તૌકતેમાં નુકસાન ભોગવનાર ગુજરાતી ખેડૂતની વ્યથા : આંબાને દીકરાની જેમ ઉછેર્યા, હવે સામે જોવાતું નથી

ઇમેજ સ્રોત, DM VAJA
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
"જે આંબાને દીકરાની જેમ ઉછેર્યો હતા, એનું પાલનપોષણ કર્યું હતું એ હવે જોવા જેવા રહ્યા છે. વાડીએ જવું પણ હવે તો ગમતું નથી."
કોડિનાર તાલુકાના અરણેજ ગામના યુવાખેડૂત નીતિન સોલંકી આ વાત કરતાં ખેતીને થયેલા નુકસાનનું એક મોટું લિસ્ટ રજૂ કરે છે.
અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડા 'તૌકતે'એ ગુજરાતમાં ભારે તારાર્જી સર્જી છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. જોકે વાવાઝોડું ગયું પણ તેની તબાહીનાં નિશાન હજુ પણ ગુજરાતનાં ગામોમાં મોજૂદ છે.
આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગીર સોમનાથ, ઉના, અમરેલી, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારે નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ વાવાઝોડામાં ઉનાળું પાક ઘણેઅંશે નિષ્ફળ ગયો છે, તો કેટલાંક ગામો જ્યાં વાવાઝોડાની અસર ઓછી થઈ એ આ આફતમાંથી બચી ગયાં છે.
જોકે રાજ્ય સરકારે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોના સર્વે માટે એક ટીમ પણ બનાવી છે અને કામગીરી પણ આરંભી દીધી છે.
તૌકતે વાવાઝોડું જ્યાં જ્યાંથી પસાર થયું ત્યાં ભારે વરસાદ થયો અને આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર થઈ હતી.
અનેક વૃક્ષો ધરાશાયી થયાં અને મકાનોનાં છાંપરાં ઊડી ગયાં. હાલમાં ઉનાળું પાક લેવાની સિઝન ચાલુ હતી અને એવા સમયે વાવાઝોડું આવતાં ખેડૂતોના ઊભા મોલને નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિતેશભાઈ કોડિનારના વતની છે અને તેમને છ વીઘા જમીન છે. તેઓ કહે છે કે કોડિનારનાં ગામોમાં બહુ નુકસાન છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમે મગ વાવ્યા હતા, પણ પવનને કારણે પાકેલી શીંગો બધી ખરી ગઈ છે. બે વીઘામાં તલ કર્યા હતા. કાપણી કરીને રાખ્યા હતા. એ બધા વાવાઝોડામાં ઊડી ગયા છે. અંદાજે 60-65 હજારનું નુકસાન ખરું."
તો કોડિનારના ખેડૂત માનુભાઈ કહે છે કે બાગાયતી પાકો સહિત અડદ, તલ, બાજરી વગેરેને બહુ નુકસાન થયું છે. કેરીઓ ખરી ગઈ છે અને ઝાડ પણ પડી ગયાં છે.
નુકસાનની વાત કરતા તેઓ કહે છે કે તલમાં એક એકરમાંથી આશરે બે ખાંડી (40 મણ) થતા હોય છે. પણ આ વાવાઝોડાને કારણે તેમાં 15થી 20 મણનું નુકસાન થઈ શકે છે.

'વાડીએ જવું ગમતું નથી'

ઇમેજ સ્રોત, NITIN SOLANKI
કોડિનાર તાલુકાના અરણેજ ગામના નીતિન સોલંકી ખેડૂતપુત્ર છે અને અમદાવાદમાં બીટેકનો અભ્યાસ કરે છે. હાલમાં કોરોનાનો સમય હોવાથી તેઓ ઘરે છે અને ખેતીકામમાં પરિવારને મદદ કરે છે.
તેઓ કહે છે, "અભ્યાસ માટે જમીન પર લોન લીધી હતી, લોન ભરપાઈ કરવાની વાત તો દૂર રહી, ફી માટે પણ ઉછીના પૈસા લેવા પડ્યા છે."
તેમને 15-17 વીઘા જમીન છે અને તેમાં તેમણે બાજરી, મગ, તલ, અડદ, શેરડી વાવી હતી.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "જે આંબાને દીકરાની જેમ વહાલથી ઉછેર્યા હતા, એની સામે હવે જોવાતું નથી. વાડીએ જવું ગમતું નથી. 20-20 વર્ષના આંબાને ભારે નુકસાન થયું છે."

ઇમેજ સ્રોત, Nitin Solanki
નીતિન કહે છે કે તેમના વિસ્તારમાં લોકોએ મગ, અડદ, બાજરી, તલ વાવ્યાં હતાં, જેને વાવાઝોડામાં બહુ નુકસાન થયું છે. વાડીમાં જે ફળફળાદિ હતાં, એને પણ વાવાઝોડાએ મૂળસોતાં ઉખાડી નાખ્યાં છે."
નીતિનભાઈનો ઘરનિર્વાહ ખેતી પર આધારિત છે. તેમના કહેવા પ્રમાણે વરસાદ સારો થયો હોવાથી ઉનાળું પાક વધારે કર્યો હતો, પણ હવે એ બધું માથે પડ્યું છે. ખેડૂતોને ખેતર સાફ કરવાની મજૂરી પણ માથે પડવાની છે. આવનારાં વર્ષોમાં ખેડૂત ઝડપથી બેઠો થાય એવી સ્થિતિ નથી રહી.

