કોરોના વૅક્સિન : ગુજરાત સહિત રાજ્યોની સરકારો વિદેશથી રસી કેમ નથી મગાવી શકતી?

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીને રોકવા માટે ગુજરાત અને બીજાં રાજ્યો સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અત્યારે ધીમું પડી ગયું છે.

રાજ્યોએ ગ્લોબલ ટૅન્ડર બહાર પાડીને બીજા દેશો પાસેથી વૅક્સિન મેળવવાની આશા રાખી હતી, પરંતુ આ આશા પણ હવે ધૂંધળી દેખાઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટા અરજી સંદર્ભે રાજ્ય સરકારને પૂછ્યું કે તેમણે કેમ રસી માટે વૈશ્વિક ટૅન્ડર નથી બહાર પાડ્યા, તો સરકાર તરફથી વકીલે કહ્યું કે વૈશ્વિક રસી ઉત્પાદકોએ જણાવ્યું છે કે તેઓ રાજ્યો સાથે વ્યક્તિગત કરાર નહીં કરે.

કેન્દ્ર સરકારે ગયા મહિને જ રાજ્યોમાં 18 વર્ષથી 44 વર્ષની વયના તમામ લોકોને વૅક્સિન આપવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત તમામ રાજ્યોની ફાર્મા કંપનીઓને ડાયરેક્ટ વૅક્સિન ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

પરિણામે રાજ્ય સરકારો વૅક્સિન ખરીદવા માટે વિદેશી દવા કંપનીઓ સાથે વાતચીત કરી શકે છે.

આ દરમિયાન ઘણાં રાજ્યોએ ‘ગ્લોબલ ટૅન્ડર’ બહાર પાડીને પોતાની પ્રજા માટે વૅક્સિન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં દિલ્હીને બાદ કરતા કોઈ રાજ્યને તેમાં સફળતા નથી મળી.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે જણાવ્યું હતું કે રશિયન કંપની સ્પૂતનિક રાજ્ય સરકારને વૅક્સિન સપ્લાય કરવા માટે તૈયાર થઈ છે. તેમણે કહ્યું છે કે કંપની કેટલા ડોઝ આપી શકે છે તે અંગે હાલમાં ચર્ચા ચાલુ છે.

ઘણી દવા કંપનીઓએ રાજ્ય સરકારોનાં ગ્લોબલ ટૅન્ડરનો કાં તો કોઈ જવાબ નથી આપ્યો, અથવા સ્પષ્ટપણે કહી દીધું છે કે વૅક્સિન વેચવા માટે કેન્દ્ર સરકાર સાથે જ કરાર કરી શકાય છે, રાજ્ય સરકાર સાથે નહીં. તેથી હવે ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકારને એવી અપીલ કરી છે કે તેઓ વૅક્સિન માટે ગ્લોબલ ટૅન્ડર બહાર પાડે અને રાજ્યોને વૅક્સિન અપાવે.

આ અંગે કેન્દ્ર સરકારની રણનીતિ વિશે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ દવા ઉત્પાદક કંપનીઓએ બીજા દેશોના ઑર્ડર પૂરા કરવાના છે.

આવી સ્થિતિમાં શું ભારત સરકાર રસીકરણના પોતાના લક્ષ્યને સિદ્ધ કરી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

વૅક્સિન અંગે માત્ર કેન્દ્ર સરકાર સાથે વાતચીત

ભારતમાં અત્યાર સુધીમાં 10થી વધુ રાજ્યોએ કોરોના વૅક્સિન માટે ‘ગ્લોબલ ટૅન્ડર’ બહાર પાડ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. પરંતુ આમાંથી કોઈ રાજ્યને હકારાત્મક જવાબ નથી મળ્યો.

તાજેતરમાં જ પંજાબ સરકારે જણાવ્યું કે તેમણે ઘણી વિદેશી દવાઉત્પાદક કંપનીઓ સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર મૉડર્નાએ તેમને જવાબ આપ્યો હતો. મૉડર્નાએ કહ્યું કે તે પંજાબ સરકારને નહીં, પરંતુ કેન્દ્ર સરકાર સાથે જ વૅક્સિનની વાતચીત કરશે.

પંજાબમાં રસીકરણ અભિયાનના નોડલ ઑફિસર વિકાસ ગર્ગે પંજાબ સરકાર તરફથી નિવેદન આપ્યું કે અમરિંદર સિંહ સરકારે સ્પૂતનિક, ફાઇઝર, મૉડર્ના ઉપરાંત જ્હોન્સન ઍન્ડ જ્હોન્સનનો સીધો સંપર્ક કર્યો હતો. પરંતુ માત્ર મૉડર્નાએ પ્રતિસાદ આપ્યો હતો અને પોતાની નીતિઓનું કારણ આપીને પંજાબને ડાયરેક્ટ રસી આપવાનો ઇનકાર કર્યો હતો.

