માં ધોરણ 12 માં સમાજશાસ્ત્ર વિષયની ટર્મ 1 બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે "2002માં ગુજરાતમાં મુસ્લિમવિરોધી હિંસા કઈ સરકાર હેઠળ થઈ હતી?"

પ્રશ્ન નંબર 23 ના જવાબમાં વિકલ્પો હતા: "કૉંગ્રેસ, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન". જોકે પરીક્ષાના થોડાક કલાકો બાદ, બોર્ડે આ પ્રશ્ન બદલ માફી માંગી.

સીબીએસઈએ ટ્વીટ કર્યુ હતું કે આ પ્રશ્ન સીબીએસઈ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. સીબીએસઈ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેશે. માર્ગદર્શિકા પ્રમાણે, પ્રશ્નો માત્ર શૈક્ષણિક હોવા જોઈએ, સામાજિક કે રાજકીય હેતુવાળા નહીં.

સીબીએસઈએ ટ્વિટર પર લખ્યું, "આજે 12મા ધોરણના સમાજશાસ્ત્રના પ્રથમ સત્રની પરીક્ષામાં એક સવાલ પૂછાયો છે જે અનુચિત છે અન પ્રશ્નપત્ર તૈયાર કરવા માટેના ઍક્સટર્નલ નિષ્ણાતો માટે સીબીએસઈના નિર્દેશોનું ઉલ્લંઘન છે. સીબીએસઈ આ ભૂલનો સ્વીકાર કરે છે અને તેના માટે જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે."

સીબીએસઈએ લખ્યું, "પ્રશ્નપત્ર તૈયાર કરનાર માટે સીબીએસઈના દિશાનિર્દેશ પ્રમાણે તેમણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે પ્રશ્નો માત્ર એકૅડેમિક પ્રકારના હોવા જોઈએ અને એવા ક્ષેત્રોથી દૂર રહેવું જોઈએ જે સામાજિક અને રાજકીય રુચિના આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે."

કોવિડને પગલે ગુજરાતમાં 1938 ફેક્ટરીઓને તાળાં લાગ્યાં

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ કોરોના મહામારીના પગલે નાણાકીય તંગી અને માંગમાં ઘટાડો થતાં એપ્રિલ 2020 થી નવેમ્બર 2021 સુધીમાં ગુજરાતની નાની-મોટી 1938 કંપનીઓએ કાયમી ધોરણે ફેક્ટરીઓને તાળા લગાવી દીધા હતા.

આ કંપનીઓમાંથી 1585 કંપનીઓ એપ્રિલથી નવેમ્બર 2021 વચ્ચે બંધ થઈ ગઈ હતી. આ વિગતો કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલય સંસદમાં આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો