નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં ખેડૂતોને ભરમાવવા માટે મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે

ગુજરાતના કચ્છની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં ખેડૂતોને ભરમાવવા માટે મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. તેમને ડરાવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ કાયદા સુધારાઓના કારણે, બીજા લોકો ખેડૂતોની જમીન પર કબજો કરી લેશે.

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના કચ્છની મુલાકાતે છે જ્યાં તેમને ડિસેલિનેશન પ્લાન્ટની સાથે-સાથે હાઇબ્રિડ રિન્યુબલ ઍનર્જી પાર્ક અને ઑટોમૅટિક મિલ્ક પ્રોસેસિંગ અને પૅકેજિંગ પ્લાન્ટનું ખાતમૂર્હત કર્યું હતું.

મોદીએ કહ્યું કે, "મને જણાવો જો કોઈ ડેરી દૂધ ભેગી કરવા માટે કૉન્ટ્રૅક્ટ કરે તો શું તેઓ તમારા પશુ પણ લઈ લેશે? જે કૃષિ સુધારા સુધારા કરવામાં આવ્યા છે તે એકદમ એ જ છે જેની ખેડૂતો સંગઠનો અને વિરોધપક્ષો વર્ષોથી માગણી કરી રહ્યા છે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને અમે ખેડૂતોને સમજાવતા રહીશું અને તેમને પ્રશ્નોનો ઉકેલ લાવીશું."

ગડકરીઃ ખેડૂત આંદોલનમાં નક્સલ સાથે સંકળાયેલી વ્યક્તિની તસવીર કેમ?

ખેડૂત આંદોલનમાં કથિત નક્સલવાદીની તસવીરને લઈને મોદી સરકારના વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરીએ પ્રશ્ન કર્યો છે.

એનડીટીવીને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યું કે, "અમારા ગઢચિરૌલી જિલ્લામાં નક્સલ મામલામાં એક વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી. આ વ્યક્તિને કોર્ટથી જામીન મળ્યા નથી. ખેડૂત આંદોલનમાં આ વ્યક્તિની તસવીર ક્યાંથી આવી? આ વ્યકિતનો ખેતી સાથે શો સંબંધ છે?"

"દેશ વિરોધી ભાષણ આપનાર લોકો ખેડૂત આંદોલનમાં કઈ રીતે આવી ગયા? અમે કોઈ પણ પ્રકારનું આકલન કરી રહ્યા નથી. અમુક એવા તત્ત્વો છે જે આંદોલનનો લાભ લઈને તેમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમુક લોકો આંદોલનનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે."

ખેડૂતમાં આંદોલનને લઈને ગડકરીએ જણાવ્યું છે કે, "ખેડૂતોનું શોષણ ન થાય તે માટે કૃષિકાયદા લાવવામાં આવ્યાં છે. ખેડૂતોને યોગ્ય કિંમત મળે તે માટે આ જરૂરી હતું. પોતાના પાકની કિંમત ખેડુત નક્કી કરે ન કે કોઈ દલાલ. કૃષિકાયદાથી ખેડૂતોને જ ફાયદો છે."

તેમણે જણાવ્યું કે, "ખેડૂતોને કન્ફ્યૂઝ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકો જણાવે કે ત્રણેય બિલમાં શું ખોટું છે. જો કંઈ ઉમેરવાનું હોય તો એ પણ જણાવવામાં આવે કે શું ઉમેરવાનું છે. જ્યાં બિનઉપજાઉ જમીન છે અને ખેડૂતો પાક લઈ શક્તા નથી ત્યાં જો કૉર્પોરેટની મદદથી ખેતી શક્ય બની જાય તો શું વાંધો છે. ખેડૂતોની જમીન કોઈ લઈ ન શકે. જો પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કૉન્ટ્રૅક્ટમાં ખેતી નથી કરવી તો ન કરે."

ગડકરીએ કહ્યું કે, સંસદમાં આ બિલ પર ચર્ચા થઈ હતી. તેમ છતાં અમે ચર્ચા માટે તૈયાર છીએ.

આપ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે કે તેમનો પક્ષ 2022માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે.

તેમણે જણાવ્યું કે, "ઉત્તર પ્રદેશની જનતા ત્યાંના રાજકીય પક્ષોથી કંટાળી ગઈ છે અને લોકોને વિકલ્પની જરૂર છે."

કેજરીવાલે કહ્યું, "દિલ્હીની જનતાએ મને ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યો. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. યૂપીના લોકો મોટી સંખ્યામાં દિલ્હીમાં રહે છે અને લોકો અમારી પાસે આવીને વિનંતી કરે છે કે આમ આદમી પાર્ટીએ યૂપીમાં ચૂંટણી લડવી જોઈએ કારણકે લોકો ત્યાંના રાજકીય પક્ષોથી કંટાળી ગયા છે."