દિલ્હી સરકારને પણ આંતરરાષ્ટ્રીય દવાઉત્પાદકો પાસેથી આવો જ જવાબ મળ્યો હતો. દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે પત્રકારપરિષદમાં જણાવ્યું કે તેમની સરકારે વૅક્સિન ઉત્પાદક કંપનીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કંપનીઓએ રાજ્ય સરકારો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.

સિસોદિયાએ કહ્યું, “વૅક્સિન ઉત્પાદકોએ અમને જણાવ્યું કે અમે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ છીએ. તેથી રાજ્ય સરકારને વૅક્સિનનો સીધો સપ્લાય નહીં કરી શકીએ. કેન્દ્ર અમને ગ્લોબલ ટૅન્ડરની મંજૂરી આપે છે, પરંતુ હકીકતમાં તે આ કંપનીઓ સાથે અલગથી સોદાબાજી પણ કરે છે.”

“અમને કહેવામાં આવ્યું છે કે અમે ભારતીય વૅક્સિન ઉત્પાદકો પાસેથી અલગથી ખરીદી કરી લઈએ. પરંતુ કેન્દ્ર સરકારે તેમને પણ પોતાના નિયંત્રણમાં રાખી છે. અમે કઈ ખાનગી કંપની પાસેથી ખરીદી કરી શકીએ તે પણ કેન્દ્રના નિયંત્રણમાં છે. અમારે કેન્દ્ર સરકારને માત્ર એટલું જ કહેવું છે કે અમારે ત્યાં પરિસ્થિતિ ચિંતાજનક છે અને તેમણે આ મુસીબતનો સામનો કરવા માટે થોડી ગંભીરતા દેખાડવી જોઈએ.”

મહારાષ્ટ્ર સરકારે પણ કોરોના વૅક્સિનના પાંચ કરોડ ડોઝ માટે એક ગ્લોબલ ટૅન્ડર બહાર પાડ્યું હતું.

મહારાષ્ટ્રને આ અંગે કોઈ જવાબ નથી મળ્યો. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ મંગળવારે પત્રકારપરિષદમાં કહ્યું કે રાજ્ય સરકારને ગ્લોબલ ટૅન્ડર અંગે કોઈ જવાબ નથી મળ્યો.

તેમણે કહ્યું, "અમે કેન્દ્ર સરકાર પાસેથી આશા રાખીએ છીએ કે તે વૅક્સિનની નિકાસ માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવે. રાજ્ય સરકારો 18થી 44 વર્ષના તમામ લોકોને રસી અપાવવા માટે જવાબદાર છે, તો અમે કેન્દ્ર સરકારને તેની કિંમત ચૂકવવા તૈયાર છીએ. પરંતુ અમને એકસમાન નીતિની જરૂર છે. અમે કેન્દ્ર સરકારને ઘણી બેઠકોમાં આ વાત જણાવી છે અને લખીને પણ આપી છે.”

પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારે પણ કેન્દ્ર સમક્ષ આવી વિનંતી કરી છે.

વૅક્સિન માટે સ્થાનિક નિગમોના પ્રયાસ

એક તરફ રાજ્ય સરકારોની ફરિયાદ છે કે તેમના ગ્લોબલ ટૅન્ડરનો કોઈ જવાબ નથી મળ્યો, બીજી તરફ મુંબઈની બીએમસીએ 12 મેએ એક કરોડ કોરોના વૅક્સિનની ખરીદી કરવા અલગથી ટૅન્ડર બહાર પાડ્યું હતું.

બીએમસીના આ ટૅન્ડરનો કોઈ પણ આંતરરાષ્ટ્રીય વૅક્સિનનિર્માતાએ જવાબ આપ્યો ન હતો.

પરંતુ આઠ દવાવિતરકોએ આ ટૅન્ડરના જવાબમાં બીએમસીનો સંપર્ક કર્યો છે. તેમાંથી સાત પ્રસ્તાવ રશિયન રસી સ્પૂતનિક માટે છે, જ્યારે એક પ્રસ્તાવ એસ્ટ્રાઝેનેકા અથવા ફાઇઝરની વૅક્સિન માટે આવ્યો છે.

બીએમસીએ એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું હતું કે આ અંગે દસ્તાવેજી કાર્યવાહી હજુ ચાલુ છે.