પશુઓનો ઘાસચારો ઊડી ગયો, બગડી ગયો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમરેલીના દરેડ ગામના સરપંચ વનરાજભાઈ કહે છે, "આખા અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ઉનાળું પાક કર્યો હતો. એ બધો નિષ્ફળ ગયો છે."
તો ગામના ખેડૂત મધુભાઈ પણ કહે છે કે પશુઓ માટેનો ચારો પણ રહ્યો નથી, બધો વાવાઝોડામાં ઊડી ગયો છે અને કેટલોક સડી ગયો છે.

ઇમેજ સ્રોત, Nitin Solanki
ખેડૂતો આશા રાખે છે કે સરકાર જલદી સર્વે કરાવે અને સહાયની ચુકવણી કરે.
તો મહેસાણા જિલ્લામાં પણ વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે.
વીજાપુર તાલુકામાં ભારે વરસાદ સાથે અંદાજે ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ચીકુને ભારે નુકસાન થયું છે.
ખેડૂત અજિતભાઈ જણાવે છે, "વાવાઝોડાને કારણે ચીકુડી ભાંગી ગઈ છે અને ચીકુનો પણ બગાડ થયો છે. ચીકુ એટલાં બગડી ગયાં છે કે માર્કેટમાં લઈ જઈએ તો પણ કંઈ ઉપજે તેમ નથી."

જ્યાં જુઓ ત્યાં કેરી કેરી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મહિલા ખેડૂત ડીએમ વાજા છારા ગામનાં વતની છે અને તેમનું ગામ દરિયાકાંઠે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
તેમના ખેતરમાં જોકે કોઈ મોલ ન હોવાને કારણે નુકસાન નથી, પણ આસપાસના લોકોને બહુ નુકસાન થયું હોવાનું તેઓ જણાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ગામલોકોનાં ખેતરોમાં ઘણું નુકસાન થયું છે. મગ, અડદ, બાજરી, જુવાર બધું ખતમ થઈ ગયું છે. નાળિયેરી, આંબાનાં ઝાડ પણ પડી ગયાં છે. અહીંથી તાલાળાથી માંડીને ઉના સુધી બધી કેરીઓ ખતમ થઈ ગઈ છે."
"કેરીઓ પાકવા પર હતી, પણ વાવાઝોડાને કારણે બધી કેરીઓ પડી ગઈ છે. રોડ-રસ્તાના આંબા અને બગીચામાં પણ જ્યાં જુઓ ત્યાં કેરીઓ જ કેરીઓ છે. આંબા, કેળ, ચીકુ વગેરે ખલાસ થઈ ગયું છે."
તેઓ વાત કરી રહ્યાં છે એ સમયે બાજરીના ખેતરની બાજુમાં બેસેલાં છે અને જણાવે છે કે મારી સામેની બાજરી બધી સપાટ થઈ ગઈ છે.
તૌકતે વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જે બાદ સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાંથી આગળ વધ્યું હતું.
ત્યારબાદ અમદાવાદ પાસેથી પસાર થતાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અમદાવાદ અને સાણંદની આસપાસના વિસ્તારોમાં ઉનાળું ડાંગર વવાય છે. તૌકતે વાવાઝોડાએ અહીં પણ નુકસાન કર્યું છે.
સાણંદ પાસેના માણકોલના કિસ્મત ગોહિલના ખેડૂતપુત્ર અને તાલુકાસભ્ય છે.
તેઓ કહે છે, "ઘણા ખેડૂતોની ઉનાળું ડાંગર પલળી ગઈ છે. ઘાસચારો પલળી ગયો છે, ઉનાળું જાર, તલ વગેરેને નુકસાન થયું છે."
તો મટોડાના વતની મહેશભાઈએ 20 વીઘામાં ડાંગર વાવી હતી. તેમણે અડધી ડાંગર લીધી હતી અને વાવાઝોડામાં બાકીની પલળી ગઈ છે.
તેઓ કહે છે કે આજુબાજુનાં ગામોમાં પણ એવી જ પરિસ્થિતિ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તો વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોની વાત સાંભળી હતી.
તેમણે અમરેલી, ગીર સોમનાથ (ઉના તાલુકો), ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી અને નુકસાનની વિગત મેળવી હતી.
તો ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વાવાઝોડાથી થયેલા નુકસાનના સર્વે માટે એક ટીમની પણ રચના કરી છે, જે અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે.
અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે પાંચ જિલ્લા- અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, બોટાદમાં કૃષિને થયેલા નુકસાન માટે 339 ટીમોની રચના પણ કરી છે.
તો વડા પ્રધાન મોદીએ પણ સૌથી વધુ અસરગ્રસ્ત અમરેલી, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. વડા પ્રધાને ગુજરાતને 1000 કરોડની સહાયની જાહેરાત પણ કરી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