તેમને પ્રશ્ન કર્યો કે "યૂપીના લોકોને દવા અને શિક્ષણ માટે દિલ્હી કેમ આવવું પડે છે? જો દિલ્હીની હૉસ્પિટલો સારી થઈ શકે છે તો યૂપીની કેમ નહીં? જો દિલ્હીની સરકારી શાળાઓ સારી થઈ શકે છે તો યૂપીની કેમ નહી? યૂપીમાં વિજ બિલ ઓછું કેમ ન થઈ શકે? "

ખેડૂતોએ મોદી સરકાર સાથે વાતચીત કરવા માટે કઈ ત્રણ શરતો રાખી?

હજારો આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીની સરહદો પર અને દેશભરમાં ધરણાં અને ઉપસાવ કર્યાં. કેન્દ્ર સરકારા દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિકાયદાઓનો આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે સરકાર તેને પરત લઈ લે. ખેડૂતોને આશંકા છે કે આ કાયદાઓ થકી તેમની આજીવિક ખતમ થઈ જશે અને કૉર્પોરેટને પ્રોસ્તાહન મળશે.

બીજી તરફ આ આંદોલનને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતનેતાઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી રહી છે. જેને પગલે ખેડૂતનેતાઓ વચ્ચે મતભેદના મામલા પણ સામે આવ્યા છે.

ખેડૂતનેતાઓ વચ્ચે મતભેદ?

'ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ'ના રાષ્ટ્રીય સંયોજક વી. એમ. સિંહને પદ પરથી એવા માટે હઠાવી દેવાયા છે કે તેમણે સરકાર સાથે અલગથી વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

માગ એમએસપી માટે નિયમ બનાવવા માટે કેન્દ્રીત હોવી જોઈએ, કાયદા રદ કરાવવા માટે નહીં એવું તેમનું કહેવું હતું.

તો બીજી તરફ પંજાબના ખેડૂત યુનિયનોએ પોતાને ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં)નાં માનવાધિકાર સંબંધિત વિરોધપ્રદર્શનોથી અલગ કરી લીધાં છે. ભારતીય કિસાન યુનિયન પણ સોમવારે ભૂખહડતાળમાં સામેલ નહોતું થયું.

ખેડૂત યુનિયનો વચ્ચેનું આ વિભાજન દિલ્હીની સરહદો પર ચાલી રહેલા વિરોધપ્રદર્શનના 19મા દિવસે થયું.

ખેડૂત અને સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત બાદથી વાતચીતનો સિલસિલો બંધ છે.

ખેડૂતોનું કહેવું છે કે ત્રણેય કાયદા રદ કરશે ત્યારે જ કોઈ સમાધાન નીકળશે. જ્યારે સરકારનું કહેવું છે કે તે કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છે પણ કાયદાને પરત નહીં લેવાય.

ખેડૂતોએ રાખી ત્રણ શરત

જોકે, આ બધા વચ્ચે પંજાબનાં જેટલાં પણ ખેડૂત યુનિયનો છે, તેઓ કૃષિકાયદા રદ કરવા સિવાયની કોઈ વાત માનવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે વાતચીત શરૂ થાય એ પહેલાં ત્રણ વાત સ્પષ્ટ થવી જોઈએ.

પહેલી વાત એ કે વાતચીત જૂના પ્રસ્તાવો પર થઈ શકે નહીં, કેમ કે એ પ્રસ્તાવોને પહેલાંથી જ ખારિજ કરી દેવાયા છે.

બીજી શરત એ કે સરકાર નવો ઍજેન્ડા રજૂ કરે અને ત્રીજ શરત એ કે વાતચીત કાયદાઓ રદ કરવા પર કેન્દ્રીત હોવી જોઈએ.

આંદલનકારી ખેડૂતનેતાઓનું કહેવું છે કે જો સરકાર આ વાતો પર વિચાર કરવા તૈયાર થાય તો વાતચીત શરૂ થઈ શકે એમ છે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતીના સચિવ અવિક સાહાએ સોમવારે કહ્યું, "સરકાર સતત જૂના પ્રસ્તાવો થકી છેતરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પ્રસ્તાવોને પહેલાંથી જ નકારી ચૂક્યા છીએ."

"જો સરકાર ત્રણેય કૃષિકાયદાઓ અને ઇલેક્ટ્રિસિટી બિલ 2020ને પરત લેવા માટે તૈયાર છે, તો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ."

આ દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પાંચ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને પ્રતિનિધિઓએ કૃષિકાયદાનું સમર્થન કર્યું છે.

કૃષિમંત્રીનું એવું પણ કહેવું છે કે વાતચીત ફરીથી શરૂ થશે કેમ કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઈને ગંભીર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો