You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત કોરોના વાઇરસની ત્રીજી લહેરથી બચી શકે? સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું શું કહેવું છે?
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કહ્યું છે કે જો આપણે આકરા ઉપાય હાથ ધરીએ તો કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકીએ.
એમણે કહ્યું કે, આ એ વાત પર નિર્ભર કરે છે સ્થાનિક સ્તરે, રાજ્ય, જિલ્લા અને શહેરોમાં એમ દરેક જગ્યાએ દિશાનિર્દેશનું કેટલું પ્રભાવી રીતે પાલન કરવામાં આવે છે.
આ પહેલાં પાંચ મેએ વિજયરાઘવને જ ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસની ત્રીજી લહેરને રોકી શકાય એમ નથી.
તેમણે કહ્યું હતું કે જે રીતે ઝડપથી વાઇરસ ફેલાઈ રહ્યો છે, કોરોનાની ત્રીજી લહેરનું આવવું નક્કી જ છે.
જોકે, એ સ્પષ્ટ નથી ત્રીજી લહેર ક્યારે આવશે અને કેવા સ્તરની હશે. તેમણે એવું પણ કહ્યું હતું, "આપણે બીમારીની નવી લહેરો માટે તૈયારી કરવી જોઈએ."
કે. વિજયરાઘવને કહ્યું હતું કે વર્તમાન વૅરિએન્ટ વિરુદ્ધ રસી અસરકારક છે. નવા વૅરિએન્ટ ભારત સહિત વિશ્વમાં સામે આવશે, જોકે, સંક્રામક વૅરિએન્ટની સ્થિરતાની સંભાવના હશે.
આ પહેલાં શું કહ્યું હતું?
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કહ્યું કે જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેઓએ કહ્યું હતું, "અમને એ નથી ખબર કે ત્રીજી લહેર ક્યારે આવશે પરંતુ કોવિડ-19ના પ્રોટોકૉલને યથાવત્ રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજયરાઘવન કહે છે કે નવા મ્યુટેન્ટ સામે લડવા માટે વૅક્સિનને અપડેટ કરવી જરૂરી હતી.
તેઓ માને છે કે વાઇરસે જ્યારે મ્યુટેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેના સંક્રમણને રોકવા માટે લોકો દ્વારા રાખવામાં આવી રહેલી સાવચેતીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
તેઓ કહે છે, "આપણે કોવિડના પ્રોટોકૉલનું પાલન કરતા રસી મુકાવવી જોઈએ. અમે વૈજ્ઞાનિકો આ વાઇરસને મેપ કરવા માટે કામ કરી રહ્યા છે. જેથી અમને આમાં આવનારાં પરિવર્તનોનું અનુમાન રહે અને અમે તેનાથી લડવા માટે પૂરી રીતે તૈયાર રહીએ. "
ગૃહમંત્રાલય તરફથી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે બેંગલુરુ, ચેન્નઈ, કોઝિકોડ, ઇર્નાકુલમ, થિસુર, મલ્લાપુર (કેરળ), ગુરુગ્રામ અને પટનામાં છેલ્લાં બે સપ્તાહમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.
સ્વસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, "કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોવિડના દરરોજ સામે આવનારા કેસમાં વધારો થઈ રહ્યો છે. "
"તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં સંક્રમણથી મૃત્યુનો આંક વધી રહ્યો છે."
કેમ બીજી લહેર બની ગઈ આટલી ઘાતક?
કોરોનાની ભારતમાં બીજી લહેર વિશે સૌથી આશ્ચર્યજનક વાત શું છે? આ સવાલના જવાબમાં વિજયરાઘવને કહ્યું હતું કે આપણે સ્થિતિને હળવાશથી લીધી, જેનાથી વાઇરસને ફેલાવાની તક મળી ગઈ.
તેઓએ કહ્યું, "ઘણીવાર સાધારણ ઇમ્યુનિટી સંક્રમણને રોકવા માટે પૂરતી નથી હોતી. જ્યાં સુધીમાં આપણે નવી ઇમ્યુનિટી સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણા લોકોમાં નવા મ્યુટેન્ટનું સંક્રમણ ફેલાઈ ગયું."
"પહેલી લહેર કરતાં બીજી લહેર નાની હોય છે અને બીજી લહેર આવવાની આશંકા હતી પરતું ઘણી નાની-નાની વસ્તુઓએ મળીને તેના મોટી બનાવી દીધી. જોવા જઈએ તો આ નાનાં-નાનાં ફૅક્ટર હોય છે અને એક સાથે મળીને ઘણાં મોટાં થઈ જાય છે."
બીજી લહેરમાં મોટા પ્રમાણમાં વધેલા સંક્રમણમાં એ પણ જણાઈ રહ્યું છે કે પહેલી લહેરમાં વધારે લોકોમાં ઇમ્યુનિટી આવી શકી નહોતી તો પણ લૉકડાઉન સહિત અનેક પગલાં ભરવાથી વધારે ભાગ સુધી સંક્રમણ પહોંચી શક્યું નહોતું.
શું દેશમાં સરકાર લૉકડાઉન લગાવવાનો વિચાર કરી રહી છે?
આના જવાબમાં કોવિડ-19 ટાસ્કફોર્સનું નેતૃત્વ કરનારા અને નીતિઆયોગના સભ્ય વી.કે.પૉલ કહે છે, "આવા વિકલ્પો પર ચર્ચા થાય છે અને જે પણ નિર્ણય અમને જરૂરી લાગશે તે લેવામાં આવશે."
તેઓએ કહ્યું, "જ્યારે વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો એવી સ્થિતિમાં હિલચાલ ઓછી કરવી પડશે. એ જ સંદર્ભમાં 29 એપ્રિલે એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી."
"જે રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે અને જ્યાં હોસ્પિટલોમાં 60 ટકા પથારી ભરાયેલી છે. તે રાજ્યોને નાઇટ કર્ફ્યુ લગાવવાની સલાહ આપી હતી. આ દિશાનિર્દેશ પર રાજ્ય નિર્ણય લઈ રહ્યાં છે."
જ્યારે, સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એ સ્પષ્ટ કર્યું કે વિદેશોથી જે કોવિડ સહાયતા મોકલવામાં આવી રહી છે, તેને લઈને મંત્રાલયસ્તરેથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
આંતર-મંત્રાલયસ્તરે આમાં કેટલાક સંયુક્ત સચિવ, વિદેશ મંત્રાલયના અધિકારી, કસ્ટમના અધિકારી અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારી સામેલ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો