બાબરી વિધ્વંસ કેસ ચુકાદો: અયોધ્યામાં શું બીજી મસ્જિદો પણ તોડવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
અયોધ્યાના દોરાહીકુઆં વિસ્તારમાં 80 વર્ષના સૈયદ અખલાક અહમદને જ્યારે અમે મળવા પહોંચ્યા, ત્યારે તે પોતાના દીકરાની સાથે સાંજે નમાઝ પઢવા જવા માટે તૈયાર થઈને બેઠા હતા.
અમે પરિચય આપ્યો અને આવવાનું કારણ કહ્યું, તો ખૂબ જ નિરાશ અને થોડા ગુસ્સે થઈને બોલ્યા, "હવે શું વાત કરીશું? શું રહી ગયું છે? મહેરબાની કરીને અમને માફ કરી દો, અમે કોઈ વાત કરવા માગતા નથી."
તે નમાઝ પઢીને આવ્યા, અમે આગ્રહ કર્યો અને તે વાત કરવા માટે તૈયાર થયા. સૈયદ અખલાક અહમદની વર્ષ 1993માં ફૈઝાબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મસ્જિદો અને ઘરને રિપેર કરવાની કામગીરીની દેખરેખ માટે નિમણૂક કરવામાં આવી હતી, તે મસ્જિદોને છ ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડ્યા પછી થયેલાં તોફાનો દરમિયાન તોડી નાખવામાં આવી અથવા સળગાવી દેવામાં આવી.

"મસ્જિદ તોડી નાખવામાં આવી ઘર સળગાવી દેવામાં આવ્યા"

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
સૈયદ અખલાક અહમદ કહેવા લાગ્યા, "છ ડિસેમ્બર 1992એ બાબરી મસ્જિદ તોડ્યા પછી અયોધ્યા શહેરમાં અંદાજે 18થી 20 મસ્જિદ તોડી નાખવામાં આવી હતી. એક મસ્જિદને તો તોડ્યા પછી તેમાં મૂર્તિ પણ મૂકવામાં આવી હતી. તૂટ્યા પછી લગભગ તમામ મસ્જિદનું સમારકામ તે સમયના ડીએમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. મને તેમણે રિપેરિંગની કામગીરીનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી હતી. એડીએમની દેખરેખમાં રિપેરિંગનું કામ પીડબ્લ્યૂના કર્મચારીઓ કરતા હતા. રિપેરિંગનું તમામ કામ વર્ષની અંદર જ થઈ ગયુ હતું."
સૈયદ અખલાક અહમદના ત્યાં પણ એક મોટી મસ્જિદ હતી અને પાસે જ એક મદરેસા પણ હતી. તેમની મસ્જિદ સંપૂર્ણ રીતે તોડવામાં આવી હતી અને ઘર પણ સળગાવી નાખવામાં આવ્યું હતું. અખલાક અહમદે પોતાના નવા બનેલા ઘરમાં મસ્જિદના કેટલાંક તૂટેલા ગુંબજોને સાચવીને રાખ્યા છે. પોતાના આ ઘરમાં તે એક મદરેસા પણ ચલાવે છે અને નજીકમાં તેમણે અન્ય લોકોની મદદથી મસ્જિદ બનાવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમના કહેવા પ્રમાણે મોટાભાગની મસ્જિદનું નિર્માણ થઈ ગયું છે, પરંતુ કેટલીક મસ્જિદ રહી ગઈ હતી અને તે હાલ પણ એમ જ પડેલી છે. આમાંથી એક મસ્જિદ દોરાહી કૂવા પર છે અને બીજી મસ્જિદ રાજઘાટની પાસે જહાંગીરબખ્શ મહોલ્લામાં છે.
તે કહે છે કે દોરાહી કૂવાવાળી મસ્જિદ બેથી અઢીસો વર્ષ જૂની છે અને તેની દિવાલ લખૌરી ઇંટોથી બનેલી છે. આ મસ્જિદની સામેવાળા બે મિનારા એ જ હાલતમાં છે, જ્યારે તૂટેલી દીવાલનું પુન:નિર્માણ થઈ ગયું છે પરંતુ તેની પર છત હાલ સુધી નથી પડી. આ મસ્જિદ અધિગ્રહિત રામજન્મભૂમિ પરિસરની ઠીક પાછળ છે.