પરંતુ એ વાતની તપાસ કરવી જરૂરી છે કે આમાં કંપનીઓ અથવા દવાવિતરકોની કોઈ અંગત નફાખોરી તો નથી ને. બીએમસી હાલમાં વૅક્સિનની સંભવિત કિંમતો અને વિતરણની વ્યવસ્થા અંગે પરિસ્થિતિનો તાગ મળવી રહ્યું છે, જેથી બધું વ્યવસ્થિત રીતે થઈ શકે.

બીએમસીના જણાવ્યા પ્રમાણે ચાર અલગઅલગ દવાવિતરકો પાસેથી રસી લેવાના બદલે રશિયન સરકારનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મુંબઈના બીએમસીની જેમ પુણેના નગરનિગમ પરિષદે પણ ગ્લોબલ ટૅન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. આ ટૅન્ડર અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત પુણે નગરનિગમ પરિષદે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પાસેથી પણ ડાયરેક્ટ વૅક્સિન ખરીદવાની કોશિશ કરી હતી, પરંતુ કંપનીએ તેમને વૅક્સિન આપવાનો ઇનકાર કર્યો હતો.

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ખાતે એસ્ટ્રાઝેનેકા-ઑક્સફોર્ડ દ્વારા વિકસિત કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ભારત સરકારની હાલની નીતિ પ્રમાણે અત્યારે માત્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી હૉસ્પિટલોને જ વૅક્સિન આપી શકાય છે. પુણેના મેયરે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધનને લેખિતમાં અપીલ કરી છે કે પુણે નગરનિગમને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી સીધી વૅક્સિન ખરીદવાની મંજૂરી આપવામાં આવે.

કેન્દ્ર સરકાર શું કરી શકે છે?

રાજ્ય સરકારો પૂરતા પ્રમાણમાં કોરોના વૅક્સિન ન હોવાનું કારણ આપીને કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરે છે. જોકે આ સમસ્યા ઉકેલવા માટે બધાની નજર કેન્દ્ર સરકાર પર જ છે.

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં વૅક્સિનના ઓછામાં ઓછા 218 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. પરંતુ આવું કઈ રીતે શક્ય બનશે તે કોઈ નથી જાણતું. આ અંગેની રણનીતિ પણ નક્કી નથી.

રાજ્ય સરકારો કેન્દ્રને ગ્લોબલ ટૅન્ડર બહાર પાડવા કહી રહી છે, પરંતુ શું તેનાથી કેન્દ્રનું લક્ષ્ય હાંસલ થઈ શકશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારી લવ અગ્રવાલે સોમવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે “મૉડર્ના હોય કે ફાઇઝર, અમે તેના માટે કેન્દ્ર સરકારના સ્તરે યોજના બનાવી રહ્યા છીએ. બંને કંપનીઓ પાસે પોતાની ક્ષમતા કરતાં વધારે વૅક્સિન બનાવવાના ઑર્ડર છે. તેથી ભારતને વૅક્સિનનો કેટલો પુરવઠો મળે છે તેનો આધાર આ કંપનીઓની સંગ્રહક્ષમતા કેટલી છે તેના પર રહેલો છે.”

"આ કંપનીઓ આ વાતની માહિતી કેન્દ્ર સરકારને આપશે અને ત્યારપછી અમે રાજ્ય સરકારો સુધી આ વૅક્સિન પહોંચાડવાની બધી વ્યવસ્થા કરીશું.”

ભારત સરકાર સતત વૅક્સિનનિર્માતા કંપનીઓ સાથે મંત્રણાની કોશિશ કરી રહી છે. જ્યારે અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને આ કંપનીઓ સાથે પોતાના દેશમાં રસીકરણ માટે પહેલેથી કરાર કરી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે અમુક ટોચના વાયરોલૉજિસ્ટ ભારતે વૅક્સિનની ખરીદી કરવામાં ખૂબ મોડું કર્યું છે અને રિસર્ચના સમયથી તેમાં રોકાણ કરવાની જરૂર હતી તેમ કહી ચૂક્યા છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે ગયા છે. તેઓ ત્યાં અમેરિકાના વૅક્સિન ઉત્પાદકોની મુલાકાત લેશે તેવી આશા છે. હાલમાં બધાની આશા આ સંભવિત મુલાકાતો પર આધારિત છે.

રાજ્ય સરકારોએ ગ્લોબલ ટૅન્ડર બહાર પાડવા છતાં વૅક્સિન ખરીદવાની યોજના સફળ નહીં થાય તો ભારતીય લોકોએ કોરોના વૅક્સિન માટે અત્યારે વધુ રાહ જોવી પડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો