ઉત્તર પ્રદેશ : પાણી પીવા મંદિર પહોંચેલા મુસ્લિમ તરુણને ઢોર માર મરાયો, બે લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, GHAZIABAD POLICE/TWITTER
પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર પાણી પીવા માટે મંદિરમાં પ્રવેશેલા એક 14 વર્ષીય મુસ્લિમ તરુણ સાથે મારામારીના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં બનેલી ઘટનાનો વીડિયો ઑનલાઇન ઘણો શૅર થયો હતો. જે બાદ રોષ ફેલાયો હતો.
સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં એક વ્યક્તિ તરુણને મારતી દેખાઈ રહી છે, જ્યારે બીજી વ્યક્તિ આ ઘટનાને કૅમેરામાં કેદ કરી રહી હતી.
માનવાધિકાર માટે કામ કરતાં જૂથો દ્વારા આ પ્રકારની ઘટનાઓના વધતા જતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
હ્યુમન રાઇટ્સ વૉચ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાછલાં અમુક વર્ષોમાં મુસ્લિમો સહિત લઘુમતીઓ પર 'કટ્ટર હિંદુ જૂથો' દ્વારા હુમલાની સંખ્યામાં વધારો થયો છે.

ઘટનાના કારણ અંગે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના ગાઝીયાબાદના તરુણ આસિફ સાથે ગુરુવારે બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર આ ઘટનાનો વીડિયો શકમંદો પૈકી એકે જ ઑનલાઇન પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે તરુણને માથાના ભાગે માર મારવામાં આવી રહ્યો છે. તેમને જમીન પર પછાડી અને શરીર પર અને ગુપ્તાંગના ભાગે લાતો મારવામાં આવી રહી છે.
આસિફના પિતાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મારો પુત્ર એ વિસ્તારમાં હતો જે દરમિયાન તેને તરસ લાગી. જ્યારે તેને મંદિરમાં પાણીનો નળ દેખાયો તો તે ત્યાં પાણી પીવા લાગ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગાઝિયાબાદના હિંદુ મંદિરના સંચાલકોએ આ વિવાદનું મૂળ પાણી હતું કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાણીનો નળ મંદિરની બહાર છે, તેથી આસિફે મંદિર પરિસરમાં નહોતું જવું જોઈતું.
ગાઝીયાબાદ પોલીસે એક શકમંદને બિહારના ભાગલપુર શહેરના રહેવાસી શ્રીઅંગી નંદન યાદવ તરીકે ઓળખાવ્યા છે. પોલીસે કહ્યું કે આ કથિત ઘટના જ્યાં બની, શ્રીઅંગી નંદન યાદવે પોતે તે મંદિરના સંભાળ રાખનાર તરીકેની ઓળખ પોલીસને આપી હતી.
રવિવારે પોલીસે એ વાતની પુષ્ટિ કરી કે આ કથિત ઘટનાને ફિલ્માવનાર, જેનું નામ શિવાનંદ છે, તેમની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગાઝીયાબાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કલાનિધિ નૈથાનીએ કહ્યું કે ઘટનાની જાણ થઈ, તે બાદ જલદી જ મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. તેમણે આગળ જણાવ્યું કે આ મામલે કડક પગલાં લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે કઠોર પ્રતિક્રિયા જોવા મળી હતી.
પત્રકાર રિફાત જાવેદે ટ્વિટર પર આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા લખી. તેમણે લખ્યું કે, "એક નાના બાળકને માર મારવા માટે તમારે કેટલી ખરાબ માનસિકતાવાળી વ્યક્તિ બનવું પડે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અન્ય એક ટ્વિટર યુઝર નવ્યા સિંઘ, જેઓ એક સ્થાનિક ન્યૂઝ રિપોર્ટર છે તેમણે લખ્યું : "આ ઘટના માત્ર ક્રૂર જ નથી પરંતુ એ પણ દર્શાવે છે કે મારઝૂડ કરનારા કેટલા નિર્લજ્જ છે, જેમણે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂક્યો."
RJDના નેતા તેજસ્વી યાદવે આ ઘટના અંગે પોતાનો રોષ ઠાલવતાં ટ્વિટર પર લખ્યું કે, "આસિફ એ ઝેરી વિચારધારાનો ભોગ બન્યો છે જે માણસને માણસ ગણતી નથી."
આ ઘટના બાદ સમગ્ર વિકેન્ડ દરમિયાન ટ્વિટર પર #SorryAsif ટ્રેન્ડ કરી રહ્યો હતો.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