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
છ ડિસેમ્બર, 1992 પછી દેશભરમાં અનેક જગ્યાએ સાંપ્રદાયિક હિંસા થઈ હતી અને અયોધ્યામાં કેટલાંક દિવસ સુધી કર્ફ્યૂ લાગેલો રહ્યો. અયોધ્યાના સ્થાનિક લોકો કહે છે કે છ ડિસેમ્બર અગાઉથી જ કંઈક એવો માહોલ બની રહ્યો હતો, હજારોની સંખ્યામાં લોકો એકઠાં થઈ રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનહોનીની આશંકાને કારણે તમામ મુસ્લિમ પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ ચાલી નીકળ્યા હતા. સ્થાનિક લોકો પ્રમાણે, બહારથી આવેલા લોકોએ મુસ્લિમ વિસ્તારોમાં તમામ ઘર અને અયોધ્યાની તમામ મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું હતું.
બાબરી મસ્જિદના છેલ્લા ઇમામ રહેલા મૌલાના અબ્દુલ ગફ્ફારની અયોધ્યાના મુખ્ય રસ્તા પર જ આરા મશીન (લાકડું કાપવાનું મશીન) હતું અને પાછળ ઘર પણ હતું. આરા મશીન અને ઘર આજે પણ તે સ્થિતિની સાક્ષી પુરે છે કે કેવી રીતે તેને તોડી પાડવામાં આવ્યું હતું. મૌલાના અબ્દુલ ગફ્ફારના પૌત્ર ઈ-રિક્ષા ચલાવે છે.
આ ઘટનાને યાદ કરતા તે કહે છે, "છ ડિસેમ્બર સવારે જ મસ્જિદ પર હુમલો થયો અને તે પછી શહેરના અનેક મુસ્લિમ વિસ્તારો પર હુમલો કરવામાં આવ્યો. અમારું ઘર રસ્તા પર હતું. ભીડ અચાનક ઘૂસી ગઈ. મારા પિતા લોકોને મારી નાખ્યા. અમે લોકો ભાગીને પોલીસ સ્ટેશન ગયા જીવ બચી ગયો. મશીન સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યું જે આજે પણ એવું જ પડ્યું છે. "

વળતર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
શાહિદ કહે છે કે કેટલીક સંસ્થાઓ તરફથી વળતર મળ્યું હતું પરંતુ તે એટલું પણ ન હતું કે તૂટેલી વસ્તુઓને સારી રીતે રિપેર કરાવી શકીએ.
તેમના કહેવા પ્રમાણે સરકાર તરફથી તેમને કાંઈ વળતર મળ્યું ન હતું, જે કાંઈ મળ્યું તે સંસ્થાઓ તરફથી મળ્યું. જોકે હાજી અખલાક અહમદ કહે છે કે જે પણ નુકસાન થયું હતું, સરકારે તેનું આકલન કરીને વળતર આપ્યું.
તેમના કહેવા પ્રમાણે, "વળતર ખૂબ જ ઓછું હતું પરંતુ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 મકાનને નુકસાન થયું હતું અથવા પછી તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. તમામને નુકસાનના હિસાબે વળતર આપવામાં આવ્યું હતું."
અયોધ્યાના મુખ્ય માર્ગ પર આવેલી કટિયાલા તાડવાળી મસ્જિદમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. રિપેરિંગ માટે મળેલા પૈસાથી માત્ર દીવાલ બની શકી, છત નહીં. છત પર હાલ પણ ટિન શેડ નાખેલો છે. મુખ્ય માર્ગથી અયોધ્યા રેલવે સ્ટેશન તરફ જઈએ ત્યાં કોઠિયા મહોલ્લામાં એક મોટી મસ્જિદ પણ છે.

મસ્જિદ અને દરગાહના પુનર્નિમાણનું કામ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીનું ઘર આ મસ્જિદથી નજીક છે. ઇકબાલ અન્સારી કહે છે, "વીજળી શહીદની દરગાહ પર તો મુસ્લિમની જગ્યાએ હિંદુ લોકો વધારે જાય છે. આજે પણ આવે છે. પરંતુ તોડફોડ કરનાર કારસેવક તમામ બહારના હતા. તેમને આ બધી ખબર ન હતી. સ્ટેશનની પાસે પડતી હતી આ મસ્જિદ અને દરગાહ. બાબરી તોડ્યા પછી લોકો આ તરફ જ ભાગ્યા હતા અને સૌથી પહેલા તેમણે નુકસાન પહોંચાડ્યું હતું. અમે લોકો અયોધ્યામાં તે દિવસે હતા જ નહીં, એટલું બહુ જાણતા નથી કે બીજું શું શું થયું."
ઇકબાલ અન્સારી કહે છે કે સરકારી મદદ અને કેટલીક મુસ્લિમ સ્વયંસેવી સંસ્થાઓ, બાબરી મસ્જિદ ઍક્શન કમિટીથી મળેલા પૈસાથી મસ્જિદ અને દરગાહનું પુન:નિર્માણ કર્યું. હાલમાં વીજળી શહીદની દરગાહ અને તેની પાસેની મસ્જિદ સારી સ્થિતિમાં છે અને લોકોની અવર-જવર પહેલાંની થાય છે.
અયોધ્યામાં રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં છ ડિસેમ્બર 1992ની ઘટના પછી લાગેલા કર્ફ્યૂ દરમિયાન હિંસા અને તોડફોડના કેસમાં 200થી વધારે એફઆઈઆર નોંધાઈ હતી.
રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના સ્ટેશન કમિશનર રાહુલ કુમાર કહે છે, "આ તમામ મકાનોમાં તોડફોડ તેમને સળગાવવાની, દુકાનોને સળગાવવાની અને કેટલીક હત્યાના કેસ નોંધાયા છે. તમામાં ફાઇનલ રિપોર્ટ મૂકી દીધો છે. કારણ કે તમામ કેસ અજ્ઞાત લોકો તરફથી નોંધાવવામાં આવ્યા હતા. બાબરી મસ્જિદ સિવાય બીજી કોઈ મસ્જિદ તોડવાને લઈને કેસ નોંધાયો નથી."
આ અંગે અયોધ્યાના મેયર ઋષિકેસ ઉપાધ્યાય સ્પષ્ટ રીતે કહે છે, "બાબરી મસ્જિદ સિવાય કોઈ બીજી મસ્જિદ અયોધ્યામાં તોડવામાં નહોતી આવી. આવું કાંઈ થયું હોત તો અમને ખ્યાલ હોત. જોકે ત્યારે હું ભણી રહ્યો હતો અને રાજકારણ જોડે મારે કોઈ સંબંધ ન હતો. હા, કેટલાંક મકાનો અને દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ, જેનું વળતર આપવામાં આવ્યું હતું."

"તોડવામાં આવેલી મસ્જિદનું હવે રિપેરિંગ કરાવી દેવામાં આવ્યું છે"

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
વળતર કેટલું આપવામાં આવ્યું હતુ, આ અંગે અયોધ્યાના જિલ્લા વહીવટી તંત્રની પાસે કોઈ જાણકારી નથી પરંતુ જે લોકોને વળતર આપવામાં આવ્યું છે, તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર તે સમયના હિસાબે નુકસાનની જે કિંમત લગાવવામાં આવી હતી તે આપવામાં આવી હતી, તે આપવામાં આવી હતી.
અયોધ્યામાં જ રહેતા અબ્દુલ વાહિદ કુરૈશી અમને એ તમામ મસ્જિદો દેખાડવા માટે લઈ ગયા જે જૂની હતી અને 1992ની ઘટના પછી ભડકેલી હિંસા દરમિયાન તોડી નાખવામાં આવી હતી અને હવે તેમનું રિપેરિંગ કરવામાં આવ્યું છે.
અબ્દુલ વાહિદ કુરૈશી કહે છે, "રામપૈડીમાં એક બહુ જૂની આલમગીર મસ્જિદ છે, જે જર્જર સ્થિતિમાં છે. આખા અયોધ્યાનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે તો આ મસ્જિદનું પણ બ્યુટિફિકેશન થઈ જાય તો સારું રહેશે. બાકી તો તે સમયની તૂટેલી મસ્જિદ હતી, મોટા ભાગનું રિપેરિંગ થઈ ગયું છે, કેટલુંક બચ્યું છે તે કદાચ આગળ તેનું રિપેરિંગ પણ થઈ જાય."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












